સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત પ્રકરણમાં મુખ્ય આરોપી પૂનમ ભદોરિયાએ કોર્ટમાં જામીન અરજી કરી હતી. આ અરજીના વિરોધમાં પોલીસ અને મૂળ ફરિયાદીના વકીલે સાત પાનાની વિસ્તૃત એફિડેવિટ રજૂ કરી હતી. જેમાં આરોપી પૂનમ સામે માનસિક ત્રાસ અને મિલકત પડાવવાના ષડયંત્ર અંગે ચોંકાવનારા ખુલાસાઓ કરવામાં આવ્યા છે.
પૂનમની જામીન અરજી સામે પોલીસ એફિડેવિટ
તુષાર ઘેલાણી આત્મહત્યા કેસમાં મુખ્ય આરોપી પૂનમ ભદોરિયાએ જામીન મેળવવા કોર્ટમાં અરજી કરી છે. આ અરજીના વિરોધમાં શુક્રવારે પોલીસ અને મૂળ ફરિયાદીના વકીલ કલ્પેશ દેસાઈએ સાત પાનાની વિસ્તૃત એફિડેવિટ રજૂ કરી હતી. જોકે, બોમ્બની અફવાના કારણે તપાસ અધિકારી હાજર ન રહી શકતા હવે વધુ સુનાવણી આજે શનિવારે થશે.
તુષાર ઘેલાણીના છેલ્લા શબ્દો અને બ્લેકમેલિંગ
આ એફિડેવિટમાં જણાવાયું છે કે, દીકરીના લગ્નના એક દિવસ અગાઉ પૂનમનો ફોન આવ્યા બાદ તુષાર ઘેલાણી અત્યંત હતાશ થઈ ગયા હતા. તેમણે પરિવારને ભીની આંખે જણાવ્યું હતું કે, “પૂનમ મને લગ્નમાં આવીને ભવાડા કરવાની અને બદનામ કરવાની ધમકી આપી રહી છે. તે વારંવાર મિલકત અને નાણાંની માંગણી કરે છે. આ લગ્ન પ્રસંગ પતી જાય બસ, હવે મારાથી જીવાતું નથી, હું હારી ગયો છું”.
આરોપી પૂનમે મૃતકની દીકરીને પણ આપી ધમકી
આ એફિડેવિટ મુજબ, તુષાર ઘેલાણીની કથળતી માનસિક સ્થિતિ જોઈને તેમની બંને દીકરીઓ પૂનમના ઘરે ગઈ હતી. અહીં તેમણે પૂનમ ભદોરિયાને પિતાને હેરાન ન કરવા વિનંતી કરી હતી. પરંતુ પૂનમ ભદોરિયાએ દીકરીઓને પણ ધમકી આપી હતી કે, જો તેને મિલકતમાં હિસ્સો નહીં મળે તો તે તેમના પિતાનું જીવવાનું હરામ કરી દેશે.
કરોડોની સંપત્તિ-શાળામાં ભાગીદારી પચાવી પાડી
આ એફિડેવિટમાં પૂનમની આર્થિક લાલચ અંગે ઉલ્લેખ કરતા જણાવ્યું કે, તેણે ઇમોશનલ બ્લેકમેલ કરીને પેપીલોન શાળામાં 50 ટકા ભાગીદારી મેળવી લીધી હતી અને તેમાંથી પગાર અને નફો પણ વસૂલતી હતી. આ ઉપરાંત, તેણે કોઈ પણ નાણાં ચૂકવ્યા વગર ઉમરા ઝોનમાં આવેલી અંદાજે 1.07 કરોડ રૂપિયાની કિંમતની બે દુકાનો પણ પોતાના નામે કરાવી લીધી હતી.
હોસ્પિટલમાં જઈ પૂનમે કર્યો પરિવાર સાથે ઝઘડો
જ્યારે તુષાર ઘેલાણીને આપઘાતના પ્રયાસ બાદ ગંભીર હાલતમાં મહાવીર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારે પણ પૂનમ અને તેની બહેન પ્રિયા ચૌહાણે હોસ્પિટલ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે તુષાર ઘેલાણીના પત્ની પલ્લવી અને અન્ય પરિવારજનો સાથે અત્યંત અસભ્ય વર્તન કરી ઝઘડો કર્યો હતો. આ ઘટના તેમની ગુનાહિત માનસિકતા દર્શાવે છે.
પૂનમ ભદોરીયાની જામીન અરજીનો સખત વિરોધ
સરકારી પક્ષે દલીલ કરી છે કે પૂનમ તપાસ અધિકારી સમક્ષ વ્યવસ્થિત હાજર રહી નથી અને તપાસમાં સહકાર પણ આપતી નથી. તેણે 15 વર્ષના પરિચયનો દુરુપયોગ કરીને એક હસતા-રમતા પરિવારની ખુશીઓને માતમમાં ફેરવી નાખી છે. જો તેને જામીન આપવામાં આવશે તો તે પુરાવા સાથે ચેડાં કરી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.