Home Blog Page 59

સુરતમાં ગુનેગારો સામે પોલીસનો કડક કાર્યવાહી, છેતરપિંડી કરનાર 8 આરોપીઓને પાસા

સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરત શહેર પોલીસ દ્વારા માથાભારે ઈસમો તથા અલગ અલગ પ્રકારના ગુનાઓ આચરતા આરોપીઓ વિરુદ્ધ પાસા હેઠળની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ચાલુ વર્ષે પોલીસ દ્વારા આજદીન સુધીમાં 407 આરોપીઓને પાસા હેઠળ અટકાયત કરીને રાજ્યની અલગ અલગ જેલોમાં મોકલી આપવામાં આવ્યા છે.

સુરત શહેરમાં કાપડ માર્કેટમાં કાપડના વેપારીઓ પાસેથી મોટી રકમનું કાપડ ખરીદી કરી તેના નાણાં વેપારીઓને નહીં ચૂકવી દુકાન બંધ કરી ભાગી જઈ વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર કુલ 8 આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે, આ ઉપરાંત શહેરના હીરા બજારમાંથી હીરા વેપારીઓ પાસેથી મોટી રકમના હીરા ખરીદી કરી તેના નાણાં નહીં ચૂકવી ભાગી જઈ વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર 2 આરોપીઓ સામે પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે.

આ ઉપરાંત શહેરમાં જરૂરિયાતમંદ નાગરિકોને ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજે રૂપિયા વ્યાજે આપી નાગરિકોને ધાક ધમકી આપી હેરાન પરેશાન કરતા કુલ 7 આરોપીઓને પણ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

અનેક પ્રકારના ગુનાઓ આચરતા આરોપીસંખ્યા
ભયજનક257
બુટલેગર103
જાતીય સતામણી કરનાર24
જુગારનો અડ્ડો ચલાવનાર 1
વ્યાજખોરીની પ્રવુતિ કરનાર 7
સાયબર ક્રાઈમ કરનાર12
અનૈતિક વેપારની પ્રવુતિ કરનાર 3
કુલ આરોપીઓને પાસા407

વધુમાં ઇન્ટરનેટ તથા મોબાઈલ ફોનના માધ્યમથી સાયબરફ્રોડ કરી નાગરિકોના રૂપિયા ટ્રાન્સફર કરી લઈ છેતરપિંડી કરનાર કુલ 12 આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે. તેવી જ રીતે શહેરમાં નાગરિકો સાથે અવાર નવાર મારમારી કરી ખૂન કરવાના ગુનામાં પકડાયેલા 6 આરોપીઓને પણ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે તેમજ ખૂનની કોશિશના ગુનામાં પકડાયેલા 9 આરોપીઓને પણ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

વધુમાં શહેરમાં મહિલાઓની તથા સગીર વયની કિશોરીઓની છેડતી કરનાર તેમજ અપડરણ કરીને લઈ જઈ જાતીય સતામણી કરનાર 24 આરોપીઓ અને શહેરમાં ઈમોરલ ટ્રાફિકીગ ની પ્રવુતિ કરનાર ૩ આરોપીઓ સામે પણ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં મહિલાઓની તથા સગીર વયની કિશોરીઓની છેડતી કરનાર તેમજ અપહરણ કરીને લઈ જઈ જાતીય સતામણી કરનાર 24 આરોપીઓ અને શહેરમાં ઈમોરલ ટ્રાફિકીંગ ની પ્રવુતિ કરનાર ૩ આરોપીઓ સામે પણ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

છત્તીસગઢના એક ગામમાં 4 મહિનામાં 8 રહસ્યમય મોત, ગ્રામજનોમાં ફેલાયો ભય

0

છેલ્લા ચાર મહિનામાં છત્તીસગઢના બાલોદાબજાર જિલ્લાના કસડોલ વિસ્તારના ખારવે ગામમાં 8 લોકોના શંકાસ્પદ સંજોગોમાં મોત થયા છે. શરૂઆતમાં આ મૃત્યુ સામાન્ય માનવામાં આવતા હતા, પરંતુ જ્યારે એક પછી એક લોકો મૃત્યુ પામવા લાગ્યા ત્યારે ગ્રામજનોને શંકા ગઈ. ગામમાં વાત ફેલાઈ ગઈ કે આ મોત પાછળ કોઈ મોટું ષડયંત્ર હોઈ શકે છે.

કરિયાણાના વેપારીએ ભયાનક યોજના ઘડી!
ગ્રામજનોનો આરોપ છે કે ગામના એક કરિયાણાના દુકાનદાર રામસાઈ જયસ્વાલ એક રહસ્યમય ખજાનાના લોભમાં તાંત્રિક વિધિઓ અને માનવ બલિદાનનો આશરો લીધો હતો. એવો આરોપ છે કે તેણે 21 લોકોનું બલિદાન આપવાની યોજના બનાવી હતી. આ કથિત યોજનાના ભાગ રૂપે, તેણે દારૂમાં ધૂપ અથવા કોઈ ઝેરી પદાર્થ ભેળવીને તેમને તે પીવડાવ્યો.

