લોકસભા ચૂંટણી ૨૦૨૪માં બીજા તબક્કાના મતદાન બાદ ત્રીજા તબક્કાનું મતદાન ૭ મેના રોજ થવાનું છે. ત્રીજા તબક્કામાં ગુજરાતની ૨૫ લોકસભા બેઠકો પર મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે તમામ પાર્ટીઓના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાત આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે અને ગુરૂવારે બે દિવસ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે.
રાજ્યમાં લોકસભા ચૂંટણીનો માહોલ ગ્રામ્યસ્તર સુધી જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી ઉમેદવારોના પ્રચારમાં નિરસતા જોવા મળતી હતી. પરંતુ પીએમ મોદી આવવાના હોવાને કારણે રાજ્યના માહોલ જોવા મળી રહ્યો છે. પીએમ બે દિવસ ગુજરાતના પ્રવાસે ત્યારે તેમના કાર્યક્રમો પણ વ્યસ્ત છે. હિંમતનગર સભા પૂર્ણ કરી પીએમ મોદી ગાંધીનગર આવવા રવાના થશે. ગાંધીનગર રાજભવન ખાતે પીએમ મોદી રાત્રી રોકાણ કરશે.
આવતીકાલે એટલે કે ગુરૂવારે પીએમ મોદી આણંદ, સુરેન્દ્નનગર, જૂનાગઢ અને જામનગર સભાને સંબોધશે. ગુજરાતમાં છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ભાજપે ૨૬માંથી ૨૬ બેઠકો જીતી છે. જ્યારે પાર્ટી ૧૯૯૮થી રાજ્યમાં સતત શાસન કરી રહી છે. આ વખતે પણ ભાજપે દાવો કર્યો છે કે, તે ગુજરાતની તમામ બેઠકો જીતશે અને ૫ લાખની લીડથી જીતશે. જોકે, છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા ક્ષત્રિય આંદોલન અને ભાજપમાં આંતરિક વિવાદને લઈને આ લિડ લેવી થોડી મુશ્કેલ જોવા મળી રહી હોવાનું રાજકીય નિષ્ણાતો દાવો કરી રહ્યા છે.
રાજ્યમાં ત્રીજા તબક્કામાં ૨૬ લોકસભા બેઠકો પર મતદાન થવાનું છે ત્યારે ભાજપ રાજ્યની તમામ ૨૬ બેઠકો જીતી ૪૦૦ પ્લસ બેઠકોના સપના જોવે છે પરંતુ રાજ્યમાં હાલનો ચુંટણીનો માહોલ તેમજ તેની સામે ભાજપ સામે રૂપાલા વિવાદ અને ક્ષત્રિયોની નારાજગી સૌથી મોટી આફત બની રહી છે. સ્થાનિક સ્થરે પણ પ્રજાજનોના મુદ્દાઓ અને સંગઠન દ્વારા અમુક જીલ્લામાં સક્રિય ન થવું આ ચૂંટણીમાં ભાજપ માટે પડકાર રૂપ બન્યુ છે. પ્રદેશ પ્રમુખ પાટીલ દ્વારા કાર્યકરોને ઘરઘર સુધી પહોચવા વારંવાર ટકોર કરવી પડી રહી છે. ત્યારે પીએમની સભા પછી ભાજપને કેટલો ફાયદો થશે તેના પર રાજકિય સમીકરણો રચાઇ શકે છે.