Home Blog Page 7

બારડોલી સુગરમાં ભાજપને ફટકો, ધારાસભ્ય ઈશ્વર પરમાર અને જિલ્લા ભાજપ મહામંત્રી ભાવેશ પટેલનો કારમો પરાજય

એશિયાની સૌથી મોટી સુગર ફેક્ટરીમાં જેની ગણના થાય છે, એ બારડોલી સુગર ફેક્ટરીની વ્યવસ્થાપક મંડળની ચૂંટણીમાં સહકાર પેનલની કારમી હાર થઈ છે. સહકાર પેનલને ફાળે એક જ બેઠક બિનહરીફ થઈ હતી. એ સિવાયની તમામ 14 બેઠકો પર કિસાન પરિવર્તન પેનલના વિજય સાથે સહકાર પેનલને મોટો ફટકો પડ્યો છે. બારડોલીના ભાજપી ધારાસભ્ય ઈશ્વર પરમાર અને જિલ્લા ભાજપ મહામંત્રી ભાવેશ પટેલનો કારમો પરાજય થયો છે. એ ઉપરાંત સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરીમલ પટેલ તેમજ સુરત જિલ્લા પંચાયતના માજી આરોગ્ય ચેરમેન રોશન પટેલનો પણ પરાજય થયો છે.
ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે, ત્યારે સહકાર મંત્રીના ગઢ ગણાતા ગુજરાતમાં આવેલી એશિયાની સૌથી મોટી સુગર ફેક્ટરી ગણાતી બારડોલીના બાબેન ખાતે આવેલી બારડોલી સુગર ફેક્ટરીની ચૂંટણીમાં મોટી ઉલટફેર જોવા મળી છે.

વર્તમાનમાં સહકાર પેનલ સત્તા સંભાળતી હતી. પરંતુ ચૂંટણીમાં સભાસદોએ કારમો ઘા આપ્યો છે. આજે થયેલી મતગણતરીમાં સહકાર પેનલનો પરાજય થયો છે. ભાજપ માટે આ મોટો ફટકો એટલા માટે છે કે વર્તમાન ધારાસભ્ય ઈશ્વર પરમારનો પણ પરાજય થયો છે. એ ઉપરાંત સુરત જિલ્લા ભાજપના મહામંત્રી, બારડોલી સુગરના વર્તમાન ઉપપ્રમુખ તથા સુરત જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાવેશ પટેલે પણ પરાજય ખમવો પડ્યો છે.

જાહેર થયેલા પરિણામોમાં મોતા બેઠક પર સતીશ પટેલનો 323 મતથી, એના બેઠક પર અતુલ પટેલનો 263 મતથી, શામપુરા બેઠક પર કીરીટ પટેલનો 405 મતથી, ઓરણા બેઠક પર અનીલ પટેલનો 672 મતથી, સેવણી બેઠક પર ચેતન પટેલનો 465 મતથી, પૂણા બેઠક પ્રફુલ્લ પટેલનો 566 મતથી, તૂંડી બેઠક પર મુકેશ એન પટેલનો 567 મતથી, ખરવાસા બેઠક પર ભુપેન્દ્ર સોલંકીનો 544 મતથી, નિઝર બેઠક પર પેશ ભક્તનો 508 મતથી, બારડોલી બેઠક પર નિવોદચંદ્ર પટેલનો 403 મતથી અને મોટી ફળોદ બેઠક પર પંકજ પટેલનો 540 મતથી વિજય થયો છે. આ ઉપરાંત એક મહિલા અનામત બેઠક પર ઉષા પટેલનો 453 મત અને બીજી મહિલા અનામત બેઠક પર ઉષા પટેલનો 435 મતથી વિજય થયો છે, જ્યારે એસસી/એસટી અનામત બેઠક પર તરૂણ વાઘેલાનો 542 મતથી વિજય થયો છે.

4 મિનિટ સુધી સૌ ઊભા રહ્યા…પણ ગીત શરૂ થતાજ ખબર પડી કે ‘વંદે માતરમ’ હતું જ નહીં!

0

સિસ્ટમની બેદરકારી શિંદેને પડી ભારી. ઠાણેના એક સરકારી કાર્યક્રમમાં રાષ્ટ્રભાવનાથી ભરેલો માહોલ અચાનક શરમજનક સ્થિતિમાં ફેરવાઈ ગયો હતો. મંચ પર ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે સહિત મહત્ત્વના મહેમાનો ‘વંદે માતરમ’ના સન્માનમાં ઊભા રહ્યા, પરંતુ સાઉન્ડ સિસ્ટમમાંથી અધિકૃત રાષ્ટ્રગીતની જગ્યાએ લતા મંગેશકરનું જૂનું ગીત સંભળાવા લાગ્યું હતું. આ ટેક્નિકલ ભૂલને કારણે કાર્યક્રમમાં હાજર લોકો મૂંઝવણમાં મુકાયા હતા.

આ ઘટના ઠાણેમાં પરિવહન વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમ દરમિયાન બની હતી. કાર્યક્રમનો સંબંધ બિન-મરાઠી લોકો માટે મરાઠી ભાષા શીખવવાના અભિયાનના સમાપન સમારોહ સાથે હતો. ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે ઉપરાંત ઉદ્યોગ મંત્રી ઉદય સામંત અને ધારાસભ્ય પ્રતાપ સરનાઈક પણ હાજર હતા.

કાર્યક્રમની શરૂઆત પહેલાં ‘વંદે માતરમ’ના ગાન માટે સૌને ઊભા હતા તીરે ઓડિયો ચાલુ થતાં વંદે માતરમના બદલે લતા મંગેશકરનું ગીત વાગ્યું હતું. ગીતની શરૂઆત ‘વંદે માતરમ’ શબ્દોથી થતી હોવા છતાં તે સરકારી કાર્યક્રમમાં વગાડાતી અધિકૃત આવૃત્તિ નહોતી. ભૂલ સમજાયા બાદ પણ શિંદે સહિત હાજર લોકો પ્રોટોકોલ મુજબ ઊભા રહ્યા અને ગીત પૂર્ણ થાય ત્યાં સુધી રાહ જોઈ હતી. આ ચાર મિનિટના સમય બાદ અધિકૃત ‘વંદે માતરમ’ અને મહારાષ્ટ્રનું રાજ્યગીત વગાડવામાં આવ્યું હતું.

ઘટના બાદ શિંદેએ આ ભૂલ બદલ જાહેરમાં માફી માંગી અને આયોજકોને ઠપકો આપ્યો હતો. ભવિષ્યમાં આવા કાર્યક્રમો પહેલાં સાઉન્ડ સિસ્ટમ સહિત તમામ વ્યવસ્થાની ચકાસણી કરવા પણ તેમણે સૂચના આપી હતી.

‘વંદે માતરમ’ દેશનું રાષ્ટ્રીય ગીત છે અને હાલમાં તેની 150મી વર્ષગાંઠ નિમિત્તે દેશવ્યાપી ઉજવણી પણ ચાલી રહી છે.

15 ઓગસ્ટની રાત્રે પરિવાર જમ્યું પંજાબી શાક, બીજા દિવસે ઘરમાં માતમ!

સુરતમાં 15 ઓગસ્ટની રાત્રે રેસ્ટોરન્ટમાંથી મંગાવેલું ભોજન ખાધા બાદ એક જ પરિવારના પાંચ સભ્યોની તબિયત અચાનક લથડતાં ચકચાર મચી ગઈ છે. વરાછાની રણુજાધામ સોસાયટીમાં બનેલી આ ઘટનામાં માત્ર 5 વર્ષની બાળકી આર્યાનું સારવાર દરમિયાન મોત થયું છે, જ્યારે તેના માતા-પિતા અને બે બહેનો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પરિવારજનોના જણાવ્યા મુજબ, કાજુ અને પનીરનું પંજાબી શાક ખાધા બાદ પરિવારના સભ્યોની તબિયત બગડી હતી.

