રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ શોપિયાન જિલ્લા સહિત દક્ષિણ કાશ્મીરમાં ૩ર સ્થળોએ દરોડા પાડી રહી છે. આતંકવાદ સંબંધિત કેસોમાં દરોડા પાડવામાં આવ્યા છે. આ અંતર્ગત, શોપિયાન જિલ્લાના રેબનમાં બિલાલ અહેમદ ડારના ઘર, નીલદુરા શોપિયાનમાં જહાંગીર અહેમદ ભટના ઘર અને ચાકુ શોપિયાનમાં બિલાલ અહેમદ ભટના ઘર પર દરોડા પાડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, NIA દ્વારા પહેલગામ આતંકવાદી હુમલાની પણ તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે શોપિયાન ઉપરાંત, પુલવામા, કુલગામ, બારામુલ્લા અને કુપવાડા જિલ્લામાં કાર્યવાહી કરવામાં આવી છે.
લશ્કર, જૈશ, હિઝબુલ અને TRFના ઓવર ગ્રાઉન્ડ વર્કર્સના ઠેકાણાઓ પર આ દરોડા ચાલી રહ્યા છે. NIA સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ, જેમના સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે, તે પહેલગામ આતંકવાદી હુમલા સાથે પણ જોડાયેલા છે. તેઓ બધા આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા છે.
પહેલગામ આતંકવાદી હુમલા પછી, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને રાજ્ય તપાસ એજન્સીએ મોટા પાયે ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ સામે કાર્યવાહી કરી હતી અને ૧૦૦ થી વધુ લોકોની અટકાયત કરી હતી. રાષ્ટ્રીય તપાસ એજન્સીએ આ લોકોની પૂછપરછના આધારે આ દરોડા પાડયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ કાશ્મીરમાં સક્રિય નાગરિક સમાજ અને NGOના આડમાં એક સાથે તમામ આતંકવાદી સંગઠનોને મદદ પૂરી પાડતા હતા.
અગાઉ પોલીસે જમાત-એ-ઇસ્લામી સાથે સંકળાયેલા અબ્દુલ રઝાક હજામના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અબ્દુલ રઝાક સોપોર જિલ્લાના દર્દપોરા જાલોરાના હજામ મોહલ્લાનો રહેવાસી છે. તેની સામે ગેરકાયદેસર પ્રવળત્તિઓ (નિવારણ) અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
સર્ચ દરમિયાન, પ્રતિબંધિત સંગઠન સંબંધિત વાંધાજનક સામગ્રી મળી આવી હતી અને વધુ તપાસ માટે જપ્ત કરવામાં આવી હતી. સોપોર પોલીસે કહ્યું છે કે આ કાર્યવાહી અલગતાવાદ, કટ્ટરપંથીવાદ અને જાહેર શાંતિ અને રાષ્ટ્રીય સાર્વભૌમત્વ માટે ખતરો ઉભો કરી શકે તેવી પ્રવળત્તિઓમાં સામેલ વ્યક્તિઓ અને નેટવર્ક્સને ઓળખવા અને તેમની સામે અસરકારક કાર્યવાહી કરવા માટે એક વ્યાપક વ્યૂહરચનાનો ભાગ છે. પોલીસે જનતાને કાયદાનું સન્માન કરવા અને શાંતિ જાળવવામાં સહયોગ કરવાની અપીલ કરી છે.