સુરત પોલીસની એક દબંગ કાર્યવાહીનો નમૂનો સામે આવ્યો છે, સુરત પોલીસે નાસતા ફરતા આરોપીને 21 વર્ષે દબોચ્યો છે, તે પણ એક ખાસ ઓપરેશન અંતર્ગત. ખરેખરમાં, છેલ્લા 21 વર્ષથી ફરાર આરોપીને સુરત પોલીસે યુપીના પ્રયાગરાજમાંથી ઝડપી પાડ્યો હતો. સુરત પોલીસે પોતાનો વેશપલટો કરી જોનપુરથી પ્રયાગરાજ સુધી પીછો કર્યો અને બાદમાં ઓળખ છુપાવી ચા વાળા બનીને આરોપીને પકડી પાડ્યો હતો.
આ સમગ્ર ઓપરેશનમાં સુરત પોલીસે આરોપીઓને પકડવા માટે વેશપલટો કર્યો હતો. એક હેડ કોન્સ્ટેબલ ‘ચા વાળા’ બની ભીડભાડ વિસ્તારમાં નજર રાખી રહ્યા હતા, જ્યારે અન્ય ટીમે આસપાસ ગુપ્ત વોચ ગોઠવી હતી.
ટેકનિકલ સર્વેલન્સ અને માનવીય માહિતીના આધારે ચોક્કસ લોકેશન ટ્રેસ કરી આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું. આરોપીઓ સામે 2005માં હથિયાર સાથે મારામારીનો ગુનો નોંધાયો હતો. 21 વર્ષ પહેલાં અશ્વિનીકુમાર ગૌશાળા સર્કલ પાસે ફરિયાદી નવીન રાવળિયા સાથે ઝઘડો થયો હતો. તે સમયે આરોપીઓ પાસે પિસ્તોલ અને તલવાર હતી અને તલવારથી હુમલો કર્યો હતો. લોકો ભેગા થતા આરોપીઓ પિસ્તોલ અને રિક્ષા સ્થળ પર જ મૂકી પોતાના વતન ભાગી ગયા હતા. ત્યારથી બંને આરોપીઓ અલગ-અલગ સરનામાં પર રહી પોતાની ઓળખ છુપાવતા હતા.
પોલીસે સંતોષ રાજબહાદુર ઉર્ફે રામકુમાર યાદવ અને સંતોષ ઉર્ફે શિયુ રાજબહાદુર ઉર્ફે રામકુમાર યાદવને ઝડપી પાડ્યા છે. બંને આરોપીઓ પ્રયાગરાજના અત્તરસુઈયા ચૌરાહા વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તેઓ ત્યાં ઈંડાની લારી અને ગેરેજ ચલાવી સામાન્ય જીવન જીવી રહ્યા હતા, જેથી કોઈને શંકા ન જાય. સુરત શહેર એસઓજી અને વરાછા પોલીસ સ્ટેશનની સંયુક્ત કાર્યવાહીથી આ મોટી સફળતા મળી છે.