મળતી માહિતી મુજબ, અશોકભાઈ કળસરિયા અને તેમનો પરિવાર 15 ઓગસ્ટની રાત્રે ‘શીતલ રેસ્ટોરન્ટ’માંથી લાવેલું પંજાબી શાક જમ્યા હતા. બીજા દિવસે વહેલી સવારે લગભગ 4 વાગ્યે અશોકભાઈ અને તેમની એક પુત્રીને પેટમાં ભારે દુખાવો શરૂ થયો હતો. સ્થાનિક ક્લિનિકમાં સારવાર અને બોટલ ચડાવ્યા બાદ પણ રાહત ન મળતાં પરિવારના અન્ય સભ્યોની પણ તબિયત બગડવા લાગી હતી.

પરિસ્થિતિ ગંભીર બનતાં તમામને સદવિચાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરિવારના કહેવા પ્રમાણે, હોસ્પિટલમાં લાવ્યાના આશરે 15થી 20 મિનિટમાં જ 5 વર્ષની આર્યાનું મોત થયું હતું. બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.

હાલ અશોકભાઈ, તેમની પત્ની અને બે પુત્રીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પરિવારજનોના જણાવ્યા મુજબ, ચારેયના તબીબી રિપોર્ટમાં ફૂડ પોઈઝનિંગ સામે આવ્યું છે.

આ ઘટનાને પગલે પરિવારજનોએ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માગ કરી છે. ભોજનમાં બેદરકારી કે ખોરાકની ગુણવત્તા અંગે કોઈ જવાબદારી સામે આવે તો સંબંધિત રેસ્ટોરન્ટ સંચાલકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માગ કરવામાં આવી છે.

સપ્ટેમ્બરમાં શું થશે? ચોમાસાને લઈને સ્કાયમેટનું નવું અનુમાન, ગુજરાત માટે કેમ મહત્વની છે આ વાત?

0

ગુજરાતમાં ચોમાસું હજુ બાકી છે, પરંતુ દેશવ્યાપી નવા વરસાદી અનુમાનથી આગામી અઠવાડિયાઓ ખાસ મહત્વના બની ગયા છે. સ્કાયમેટે 17 ઑગસ્ટે 2026ના સમગ્ર ચોમાસા માટે વરસાદનો અંદાજ ઘટાડીને LPAના 85% કર્યો છે અને 70% દુષ્કાળની શક્યતા દર્શાવી છે.

સ્કાયમેટના અનુમાન પ્રમાણે ઑગસ્ટમાં દેશભરમાં વરસાદ LPAના 84%, જ્યારે સપ્ટેમ્બરમાં માત્ર 80% રહી શકે છે. વધતું El Niño ચોમાસાના અંતિમ તબક્કા માટે ચિંતાનો મુદ્દો બની રહ્યું છે, જ્યારે Positive Indian Ocean Dipole એટલે કે IOD તરફથી થોડી રાહત મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં જૂન-જુલાઈ દરમિયાન વરસાદી સ્થિતિ એકસરખી રહી નહોતી. દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. જુલાઈની શરૂઆતમાં માત્ર 24 કલાકમાં સુરત, વલસાડ અને નવસારીના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. વલસાડના કપરાડામાં 147 મિમી, સુરત શહેરમાં 137 મિમી અને વલસાડમાં 134 મિમી વરસાદ નોંધાયો હતો.

આ પછી ઑગસ્ટમાં પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી ગતિવિધિ સક્રિય રહી. 11થી 12 ઑગસ્ટ દરમિયાન રાજ્યના 119 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં પંચમહાલના શેહરામાં 5.43 ઇંચ વરસાદ પડ્યો હતો.