ખજાના માટે મિત્રો અને ગ્રામજનોએ ઝેર આપીને હત્યા કરી
ગ્રામજનોના જણાવ્યા મુજબ, મૃતકે દારૂ પીધાની થોડીવારમાં જ ઉલટી, ચક્કર, બેચેની અને સ્વાસ્થ્ય બગડવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ તેમનું મૃત્યુ થયું. મૃતકોમાં વૃદ્ધો, મજૂરો અને અન્ય ગ્રામજનોનો સમાવેશ થાય છે. જોકે, હજુ સુધી તે સાબિત થયું નથી કે મૃત્યુ ઝેરથી થયા છે કે દારૂમાં ભેળસેળથી.

મૃત્યુ પાછળનું સાચું સત્ય હવે બહાર આવશે.
કેસની ગંભીરતાને જોતાં, પોલીસ અને વહીવટીતંત્રે તપાસ તેજ કરી છે. એક મૃતદેહને બહાર કાઢીને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યો છે, જ્યારે અન્ય મૃતદેહોને બહાર કાઢવાની પ્રક્રિયા ચાલુ છે. મૃત્યુનું સાચું કારણ નક્કી કરવા માટે ફોરેન્સિક નિષ્ણાતો વિસેરા અને અન્ય નમૂનાઓની તપાસ કરશે.

આ કેસમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું ખરેખર ખજાનાની શોધમાં લોકોની હત્યા કરવામાં આવી હતી, કે પછી આ માત્ર અફવા છે કે સંયોગ છે. પોલીસ ગ્રામજનોના નિવેદનો નોંધી રહી છે અને આરોપોના કેન્દ્રમાં રહેલા વ્યક્તિ સાથે સંબંધિત દરેક પાસાની તપાસ કરી રહી છે. હાલમાં, કોઈપણ શંકાસ્પદ વ્યક્તિની ભૂમિકાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

ગામમાં ગભરાટનું વાતાવરણ
800 થી વધુ વસ્તી ધરાવતા ખારવે ગામમાં મૃત્યુથી ગભરાટનું વાતાવરણ સર્જાયું છે. મહાનદીના કિનારે આવેલા આ ગામના રહેવાસીઓ હવે ખુલ્લેઆમ પોતાનો ભય વ્યક્ત કરી રહ્યા છે. પરિવારો નિષ્પક્ષ તપાસ અને દોષિત કોઈપણ સામે કડક કાર્યવાહીની માંગ કરે છે.

વડોદરા-સુરત મહાનગરપાલિકાની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બોમ્બ સ્કવોડ ઘટનાસ્થળે

વડોદરા અને સુરત મહાનગરપાલિકાની કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેઇલ મળતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને મેયરના સત્તાવાર ઈ-મેઇલ પર ધમકીભર્યો સંદેશ મોકલવામાં આવ્યો હતો.

ધમકી મળતાની સાથે જ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ હતી. બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડ તેમજ અન્ય સુરક્ષા ટીમોને તાત્કાલિક સ્થળ પર મોકલી તપાસ શરૂ કરવામાં આવી હતી. સમગ્ર કચેરી પરિસરમાં સઘન ચેકિંગ હાથ ધરાયું છે.

બીજી તરફ સુરત મહાનગરપાલિકાની કચેરીને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈ-મેઇલ મળ્યો હતો. સવારે ઈ-મેઇલ મળતા જ ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કાફલો તાત્કાલિક કચેરીએ પહોંચ્યો હતો. સુરક્ષા દળોએ સમગ્ર પરિસરની તપાસ હાથ ધરી છે.

પ્રાથમિક તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી હોવાની માહિતી સામે આવી નથી. જોકે સુરક્ષા એજન્સીઓ કોઈપણ સંભાવનાને અવગણવા તૈયાર નથી અને સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં અગાઉ પણ આવા પ્રકારના ધમકીભર્યા અને ફેક ઈ-મેઇલ મળવાના બનાવો બની ચૂક્યા છે. હાલ સાયબર ક્રાઈમ પોલીસે ઈ-મેઇલ મોકલનારની ઓળખ મેળવવા અને તેની પાછળના તત્વો સુધી પહોંચવા તપાસ શરૂ કરી છે.

G7 સમિટમાં મોદી-મેલોનીની ફરી મુલાકાત, ‘ઇન્સ્ટાગ્રામ પર અમે સૌથી વધુ ફેમસ’ની ચર્ચા

0

મુખ્ય વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે G7 સમિટ માટે ફ્રાન્સના એવિયન શહેરમાં વિશ્વ નેતાઓ એકઠા થઈ રહ્યા છે, ત્યારે ઔપચારિક બેઠકો અને નીતિગત ચર્ચાઓની બહાર એક વિડિઓ પર ચર્ચા થઈ રહી છે. ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની બીજી એક રમુજી વાતચીતે બધાનું ધ્યાન ખેંચ્યું છે.

