વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એક દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેમનો કાર્યક્રમ સામે આવ્યો છે. સવારે લગભગ 10 વાગ્યે, વડા પ્રધાન ગાંધીનગરમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરશે. તેઓ આ પ્રસંગે જનમેદનીને સંબોધિત પણ કરશે. બપોરે લગભગ 12:45 વાગ્યે, વડા પ્રધાન સાણંદ ખાતે કેન્સ સેમિકોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે અને જાહેર સભાને સંબોધશે. ત્યારબાદ, વડા પ્રધાન વાવ-થરાદ જશે જ્યાં સાંજે 4 વાગ્યે તેઓ ₹20,000 કરોડથી વધુના મૂલ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પણ કરશે. તેઓ આ પ્રસંગે પણ સભાને સંબોધિત કરશે.
મહાવીર જયંતિના અવસરે, વડા પ્રધાન ગાંધીનગરના કોબા તીર્થ ખાતે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરશે. અશોકના પૌત્ર અને જૈન પરંપરામાં અહિંસા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને જૈન ધર્મના પ્રચાર માટે જાણીતા સમ્રાટ સંપ્રતિના નામ પરથી બનેલું આ મ્યુઝિયમ, જૈન ધર્મના સમૃદ્ધ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને પ્રદર્શિત કરે છે.
મહાવીર જૈન આરાધના કેન્દ્ર સંકુલમાં સ્થિત આ મ્યુઝિયમમાં સાત અલગ-અલગ વિંગ્સ છે, જેમાંથી દરેક ભારતની સભ્યતાની પરંપરાઓના વિશિષ્ટ પાસાઓને સમર્પિત છે. તે મુલાકાતીઓને સદીઓના જ્ઞાન અને વારસાની વ્યાપક સફર કરાવશે.
મ્યુઝિયમમાં સદીઓ જૂના દુર્લભ અવશેષો, જૈન કલાકૃતિઓ અને પરંપરાગત વારસો સચવાયેલો છે. જેમાં પથ્થર અને ધાતુની નકશીકામ કરેલી મૂર્તિઓ, વિશાળ તીર્થ પટ્ટ અને યંત્ર પટ્ટ, ચિત્રો, ચાંદીના રથ, સિક્કાઓ અને પ્રાચીન હસ્તપ્રતોનો સમાવેશ થાય છે. જે સાત ભવ્ય ગેલેરીઓમાં પ્રદર્શિત કરવામાં આવ્યા છે. વિશાળ હોલમાં ગોઠવાયેલા બે હજારથી વધુ દુર્લભ ખજાનાઓ સાથે આ મ્યુઝિયમ મુલાકાતીઓને જૈન ધર્મના ઉત્ક્રાંતિ અને તેની ઊંડી સાંસ્કૃતિક અસરની ક્રમિક સમજ મેળવવામાં સક્ષમ બનાવશે.
સાણંદમાં વડા પ્રધાન
વડા પ્રધાન અમદાવાદના સાણંદ GIDC ખાતે કેન્સ સેમિકોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. આ સુવિધામાં વ્યાપારી ઉત્પાદન શરૂ થવા સાથે ભારતની સેમિકન્ડક્ટર સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થશે. વ્યાપારી ઉત્પાદન અદ્યતન ઇન્ટેલિજન્ટ પાવર મોડ્યુલ્સ (IPMs) ના ઉત્પાદન સાથે શરૂ થશે, જે ઓટોમોટિવ અને ઔદ્યોગિક ઉપયોગો માટે મહત્વપૂર્ણ ઘટકો છે. દરેક મોડ્યુલમાં 17 ચિપ્સ હોય છે અને તે કેલિફોર્નિયા સ્થિત આલ્ફા એન્ડ ઓમેગા સેમિકન્ડક્ટર (AOS) ને સપ્લાય કરવામાં આવશે. જ્યારે પ્લાન્ટના તમામ તબક્કાઓ પૂર્ણ થશે, ત્યારે તેની ક્ષમતા દરરોજ 6.33 મિલિયન યુનિટ ઉત્પાદન કરવાની હશે.