એટલે હાલ ગુજરાતમાં સીધો “દુષ્કાળ આવી રહ્યો છે” એવો નિષ્કર્ષ કાઢવો યોગ્ય નથી. રાજ્ય માટે સૌથી મહત્વનું એ રહેશે કે ઑગસ્ટના અંતિમ દિવસો અને સપ્ટેમ્બરમાં વરસાદ કેટલો અને ક્યાં વિસ્તારોમાં થાય છે. ખાસ કરીને ખેડૂતો, જળસંગ્રહ અને પાક માટે ચોમાસાના અંતિમ તબક્કાની ગતિવિધિ મહત્વની રહેશે.

રાખડી બાંધતા પહેલાં આ વાત ભૂલતા નહીં! ભદ્રા અંગેની આ માન્યતા પાછળની કહાની શું છે?

રક્ષાબંધનના દિવસે રાખડી બાંધતા પહેલાં જો તમારા મનમાં પણ એક જ સવાલ હોય કે “ભદ્રા તો નથી ને?”, તો આ જાણકારી તમારા માટે ખૂબ મહત્વની છે. કારણ કે 2026ના રક્ષાબંધન પહેલાં ભદ્રાને લઈને ચાલી રહેલી ચર્ચા પાછળ માત્ર પંચાંગ જ નહીં, પરંતુ એક રસપ્રદ પૌરાણિક માન્યતા પણ જોડાયેલી છે.

પંચાંગ મુજબ 28 ઓગસ્ટ 2026ના રોજ શ્રાવણ પૂર્ણિમાએ રક્ષાબંધન ઉજવાશે. પૂર્ણિમા તિથિ 27 ઓગસ્ટ સવારે 9:08 વાગ્યે શરૂ થઈને 28 ઓગસ્ટ સવારે 9:48 વાગ્યે પૂર્ણ થશે. અમદાવાદ સહિત ગુજરાતના અનેક સ્થળોના પંચાંગ મુજબ આ દિવસે ભદ્રા સૂર્યોદય પહેલાં જ પૂર્ણ થઈ જશે. તેથી રક્ષાબંધનના દિવસે ભદ્રાનો અવરોધ રહેવાનો નથી. જોકે, રાખડી બાંધવાનો સ્થાનિક શુભ સમય શહેર પ્રમાણે થોડો બદલાઈ શકે છે.

ભદ્રા શું છે?

હિંદુ પંચાંગમાં ભદ્રા એટલે ‘વિષ્ટિ કરણ’ તરીકે ઓળખાતો સમયગાળો. પંચાંગની માન્યતા મુજબ તેને શુભ કાર્યો માટે ટાળવામાં આવે છે, ખાસ કરીને રક્ષાબંધન પર રાખડી બાંધતી વખતે. ભદ્રા પૌરાણિક કથાઓમાં સૂર્યદેવ અને છાયાની પુત્રી તરીકે વર્ણવાય છે. તેમને ઉગ્ર સ્વભાવ ધરાવતી દેવી તરીકે દર્શાવવામાં આવે છે અને કહેવાય છે કે તેમના પ્રભાવથી માંગલિક કાર્યોમાં વિઘ્ન આવે છે. આ વર્ણન ધાર્મિક પરંપરા અને લોકમાન્યતા પર આધારિત છે, ઐતિહાસિક પુરાવા પર નહીં.

ભદ્રામાં રાખડી કેમ ન બાંધાય?

ધાર્મિક પરંપરા અનુસાર ભદ્રા દરમિયાન રાખડી બાંધવી શુભ માનાતી નથી. એવી માન્યતા છે કે આ સમયે કરેલા શુભ કાર્યમાં વિઘ્ન આવી શકે છે. તેથી ભાઈ-બહેનના પવિત્ર બંધનના આ તહેવારમાં ભદ્રા પૂરી થયા બાદ જ રાખડી બાંધવાની પરંપરા વિકસેલી છે. પંચાંગ આધારિત સ્ત્રોતો પણ રક્ષાબંધન વિધિ ભદ્રા દરમિયાન ન કરવાની સલાહ આપે છે.

