Home Blog Page 98

કેરલમના મુખ્યમંત્રી તરીકે કોંગ્રેસ નેતા વી.ડી. સતીશનનું નામ જાહેર, વેણુગોપાલ રેસમાંથી બહાર

0

કેરલમના મુખ્યમંત્રીને લઈને સસ્પેન્સનું અંત આવ્યું છે. કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરી જાહેરાત કરી છે કે વી.ડી. સતીશન નવા મુખ્યમંત્રી બનશે. રાહુલ ગાંધીના નજીકના અને કોંગ્રેસના દિગ્ગજ નેતા તથા મહાસચિવ કે.સી.વેણુગોપાલને કેરલમના સીએમ બનવાનો ચાન્સ નથી મળ્યો. વેણુગોપાલનું પત્તું કપાઈ ગયું છે.

કોંગ્રેસ દ્વારા ચૂંટણી સમાપ્ત થયા બાદ આખરે સીએમ અંગે જાહેરાત કરી દેવામાં આવી છે. છેલ્લા ઘણાં દિવસોથી આ મામલે મડાગાંઠની સ્થિતિ યથાવત્ હતી. ગુરુવારે જ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ કેરળના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત પહેલા પાર્ટીના ટોચના નેતાઓ સાથે અંતિમ ચર્ચા કરી હતી. ખડગે સાથેની ચર્ચા બાદ એઆઈસીસીના મહાસચિવ ઈન્ચાર્જ દીપા દાસમુંશી અને બે વરિષ્ઠ પર્યવેક્ષક અજય માકન અને મુકુલ વાસનિકે પ્રેસ કોન્ફરન્સ કરી આ જાહેરાત કરી હતી.

કેરલમ વિધાનસભા ચૂંટણીના પરિણામ 4 મેના રોજ જાહેર થયા હતા પણ 11 દિવસ બાદ કોંગ્રેસે મુખ્યમંત્રીના ઉમેદવારનું નામ જાહેર કર્યું છે. રાહુલ ગાંધીએ પણ આ મામલે ગઇકાલે લગભગ અડધો કલાક બેઠક કરી હતી.

વી.ડી. સતીશન કોણ છે?
61 વર્ષીય વી.ડી. સતીશન વર્ષ 2001 થી એર્નાકુલમ જિલ્લાની પરવૂર (Paravur) વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેઓ અગાઉ કેરલમ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે સેવા આપી ચૂક્યા છે. વ્યવસાયે વકીલ એવા સતીશને તિરુવનંતપુરમની સરકારી લો કોલેજમાંથી કાયદાનો અભ્યાસ કર્યો છે. કેરલમમાં UDF ને 140 માંથી 102 બેઠકો સાથે બહુમતી મળ્યાના 10 દિવસ બાદ આ જાહેરાત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી પદની રેસમાં કે.સી. વેણુગોપાલ અને રમેશ ચેન્નીથલા જેવા દિગ્ગજ નેતાઓના નામ પણ ચર્ચામાં હતા, પરંતુ અંતે હાઈકમાન્ડ દ્વારા સતીશન પર પસંદગી ઉતારવામાં આવી છે.

તેમનો જન્મ 31 મે 1964 ના રોજ કોચ્ચિના નેટ્ટુરમાં એક નાયર પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ દામોદરા મેનન અને માતાનું નામ વી.વિલાસિની હતુ. તેમણે પોસ્ટ ગ્રેજ્યુએશન સોશિયલ સાયન્સમાં કર્યું છે. તિરુવનંતપુરમથી તેમણે માસ્ટર ઓફ લૉની ડિગ્રી લીધી હતી. 1986-87માં તેઓ મહાત્મા ગાંધી યુનિવર્સિટી યુનિયનના અધ્યક્ષ બન્યા હતા. તે રાષ્ટ્રીય વિદ્યાર્થી સંઘના સચિવ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે.

1996માં તેમની રાજકીય કારકિર્દી શરૂ થઇ હતી. પહેલીવાર કેરલમની વિધાનસભા ચૂંટણીમાં તેઓ સીપીઆઈના ઉમેદવાર સામે હારી ગયા હતા. ત્યારબાદ સતીશન પહેલીવાર 2001માં કેરલમ વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ચુંટાયા હતા. તેઓ તે સમયે હાઈકોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા હતા. જોકે 2021 માં તેઓ પરાવુર વિસ્તારથી સતત પાંચમી વખત ધારાસભ્ય તરીકે ચુંટાયા હતા.

મધ્યપ્રદેશના દેવાસમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 10 લોકોના મોત, 20થી વધુ ઈજાગ્રસ્ત

0

મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં ફટાકડાની એક ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટની ઘટના બની છે, જેમાં 10 લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ, ફેક્ટરીમાં અચાનક થયેલા વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી હતી, જેના કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત 7 લોકોને વધુ સારવાર માટે ઈન્દોર રિફર કરવામાં આવ્યા છે.

વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આસપાસના વિસ્તારોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ઘટનાના ફોટો અને વીડિયોમાં જોઈ શકાય છે કે સ્થાનિક લોકો ઘાયલોને પોતાના હાથમાં ઉઠાવીને ફેક્ટરી સાઈટથી દૂર લઈ જઈ રહ્યા હતા અને મદદ કરી રહ્યા હતા. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઘટનાની જાણ થતા જ પોલીસ, સ્થાનિક વહીવટીતંત્રના અધિકારીઓ અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલમાં રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. વિસ્ફોટનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સત્તાવાળાઓ દ્વારા બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ આ મામલે સઘન તપાસ શરૂ કરવામાં આવશે તેવી અપેક્ષા છે. જોકે, સત્તાવાર રીતે હજુ સુધી મૃત્યુઆંક અથવા ઘાયલોની ચોક્કસ સંખ્યાની પુષ્ટિ કરવામાં આવી નથી.

હવે ભારતમાંથી ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકાયો

સોના-ચાંદી પર આયાત ડ્યુટી વધારવાના આદેશ બાદ હવે સરકારે ભારતમાંથી ખાંડની નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો છે. આ નિકાસ પ્રતિબંધ સપ્ટેમ્બર 2026 ના અંત સુધી અથવા આગામી આદેશો સુધી ચાલુ રહેશે.

આ પહેલાં ખાંડની સ્થાનિક ઉત્પાદનમાં વધારો થવાની અપેક્ષાઓના આધારે મર્યાદિત ખાંડ નિકાસને મંજૂરી આપવામાં આવી હતી. કેન્દ્ર સરકારે સ્થાનિક બજારોમાં ખાંડની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને વધતા જતા ફુગાવાને રોકવા માટે એક મોટું પગલું ભર્યું છે. સરકારે તાત્કાલિક અસરથી કાચી, સફેદ અને શુદ્ધ ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) દ્વારા જારી કરાયેલા એક જાહેરનામા અનુસાર, આ પ્રતિબંધ 30 સપ્ટેમ્બર, 2026 સુધી અમલમાં રહેશે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે વૈશ્વિક પુરવઠા શૃંખલાઓ અને બળતણ બજારો અસ્થિર રહે છે.

ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડે બુધવારે એક જાહેરનામું બહાર પાડ્યું હતું જેમાં પુષ્ટિ કરવામાં આવી હતી કે આ નિકાસ પ્રતિબંધ સપ્ટેમ્બર 2026 ના અંત સુધી અથવા આગામી આદેશો સુધી ચાલુ રહેશે. આ જાહેરાત અગાઉના વલણથી સ્પષ્ટ પરિવર્તન દર્શાવે છે જેમાં સ્થાનિક ઉત્પાદનમાં વધારો થવાની અપેક્ષાઓના આધારે મર્યાદિત ખાંડ નિકાસને મંજૂરી આપવામાં આવી હતી. અધિકારીઓ હવે માને છે કે અનિશ્ચિત વૈશ્વિક પરિસ્થિતિઓ અને વધતા ફુગાવાના જોખમોને કારણે વધુ કડક હસ્તક્ષેપની જરૂર છે.

દિલ્હીમાં ચાલું સ્લીપર બસમાં મહિલા પર થયો સામૂહિક બળાત્કાર, બે આરોપીની ધરપકડ

0

દિલ્હીમાં વર્ષ 2012ના નિર્ભયા કાંડ જેવી ઘટનાની યાદ તાજી કરતો વધુ એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. 13 વર્ષ અને 5 મહિના પહેલા બનેલી તે ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો, છતાં આજે પણ મહિલાઓની સુરક્ષા અંગે પ્રશ્નો યથાવત્ છે. હવે દિલ્હીના રાની બાગ વિસ્તારમાં ચાલુ સ્લીપર બસમાં 30 વર્ષીય મહિલા સાથે સામુહિક બળાત્કારની ઘટના સામે આવતા ફરી એકવાર ચકચાર મચી ગઈ છે.