જ્યારે નેતાઓ શિખર સંમેલનમાં પરંપરાગત ગ્રુપ ફોટો માટે ભેગા થયા, ત્યારે મેલોની અને પીએમ મોદી એકબીજાને ઉષ્માભર્યું અભિવાદન કરતા જોવા મળ્યા. મેલોની પીએમ મોદીને કહેતા સાંભળવામાં આવ્યા, “તમને ફરીથી જોઈને આનંદ થયો.”

સોશિયલ મીડિયા પર “મેલોડી” ટ્રેન્ડનો ઉલ્લેખ કરતા, પીએમ મોદીએ ઇન્સ્ટાગ્રામ પર તેમની લોકપ્રિયતાનો ઉલ્લેખ કર્યો. મેલોનીએ તરત જ રમતિયાળ જવાબ આપ્યો, “હા, અમે ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધારે ફેમસ છીએ.”

મેલોડી ટ્રેન્ડ વાયરલ થયો
પીએમ મોદી અને મેલોનીની અટકનું સંયોજન, મેલોડી, છેલ્લા ત્રણ વર્ષમાં એક લોકપ્રિય ઓનલાઈન ટ્રેન્ડ બની ગયું છે. 2023 માં દુબઈમાં COP28 સમિટ દરમિયાન મેલોની દ્વારા પોસ્ટ કરાયેલી એક સેલ્ફી વૈશ્વિક ઇન્ટરનેટ ટ્રેન્ડ બની હતી. ઇટાલિયન નેતાએ પીએમ મોદી સાથેનો એક ફોટો શેર કર્યો હતો અને તેના કેપ્શનમાં લખ્યું હતું, “COP28 માં સારા મિત્રો #Melodi.” આ હેશટેગ વાયરલ થયો હતો. ત્યારથી, G7 સમિટ, આંતરરાષ્ટ્રીય પરિષદો અથવા દ્વિપક્ષીય બેઠકો જેવા કાર્યક્રમોમાં તેનો વારંવાર ઉપયોગ કરવામાં આવે છે.

પછી, ગયા મહિને રોમની મુલાકાત દરમિયાન, ભારતીય વડા પ્રધાને મેલોનીને “મેલોડી” કેન્ડીનું પેકેટ ભેટમાં આપ્યું હતું. શેર કરેલા વિડીયોમાં, મેલોનીએ કહ્યું હતું કે, “વડાપ્રધાન મોદી અમને ભેટ લાવ્યા છે… કેટલીક ખૂબ જ સરસ કેન્ડી.” આ વિડીયો ઝડપથી વાયરલ થયો, ઓનલાઈન પોસ્ટ થયાના છ કલાકમાં જ તેને 100 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા હતા. હાલમાં તેમને 13 મિલિયનથી વધુ લાઈક્સ મળ્યા છે.

લગ્નના નામે મોટી છેતરપિંડી: સુરતના યુવકને વડોદરા બોલાવી યુવતીએ ખંખેર્યા રૂપિયા

0

વડોદરામાં મેટ્રોમોનિયલ સાઇટના માધ્યમથી લગ્ન કરવા યુવકને બોલાવી હનીટ્રેપમાં ફસાવતી ગેંગનો પર્દાફાશ થયો હતો. સુરતના યુવકને દિલ્લીની યુવતીએ વડોદરા લગ્નના બહાને બોલાવી ખંખેરવામાં આવ્યો હતો. આ કેસમાં લીવ ઈનમાં રહેતા યુવક-યુવતીની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં યુવતીના પૂર્વ પતિની પણ સંડોવણી બહાર આવી હતી.

સુરતના વતની અને સુપરવાઇઝર તરીકે કામ કરતા યુવકના 7 વર્ષ પહેલાં છૂટાછેડા થઈ ચૂક્યા હતા. યુવકે બીજા લગ્ન માટે મેટ્રિમોનિયલ સાઇટ પર પ્રોફાઇલ બનાવી હતી. ત્યાં તેનો સંપર્ક હાલ વડોદરામાં રહેતી મૂળ દિલ્લીની યુવતી સાથે થયો હતી. યુવતીએ તેને મળવા માટે વડોદરા બોલાવ્યો હતો. ભાયલી વિસ્તારમાં યુવતી યુવકની કારમાં બેસી ગઈ અને તેને ‘સિટીમાં ફરવા’ જવા કહ્યું હતું.