2026માં રાહતની વાત એ છે કે 28 ઓગસ્ટના રક્ષાબંધન દિવસે ભદ્રા સૂર્યોદય પહેલાં જ સમાપ્ત થઈ જશે. એટલે પરિવારજનો ભદ્રાની ચિંતા વિના પંચાંગમાં દર્શાવેલા શુભ મુહૂર્તમાં રાખડી બાંધી શકશે.

ભદ્રા અંગેની માન્યતાઓ ધાર્મિક પરંપરાનો ભાગ છે; વૈજ્ઞાનિક રીતે તે દરમિયાન રાખડી બાંધવાથી અનિષ્ટ થાય છે એવું સાબિત નથી. પરિવારો માટે પંચાંગ માર્ગદર્શક બની શકે.

આજે એકસાથે 3 ધાર્મિક સંયોગ! મંગળા ગૌરી વ્રત અને કલ્કિ જયંતિ સાથે જાણો આજનું પંચાંગ

આજનું પંચાંગ, 18 ઓગસ્ટ 2026: આજનો દિવસ ગુજરાતના ભક્તો માટે ધાર્મિક રીતે ખાસ છે. મંગળવારની હનુમાન ઉપાસના સાથે આજે સાવનનું ત્રીજું મંગળા ગૌરી વ્રત અને કલ્કિ જયંતિ પણ આવી છે. એટલે ઉપવાસ, પૂજા અને શુભ કાર્ય માટે આજના પંચાંગને જાણવું વધુ મહત્વનું બની જાય છે. પંચાંગ મુજબ આજે શ્રાવણ શુક્લ પક્ષની ષષ્ઠી તિથિ સાંજે લગભગ 5:50 વાગ્યા સુધી રહેશે અને ત્યારબાદ સપ્તમી શરૂ થશે. સ્વાતિ નક્ષત્ર અને તૈતિલ કરણની સ્થિતિ પણ આજે રહેશે.

મંગળા ગૌરી વ્રત ખાસ કરીને સુખી દાંપત્ય, પતિના દીર્ઘ આયુષ્ય અને પરિવારની સુખ-સમૃદ્ધિ માટે કરવામાં આવે છે. જ્યારે મંગળવાર હનુમાનજીને સમર્પિત હોવાથી ભક્તો હનુમાનજીને સિંદૂર, ચમેલીનું તેલ અને લાલ ફૂલ અર્પણ કરી હનુમાન ચાલીસાનો પાઠ કરી શકે છે. આજે કલ્કિ જયંતિ હોવાથી ભગવાન વિષ્ણુના કલ્કિ અવતારની પૂજા કરવાનું પણ ધાર્મિક મહત્વ છે.

આજના શુભ મુહૂર્ત: બ્રહ્મ મુહૂર્ત વહેલી સવારે રહેશે. અભિજિત મુહૂર્ત બપોરે 11:59થી 12:52 સુધી, વિજય મુહૂર્ત 2:36થી 3:29 સુધી અને અમૃત કાળ રાત્રે 9:19થી 11:02 સુધી રહેશે. આ સમય શુભ કાર્યો અને ધાર્મિક અનુષ્ઠાન માટે અનુકૂળ માનવામાં આવે છે.

અશુભ સમય: આજે રાહુકાળ બપોરે 3:42થી 5:20 સુધી, યમગંડ સવારે 9:09થી 10:47 સુધી અને ગુલિક કાળ 12:26થી 2:04 સુધી રહેશે. આ દરમિયાન નવા શુભ કાર્યની શરૂઆત ટાળવાની પરંપરા છે. આજનું દિશાશૂલ ઉત્તર દિશામાં રહેશે.