પીડિતાની ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે અને બે આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે. જે બસમાં મહિલાની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તે બસને પણ પોલીસે જપ્ત કરી છે.

માહિતી મુજબ, આરોપીઓએ મહિલાને જબરદસ્તી બસમાં બેસાડી હતી. ત્યારબાદ ચાલુ સ્લીપર બસમાં લઈ જઈ તેની સાથે સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. કોઈ રીતે આરોપીઓના કબજામાંથી છૂટ્યા બાદ પીડિતા સીધી પોલીસ પાસે પહોંચી હતી અને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. મહિલાની ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ FIR નોંધાવી છે.

આ સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ દિલ્હી પોલીસે ઝડપી કાર્યવાહી કરતાં બે આરોપીની ધરપકડ કરી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર હાલ આરોપીઓની પુછપરછ ચાલી રહી છે. તપાસ દરમિયાન એ જાણવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે આ ગુનામાં અન્ય કેટલા લોકો સામેલ હતા.

પોલીસ હવે એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે ઘટના સમયે બસ કયા રૂટ પર ચાલી રહી હતી અને બસમાં અન્ય કોણ હાજર હતું. ઘટનાસ્થળ અને બસમાંથી મહત્વના પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે. ફોરેન્સિક ટીમે પણ બસની તપાસ કરી છે જેથી વધુ ટેકનિકલ અને વૈજ્ઞાનિક પુરાવા મેળવી શકાય.

આ સાથે પોલીસે આસપાસના વિસ્તારોમાં લાગેલા સીસીટીવી કેમેરાની ફૂટેજ પણ ચકાસવાની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે મહિલાને કયા સંજોગોમાં બસમાં બેસાડવામાં આવી અને આખી ઘટના કેવી રીતે બની તે જાણવા માટે તમામ પાસાઓની ગંભીરતાથી તપાસ ચાલી રહી છે. પીડિતાના નિવેદન અને ટેકનિકલ પુરાવાના આધારે કેસને વધુ મજબૂત બનાવવા માટે તપાસ એજન્સીઓ કામ કરી રહી છે.

અમદાવાદથી કોંગ્રેસ કોર્પોરેટર આશિષ જોશીની ધરપકડ, જાણો શું છે મામલો

વડોદરા મહાનગરપાલિકાના કોંગ્રેસ પક્ષના કોર્પોરેટર આશિષ જોશીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. અમદાવાદથી તેમની ધરપકડ કરવામાં આવી છે. ચૂંટણી દરમિયાન નોંધાયેલા દારૂના કેસમાં પોલીસે આ કાર્યવાહી હાથ ધરી છે. રામોલ પોલીસે આશિષ જોશીને ઝડપી પાડ્યા હોવાનું સામે આવ્યું છે. સંખેડા પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ ચૂંટણી સમયે ગુનો નોંધાયો હતો, જેને લઈને હવે આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ધરપકડ બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ સમગ્ર મામલો ચૂંટણી પહેલા ઝડપાયેલા દારૂના જથ્થા સાથે જોડાયેલો છે. પોલીસ વિભાગ લાંબા સમયથી આ કેસમાં તપાસ ચલાવી રહ્યું હતું. તપાસ દરમિયાન મળેલા પુરાવાના આધારે અમદાવાદની રામોલ પોલીસે આશિષ જોશીને ઝડપી પાડ્યા છે.

