રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર ગુજરાતમાં કમોસમી વરસાદ અને ભારે પવનનો માહોલ સર્જાયો છે. આજે 19 માર્ચના રોજ વહેલી સવારથી જ અમદાવાદ સહિત અનેક શહેરોમાં 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા લાગ્યો હતો. ભારે પવનના કારણે ધૂળના વંટોળ ઉડતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અનેક વિસ્તારોમાં ઝાડ ધરાશાયી થવાની ઘટનાઓ પણ નોંધાઈ છે.
બપોર બાદ રાજકોટ, જામનગર અને ખંભાળિયા પંથકના વાતાવરણમાં અચાનક ફેરફાર જોવા મળ્યો હતો. રાજકોટમાં કરા સાથે વરસાદ પડ્યો હતો, જ્યારે જામનગરમાં તોફાની પવન સાથે વરસાદી માહોલ રહ્યો હતો. રાજ્યના વિવિધ વિસ્તારોમાં પડેલા વરસાદ અને પવનના કારણે દિવેલા, ઈસબગુલ, વરિયાળી, જીરૂ અને કેરી જેવા પાકોને ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતોને આર્થિક ફટકો લાગ્યો છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા મુજબ આગામી 24 કલાક દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે. છેલ્લા 24 કલાક દરમિયાન પણ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા આ પરિસ્થિતિ ઊભી થઈ છે. આજે પણ ધૂળના વંટોળ સાથે તોફાની પવન અને હળવો થી મધ્યમ વરસાદ પડી શકે છે.
આજે કચ્છ, જામનગર, રાજકોટ, મોરબી, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં કરા સાથે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.
આવતીકાલે એટલે કે 20 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને કચ્છમાં હળવો વરસાદ પડી શકે છે. ત્યારબાદ 24 કલાકમાં તાપમાનમાં વધારો થવાની શક્યતા છે અને આગામી સાત દિવસ દરમિયાન તાપમાનમાં 4 થી 5 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે.