પાકિસ્તાની સૈન્ય કમ્પાઉન્ડમાં વિસ્ફોટકોથી ભરેલી બે કાર ઘુસાડી એક લશ્કરી જૂથ દ્વારા કરવામાં આવેલા આત્મઘાતી હુમલામાં 12 લોકોના મોત થયાં હતાં, જ્યારે 35થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના બન્નુમાં સેનાના બેઝને નિશાન બનાવીને બે આત્મઘાતી હુમલા કરવામાં આવ્યા હતા. દિવાલ તોડ્યા પછી હુમલાખોરોએ છાવણીમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમને ઠાર મારવામાં આવ્યા હતા.
પાકિસ્તાની સેનાએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં હજુ પણ કાર્યવાહી ચાલુ છે. પાકિસ્તાની તાલિબાન સાથે જોડાયેલા જૂથ જૈશ અલ-ફુરસાને આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. નોંધનીય છે કે, રવિવારે રમઝાન શરૂ થયા પછી આ પાકિસ્તાનમાં ત્રીજો આતંકવાદી હુમલો છે.
સુરક્ષા દળો અને હુમલાખોરો વચ્ચેની અથડામણમાં ઓછામાં ઓછા નવ લોકો માર્યા ગયા અને 35 ઘાયલ થયા છે. આ હુમલા પાછળ જૈશ ઉલ ફુરસાનનો હાથ હોવાનું કહેવાય છે, જે એક સમયે પાકિસ્તાની સેના સાથે જોડાયેલા HGB (હાફિઝ ગુલ બહાદુર)નો ભાગ હતો અને તાજેતરમાં TTP સાથે હાથ મિલાવ્યો હતો.