સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલ આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે કોલેજિયન યુવતીઓના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક તપાસમાં આ મામલો સામૂહિક આપઘાતનો હોવાનું બહાર આવ્યું છે.
મૃતક યુવતીઓની ઓળખ 18 વર્ષીય રોશની શરદ શિરસાઠ અને 20 વર્ષીય જોસના અતુલ ચૌધરી તરીકે થઈ છે. બંને બાળપણની બહેનપણીઓ હતી અને ઉધના સિટિઝન કોલેજમાં અભ્યાસ કરતી હતી.ગતરોજ સવારે 7:00 વાગ્યે બંને યુવતીઓ કોલેજ જવા માટે ઘરેથી નીકળી હતી. બપોરે 12:30 વાગ્યા પછી તેમનો કોઈ સંપર્ક થઈ શક્યો ન હતો. પરિવારે વારંવાર ફોન કરવા છતાં ફોન ન ઉપાડતા, પરિવારે ટેકનોલોજીની મદદથી મોબાઈલ લોકેશન ટ્રેસ કર્યું હતું.
ડિંડોલી પોલીસ લોકેશન ટ્રેસ કરતા તે ડીંડોલીના સ્વામિનારાયણ મંદિરનું આવતા પરિવારજનો તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા. તપાસ દરમિયાન મંદિરના બાથરૂમની લાઈટ ચાલુ હોવા છતાં દરવાજો અંદરથી બંધ જણાતા શંકા ગઈ હતી. દરવાજો તોડતા જ બંને યુવતીઓ મૃત હાલતમાં મળી આવી હતી.
CCTV ફૂટેજ અને પોલીસ તપાસ
પોલીસ તપાસમાં સામે આવેલા સીસીટીવી મુજબ, બંને યુવતીઓ સવા સાત વાગ્યે મોપેડ પર મંદિર પરિસરમાં પ્રવેશતી દેખાઈ હતી. ત્યારબાદ 7:30 વાગ્યાની આસપાસ તેઓ જાતે જ બાથરૂમ તરફ જતી અને અંદરથી દરવાજો બંધ કરતી નજરે પડી હતી.
ઘટનાસ્થળેથી ઝેરી દવાના પડીકા મળી આવ્યા
ઘટનાસ્થળેથી પોલીસને ઝેરી દવાના પડીકા મળી આવ્યા છે, જેને વધુ તપાસ માટે એફ.એસ.એલ.માં મોકલવામાં આવ્યા છે. ડીંડોલી પોલીસે બંને યુવતીઓના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે.
હાલમાં આપઘાતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પોલીસ તપાસ કરી રહી છે કે શું વિદ્યાર્થીનીઓ પર અભ્યાસનું ભારણ હતું? શું તેઓ કોઈ માનસિક તણાવ અનુભવતી હતી? કે પછી તેમના પર કોઈ સામાજિક કે અન્ય પ્રકારનું દબાણ હતું? પોલીસ તપાસ અને પીએમ રિપોર્ટ બાદ જ આ કરુણ ઘટના પાછળના સાચા કારણો સ્પષ્ટ થશે.