Home Blog Page 388

ઇતિહાસનો સૌથી મોટો ડેટા લીક: 16 અબજ પાસવર્ડ ઈન્ટરનેટ પર લીક, તરત પાસવર્ડ બદલો!

0

ઈન્ટરનેટ ક્રાંતિને કારણે લગભગ દરેક વ્યક્તિ સુધી ઈન્ટરનેટ પહોંચ્યું છે. આધુનિક યુગને ‘ડેટા યુગ’ કહેવામાં આવે છે. આ સાથે ડેટા લીક થવાની ચિંતા પણ સતત વધી રહી છે. એવામાં એક મેજર ડેટા બ્રીચ થયું હોવાના અહેવાલો પ્રકાશિત થયા છે. એહવાલ મુજબ 16 અબજથી વધુ લોગિન ક્રેડેન્શિયલ લીક થઇ ગયા છે. જેની ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ગૂગલ અને એપલના યુઝર્સને અસર થઇ શકે છે. નિષ્ણાતો આ ડેટા બ્રીચને ઇન્ટરનેટ ઇતિહાસનો સૌથી મોટો ડેટા બ્રીચ ગણાવી રહ્યા છે.

કઈ રીતે થયો ડેટા લીક:
અહેવાલ મુજબ વર્ષોની તૈયારી બાદ આ ડેટા બ્રીચને અંજામ આપવામાં આવ્યો હતો. આ કોઈ સાઈબર અટેક ન હતો, તેના માટે કોઈ ફાયરવોલ બ્રેક કરવામાં નથી આવી, કોઈ ઝિરો-ડે ખામીઓ ઓપન કવામાં આવી ન હતી, તેના બદલે એક ધીમી પ્રક્રિયાથી આ ડેટા ચોરી કરવામાં આવ્યો, જેનાં માટે વર્ષો લાગ્યા હતા. ઇન્ફોસ્ટીલર માલવેરનો ઉપયોગ કરીને ડેટા ચૂપચાપ એકઠો કરવામાં આવ્યો. કોઈને ખબર પડ્યા વગર ચૂપચાપ લોગિન આઈડી અને પાસવર્ડ ચોરી કરવામાં આવ્યા.

કરોડો લોકોને થઇ શકે છે અસર:
ચોરી થયેલા ડેટાસેટમાં યુઝરનેમ, પાસવર્ડ, ઓથેન્ટિકેશન ટોકન્સ, સેશન કૂકીઝ અને પર્સનલ યુઝર્સ અને પ્લેટફોર્મ પર મેટાડેટા સંબંધિત ડેટાનો સમાવેશ થાય છે.અહેવાલ મુજબ, જેમની પાસે મલ્ટી-ફેક્ટર ઓથેન્ટિકેશન નથી એવી પ્લેટફોર્મ માટે આ ડેટા બ્રીચ ખતરનાક સાબિત થઇ શકે છે. જો તમે હજુ પણ જુના પાસવર્ડનો ઉપયોગ કરી રહ્યા છો અથવા વધારાના સુરક્ષા સ્ટેપનું પાલન નથી કરી રહ્યા, તો તમે ગંભીર મુશ્કેલીમાં મુકાઈ શકો છો.

CERT-Inએ એડવાઈઝરી જાહેર કરી:
આ મોટા ડેટા લીક જાણ થયા બાદ ભારતની સાયબર સુરક્ષા એજન્સી કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) એ તાત્કાલિક એડવાઈઝરી જાહેર કરી છે. જે મુજબ Apple, Google, Facebook, Telegram, GitHub અને ઘણી VPN સર્વિસ પરથી એકત્રિત કરવામાં આવેલી સંવેદનશીલ માહિતીના મોટા પાયે લીક થઇ છે.

કોઈ પણ જોખમ ટાળવા માટે, CERT-In એ બધા યુઝર્સને તાત્કાલિક પાસવર્ડ અપડેટ કરવાની સલાહ આપી, ખાસ કરીને બેંકિંગ, સોશિયલ મીડિયા અને સરકારી પોર્ટલ પ્લેટફોર્મ પર. આ ઉપરાંત એજન્સીએ વધુ સુરક્ષા માટે મલ્ટિ-ફેક્ટર ઓથેન્ટિકેશન શરુ કરવા, ફિશિંગ પ્રયાસો પ્રત્યે સતર્ક રહેવા અને સુરક્ષિત ક્રેડેન્શિયલ જનરેટ કરવા અને વિશ્વસનીય પાસવર્ડ મેનેજરનો ઉપયોગ કરવાની પણ ભલામણ કરી છે.

