કંડલાથી મુંબઈ જઈ રહેલા સ્પાઈસજેટના વિમાનનું એક પૈડું ટેકઓફ પછી રનવે પર જોવા મળ્યું હતું. જોકે, વિમાનનું મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે.
અહેવાલો અનુસાર, વિમાનનું પૈડું જમીન પર પડતાની સાથે જ, પાયલોટે સમજદારી બતાવી અને વિમાનને મુંબઈના રનવે પર ઉતાર્યું હતું. સાંજે 5 વાગ્યા સુધીમાં મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી જેથી વિમાનને કોઈક રીતે સુરક્ષિત રીતે લેન્ડ કરી શકાય.
સ્પાઈસજેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે,’12મી સપ્ટેમ્બરના રોજ, કંડલાથી મુંબઈ જઈ રહેલા સ્પાઈસજેટ Q400 વિમાનનું પૈડું ટેકઓફ પછી રનવે પર મળી આવ્યું હતું. વિમાન મુંબઈ તરફ આગળ વધ્યું અને સુરક્ષિત રીતે એરપોર્ટ પર લેન્ડિંગ થયું હતું. ત્યાર બાદ વિમાન ટર્મિનલ પર પહોંચ્યું અને બધા મુસાફરો સુરક્ષિત નીચે ઉતર્યા હતી.’
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના એક અધિકારીએ જણાવ્યું, ‘કંડલા એટીસીએ કંઈક પડતું જોયું. ઉડાન પછી અમે પાઇલટને આ અંગે જાણ કરી અને પડી ગયેલી વસ્તુ લાવવા માટે એટીસી જીપ મોકલવામાં આવી હતી. જ્યારે ATC ટીમ ત્યાં પહોંચી, ત્યારે જમીન પર ધાતુની રિંગ અને એક પૈડું મળી આવ્યું હતું.’