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન સૌથી રસાકસીભર્યો જંગ મનાતા વોર્ડ નંબર 15માં ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનાર આશિષ જોશી વિરુદ્ધ દારૂ મંગાવ્યો હોવાનો આરોપ લાગ્યો હતો. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. કવાંટ તરફથી નંબર પ્લેટ વગરની કારમાં દારૂ ભરીને આવતાં ડભોઇના કારચાલકને પોલીસે ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી અંદાજે 3.96 લાખ રૂપિયાની કિંમતની 299 દારૂની બોટલો કબજે કરવામાં આવી હતી. સમગ્ર મામલે મોબાઇલ નંબરના આધારે આશિષ જોશીને વોન્ટેડ જાહેર કરીને બંને સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

ફરિયાદ નોંધાયા બાદ આશિષ જોશીએ સોશિયલ મીડિયા મારફતે પોતાનો અને ઝડપાયેલા આરોપીનો નાર્કો ટેસ્ટ કરાવવાની માંગ કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે છેલ્લા કેટલાક દિવસોથી તેમને ખોટા કેસમાં ફસાવવાનો પ્રયાસ થઈ રહ્યો હતો. કોઈ રાજકીય નેતાના ઇશારે તેમના વિરુદ્ધ ખોટી એફઆઈઆર દાખલ કરાવવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આશિષ જોશીએ દાવો કર્યો હતો કે તેમની વધતી લોકપ્રિયતાને કારણે રાજકીય ષડયંત્ર રચીને તેમને ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

સુરત ટેક્સટાઈલમાં બાળ મજૂરી રેકેટનો પર્દાફાશ, 84 બાળકોને મુક્ત કરાયા

સુરત શહેરમાં ટેક્સટાઈલ ઉદ્યોગની આડમાં ચાલતા બાળ મજૂરીના એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. ઉદયપુરની માનવ તસ્કરી વિરોધી યુનિટ (AHTU) અને રાજસ્થાન રાજ્ય બાળ આયોગની ટીમે આજે, 13 મેના રોજ પુણા પોલીસ સાથે મળીને સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. આ દરોડા દરમિયાન શહેરની વિવિધ ફેક્ટરીઓમાંથી 84 આદિવાસી બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.

રાજસ્થાનથી આવેલી 20 સભ્યોની વિશેષ ટીમે પૂર્વ આયોજિત વ્યૂહરચના મુજબ પુણા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળની સીતારામ સોસાયટી અને મુક્તિધામ સોસાયટી સહિત અંદાજે 6 સ્થળોએ એકસાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસમાં બહાર આવ્યું છે કે આ ટીમો છેલ્લા એક મહિનાથી બાળકોને મજૂરીમાં ધકેલતા એજન્ટોના નેટવર્ક પર નજર રાખી રહી હતી. આ તમામ બાળકો ઉદયપુર જિલ્લાના આદિવાસી વિસ્તારોના વતની હોવાનું જાણવા મળ્યું છે.

રેસ્ક્યુ કરવામાં આવેલા બાળકોની ઉંમર માત્ર 7 થી 14 વર્ષની વચ્ચે છે. ટેક્સટાઈલ યુનિટોમાં આ માસૂમ બાળકો પાસે સાડીના વધારાના દોરા કાપવા તેમજ જોખમી મશીનો ચલાવવા જેવા કામો કરાવવામાં આવતા હતા. અત્યંત ધૂળ અને અવાજવાળા વાતાવરણમાં બાળકો પાસે આખો દિવસ કામ કરાવીને મહિનાના માત્ર 5,000 થી 8,000 રૂપિયા આપી તેમનું આર્થિક શોષણ કરવામાં આવતું હતું. આશ્ચર્યની વાત એ છે કે આ બાળકો ગરીબીને કારણે અભ્યાસ છોડીને એજન્ટોની જાળમાં ફસાયા હતા.

સુરતમાં બાળકો પાસે મજૂરી કરાવવાની આ પ્રથમ ઘટના નથી. અગાઉ 2019માં પણ બાળ આયોગે સુરતમાં દરોડા પાડીને ઉદયપુરના અનેક બાળકોને મુક્ત કરાવ્યા હતા. હાલમાં, પોલીસ અને બાળ આયોગ દ્વારા સંચાલકોની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે અને બાળકોના વાલીઓનો સંપર્ક કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. મુક્ત કરાયેલા તમામ બાળકોને વિશેષ બસ મારફતે સુરતથી રાજસ્થાન પરત રવાના કરવામાં આવ્યા છે.