સુરતમાં ખાડીપૂર બાદ વકર્યો રોગચાળો, 12 દિવસમાં ઝાડા-ઉલટી અને તાવથી 10 લોકોના મોત

સુરત શહેરમાં બદલાતા હવામાનની લોકોનાં સ્વાસ્થ્ય પર અસર-વર્તાઈ રહી છે. ચોમાસાની ઋતુને કારણે મલેરિયા, ડેન્ગ્યુ, ઊલટી-ઝાડા, શરદી-ખાંસી, તાવ જેવા મોસમી રોગોથી પીડાતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી પ્રમાણે, ઓપીડીમાં દરરોજ 10થી 12 ટકા વધુ કેસ આવી રહ્યા છે. જો સતત વરસાદ ચાલુ રહેશે તો આગામી દિવસોમાં મોસમી રોગોનાં કેસમાં વધારાને શક્યતા નકારી શકાય નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 12 દિવસમાં સુરતમાં ઝાડા-ઊલટી અને તાવથી બાળકો સહિત 10નાં મોત થયાં છે.

શહેરમાં મોસમી રોગોના 733 દર્દી

જૂન મહિનાના આંકડાઓ પર નજર કરીએ તો, નવી સિવિલ હોસ્પિટલમાં 223 મલેરિયા અને 113 ડેન્ગ્યુ સહિત મોસમી રોગોના કુલ 733 દર્દી દાખલ થયા છે. જૂનના છેલ્લા અઠવાડિયાથી શહેરમાં ચોમાસાએ દસ્તક આપી છે. આ ઋતુમાં સ્વાસ્થ્ય પ્રત્યે થોડી બેદરકારી પણ મોંઘી સાબિત થઈ શકે છે. નવી સિવિલ સ્પિટલના તબીબે જણાવ્યું હતું કે હવામાનમાં ફેરફારની અસર હવે લોકો પર દેખાઈ રહી છે, જેના કારણે મોસમી રોગોથી પીડાતા દર્દીઓની સંખ્યામાં 10થી 12 ટકાનો વધારો થયો છે.

વરસાદી પાણીતી મચ્છરજન્ય રોગચાળો વધ્યો

વરસાદની ઋતુમાં મલેરિયા, ડેન્ગ્યુ, શરદી, ફ્લૂ વાઇરલ તાવના વધુ કેસ સામે આવી રહ્યા છે. ભારે વરસાદને કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં ખાડીનું પાણી-પ્રવેશ્યાં હતાં. એ જ સમયે સોસાયટીઓમાં પાણી ભરવાથી મચ્છરજન્ય રોગો વધી રહ્યા છે. મલેરિયા અને ડેન્ગ્યુ ઉપરાંત, વરસાદ દરમિયાન હેપેટાઇટિસ, ટાઈફોઈડ, કમળો અને તીવ્ર ગેસ્ટ્રો અને ચામડી પર ખંજવાળના દર્દીઓ પણ મોટી સંખ્યામાં આવી રહ્યા છે.

વરસાદ બંધ થતાં દર્દીઓનો ક્રમશઃ વધારોઃ ડો. જિગીષા

સુરત સિવિલ હોસ્પિટલનાં ડોક્ટર જિગીષા પાટિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા 15 દિવસથી ચોમાસાનો વરસાદી માહોલ છે. વરસાદ બંધ થયા બાદ હોસ્પિટલમાં દર્દીઓનો ક્રમશઃ વધારો થતો હોય છે. સિવિલ હોસ્પિટલમાં મુખ્ય બે મેડિસન અને પીડિયાટ્રિક વિભાગમાં 600થી વધુ ઓપીડી આવી રહી છે. સામાન્ય દિવસ કરતા તેમાં ક્રમશઃ વધારો થયો છે. હાલ જે દર્દીઓ આવે છે તેમાં ઝાડા-ઊલટી, શરદી-ઉધરસ, તાવ અને ચામડીના ખંજવાળનો દર્દીઓનો સમાવેશ થાય છે.

