બીયરબાઇસેપ્સના નામે જાણીતા યુટ્યુબર રણવીર અલાહબાદિયા હાલમાં સમય રૈનાના ‘ઇન્ડિયા’ઝ ગોટ લેટેન્ટ’ શો પર તેમની વિવાદીત મજાક બાદ કાનૂની દાવપેચમાં ફસાયા છે. માતા-પિતા પર અશ્લીલ ટિપ્પણી કરવી તેમને ભારે પડી છે. તેમની સામે દેશભરમાં એફઆઇઆર નોંધાઇ છે.
દેશભરમાં થયેલી એફઆઇઆર બાદ ધરપકડ થવાના ડરે રણવીર અલાહબાદિયાએ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે, જેમાં’ ઇન્ડિયા’ઝ ગોટ લેટેન્ટ શોમાં કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીઓ ઉપર તેમની સામે નોંધાયેલી એફઆઇઆરને એક સાથે જોડવાની માગણી કરવામાં આવી છે. આ સાથે તેમણે આગોતરા જામીનની પણ વિનંતી કરી છે. દરમિયાન સમય રૈનાએ youtube ચેનલ પરથી ઇન્ડિયા’ઝ ગોટ લેટેન્ટના બધા જ એપિસોડ દૂર કર્યા છે.
રણવીરે પોતાની અશ્લીલ ટિપ્પણીઓના વિવાદ બાદ કાનૂની મુશ્કેલીમાં ફસાયાના બે દિવસ બાદ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. તાજેતરમાં આસામ, મુંબઈ અને દેશના અન્ય સ્થળોએ રણવીર અલાહબાદિયા, સમય રૈના, અપૂર્વ મખીજા અને ઇન્ડિયા’ઝ ગોટ લેટેન્ટના આયોજકો સામે FIR દાખલ કરવામાં આવી છે. મહારાષ્ટ્ર મહિલા આયોગ અને મહારાષ્ટ્ર સાયબર સેલે પણ આ લોકો વિરુદ્ધ ફરિયાદો નોંધાવી છે. દરમિયાન, સાયબર સેલે શોના આયોજકોને નોટિસ મોકલીને આ મામલે પોતાનું નિવેદન આપવા કહ્યું છે. અત્યાર સુધી આશિષ ચંચલાની, અપૂર્વ મખીજા અને રઘુ રામના નિવેદનો નોંધવામાં આવ્યા છે.
આસામ પોલીસ પણ રણવીર, સમય રૈના અને અન્ય આરોપીઓને સમન્સ બજાવવા માટે મુંબઈ આવી છે. આસામ પોલીસે સમય રૈનાને 17 ફેબ્રુઆરી સુધીમાં હાજર થવા કહ્યું છે. દરમિયાન ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટના આયોજક સમય રૈના હાલમાં વિદેશમાં છે. તેમના વકીલે કહ્યું છે કે તેઓ અમેરિકામાં છે અને 17 માર્ચ સુધીમાં ભારત પાછા ફરશે.
ઉલ્લેખનીય છે કે રણવીર અલાહબાદિયાએ સમય રૈનાના રિયાલિટી શો ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટમાં એક સ્પર્ધકને તેના માતાપિતાના શારીરિક સંબંધ અંગે વિવાદાસ્પદ પ્રશ્ન પૂછ્યો હતો, જેના પછી દેશભરમાં તેના નિવેદનની ટીકા થઈ રહી છે. લોકોનો ગુસ્સો સોશિયલ મીડિયાથી લઈને શેરીઓ સુધી ફેલાઈ ગયો છે. આ વિવાદ પછી અલાહબાદિયાએ સોશિયલ મીડિયા પર માફી પણ માંગી છે.