કારમાં ફરતી વખતે યુવતીએ ઘરેથી ફોન આવે છે તેમ કહીને ગાડી સાઇડમાં રખાવી અને પોતે નીચે ઉતરી ગઈ હતી. યુવતી નીચે ઉતરતા જ ત્યાં બે અજાણ્યા માણસો આવ્યા હતા. તેમણે યુવકને લાફા માર્યા, મારી નાખવાની ધમકી આપી અને કારની બાજુની સીટ પર બેસાડી દીધો હતો. એક માણસ પોતે ડ્રાઇવિંગ કરવા લાગ્યો હતો.

યુવતી અને તેના સાગરીતોએ ભેગા મળીને યુવકનો ફોન અને પાકીટ લૂંટી લીધા હતા. કાર ચાલુ હતી ત્યારે જ યુવકે હિંમત કરીને ડ્રાઇવરને લાત મારી, જેથી કાર ધીમી પડી હતી. જેના કારણે યુવક કારનો દરવાજો ખોલી કૂદીને ભાગી છૂટ્યો હતો અને નજીકના ફ્લેટમાં મદદ માગી હતી. શરૂઆતમાં કોઈએ મદદ ન કરી, પણ આખરે તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો.

જે બાદ આરોપીઓ યુવકની કાર ભાયલી કેનાલ રોડ પર છોડીને પોતાના ફ્લેટ પર ભાગી ગયા હતા. ગોત્રી પોલીસે ગણતરીના કલાકોમાં જ ફ્લેટ પર દરોડો પાડીને યુવક અને યુવતીને પકડી લીધા હતા. જ્યારે આ કાવતરામાં સામેલ યુવતીનો પૂર્વ પતિ ફરાર થઈ ગયો હતો, જેને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

રાજસ્થાનથી સુરત આવતી બસનો વડોદરામાં અકસ્માત, 9 વર્ષના બાળક સહિત 6નાં મોત

વડોદરા શહેરના કોટમબી સ્ટેડિયમ નજીક ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માતમાં 6ના મોત થયા છે અને 31 લોકો ઈજાગ્રસ્ત થયા છે. રાજસ્થાનના બાસવાડાથી સુરત જતી બાલાજી ટ્રાવેલ્સની લક્ઝરી બસના ચાલકે આગળ ઊભી રહેલી ટ્રકને ટક્કર મારી હતી. અકસ્માતમાં અનેક મુસાફરો ફસાયા હોવાની માહિતી સામે આવી હતી.

ઘટનાસ્થળે બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. SDRF, NDRF અને વડોદરા ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે. ઘાયલોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. અકસ્માતના કારણે વિસ્તારમાં ભારે ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા છે.

અકસ્માતની જાણ થતાં જ વડોદરા પોલીસ, ફાયર ફાઇટરની ટીમ સહિત NDRF અને SDRFની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. બસની બોડી કાપીને અંદર ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા ભારે જહેમત બાદ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાસ્થળેથી અત્યાર સુધીમાં કેટલાક મૃતદેહોને બહાર કાઢી પીએમ અર્થે ખસેડાયા છે, જ્યારે હજુ પણ બચાવ કામગીરી સતત ચાલુ છે.

તમામ 26 જેટલા ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલ (SSG) ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની ગંભીરતાને જોતાં હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડના બેડ ઇજાગ્રસ્તોથી ઉભરાઈ ગયા છે. હોસ્પિટલ ખાતે અત્યાર સુધીમાં 5 લોકોના મૃતદેહ લાવવામાં આવ્યા છે. ઘટનાની ગંભીરતાને પગલે વડોદરા પાલિકાના ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ પણ તાત્કાલિક SSG હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્તોની સારવાર અંગે તબીબો સાથે સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી હતી. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇજાગ્રસ્તો પૈકી કેટલાક મુસાફરોની સ્થિતિ અત્યંત ગંભીર હોવાથી મોતના આંકડામાં હજુ પણ વધારો થવાની આશંકા સેવાઈ રહી છે.

કોટમ્બી વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ

આ ભયાનક અકસ્માતને પગલે કોટમ્બી અને મછલીપૂરા વિસ્તારના હાઈવે પર ભારે અરેરાટીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતગ્રસ્ત વાહનો અને બચાવ કામગીરીને કારણે હાઈવે પર કિલોમીટરો લાંબો ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વાહનોને ડાયવર્ટ કરી ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી છે. ઉપરી અધિકારીઓ સહિતનો કાફલો હાલ ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે વ્યવસ્થા જાળવવામાં જોતરાયો છે.

સુરતમાં 11 વર્ષના વિધાર્થીએ સહપાઠી પર ચપ્પુ વડે હુમલો કર્યો, હોસ્પિટલમાં સારવાર હેઠળ

સુરતના ઉધના વિસ્તારમાં આવેલી એક મનપા સંચાલિત શાળામાંથી અત્યંત ગંભીર અને ચિંતાજનક ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, શાળામાં સાથે અભ્યાસ કરતા બે 11 વર્ષીય વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ સામાન્ય બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ વિવાદે બાદમાં હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. શાળા છૂટવાના સમયે એક વિદ્યાર્થીએ પોતાની પાસે રહેલું તીક્ષ્ણ ચપ્પુ કાઢી અન્ય વિદ્યાર્થી પર આડેધડ ઘા ઝીંકી દીધા હતા.

ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો

અચાનક થયેલા હુમલામાં વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેના શરીર પર અનેક ઈજાઓ પહોંચી હતી. ઘટનાના પગલે શાળા પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોહીલુહાણ હાલતમાં વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હાલ હોસ્પિટલમાં તેની સઘન સારવાર ચાલી રહી છે.

ઉધના પોલીસનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યો

ઘટનાની જાણ થતાં જ ઉધના પોલીસનો કાફલો ઘટનાસ્થળે તેમજ હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. માત્ર 11 વર્ષની ઉંમરના વિદ્યાર્થીના સ્કૂલ બેગમાંથી ચપ્પુ મળી આવવાની ઘટના વાલીઓ અને શિક્ષણ જગત માટે ચિંતાનો વિષય બની છે. આ બનાવે બાળકોના વર્તન, મિત્રવર્તુળ અને તેમની પ્રવૃત્તિઓ અંગે વધુ સજાગ રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

ઈજાગ્રસ્ત બાળકની માતાના જણાવ્યા અનુસાર તેમનો પુત્ર ઉધનાની મરાઠી શાળામાં અભ્યાસ કરે છે. બપોરે અંદાજે 12:30 થી 12:45 વાગ્યાના સમયગાળા દરમિયાન આ ઘટના બની હતી. હુમલો કરનાર વિદ્યાર્થી પણ એ જ શાળામાં અભ્યાસ કરે છે, પરંતુ પીડિત પરિવાર તેને વ્યક્તિગત રીતે ઓળખતો નથી. હુમલો કર્યા બાદ આરોપી વિદ્યાર્થી ત્યાંથી ભાગી ગયો હોવાનું જણાવવામાં આવ્યું છે.

માતાએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે ઘટનાના સમયે શાળાની કેટલીક શિક્ષિકાઓ પણ હાજર હતી, છતાં તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવામાં આવી નહોતી અને સવારે આવીને વાત કરવાની વાત કહી મામલો ટાળવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતા જોતા પોલીસે વાલીઓ પાસેથી વિગતો મેળવી તપાસ હાથ ધરી છે.

હાલ ગંભીર રીતે ઘાયલ વિદ્યાર્થીને ઓપરેશન થિયેટરમાં લઈ જઈ સર્જરી કરવામાં આવી રહી છે. સમગ્ર ઘટનાને લઈને પરિવારજનોએ બાળકને ન્યાય મળે તેવી માંગ ઉઠાવી છે. 11 વર્ષના બાળકના સ્કૂલ બેગમાંથી ચપ્પુ મળી આવવું અને આવી હિંસક ઘટના બનવી તે ખરેખર ચિંતાજનક છે અને પીડિત માતાએ પોતાના બાળકને ન્યાય મળે તેવી ઉગ્ર માંગ કરી છે.

આ ઘટના માત્ર એક શાળા પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર સમાજ અને વાલીઓ માટે ચેતવણીરૂપ છે. નાની ઉંમરમાં બાળકોમાં વધતી હિંસક માનસિકતા અને શાળામાં હથિયાર લઈને પહોંચવાની ઘટના ગંભીર ચિંતાનો વિષય બની છે. પીડિત વિદ્યાર્થીની માતાએ દોષિત સામે કડક કાર્યવાહી કરવાની અને પોતાના બાળકને ન્યાય અપાવવાની માંગ કરી છે.

ચીનનો કિંગહાઈ પ્રાંતમાં ભૂકંપનો પ્રચંડ ઝટકો: 6.3ની તીવ્રતા બાદ 40 મિનિટમાં 7 આફ્ટરશોક્સ

0

ઉત્તર-પશ્ચિમ ચીનનો કિંગહાઈ પ્રાંત મંગળવારે સાંજે આવેલા શક્તિશાળી ભૂકંપથી હચમચી ગયો હતો. કિંગહાઈ પ્રાંતના હાઈક્સી મોંગોલ અને તિબેટીયન સ્વાયત્ત પ્રીફેક્ચર વિસ્તારમાં રિક્ટર સ્કેલ પર 6.3ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ભૂકંપના જોરદાર આંચકાના કારણે સમગ્ર વિસ્તારમાં લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘણા લોકો સુરક્ષા માટે પોતાના ઘરો, દુકાનો અને ઓફિસોમાંથી બહાર નીકળી ખુલ્લી જગ્યાઓ તરફ દોડી ગયા હતા.

