અગ્નિપથના વિરોધમાં દેશભરમાં હિંસા બાદ કેન્દ્ર એક્શનમાં, રાજનાથ સિંહ કરશે ઈમરજન્સી મીટિંગ

Share this story

Opposition to Agneepath

  • અગ્નિપથ યોજનાને લઈને દેશભરમાં થઈ રહેલા વિરોધ વચ્ચે રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે એટલે કે (શનિવારે) સેનાના ત્રણેય પાંખોના વડા સાથે બેઠક કરશે.

અગ્નિપથ (Agneepath) યોજનાને લઈને દેશભરમાં થઈ રહેલા વિરોધ વચ્ચે રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) આજે એટલે કે (શનિવારે) સેનાના ત્રણેય પાંખોના વડા સાથે બેઠક કરશે. મહત્વનું છે કે આજે  બેઠક માં અગ્નિપથ યોજનાને લઈને દેશમાં ચાલી રહેલા હોબાળાને લઈને ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે,  અગ્નિપથ મિલિટરી રિક્રુટમેન્ટ (Agneepath Military Recruitment) યોજનાના વિરોધમાં વેગ પકડવાને કારણે આર્મી, નેવી અને એર ફોર્સે શુક્રવારે આ નવા ‘ફોર્મેટ’ હેઠળ પસંદગી પ્રક્રિયાને આગામી સપ્તાહ સુધીમાં શરૂ કરવાની જાહેરાત કરી હતી. બીજી બાજુ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સશસ્ત્ર દળોમાં જોડાવા ઈચ્છતા યુવાનોને તેમની તૈયારી શરૂ કરવા માટે અપીલ કરી હતી.

બિહારમાં સતત ચોથા દિવસે પરિસ્થિતિ અતિ ભયાનક  :

ઉલ્લેખનીય છે કે,  કેન્દ્ર સરકાર સેનામાં ભરતી માટે નવી યોજના લઈને આવી છે, અગ્નિપથ. આ યોજનામાં યુવાનો પાસે ચાર વર્ષ માટે દેશ સેવા કરવાનો મોકો મળશે જેમાં સારી સેલેરી અને ચાર વર્ષની સેવા માટે 10 લાખથી વધુની રકમ એક સાથે આપવામાં આવશે, જોકે આ યોજનાનો ખૂબ જ ખરાબ રીતે વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. સમગ્ર ઉત્તર ભારત અગ્નિપથના આક્રોશની આગમાં સળગી રહ્યું છે ત્યારે સતત ચોથા દિવસે બિહારમાં પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ છે.  શનિવારે જહાનાબાદ માં એક ટ્રક અને બસમાં આગ લગાવવામાં આવી છે અને અનેક જગ્યાઑ પર પથ્થરમારો થઈ રહ્યો છે. પોલીસ બળ તૈનાત છે પણ ભીડની સામે બેબસ દેખાઈ રહી હતી.

ભભૂકી રહ્યું છે બિહાર :

બિહારમાં ચાર દિવસેથી અસામાજિક તત્વો આતંક મચાવી રહ્યા છે, ડઝનથી વધારે ટ્રેનોમાં રોજ આગ લગાવવામાં આવી રહી છે. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન સહિતની જગ્યાઑ પર તોડફોડની તસવીરો સામે આવી રહી છે. સરકારી આવાસ અને ભાજપ કાર્યાલયોને આગના હવાલે કરવામાં આવી રહ્યા છે ત્યારે શનિવારે સવાર સવારમાં જ હિંસા શરૂ થઈ ગઈ હતી.

15 જિલ્લાઓમાં ઈન્ટરનેટ બંધ  :

સતત બગડતી પરિસ્થિતિને જોતાં બિહારમાં 15 જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાના આદેશ આપવામાં આવ્યા છે, આ આદેશ 19 જૂન સુધી લાગુ રહેશે.