સૂર્યોદય-સૂર્યાસ્ત અને ચંદ્ર સમય શહેર પ્રમાણે થોડો બદલાઈ શકે છે. તેથી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર સહિત ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં સ્થાનિક પંચાંગ પ્રમાણે કેટલાક મુહૂર્તમાં થોડા મિનિટનો ફરક જોવા મળી શકે છે. ઉપરની તિથિ, વ્રત અને મુખ્ય પંચાંગ વિગતો ગુજરાતભરના સામાન્ય ઉપયોગ માટે છે.

જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે વન ડે વન યુનિવર્સિટી કાર્યક્રમ હેઠળ યુવા શક્તિ સાથે સંવાદ કર્યો

આજે સુરતની સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી (SVNIT) ખાતે કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર.પાટીલે વન ડે વન યુનિવર્સિટી કાર્યક્રમ હેઠળ દેશની યુવા શક્તિ સાથે સંવાદ કર્યો હતો. એસવીએનઆઈટી ખાતે યુવા વિદ્યાર્થીઓ સાથે સી.આર.પાટીલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘હર ઘર જલ, હર ઘર સ્વચ્છતા’ના સંકલ્પ અને ‘જલ સંચય જન ભાગીદારી’ના માધ્યમથી જળ સંરક્ષણને જન આંદોલન બનાવવાના વિઝનની ચર્ચા કરી હતી. એસવીએનઆઈટીના વિદ્યાર્થીઓના જળ અને સ્વચ્છતા સાથે જોડાયેલી સમસ્યાઓના સમાધાન માટે કરેલા શોધ સંશોધનો અને નવા વિચારો જાણ્યા હતા. નવી પેઢીના વિચારો જાણીને કેન્દ્રીય મંત્રીએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, આપણી યુનિવર્સિટી અને કોલેજો સંશોધન અને વૈજ્ઞાનિક સંશોધન કેન્દ્રો છે. આ સંસ્થાઓની દેશની સમસ્યાઓના વ્યવહારિક તથા ઓછા ખર્ચાળ ઉકેલ શોધવા માટે સક્રિય ભાગીદારી ખૂબ જ મહત્વની છે. મને વિશ્વાસ છે કે યુવા શક્તિ, વિજ્ઞાન, સંશોધન અને જનભાગીદારીથી આપણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જળ સુરક્ષા અને સ્વચ્છ ભારતના સંકલ્પને ઝડપથી આગળ વધારીશું.

ભાજપની નવી ટીમ જાહેર: નિતિન નવીનની ટીમમાં વસુંધરા રાજે-સ્મૃતિ ઈરાની સહિત દિગ્ગજોને સ્થાન

0

BJP New Team Announced: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીનની નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભાજપની નવી રાષ્ટ્રીય કોર કમિટી પણ પસંદ કરવામાં આવી છે. નવી ટીમમાં મહિલાઓને ખાસ પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે.

વસુંધરા રાજે અને રામ માધવને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, જ્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને રાષ્ટ્રીય મહાસચિવની જવાબદારી સોંપવામાં આવી છે. બી.એલ. સંતોષને રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન)ના પદ પર યથાવત રાખવામાં આવ્યા છે.

દિલ્હી MCDના પૂર્વ સિનિયર નેતા જય પ્રકાશ અને DDAના સભ્ય રાજીવ બબ્બરને પણ મહત્વની જવાબદારી આપવામાં આવી છે. જોકે, દિલ્હીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાને નવી ટીમમાં સ્થાન મળ્યું નથી.

આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં આવેલા સંદીપ પાઠકને પણ ભાજપની નવી રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મળ્યું છે.

