Monday, Nov 3, 2025

દિલ્હીમાં ભારે પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટનો કડક રુખ: CAQMને એક્શન પ્લાન રજૂ કરવાનો આદેશ

3 Min Read

દિલ્હી-એનસીઆરમાં વધી રહેલા વાયુ પ્રદૂષણની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે સોમવારે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) પાસેથી સોગંદનામું માંગ્યું હતું. ન્યાયાધીશ બી.આર. ગવઈ અને કે. વિનોદ ચંદ્રનની બેન્ચે કમિશનને સ્પષ્ટતા કરવા જણાવ્યું છે કે પ્રદૂષણને રોકવા માટે અત્યાર સુધીમાં કયા કયા પગલાં લેવામાં આવ્યા છે. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે અધિકારીઓએ માત્ર પરિસ્થિતિ વધુ વણસે ત્યારે જ પગલાં લેવાને બદલે, પરિસ્થિતિ ગંભીર બને તે પહેલાં જ અગાઉથી તૈયારી કરવી જોઈએ અને સમયસર પગલાં લેવા જોઈએ.

દિવાળી સમયે 37 માંથી 9 સ્ટેશનો જ કાર્યરત હતા
સુનાવણી દરમિયાન, વરિષ્ઠ વકીલ અપરાજિતા સિંહ, જેઓ કોર્ટના એમિકસ ક્યુરી તરીકે મદદ કરી રહ્યાં છે તેમણે મહત્વનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કોર્ટના ધ્યાન પર લાવ્યું કે દિવાળીના સમયગાળા દરમિયાન દિલ્હીના ઘણા વાયુ ગુણવત્તા મોનિટરિંગ સ્ટેશનો કાર્યરત નહોતા. તેમણે જણાવ્યું કે કુલ 37 સ્ટેશનોમાંથી ફક્ત નવ સ્ટેશન જ સતત કામ કરી રહ્યા હતા. સિંહે દલીલ કરી હતી કે જો મોનિટરિંગ સ્ટેશનો યોગ્ય રીતે કામ નહીં કરે, તો ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) ક્યારે લાગુ કરવો તે નક્કી કરવું ખૂબ મુશ્કેલ બની જશે, જેનાથી પ્રદૂષણ સામેની લડાઈ નબળી પડી શકે છે.

સુપ્રીમ કોર્ટે CAQM ને આદેશ આપ્યો કે તે પ્રદૂષણને “ગંભીર સ્તર” સુધી પહોંચતું અટકાવવા માટે લેવાયેલા પગલાંઓ અને ભવિષ્યમાં પ્રસ્તાવિત પગલાંઓનું વિગતવાર સોગંદનામું દાખલ કરે. કોર્ટે ફરી એકવાર સ્પષ્ટ કર્યું કે એજન્સીઓએ ફક્ત પરિસ્થિતિ પર “પ્રતિક્રિયા” આપવાના બદલે “અગાઉથી તૈયારી” રાખવાની નીતિ અપનાવવી જોઈએ. CAQM નું પ્રતિનિધિત્વ કરતા વકીલે જણાવ્યું હતું કે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) પ્રદૂષણ ડેટા પર દેખરેખ રાખવા માટે જવાબદાર છે. વધારાના સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ કોર્ટને ખાતરી આપી હતી કે બધી એજન્સીઓ ટૂંક સમયમાં તેમના સંબંધિત અહેવાલો ફાઇલ કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે 15 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે દિવાળી દરમિયાન દિલ્હી-એનસીઆરમાં ગ્રીન ફટાકડાના મર્યાદિત વેચાણ અને ફોડવાની મંજૂરી આપી હતી. કોર્ટે જણાવ્યું હતું કે પરંપરાગત ઉજવણીઓ અને પર્યાવરણીય ચિંતાઓ વચ્ચે સંતુલન જાળવવું મહત્ત્વપૂર્ણ છે. કોર્ટે આ છૂટને “ટેસ્ટ કેસ” ના આધારે વર્ણવી હતી અને સાથે જ CPCB અને રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને 14 થી 25 ઓક્ટોબર સુધી હવાની ગુણવત્તાનું દૈનિક ધોરણે નિરીક્ષણ કરીને અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

Share This Article