ભૂકંપનો આંચકો એટલો શક્તિશાળી હતો કે દૂરના વિસ્તારોમાં પણ ધરતી ધ્રૂજવાની અસર અનુભવાઈ હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, અચાનક આવેલા આંચકાથી લોકો ગભરાઈ ગયા હતા અને કેટલાક સમય સુધી ઘરોમાં પરત જવાની હિંમત કરી શક્યા નહોતા. પ્રશાસને લોકોને સાવચેતી રાખવા અને કોઈપણ અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે.

ભૂકંપનું કેન્દ્ર અને સમય
ચીન ભૂકંપ નેટવર્ક સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ, આ ભૂકંપ બેજિંગના સ્થાનિક સમય અનુસાર સાંજે 5:06 વાગ્યે નોંધાયો હતો. ભારતીય સમય પ્રમાણે આ ભૂકંપ લગભગ બપોરે 2:36 વાગ્યે આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ કિંગહાઈ પ્રાંતના હાઈક્સી વિસ્તારમાં નોંધાયું હતું. વૈજ્ઞાનિક માહિતી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર 37.80 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 95.56 ડિગ્રી પૂર્વ રેખાંશ પર હતું. આ ભૂકંપ જમીનની સપાટીથી લગભગ 10 કિલોમીટર ઊંડાઈએ સર્જાયો હતો.

નિષ્ણાતોના મતે, ઓછી ઊંડાઈએ આવતા ભૂકંપ વધુ ખતરનાક બની શકે છે કારણ કે ભૂકંપની ઊર્જા જમીનની સપાટી સુધી ઓછા નુકસાન સાથે પહોંચે છે અને તેના કારણે ઇમારતો, રસ્તાઓ તથા અન્ય માળખાઓ પર વધુ અસર થઈ શકે છે.

મુખ્ય ભૂકંપ બાદ સતત આફ્ટરશોક્સ, 40 મિનિટમાં 7 આંચકા
કિંગહાઈમાં આવેલા મુખ્ય ભૂકંપ બાદ સૌથી મોટી ચિંતા આફ્ટરશોક્સને લઈને જોવા મળી રહી છે. મુખ્ય આંચકા બાદ માત્ર 40 મિનિટની અંદર 7 જેટલા આફ્ટરશોક્સ નોંધાયા હતા. આ આફ્ટરશોક્સમાંથી કેટલાક હળવા હતા, પરંતુ એક આંચકાની તીવ્રતા લગભગ 5.0ની આસપાસ માપવામાં આવી હતી. સતત આવતા આંચકાઓને કારણે લોકોમાં ભય ફેલાયો હતો. ઘણા લોકોએ રાત્રી દરમિયાન પણ બહાર રહેવાનું પસંદ કર્યું હતું. ભૂકંપ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, મોટા ભૂકંપ બાદ નાના આંચકા આવવા સામાન્ય પ્રક્રિયા છે, પરંતુ તેની તીવ્રતા અને સંખ્યા પર સતત નજર રાખવી જરૂરી હોય છે.

કિંગહાઈ વિસ્તારની ભૌગોલિક સ્થિતિ
કિંગહાઈ ચીનનો એક વિશાળ પરંતુ ઓછી વસ્તી ધરાવતો પ્રાંત છે. આ વિસ્તાર તિબેટીયન ઉચ્ચપ્રદેશ નજીક આવેલો છે અને અહીં મોટા ભાગે પહાડી તથા પથરાળ ભૂમિ જોવા મળે છે. ભૂકંપનું કેન્દ્ર જે વિસ્તારમાં આવ્યું છે ત્યાં વસ્તીનું પ્રમાણ ઓછું હોવાથી મોટી જાનહાનિ ટળી હોવાની શક્યતા છે. જોકે પહાડી વિસ્તારોમાં આવેલા કેટલાક નાના ગામોમાં મકાનો, દિવાલો અને સ્થાનિક માળખાને નુકસાન પહોંચ્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે. પ્રારંભિક માહિતી મુજબ, અત્યાર સુધી મોટા પાયે જાનહાનિ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. પરંતુ બચાવ ટીમો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં તપાસ ચાલુ છે.

ચીનમાં ભૂકંપનું મોટું કારણ શું છે?
ચીનના પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ વિસ્તારો ભૂકંપની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ ગણાય છે. કિંગહાઈ, સિચુઆન અને તિબેટ જેવા વિસ્તારો ટેક્ટોનિક પ્લેટોની હલચલવાળા વિસ્તારમાં આવે છે. અહીં ભારતીય પ્લેટ અને યુરેશિયન પ્લેટ વચ્ચે સતત અથડામણ થાય છે. આ ભૂગર્ભીય દબાણના કારણે પૃથ્વીની અંદર ઊર્જા એકઠી થાય છે અને અચાનક મુક્ત થતાં ભૂકંપ સર્જાય છે. ભૂતકાળમાં પણ ચીનના આ વિસ્તારોમાં અનેક મોટા ભૂકંપ આવ્યા છે, જેના કારણે જાનમાલનું ભારે નુકસાન થયું છે.