કેન્સ સેમિકોન પ્લાન્ટનું ઉદ્ઘાટન એ ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM) હેઠળનું એક મોટું પગલું છે. માઇક્રોન ટેકનોલોજી પછી વ્યાપારી ઉત્પાદન શરૂ કરનાર આ કાર્યક્રમ હેઠળનો બીજો સેમિકન્ડક્ટર પ્લાન્ટ હશે.
વાવ-થરાદમાં શું કરશે પીએમ મોદી
- વડા પ્રધાન ₹20,000 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટ્સ પાવર, રેલ્વે, માર્ગ પરિવહન, આરોગ્ય, શહેરી વિકાસ, આદિજાતિ વિકાસ અને ગ્રામીણ વિકાસ જેવા મુખ્ય ક્ષેત્રોમાં ફેલાયેલા છે.
- અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે: વડા પ્રધાન ₹5,100 કરોડથી વધુના ખર્ચે બનેલા એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન કરશે, જે પ્રાદેશિક કનેક્ટિવિટી વધારશે.
- રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર: ઇડર-બડોલી બાયપાસ અને ધોળાવીરા-સાંતલપુર સેક્શન (NH-754K) ના અપગ્રેડેશન માટે શિલાન્યાસ કરવામાં આવશે. આનાથી પ્રવાસન સ્થળો અને લોજિસ્ટિક્સને વેગ મળશે.
- ફ્લાયઓવર: ગાંધીનગર-કોબા રોડ પર ભાઈજીપુરા જંકશન અને PDPU જંકશન ખાતે ફ્લાયઓવરનું ઉદ્ઘાટન/શિલાન્યાસ થશે, જેથી એરપોર્ટ જતો ટ્રાફિક હળવો થશે.
- ઊર્જા ક્ષેત્ર: ₹3,650 કરોડના ખર્ચે ખાવડા પુલિંગ સ્ટેશન-2 અને સંકળાયેલ ટ્રાન્સમિશન સિસ્ટમ્સનું ઉદ્ઘાટન થશે, જે 4.5 GW રિન્યુએબલ એનર્જીના વહન માટે મદદરૂપ થશે.
- રેલ્વે પ્રોજેક્ટ્સ: કાનાલુસ-જામનગર ડબલિંગ અને હિંમતનગર-ખેડબ્રહ્મા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટનું લોકાર્પણ થશે. ખેડબ્રહ્મા-હિંમતનગર-અસારવા ટ્રેન સેવાનું પણ પ્રસ્થાન કરાવવામાં આવશે.
- આરોગ્ય અને પર્યટન: અમદાવાદ સિવિલ અને ગાંધીનગર સિવિલ ખાતે ‘રેન બસેરા’નું ઉદ્ઘાટન. રાણીની વાવ (પાટણ) ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શો અને વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે વોટર સ્ક્રીન પ્રોજેક્શન શોનું લોકાર્પણ થશે.
- પાણી પુરવઠો: બનાસકાંઠા અને પાટણ માટે કસરા-દાંતીવાડા અને ડિંડરોલ-મુક્તેશ્વર પાઇપલાઇન પ્રોજેક્ટ્સનું લોકાર્પણ. અંબાજી અને આસપાસના 34 ગામો માટે પાણી પુરવઠા યોજનાનો શિલાન્યાસ.
- સાબરમતી રિવરફ્રન્ટ: ગાંધીનગર જિલ્લામાં ₹1000 કરોડના ખર્ચે સાબરમતી રિવરફ્રન્ટના ત્રણ વિસ્તરણ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરવામાં આવશે.
- આ ઉપરાંત પીએમ મોદી અમદાવાદના વેજલપુરમાં સરકારી બોયઝ હોસ્ટેલનું ઉદ્ઘાટન કરશે. આ સુવિધા આદિવાસી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણમાં મદદ કરશે.