સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા પૂર્ણ થયા બાદ ભાજપ અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો વચ્ચે ભારે હોબાળો અને ઉગ્ર બોલાચાલી સર્જાઈ હતી. સભા પૂર્ણ થયા પછી બંને પક્ષના કોર્પોરેટરો વચ્ચે તીવ્ર વાદવિવાદ શરૂ થયો હતો, જેના કારણે વાતાવરણ તંગ બન્યું હતું. આ દરમિયાન ‘આપ’ના કોર્પોરેટર મહેશ અણઘણનું લેપટોપ તૂટી જતાં વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો. આરોપ લગાવવામાં આવ્યો કે ભાજપના કેટલાક કોર્પોરેટરોએ લેપટોપ તોડ્યું હતું, કારણ કે તેની ડિસ્પ્લે પર ભાજપની નિષ્ફળતાઓ દર્શાવવામાં આવી રહી હતી.
ગરમાગરમી એટલી વધી ગઈ કે ‘આપ’ના કુંદન કોઠીયા અને ભાજપના ઉર્વશીબેન વચ્ચે હાથાપાઈ થવાની નોબત આવી ગઈ હતી. બીજી તરફ ભાજપના કોર્પોરેટર વૃજેશ ઉનડકટ અને કૃણાલ સેલરે વળતો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કુંદન કોઠીયાએ ભાજપના સભ્યો સામે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે વિવાદ વધુ ભડક્યો હતો. અંતે સુરક્ષા કર્મચારીઓ વચ્ચે પડીને પરિસ્થિતિ કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો.
આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન પક્ષ અને વિપક્ષ વચ્ચે નારાબાજી પણ જોવા મળી હતી. ભાજપના કોર્પોરેટરો દ્વારા “હાય રે આપ્યા હાય હાય”ના નારા લગાવવામાં આવ્યા હતા, જ્યારે જવાબમાં આપના સભ્યો દ્વારા “હાય રે ભાજપ હાય”ના નારા લગાવવામાં આવ્યા હતા. આ દરમિયાન આપના એક મહિલા કોર્પોરેટરના નિવેદનને લઈને પણ તણાવ વધ્યો હતો, જ્યારે ભાજપના કોર્પોરેટર ઉર્વશીબેન ઉગ્ર પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા હતા.
આ ગડબડ વચ્ચે સુરત મહાનગરપાલિકાની વર્તમાન ટર્મની છેલ્લી સામાન્ય સભામાં એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. મનપાના મુખ્યાલય ‘મુઘલસરાઈ’નું નામ બદલીને હવે ‘તાપી ભવન’ રાખવામાં આવ્યું છે, જ્યારે આસપાસના વિસ્તારનું નામ ‘તાપીપુરા’ રાખવાની દરખાસ્ત સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી. મેયર દક્ષેશ માવાણી દ્વારા રજૂ કરાયેલી આ દરખાસ્તને શાસક પક્ષ અને વિપક્ષ બંનેએ “સનાતન ધર્મની જય”ના નારા સાથે અને બેન્ચ થપથપાવીને સમર્થન આપ્યું હતું.
તાપી નદીના મહિમાને ઉજાગર કરવાનો પ્રયાસ
સુરતના ગૌરવશાળી સાંસ્કૃતિક વારસા અને તાપી નદીના મહત્વને ઉજાગર કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. આ સાથે સાત વર્ષથી ચાલી રહેલી માંગણી પણ સંતોષાઈ છે. અગાઉ ભાજપના નગરસેવક વિજય ચોમાલે પણ આ નામ બદલવાની રજૂઆત કરી હતી.
‘મુગલીસરા’ હવે ‘શ્રી તાપી પુરા’ તરીકે ઓળખાશે
મેયરની દરખાસ્ત મુજબ સુરતના સેન્ટ્રલ ઝોનમાં આવેલો અને વર્ષોથી ‘મુગલીસરા’ તરીકે ઓળખાતો વિસ્તાર હવે ‘શ્રી તાપી પુરા’ તરીકે ઓળખાશે. આ નિર્ણય પાછળ તાપી નદીની પવિત્રતા અને પૌરાણિક ગ્રંથ ‘શ્રી તાપી મહાપુરાણ’નો સંદર્ભ આપવામાં આવ્યો છે. માન્યતા અનુસાર તાપી નદી સૂર્યપુત્રી અને શનિદેવની બહેન માનવામાં આવે છે અને સુરતના વિકાસ અને સમૃદ્ધિમાં તેનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.
સુરત મનપા બિલ્ડિંગનો ઇતિહાસ પણ નોંધપાત્ર રહ્યો છે. વર્ષ 1868માં 33,080 રૂપિયાના ખર્ચે સરાઈને મ્યુનિસિપાલિટી બિલ્ડિંગમાં પરિવર્તિત કરવામાં આવ્યું હતું. આ નિર્માણ સુરત બંદરગાહમાંથી મળતી આવકમાંથી કરવામાં આવ્યું હતું અને તેમાં કોઈ બાદશાહના પૈસા લાગેલા નહોતા. અંગ્રેજોના સમયમાં આ મિલકતનો ઉપયોગ મિલિટરી હથિયારો અને શસ્ત્રોના ગોડાઉન તરીકે પણ કરવામાં આવતો હતો.