રાહત અને બચાવ કામગીરી શરૂ
ભૂકંપ બાદ ચીનના સ્થાનિક પ્રશાસન અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે નિષ્ણાતોની ટીમો મોકલવામાં આવી છે. રેસ્ક્યૂ ટીમો દ્વારા અસરગ્રસ્ત ગામડાઓની તપાસ, રસ્તા અને પુલોની સ્થિતિનું મૂલ્યાંકન, વીજળી અને સંચાર વ્યવસ્થાની ચકાસણી તેમજ ઇમરજન્સી સેવાઓને તૈયાર રાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. નજીકની હોસ્પિટલોને પણ એલર્ટ પર રાખવામાં આવી છે જેથી કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિમાં તરત સારવાર મળી શકે.

હાલ સ્થિતિ પર પ્રશાસનની નજર
હાલમાં ચીનનું પ્રશાસન ભૂકંપ પછીની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. ખાસ કરીને આફ્ટરશોક્સની સંભાવનાને ધ્યાનમાં રાખીને લોકોને સાવચેત રહેવા જણાવાયું છે. કિંગહાઈના આ ભૂકંપે ફરી એકવાર યાદ અપાવ્યું છે કે પૃથ્વીની ટેક્ટોનિક હલચલને કારણે વિશ્વના કેટલાક વિસ્તારોમાં કુદરતી આફતોનો ખતરો સતત રહે છે. બચાવ અને સર્વે કામગીરી પૂર્ણ થયા બાદ જ નુકસાનની સંપૂર્ણ તસવીર સ્પષ્ટ થશે.

કચ્છના દિવ્યાંગ ખેલાડીઓનો કમાલ: રાજ્ય પાવરલિફ્ટિંગમાં બે ગોલ્ડ જીતી વધાર્યું ભુજનું ગૌરવ

0

ભુજ સહિત સમગ્ર કચ્છ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. સુરતમાં યોજાયેલી ગુજરાત સ્ટેટ પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-2026માં કચ્છના બે યુવા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને સુવર્ણ ચંદ્રક પોતાના નામે કર્યા છે. ખાસ કરીને દિવ્યાંગ યુવાન નિત્ય અશોક હાથીએ પોતાની અદમ્ય ઈચ્છાશક્તિ અને મહેનતના બળે ગોલ્ડ મેડલ જીતીને સૌને પ્રેરણા આપી છે.

દિવ્યાંગ હોવા છતાં નિત્ય હાથીએ રચ્યો ઇતિહાસ
ભુજના 20 વર્ષીય નિત્ય અશોક હાથીએ બેન્ચ પ્રેસ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને ગોલ્ડ મેડલ મેળવ્યો છે. પગમાં શારીરિક તકલીફ હોવા છતાં તેણે ભારે વજન ઉપાડીને પોતાની ક્ષમતા સાબિત કરી છે. આ સિદ્ધિ સાથે નિત્ય કચ્છમાંથી બેન્ચ પ્રેસ કેટેગરીમાં રાજ્ય સ્તરે ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ દિવ્યાંગ યુવાન બન્યો હોવાનું માનવામાં આવે છે. નિત્ય ભુજ નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ અશોક હાથીના પુત્ર છે. તેમની આ સફળતાએ માત્ર પરિવાર જ નહીં પરંતુ સમગ્ર કચ્છને ગૌરવ અપાવ્યું છે.

ધારા શર્માએ પણ ગોલ્ડ જીતી વધાર્યું કચ્છનું ગૌરવ
આ જ સ્પર્ધામાં ભુજની 18 વર્ષીય ધારા શર્માએ પણ પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક હાંસલ કરીને કચ્છનું નામ રોશન કર્યું છે. ધારા હાલમાં ડિગ્રી અભ્યાસના અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહી છે. અભ્યાસ સાથે રમતગમતમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને તેણે યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

કોચ વત્સલ મહેશ્વરીના માર્ગદર્શનનો મળ્યો લાભ
નિત્ય હાથી અને ધારા શર્મા બંનેએ વિશ્વ ચેમ્પિયન પાવરલિફ્ટર વત્સલ મહેશ્વરીના માર્ગદર્શન હેઠળ તાલીમ મેળવી હતી. ભુજ સ્થિત જીમ 360 ફિટનેસ પોઈન્ટમાં બંને ખેલાડીઓએ સઘન પ્રેક્ટિસ કરી હતી. સ્પર્ધા દરમિયાન પણ વત્સલ મહેશ્વરી કોચ તરીકે હાજર રહી ખેલાડીઓને માર્ગદર્શન આપ્યું હતું.