ઉત્તર પ્રદેશમાં વાવાઝોડાથી 89 લોકોના મોત

0

દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. કેટલીક જગ્યાએ ભારે વાવાઝોડા અને વરસાદે તબાહી મચાવી, જ્યારે અન્યત્ર કરા પડ્યા હતા. ઉત્તર પ્રદેશના વિવિધ જિલ્લાઓમાં 89 લોકોના મોત થયા હતા. દિલ્હીથી ઉત્તરાખંડ સુધી, પ્રતિકૂળ હવામાને સમગ્ર પ્રદેશમાં વિનાશ વેર્યો હતો.

દિલ્હીથી ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સુધી હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો છે. બુધવારે, ઘણા વિસ્તારોમાં ભારે વાવાઝોડા, ભારે વરસાદ અને કરા પડ્યા હતા. આ આપત્તિમાં  ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં 54 લોકો માર્યા ગયા છે. અચાનક હવામાનમાં થયેલા પલટાથી ભદોહી જિલ્લામાં ભારે વાવાઝોડા અને વરસાદને કારણે 11 લોકોનાં મોત થયા છે. અનેક જગ્યાએ વૃક્ષો ઉખડી ગયા અને રસ્તાઓ પર પડી ગયા, જેના કારણે ટ્રાફિક ગંભીર રીતે ખોરવાઈ ગયો.

હરદોઈ જિલ્લામાં ભારે વાવાઝોડા અને વરસાદ વચ્ચે અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શૌચાલયની દિવાલ તૂટી પડતાં એક છોકરીનું મોત થયું, જ્યારે વીજળી પડવાથી બીજી કિશોરીનું મોત થયું હતો. કાનપુર દેહાતના કાપદહાટ ગ્રામ પંચાયતના માજરા ભૈથ્રી ગામમાં વીજળી પડવાથી એક યુવતીનું મોત થયું હતું, જ્યારે આશરે 35 બકરીઓ પણ વીજળી પડવાથી ઘાયલ થઈ હતી.

ફતેહપુરમાં પણ વાવાઝોડાએ ભારે તબાહી મચાવી હતી, જેમાં પાંચ મહિલાઓ સહિત નવ લોકો માર્યા ગયા હતા અને 17 અન્ય ઘાયલ થયા હતા. આઠ પશુઓ પણ માર્યા ગયા હતા. આ ઘટનાઓ સદર અને ખાગા તહસીલ વિસ્તારોમાં બની હતી. કૌશાંબી જિલ્લાના સિરાથુ તહસીલ વિસ્તારના કેસરી ગામમાં, એક ભારે ઝાડની ડાળી પડી ગઈ હતી, જેમાં એક વૃદ્ધ મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઉપરાંત, તારાસૌરા ગામમાં જોરદાર વાવાઝોડા પછી લાગેલી ભીષણ આગને કારણે એક ડઝન ઘરોમાં આગ લાગી હતી, જેમાં એક ભેંસ બળીને ખાખ થઈ ગઈ હતી.

ચોટીલા નજીક ભીષણ અકસ્માત: ખાનગી બસમાં આગ લાગતાં 4નાં મોત, 10 મુસાફરો ઘાયલ

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના સાંગાણી ગામ નજીક ચોટીલા–રાજકોટ નેશનલ હાઇવે પર આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. ચોટીલા તરફ જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સ બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે અથડામણ થતાં બસમાં આગ ફાટી નીકળી હતી.

પ્રાથમિક માહિતી મુજબ, ટેન્કરનું ટાયર અચાનક ફાટી જતા પાછળથી આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સ બસ ટેન્કર સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત બાદ બસમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી, જેના કારણે મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી.

આ દુર્ઘટનામાં 4 લોકોના મોત થયાની માહિતી સામે આવી છે, જ્યારે આશરે 10 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટી તંત્ર અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.

મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યારે ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

જમ્મુ-કાશ્મીરમાં વિદેશી આતંકીઓને મદદ કરનારા સૈફુલ્લાહ ગ્રુપના બે સમર્થકોની ધરપકડ

0

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં પોલીસે આતંકવાદીઓ સામે મોટી કાર્યવાહી કરતા સૈફુલ્લાહ ગ્રુપ સાથે જોડાયેલા બે કથિત ઓવરગ્રાઉન્ડ વર્કર્સ (OGWs)ની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ બંને આરોપીઓ વિદેશી આતંકવાદીઓને મદદ પહોંચાડવા અને તેમને સુરક્ષિત ઠેકાણા ઉપલબ્ધ કરાવવામાં સામેલ હતા. સમગ્ર આતંકી નેટવર્કને ખતમ કરવા માટે સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું હોવાનું પોલીસે જણાવ્યું છે.

