Friday, Apr 3, 2026

AAPમાં રાજકીય હલચલ: રાઘવ ચઢ્ઢાના ભવિષ્ય પર સવાલ, કેજરીવાલ સાથે મતભેદોની અટકળો તેજ

3 Min Read

આમ આદમી પાર્ટી (AAP) એ ગુરુવારે મોટો નિર્ણય લેતા પંજાબથી રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં ડેપ્યુટી લીડર પદ પરથી હટાવી દીધા છે. તેમની જગ્યાએ અશોક મિત્તલની વરણી કરવામાં આવી છે. એક સમયે અરવિંદ કેજરીવાલના જમણા હાથ ગણાતા રાઘવ ચઢ્ઢા માટે આ એક મોટો રાજકીય ફટકો માનવામાં આવે છે. અહીં સવાલ એ છે કે, રાઘવ ચઢ્ઢા અને AAP વચ્ચે કેમ વધી દૂરી? અહીં જાણો ડેપ્યુટી લીડર પદ ગુમાવવા પાછળના 5 મુખ્ય કારણો.

મુશ્કેલ સમયમાં ગેરહાજરી
પાર્ટી સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા એક્સાઇઝ પોલિસી કેસમાં જેલમાં હતા, ત્યારે રાઘવ ચઢ્ઢા લાંબા સમય સુધી લંડનમાં હતા. જોકે તેઓ આંખની સર્જરી માટે ગયા હોવાનું કહેવાતું હતું, પરંતુ પાર્ટીના સંકટ સમયમાં તેમની ગેરહાજરી નેતૃત્વને ખટકી હતી. તાજેતરમાં કેજરીવાલ છૂટ્યા ત્યારે પણ રાઘવ ચઢ્ઢાની હાજરી નહિવત હતી.

પંજાબ સરકારમાં દખલગીરી
AAP ના આંતરિક સૂત્રોનું કહેવું છે કે રાઘવ ચઢ્ઢા ભગવંત માનના નેતૃત્વ હેઠળની પંજાબ સરકારની કામગીરીમાં ‘હસ્તક્ષેપ’ કરી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી હતી. આ ઉપરાંત, તેઓ પોતાની વ્યક્તિગત પ્રોફાઇલ વધારવા પર વધુ ધ્યાન આપી રહ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

સ્ટાર ચૂંટણી પ્રચારકોની યાદીમાંથી બહાર
તાજેતરમાં પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને આસામ જેવી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી માટે AAP એ જાહેર કરેલી સ્ટાર પ્રચારકોની યાદીમાં રાઘવ ચઢ્ઢાનું નામ પણ ગાયબ હતું. આ ઘટનાએ જ સંકેત આપી દીધો હતો કે પાર્ટીમાં તેમનું કદ ઘટી રહ્યું છે. પાર્ટીએ એમને હાંસિયામાં ધકેલ્યા છે.

પક્ષની વિચારધારાથી અંતર?
રાઘવ ચઢ્ઢાએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર મહારાષ્ટ્રના એરપોર્ટ પરના એક કાફેના વખાણ કર્યા હતા, જે ભાજપ શાસિત ગઠબંધન હેઠળ આવે છે. આ નાની બાબતો અને પાર્ટીના કાર્યક્રમોમાં તેમની લાંબી ચુપકીદીએ નેતૃત્વ સાથેના એમના આંતરિક મતભેદ અને ખટરાવના અંતરને સ્પષ્ટ કર્યું હતું.

શું રાઘવ ચઢ્ઢા હવે સસ્પેન્ડ થશે?
હાલમાં રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં ડેપ્યૂટી લીડર પદેથી દૂર કરાયા છે જોકે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી. તેઓ રાજ્યસભામાં AAP ના 10 સભ્યોમાંથી એક તરીકે ચાલુ રહેશે. જોકે, સંજય સિંઘ અને અશોક મિત્તલ આ ફેરફારને ‘રૂટિન પ્રક્રિયા’ ગણાવી રહ્યા છે, પરંતુ રાજકીય વિશ્લેષકો તેને રાઘવ ચઢ્ઢાના રાજકીય વનવાસની શરૂઆત તરીકે જોઈ રહ્યા છે.

રાઘવ ચઢ્ઢા એ આમ આદમી પાર્ટી સામે વળતો પ્રહાર કરતાં કહ્યું કે, હું તો દેશવાસીઓના ફાયદા માટે રાજ્યસભામાં અવાજ ઉઠાવતો હતો. જેનાથી લોકોને ફાયદો થતો હતો. તો આમાં પાર્ટીને નુક્સાન ક્યાં થયું? વધુમાં તેમણે કહ્યું કે, મેરી ખામાશી કો મેરી હાર મત સમજ લેના, મૈં વો દરિયા હું જો વક્ત આને પર સૈલાબ બનતા હૈ…

Share This Article