યુવા ખેલાડીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની સફળતા
કચ્છના આ બંને ખેલાડીઓની સિદ્ધિએ સાબિત કર્યું છે કે મજબૂત મનોબળ, સતત મહેનત અને યોગ્ય માર્ગદર્શન મળે તો કોઈપણ પડકારને પાર કરી શકાય છે. ખાસ કરીને દિવ્યાંગ યુવાન નિત્ય હાથીની સફળતા અનેક યુવાનો માટે પ્રેરણાનું જીવંત ઉદાહરણ બની છે. આ સિદ્ધિ બદલ બંને ખેલાડીઓને વિવિધ સામાજિક, રમતગમત અને શૈક્ષણિક સંસ્થાઓ તરફથી અભિનંદન મળી રહ્યા છે.

ખેડૂતો બાદ હવે આવતીકાલથી શિક્ષકોનું રાજ્યભરમાં આંદોલન

રાજ્યમાં ખેડૂતોના આંદોલન બાદ હવે શિક્ષકો પણ પોતાની વિવિધ માંગણીઓ સાથે રસ્તા પર ઉતરવાની તૈયારીમાં છે. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘની બેઠકમાં આવતીકાલથી 20 જૂન સુધી રાજ્યના તમામ જિલ્લાઓમાં ધરણા, વિરોધ પ્રદર્શન અને આવેદનપત્ર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષક સંઘો દ્વારા અલગ-અલગ કાર્યક્રમો યોજીને સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણયનો વિરોધ કરવામાં આવશે.

તાજેતરમાં સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો છે કે શિક્ષણ સેવામાં કાર્યરત તમામ શિક્ષકો માટે ટિચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET) પાસ કરવી ફરજિયાત રહેશે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જેમની નિવૃત્તિને પાંચ વર્ષથી વધુ સમય બાકી છે, તેમણે નોકરી ચાલુ રાખવા અથવા બઢતી મેળવવા માટે TET પરીક્ષા પાસ કરવી પડશે. જો તેઓ પરીક્ષા પાસ નહીં કરે તો તેમને રાજીનામું આપવું પડશે અથવા ફરજિયાત નિવૃત્તિ સ્વીકારવી પડશે. જોકે નિવૃત્તિમાં પાંચ વર્ષ કે તેથી ઓછો સમય બાકી હોય એવા શિક્ષકોને રાહત આપવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટના આ નિર્ણય સામે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘે વિરોધ નોંધાવ્યો છે. સંઘના પ્રતિનિધિઓની બેઠકમાં નિર્ણયને અયોગ્ય ગણાવી રાજ્યવ્યાપી આંદોલન કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. શિક્ષક નેતાઓનું કહેવું છે કે 2010 પહેલાં ભરતી થયેલા શિક્ષકોની નિમણૂક તે સમયના નિયમો મુજબ થઈ હતી અને તે સમયે TET પરીક્ષાનું કોઈ અસ્તિત્વ નહોતું.

શિક્ષક સંઘના જણાવ્યા મુજબ રાજ્યના અંદાજે એક લાખ જેટલા શિક્ષકો પર હવે TET પાસ કરવાનો દબાણ ઉભો થયો છે. આ શિક્ષકો વર્ષોથી સેવા આપી રહ્યા છે અને હવે 25થી 27 વર્ષ બાદ નવી શરત લાદવામાં આવી રહી હોવાનું તેઓ માને છે.

આંદોલનના ભાગરૂપે રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં 17 જૂનથી 20 જૂન સુધી કલેક્ટર કચેરીઓ ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવશે. ત્યારબાદ રાજ્ય સરકાર અને સંબંધિત સત્તાધીશોને આવેદનપત્ર પાઠવીને 2010 પહેલાં ભરતી થયેલા શિક્ષકોને TETમાંથી મુક્તિ આપવાની માંગ કરવામાં આવશે.

અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ખોડુભાઈ પઢિયારે જણાવ્યું હતું કે શિક્ષકોની ભરતી વર્ષ 1997-98થી રાજ્ય સરકારના નિયમો મુજબ થઈ છે. તે સમયે TET જેવી કોઈ પરીક્ષા અમલમાં નહોતી. 2010 બાદ TETની શરૂઆત થઈ હતી, તેથી જૂના શિક્ષકો પર હવે આ શરત લાદવી યોગ્ય નથી.

શિક્ષક સંઘે અન્ય માંગણીઓ પણ સરકાર સમક્ષ મૂકી છે. તેમાં 1 એપ્રિલ 2005 બાદ ભરતી થયેલા શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ આપવો, ધોરણ 6થી 8ના શિક્ષકો માટે અલગ ગ્રેડ પે નક્કી કરવો તેમજ HTAT આચાર્યોને આપવામાં આવેલા વધારાના વહીવટી ચાર્જ અંગે યોગ્ય નિર્ણય લેવાની માંગનો સમાવેશ થાય છે. અમદાવાદ સહિત રાજ્યના તમામ જિલ્લાઓમાં શિક્ષકો દ્વારા આગામી દિવસોમાં ધરણા પ્રદર્શન યોજાશે અને પોતાની માંગણીઓ અંગે સરકારનું ધ્યાન દોરવામાં આવશે.