પોલીસે માહિતી આપી કે સિંહપોરા-ચતરું વિસ્તારમાં ચલાવવામાં આવેલા વિશેષ ઓપરેશન દરમિયાન આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ મામલે FIR નોંધવામાં આવી છે અને આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો ઉપરાંત UAPA અને આર્મ્સ એક્ટ હેઠળ પણ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ ધરપકડ કરાયેલા આરોપીઓ આતંકવાદીઓને દરેક પ્રકારની મદદ પહોંચાડી રહ્યા હતા.

કિશ્તવાડના SSPએ જણાવ્યું કે તપાસ અને ગુપ્તચર માહિતીના આધારે પોલીસે મશ્કૂર અહમદની ધરપકડ કરી હતી. મશ્કૂર અહમદ મોહમ્મદ રમઝાનનો પુત્ર છે અને સિંહપોરાના બેઘપોરા વિસ્તારનો રહેવાસી છે. તે શાળા શિક્ષણ વિભાગમાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો. પોલીસના જણાવ્યા મુજબ તે આતંકવાદીઓ માટે સુરક્ષિત ઠેકાણા તૈયાર કરાવવા અને તેમને સહકાર આપવા સીધો સંકળાયેલો હતો.

પોલીસનું કહેવું છે કે મશ્કૂર અહમદની ધરપકડ બાદ આતંકવાદીઓને મળતું મહત્વપૂર્ણ લોજિસ્ટિક સપોર્ટ નબળું પડ્યું છે. તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું છે કે આરોપી લાંબા સમયથી આતંકી નેટવર્કના સંપર્કમાં હતો. હવે પોલીસે તેના અન્ય સાથીદારો અને સંપર્કોની તપાસ પણ શરૂ કરી છે, જેથી સમગ્ર મોડ્યુલનો પર્દાફાશ કરી શકાય.

આ પહેલા આ જ કેસમાં મનીર અહમદ નામના બીજા એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી હતી. મનીર અહમદ બાંદેયાન નૈડગામ વિસ્તારનો રહેવાસી છે. પોલીસના જણાવ્યા મુજબ તેના પર પણ વિદેશી આતંકવાદીઓને મદદ કરવાનો અને તેમને સુરક્ષિત સહયોગ પૂરો પાડવાનો આરોપ છે. બંને આરોપીઓની પૂછપરછના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

નવસારીમાં ઈન્ડિગો હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ, ટેકનિકલ ખામીને કારણે ખુલ્લા મેદાનમાં ઉતારાયું

0

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મગોબ ભાઠા ગામ નજીક આજે ઈન્ડિગો કંપની સાથે સંકળાયેલા એક હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. ઉડાન દરમિયાન અચાનક ટેકનિકલ સમસ્યા ઉભી થતાં પાયલોટે સાવચેતીના ભાગરૂપે હેલિકોપ્ટરને ખુલ્લા મેદાનમાં સુરક્ષિત રીતે ઉતારવાનો નિર્ણય લીધો હતો.

ઉડાન દરમિયાન ટેકનિકલ ખામી જણાતા પાયલોટે તાત્કાલિક પરિસ્થિતિ પર કાબૂ મેળવી નજીકના વિસ્તારને પસંદ કરી સલામત લેન્ડિંગ કર્યું હતું. બંને પાયલોટની સતર્કતા અને સમયસૂચકતાને કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

હેલિકોપ્ટર અચાનક ગામ નજીક ઉતરતાં સ્થાનિક લોકોમાં ઉત્સુકતા સાથે થોડો ભયનો માહોલ પણ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ મરોલી પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આસપાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી, જેથી લોકોની ભીડને નિયંત્રિત કરી શકાય.

સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજાના સમાચાર સામે આવ્યા નથી. હાલ ટેકનિકલ નિષ્ણાતોની ટીમ હેલિકોપ્ટરમાં આવેલી ખામીનું ચોક્કસ કારણ શોધવા માટે તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં ટેકનિકલ ફોલ્ટને કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હોવાનું સામે આવ્યું છે.