પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન મોહાલીની જે ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ છે, તેને બપોરે 1.11 વાગ્યે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકીભર્યા ઈમેલમાં મુખ્યમંત્રી માન વિશે લખવામાં આવ્યું છે કે ભાઈ દિલાવર સિંહના વારસદારોએ તેમને પોલોનિયમથી સંક્રમિત કર્યા છે. જો તેઓ બચી જશે તો બેઅંત જેવી હાલત કરશે. ફોર્ટિસ હોસ્પિટલમાંથી મુખ્યમંત્રી ભગવંત માનનો મૃતદેહ જ બહાર આવશે. પંજાબના દિવંગત પૂર્વ મુખ્યમંત્રી બેઅંત સિંહને ચંદીગઢ સચિવાલયમાં માનવ બોમ્બથી ઉડાવી દેવામાં આવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી જ્યારે સંગરૂરના કાર્યક્રમમાં વ્યસ્ત હતા, ત્યારે અચાનક તેમની તબિયત ખરાબ થવા લાગી હતી. પ્રાથમિક સારવાર બાદૃ તેમને તાત્કાલિક એરલિટ કરીને મોહાલી લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલ પહોંચતાની સાથે જ નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા તેમનું મેડિકલ પરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ, તેમનું બ્લડ પ્રેશર અચાનક વધી ગયું હતું, જોકે હવે તેમની સ્થિતિ સ્થિર છે અને તેઓ રાહત અનુભવી રહૃાા છે.
પોલોનિયમ એક દુર્લભ રેડિયોએક્ટિવ પદાર્થ છે, જે અત્યંત ઝેરી હોય છે. ધમકી મળ્યા બાદ પંજાબ પોલીસ અને ઇન્ટેલિજન્સ એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. હોસ્પિટલને ચારેય બાજુથી પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ ઘેરી લીધી છે.
અહીં 5 બોમ્બ સ્કોવર્ડ સક્રિય કરવામાં આવ્યા છે. મોહાલીના SP દિલપ્રીત સિંહે જણાવ્યું કે હજુ સુધી મુખ્યમંત્રીને બીજી હોસ્પિટલમાં ખસેડવાની કોઈ વાત નથી. મુખ્યમંત્રી સિક્યોરિટી સાથે પોલીસ ટીમો એલર્ટ પર છે.