13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને 8 રાષ્ટ્રીય મહાસચિવ

ભાજપની નવી ટીમમાં એમ. નાગરાજા, લાલસિંહ આર્ય અને વર્ષાબેન દોશીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. બૈજયંત જય પાંડા, રેખા વર્મા અને મધુચંદ્રને પણ ટીમમાં યથાવત રાખવામાં આવ્યા છે.

ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત, પૂર્વ કેન્દ્રીય મંત્રી ભારતી પવાર, મનપ્રીત સિંહ બાદલ અને તારિક મન્સૂરને પણ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે.

ભાજપે બી.એલ. સંતોષને રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન)ના પદ પર યથાવત રાખ્યા છે.

CJP બાદ હવે ‘દિમાગી નક્સલ પાર્ટી’નું Instagram અકાઉન્ટ ચર્ચામાં, 24 કલાકમાં 1.7 લાખથી વધુ ફોલોઅર્સ

0

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Instagram પર ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) બાદ હવે ‘દિમાગી નક્સલ પાર્ટી’ નામનું એક નવું અકાઉન્ટ ચર્ચામાં આવ્યું છે. આ અકાઉન્ટે માત્ર 24 કલાકમાં 1.7 લાખથી વધુ ફોલોઅર્સ મેળવી લીધા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

Instagram પર ઉપલબ્ધ માહિતી મુજબ, આ અકાઉન્ટ આ જ મહિને બનાવવામાં આવ્યું છે. અકાઉન્ટના લોગ પરથી જાણવા મળે છે કે તેનું યુઝરનેમ એક વખત બદલવામાં આવ્યું હતું. અકાઉન્ટ પર અત્યાર સુધીમાં 63 પોસ્ટ કરવામાં આવી છે, જ્યારે તે લગભગ 35 લોકોના અકાઉન્ટને ફોલો કરે છે. જોકે, આ અકાઉન્ટનું સંચાલન કોણ કરી રહ્યું છે તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી જાહેર કરવામાં આવી નથી.

કેવી રીતે ચર્ચામાં આવી ‘દિમાગી નક્સલ પાર્ટી’?

આ મામલો એવા સમયે સામે આવ્યો છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના પોતાના ભાષણમાં સશસ્ત્ર નક્સલવાદનો ઉલ્લેખ કરતા ‘દિમાગી નક્સલીઓ’થી પણ સતર્ક રહેવાની વાત કરી હતી. ત્યારબાદ ‘દિમાગી નક્સલ પાર્ટી’ નામના Instagram અકાઉન્ટની ચર્ચા શરૂ થઈ છે. Instagram પર આ નામથી એકથી વધુ અકાઉન્ટ પણ જોવા મળી રહ્યા છે.

PM મોદીએ શું કહ્યું હતું?

લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસના સંબોધનમાં PM મોદીએ કહ્યું હતું કે, જંગલોમાં હથિયાર ઉઠાવનારા નક્સલીઓનો અંત થયો હોય, પરંતુ ‘દિમાગી નક્સલ’ હજુ પણ તકની શોધમાં છે. તેઓ હિંસાના નવા રસ્તા શોધી દેશને ખોટી દિશામાં લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવા લોકોની ઓળખ કરી તેમને અલગ પાડવાની જરૂર છે.

કોણ છે ‘દિમાગી નક્સલી’? કિરણ રિજિજુએ આપી ઓળખ

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ પોતાની પોસ્ટમાં ‘દિમાગી નક્સલ’ શબ્દનો અર્થ સમજાવતા જણાવ્યું હતું કે આ શબ્દ એવા લોકો માટે વપરાય છે, જેઓ માઓવાદીઓનું સમર્થન કરે છે અને ભારતીય બંધારણને સ્વીકારતા નથી. તેઓ અલગતાવાદીઓની સાથે ઊભા રહે છે, જમ્મુ-કાશ્મીરમાં કલમ 370નું સમર્થન કરે છે અને ભારતના ઉત્તર-પૂર્વને દેશના બાકીના ભાગથી અલગ કરવા માટે ‘ચિકન નેક’ કાપવાના કાવતરાને સમર્થન આપે છે.