15 દિવસમાં 10થી વધુ લોકોનાં મોત

છેલ્લા 15 દિવસમાં શહેરના વિવિધ વિસ્તારોમાં મોસમી રોગોથી મૃત્યુના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. અત્યારસુધીમાં 10થી વધુ લોકોના મોતની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન આરોગ્ય વિભાગ સ્વચ્છતા અભિયાન અને જંતુનાશક દવાના છંટકાવમાં બેદરકારી દાખવી રહ્યું છે. પાંડેસરા, ભેસ્તાન, પુણાગામ, ગોડાદરા, ડિંડોલી સહિતના વિવિધ વિસ્તારોમાં લોકો બીમારીના કારણે અને સારવારના અભાવે મૃત્યુ પામી રહ્યા છે.

કંડલા પોર્ટ પાસે હોંગકોંગના માલવાહક જહાજમાં ભયંકર વિસ્ફોટ, 21 ક્રુ-મેમ્બર સુરક્ષિત

પશ્ચિમ કાંઠાના મહાબંદર કંડલા ખાતે મિથેનોલ કેમિકલ ખાલી કરીને પરત જઈ રહેલાં માલવાહક જહાજમાં તુણા ઓટીબી પાસે અચાનક બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હતી અને આ વિશાળ જહાજ એક તરફ નમી જતાં પોર્ટ પ્રશાશનમાં ભારે દોડધામ થઇ પડી હતી. સદ્ભાગ્યે આ બનાવમાં જાનહાનિ ટળી જતાં સૌએ હાશકારો અનુભવ્યો હતો.

માહિતી અનુસાર, જહાજમાં વિસ્ફોટ ત્યારે થયો જ્યારે તે મિથેલોન કેમિકલ ખાલી કરી રહ્યું હતું. ધડાકાની તીવ્રતા એવી હતી કે સમગ્ર પોર્ટ વિસ્તારમાં હલચલ મચી ગઈ હતી. જોકે, સદનસીબે જહાજમાં હાજર તમામ 21 ક્રુ-મેમ્બરો સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને કોઇ જાનહાનીની જાણકારી મળી નથી.

ઘટનાની જાણ થતાં તાત્કાલિક મેરિટાઈમ રિસ્પોન્સ સેન્ટર અને ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરી છે. આ ઘટનાને પગલે પોર્ટ સત્તાવાળાઓ દ્વારા સલામતીના પગલાં પણ ઝડપથી અમલમાં મૂકાયા છે.

જહાજમાં થયેલા નુકસાનના કારણે જ્યાં સુધી સંપૂર્ણ તપાસ ન થાય, ત્યાં સુધી આસપાસના ઓપરેશન્સ પર નિયંત્રણ રહેશે. જો કે હાલ સુધી વિસ્ફોટના કારણ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ પ્રાથમિક તારણ મુજબ કેમિકલ રિએક્શન અથવા ટેકનિકલ ખામી હોઈ શકે છે. અન્ય નૌકાઓ અને પોર્ટ કર્મચારીઓ માટે સલામતીની દૃષ્ટિએ તાત્કાલિક તકેદારીના નિર્દેશ આપવામાં આવ્યા છે.

જહાજના સર્વે સહિતની કામગીરી આરંભાશે તેમ કંડલા બંદરના જનસંપર્ક અધિકારી ઓમપ્રકાશ દાદલાણીએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડાં વર્ષો અગાઉ કંડલાના દરિયાઈ વિસ્તારમાં જેનેશ ઓઈલ ટેન્કરમાં વિકરાળ આગ ભભૂકી ઉઠતાં એ જહાજ બળીને ખાખ થયું હતું. આ ઉપરાંત તાજેતરમાં જ કંડલાથી ઓમાન જઈ રહેલા જહાજની કપ્તાનની કેબિનમાં આગ ભભૂકી ઊઠી હતી, જેમાં ભારતીય નૌકાદળની ટુકડી એ હેલિકોપ્ટર અને અગ્નિશમનની સામગ્રી લઈને સફળ બચાવ કામગીરી પાર પાડીને તમામ ખલાસીઓને બચાવી લેવાયા હતા.

