સરકારે નવા આદેશ હેઠળ જણાવ્યું છે કે જ્યાં પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) કનેક્ટિવિટી ઉપલબ્ધ છે, ત્યાં જો ગ્રાહકો ત્રણ મહિનામાં PNG પર સ્વિચ નહીં કરે તો તેમના ઘર સુધીનો LPG ગેસ સપ્લાય બંધ કરી દેવામાં આવશે. ગેસ નેટવર્કનો વિસ્તાર ઝડપથી કરવા અને એક જ ઈંધણ પરની નિર્ભરતા ઘટાડવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.
ભારતમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક સપ્લાયમાં અવરોધોને કારણે LPGની અછત સર્જાઈ રહી છે. આ કારણે સરકાર ઘરેલુ અને વ્યાવસાયિક ગ્રાહકોને PNG તરફ પ્રોત્સાહિત કરી રહી છે. PNG પાઇપલાઇન મારફતે સીધો રસોડા સુધી પહોંચે છે, જેથી વારંવાર ગેસ સિલિન્ડર બુક કરવાની જરૂર રહેતી નથી.
પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે નેચરલ ગેસ અને પેટ્રોલિયમ ઉત્પાદનો વિતરણ (પાઇપલાઇન અને અન્ય સુવિધાઓના નિર્માણ, સંચાલન અને વિસ્તરણ દ્વારા) આદેશ, 2026 જાહેર કર્યો છે. આ આદેશનો હેતુ પાઇપલાઇન ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઝડપી વિકાસ, મંજૂરી પ્રક્રિયા સરળ બનાવવી અને LPGમાંથી PNG તરફ પરિવર્તન વધારવાનો છે. આ આદેશ અનુસાર જ્યાં PNG કનેક્શન ટેક્નિકલ રીતે શક્ય છે અને ઘર PNG લેતું નથી, ત્યાં ત્રણ મહિનાની અંદર LPG સપ્લાય બંધ કરી દેવાશે. જો ટેક્નિકલ કારણોસર PNG કનેક્શન શક્ય ન હોય તો NOC (નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ) આપવામાં આવશે અને LPG સપ્લાય ચાલુ રહેશે.
સરકારનો હેતુ શો છે?
સરકારનો ઉદ્દેશ એ છે કે જ્યાં પાઇપલાઇન સુવિધા ઉપલબ્ધ છે ત્યાંથી LPGની માગ ઘટાડીને તે ગેસ એવા વિસ્તારોમાં મોકલી શકાય જ્યાં PNG ઉપલબ્ધ નથી. આ સાથે ઊર્જા સુરક્ષા મજબૂત કરવી અને ઈંધણના વિકલ્પોને વધારવાનો પ્રયાસ પણ છે. આ આદેશ બાદ PNG ઉપલબ્ધ હોય ત્યાં ઘરોએ PNG તરફ જવું લગભગ અનિવાર્ય બનશે અને LPG સપ્લાય માત્ર તે વિસ્તારોમાં જ રહેશે જ્યાં PNG શક્ય નથી.