Tuesday, Oct 28, 2025

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં લીથોટ્રીપ્સી પદ્ધતિથી પાંચ મહિનામાં 56 દર્દીઓની પથરી દૂર

2 Min Read

આજના યુગમાં પથરીએ સામાન્ય બિમારી થઈ ચુકી છે. પથરીને કારણે પડખામાં દુખાવો, ઉલટી, તાવ, વારંવાર પેશાબમાં રસી અને લોહી પડવું આ બધા લક્ષણો જોવા મળે છે. જો પથરીની સારવાર સમયસર કરવામાં ન આવે તો લાંબાગાળે કિડની ખરાબ થવાની સંભાવના રહેલી છે. જેથી પથરીની સારવાર લેવી આવશ્યક છે. પથરીને દુર કરવા માટે દવાઓ તથા અલગ અલગ સર્જરી જેવી ESWL, URS, PCNL, RIRS અનેક પધ્ધતિઓ ઉપલબ્ધ છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલના યુરોલોજી વિભાગના ડો.ગૌરવ બવાડીયા વિગતો આપતા કહે છે કે, પાંચ મહિના પહેલા આવેલા આધુનિક લિથોટ્રીપ્ટર મશીનથી (DORNIER DELTA 3 PRO ) દર્દીઓના શરીરમાં રહેલી પથરીઓને એક્સ્ટ્રાકોર્પોરિયલ શોક વેવ લિથોટ્રિપ્સી(ESWL) પધ્ધતિથી પથરીને તોડીને દુર કરવામાં આવે છે. કિડનીમાં ૨ સેન્ટીમીટર કરતા નાની પથરી તેમજ પેશાબની નળીમાં ૧ સેન્ટીમીટર કરતા નાની પથરી માટે આ અસરકારક પદ્ધતિ છે.

આ પદ્ધતિમાં ખાસ જાતના લિથોટ્રીપ્ટર મશીનમાંથી ઊત્પન્ન કરેલાં શક્તિશાળી તરંગો (Shock Waves)ની મદદથી પથરીનો રેતી જેવો ભૂકો કરવામાં આવે છે, જે ધીમે ધીમે થોડા દિવસોમાં પેશાબ સાથે બહાર નીકળી જાય છે. લીથોટ્રીપ્સી કર્યા બાદ દર્દીને ખુબ પ્રવાહી પીવાનું રહે છે. જેથી ભૂકો થઈ ગયેલી પથરી સરળતાથી પેશાબમાં નીકળી જાય છે.

આ પધ્ધતિમાં કોઈ પણ કાપકુપ કરવામાં આવતી નથી કે કિડનીમાં દુરબીન બેસાડવાની જરૂર રહેતી નથી. જેથી ઈન્ફેકશન શકયતા રહેતી નથી. છેલ્લા પાંચ મહિના દરમિયાન ૫૬ દર્દીઓની સર્જરી કરવામાં આવી છે. આ સર્જરીમાં તેજ દિવસે રજા આપવામાં આવે છે. આ પધ્ધતિના ફાયદા વિશે જણાવતા કહે છે કે, આમાં બ્લીંડીગ થવાની સંભાવના નહીવત રહે છે. જયારે દર્દી દાખલ થાય તે જ દિવસે ઓપરેશન કર્યા બાદ રજા આપી દેવામાં આવે છે. આ પધ્ધતિથીમાં પથરીની સાઈઝ અને સંખ્યાના આધારે બે થી ત્રણવાર દર્દીએ આવવું પડે છે. દુઃખાવો ખુબજ ઓછો અથવા નહિવત જેવો થાય છે.

Share This Article