ઈરાનના રાજ્ય મીડિયાએ પુષ્ટિ આપી છે કે સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીનું ઇઝરાયલી અને યુએસ હુમલામાં મૃત્યુ થયું છે. રવિવારે સવારે, ઈરાનના રાજ્ય પ્રસારણકર્તા, IRIB એ અહેવાલ આપ્યો કે સુપ્રીમ લીડરનું મોત થયું છે. ઈરાનની તસ્નીમ અને ફાર્સ સમાચાર એજન્સીઓએ પણ ખામેનીના મૃત્યુની પુષ્ટિ કરી હતી. અગાઉ, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક પોસ્ટમાં ખામેનીના મૃત્યુની જાહેરાત કરી હતી. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું હતું કે, “ઇતિહાસના સૌથી દુષ્ટ લોકોમાંના એક, ખામેનીનું અવસાન થયું છે.”
ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ સાથે સંકળાયેલી સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો હતો કે સરકારે અલી ખામેનીની હત્યા બાદ 40 દિવસનો જાહેર શોક જાહેર કર્યો છે, અને દેશભરમાં સાત દિવસની રજા પણ જાહેર કરવામાં આવી છે. જોકે, ઈરાને હજુ સુધી ખામેનીનું મૃત્યુ કેવી રીતે થયું તે અંગે કોઈ માહિતી જાહેર કરી નથી.
અમેરિકા-ઇઝરાયલી હુમલામાં ખામેનીનું મોત
ઈરાનના મીડિયાના અહેવાલ મુજબ, ઈરાનના સર્વોચ્ચ નેતા અને ઇસ્લામિક ક્રાંતિના નેતા, આયાતુલ્લાહ અલી ખામેનીની અમેરિકા અને ઇઝરાયલી હુમલામાં હત્યા કરવામાં આવી છે. પ્રેસ ટીવીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે ઈરાન પર અમેરિકા-ઇઝરાયલી હુમલામાં આયાતુલ્લાહ અલી ખામેનીની શહીદી વર્તાઈ હતી.
ઈરાની મીડિયાએ સુપ્રીમ લીડર અલી ખામેનીના મૃત્યુની પુષ્ટિ કરી છે. અલી ખામેની 1989 થી ઈરાનના સર્વોચ્ચ નેતા હતા. તેઓ દેશના સૌથી શક્તિશાળી પદ પર હતા અને લશ્કરથી લઈને વિદેશ નીતિ સુધીના તમામ મુખ્ય નિર્ણયો પર તેમનો અંતિમ નિયંત્રણ હતો. 1979 ની ઇસ્લામિક ક્રાંતિ પછી તેઓ ઈરાનની રાજકીય અને ધાર્મિક દિશાને આકાર આપી રહ્યા છે. 1939 માં મશહદમાં જન્મેલા, ખામેની રુહોલ્લાહ ખોમેની પછી દેશના બીજા ક્રમના સર્વોચ્ચ સત્તા કેન્દ્ર બન્યા. તેમણે લશ્કરી, ન્યાયિક અને મીડિયા સંસ્થાઓ પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું. 1979 ની ઇસ્લામિક ક્રાંતિથી તેઓ રાજકારણમાં સક્રિય રહ્યા. તેમના કાર્યકાળમાં પશ્ચિમી દેશો સાથેના તણાવ અને મધ્ય પૂર્વીય ભૂરાજનીતિમાં ઈરાનની ભૂમિકા વ્યાખ્યાયિત થઈ.
ઈરાનના હુમલાથી યુએઈમાં ભારે તબાહી
તાજેતરમાં, યુએઈ પર ઈરાની સમર્થિત ડ્રોન અને મિસાઈલ હુમલા કરવામાં આવ્યા હતા, જેમાં દુબઈ એરપોર્ટ, બુર્જ અલ અરબ અને જેબેલ અલી બંદર સહિત અનેક સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. યુએઈની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ 137 બેલિસ્ટિક મિસાઈલો અને 209 ડ્રોનને સફળતાપૂર્વક અટકાવ્યા હતા.