બિહારમાં ગંગામાં 7 બાળકી ડૂબી, 3ના મૃતદેહ મળ્યા; એકની શોધખોળ ચાલુ

0

પટનાના બાઢ અનુમંડળના બખ્તિયારપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શ્રાવણના સોમવારે ગંગા સ્નાન દરમિયાન 7 બાળકી ડૂબી ગઈ હતી. સ્થાનિક લોકોએ 3 બાળકીઓને બચાવી લીધી હતી, જ્યારે 4 બાળકી લાપતા થઈ હતી. હવે લાપતા થયેલી 4માંથી બબલી કુમારી, નંદની કુમારી અને રાધિકા કુમારીના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે આરતી કુમારીની શોધખોળ હજુ ચાલુ છે.

ગંગા સ્નાન દરમિયાન એક પછી એક બાળકી ડૂબવા લાગી

ઘટના સોમવારે વહેલી સવારે લગભગ 5 વાગ્યે રાણીસરાય ગામ નજીક બની હતી. શ્રાવણના સોમવારને પગલે ગામની 7 બાળકી એકસાથે ગંગા સ્નાન કરવા ગઈ હતી. સ્નાન દરમિયાન એક બાળકી અચાનક ઊંડા પાણીમાં જતાં ડૂબવા લાગી હતી. તેને બચાવવાના પ્રયાસમાં અન્ય બાળકીઓ પણ પાણીમાં આગળ વધી હતી અને એક પછી એક ડૂબવા લાગી હતી.

બાળકીઓને ડૂબતી જોઈ સ્થાનિક લોકોએ તાત્કાલિક નદીમાં ઉતરી બચાવ કામગીરી શરૂ કરી હતી. ગ્રામજનોએ 3 બાળકીઓને સુરક્ષિત બહાર કાઢી હતી, જ્યારે 4 બાળકી ઊંડા પાણીમાં લાપતા થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં બખ્તિયારપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને શોધખોળ શરૂ કરી હતી.

3ના મૃતદેહ મળ્યા, એકની શોધખોળ ચાલુ

લાપતા થયેલી બબલી કુમારી, નંદની કુમારી અને રાધિકા કુમારીના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે 14 વર્ષની આરતી કુમારીની શોધખોળ હજુ ચાલુ છે. પોલીસ, સ્થાનિક તરવૈયાઓ અને પ્રશાસનની ટીમ સતત સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. બચાવ કામગીરીમાં SDRFની ટીમને પણ જોડવામાં આવી છે.

ગેરકાયદે ખનનના કારણે ઊંડા ખાડા હોવાનો સ્થાનિકોનો દાવો

સ્થાનિક લોકોએ ગંગા નદીમાં કથિત ગેરકાયદે ખનનના કારણે નદી કિનારે અને પાણીની અંદર ઊંડા ખાડા સર્જાયા હોવાનો આક્ષેપ કર્યો છે. તેમનો દાવો છે કે સ્નાન દરમિયાન બાળકીઓ આ ઊંડા ભાગમાં પહોંચી જતા દુર્ઘટના સર્જાઈ હતી. જોકે, અકસ્માતનું વાસ્તવિક કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

બખ્તિયારપુરના થાનાધ્યક્ષ દેવાનંદ શર્માના જણાવ્યા મુજબ, એક બાળકી ડૂબવા લાગ્યા બાદ તેને બચાવવાના પ્રયાસમાં અન્ય બાળકીઓ પણ પાણીમાં આગળ વધી હતી અને એક પછી એક ડૂબવા લાગી હતી. સ્થાનિક લોકોએ 3 બાળકીઓને બચાવી લીધી હતી, જ્યારે બાકીની બાળકીઓની શોધખોળ હાથ ધરાઈ હતી.