રિલાયન્સ જિયો ડાઉન! આ શહેરોમાં મોબાઇલ નેટવર્ક અને ઇન્ટરનેટ સેવાઓ પ્રભાવિત

0

રિલાયન્સ જિયોના ગ્રાહકો કનેકિટવિટી સમસ્યાઓનો અનુભવ કરી રહ્યા હોવાના અહેવાલ છે. વપરાશકર્તાઓ કોલ કરી શકતા નથી અને મોબાઇલ ઇન્ટરનેટની પણ સમસ્યાઓનો સામનો આસપાસ આઉટેજ શરૂ થયો હતો. સૂત્રોએ જણાવ્યું કે દિલ્હી, મુંબઈ, ગુજરાત, હૈદરાબાદ, બેંગલુરુ, ચેન્નાઈ અને કોચી જેવા શહેરોમાં સેવા આઉટેજ એક કલાકમાં ઉકેલાઈ ગયો હતો. તેમણે ઉમેર્યું હતું કે આ વિક્ષેપ મુખ્યત્વે ગુજરાત અને રાજસ્થાનમાં 5G વપરાશકર્તાઓને અસર કરે છે.

આ એક મહિના કરતાં ઓછા સમયમાં Jio માટે ત્રીજી મોટી આઉટેજ છે. અગાઉ 16 જૂને કેરળ, 29 જૂને ગુજરાતમાં અને 1 જુલાઈએ મધ્યપ્રદેશમાં બ્લેકઆઉટ થયું હતું.

ડાઉનડિટેકટરના એક અહેવાલ મુજબ, આઉટેજ ટ્રેકિંગ વેબસાઇટ આઉટેજના કલાકોમાં 11,000 થી વધુ ફરિયાદો નોંધાઈ હતી. લગભગ 81% વપરાશકર્તાઓ મોબાઇલ સિગ્નલમાં સમસ્યા અનુભવી રહ્યા છે, જ્યારે 13% વપરાશકર્તાઓ મોબાઇલ ઇન્ટરનેટમાં સમસ્યા અનુભવી રહ્યા છે અને 6% વપરાશકર્તાઓ મોબાઇલ ફોનમાં સમસ્યા અનુભવી રહ્યા છે.

મોટા શહેરોમાં રિલાયન્સ જિયો વપરાશકર્તાઓ માટે બંધ
ઘણા વપરાશકર્તાઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર પણ આ આઉટેજની જાણ કરી. વપરાશકર્તાઓના અહેવાલ મુજબ, મુંબઈ, દિલ્હી, ગુજરાત, બેંગલુરુ, હૈદરાબાદ, ચેન્નાઈ અને કોચીમાં રિલાયન્સ જિયોના વપરાશકર્તાઓને જિયો સેવાઓનો ઉપયોગ કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

“ગઈકાલે રાત્રે 8:15 વાગ્યાથી અચાનક જ Jio નેટવર્ક સંપૂર્ણપણે ઠપ થઈ ગયું હતું. કલાકો સુધી નેટવર્ક કવરેજ નહોતું. તમે કૉલ પણ કરી શકતા નહોતા કે ટેકસ્ટ મેસેજ પણ મોકલી શકતા નહોતા,” X પર એક યુઝરે પોસ્ટ કરી.

“Jio બંધ છે! હમણાં જ ભારે આઉટેજ થયો – કોલ કરી શકાતો નથી, સિગ્નલ બિલકુલ નથી. સ્પાઇક બધું કહી રહ્યું છે,” બીજા યુઝરે પોસ્ટ કરી.

રિલાયન્સ જિયોએ હજુ સુધી સેવા આઉટેજ અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી.

કેદારનાથ યાત્રા પર વિરામ: ભારે વરસાદથી સોનપ્રયાગ અને ગૌરીકુંડમાં યાત્રિકો ફસાયા

0

કેદારનાથ યાત્રા સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. ભારે વરસાદને કારણે કેદારનાથ યાત્રા રોકી દેવામાં આવી છે. સોનપ્રયાગ અને ગૌરીકુંડમાં શ્રદ્ધાળુઓને આગળ જતા અટકાવવામાં આવ્યા છે. હવામાન વિભાગે રુદ્રપ્રયાગ અને ચમોલી જિલ્લાઓમાં 7 અને 8 જુલાઈ, 2025 માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે, જેના કારણે સ્થાનિક વહીવટી તંત્ર સતર્ક થયું છે.

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ અને આજુબાજુના વિસ્તારોમાં સતત વરસાદને કારણે અલકનંદા નદીમાં પાણીનું સ્તર નોંધપાત્ર રીતે વધ્યું છે. જોકે, નદી હજુ ખતરાના નિશાનથી નીચે છે, પરંતુ વધતું પાણીનું સ્તર ચિંતાનો વિષય બન્યું છે. આ સ્થિતિ યાત્રીઓ અને સ્થાનિક લોકોઓ માટે જોખમ વધારે છે, કારણ કે નદીના કિનારે આવેલા રસ્તાઓ પણ પાણી અને ભૂસ્ખલનથી પ્રભાવિત થયા છે.

ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે બદ્રીનાથ જવાનો માર્ગ પણ બંધ થઈ ગયો છે, જેનાથી ચાર ધામ યાત્રા પર નોંધપાત્ર અસર પડી છે. ગૌરીકુંડમાં ભૂસ્ખલનના કારણે રસ્તાઓ પર ફસાયેલો કાટમાળ દૂર કરવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે, જેથી યાત્રા શક્ય તેટલી જલદી ફરી શરૂ થઈ શકે. આ પ્રક્રિયા દરમિયાન, શ્રદ્ધાળુઓને સલામત સ્થળોએ રાખવામાં આવ્યા છે.

બદ્રીનાથ હાઇવે બંધ
ચમોલી જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન ખોરવાઈ ગયું છે. ઉમટ્ટામાં ટેકરી પરથી કાટમાળ પડવાથી બદ્રીનાથ હાઇવે બંધ છે, જ્યારે 66 KV પાવર લાઇનમાં ખામી સર્જાવાથી જ્યોતિર્મઠ વિસ્તારમાં ગઈકાલ રાતથી વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. બીજી તરફ, ભારે વરસાદને કારણે કેદારનાથ યાત્રા બંધ કરવામાં આવી છે.

સોમવારે ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવને લઇને રાહતના સમાચાર

0

ઇરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે મિડલ ઇસ્ટમાં તણાવની સ્થિતિ છે. જેની અસર વૈશ્વિક બજાર પર પણ જોવા મળી રહી છએ. આ વચ્ચે સોમવારે સરકારી તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ ડિઝલના લેટેસ્ટ ભાવ જાહેર કર્યા છે. જો કે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થવા છતાં દેશના કેટલાક મોટો શહેરોમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઇ ખાસ વધારો થયો નથી.

ઇરાનના એનર્જી ક્ષેત્રો પર ઇઝરાયલ દ્વારા હુમલો કરાતા ક્રૂડ ઓઇલમાં મજબૂતી જોવા મળી રહી છે. બ્રેંટનો ભાવ 75 ડોલરની પાસે પહોંચ્યો છે. ઇરાની મીડિયા અનુસાર સપ્તાહના અંતમાં ઇઝરાયલી ડ્રોન દ્વારા ઇરાનના સાઉથ પાર્સ ગેસ ક્ષેત્ર પર હુમલો કરવામાં આવ્યો. જેનાથી બે પ્રાકૃતિક ગેસ પ્રોસેસિંગ યુનિટને નુકસાન પહોંચ્યુ છે. આ ઉપરાંત તેહરાન નજીક મેઇન ઓઇલ ડેપોને નિશાન બનાવાયુ.

ગુજરાતના આ શહેરોમાં પેટ્રોલ ડીઝલના ભાવ

શહેર પેટ્રોલ (રૂ.) ડીઝલ (રૂ.)
અમદાવાદ 94.49 90.17
ભાવનગર 96.11 91.77
જામનગર 94.11 89.78
રાજકોટ 94.27 89.94
સુરત 94.37 90.06
વડોદરા 94.11 89.78

વલસાડના મધુબન ડેમમાં પાણીની આવક વધતા 10 દરવાજા ખોલાયા

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વલસાડનો મધુબન ડેમ પણ છલકાયો છે. વલસાડના મધુબન ડેમમાં પાણીની આવક વધતા 10 દરવાજા 1.80 મીટર ખોલાયા છે. ડેમનું લેવલ 70.70 મીટરે પહોંચ્યું છે. ડેમમાંથી દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. ડેમમાંથી 58044 ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે. જેના કારણે નદી કિનારાના ગામડાઓને એલર્ટ કરાયા છે.

મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારના 6 ગામમાં ભારે વરસાદને કારણે ડેમમાં ભરપૂર પાણીની આવક નોંધાઇ છે. સતત પાણીની આવકને કારણે ડેમના 10 દરવાજા બે મીટર સુધી ખોલી દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું છે. જેને કારણે દમણગંગા નદી પણ બે કાંઠે વહી રહી છે.

નદીમાં પાણીનો પ્રવાહ વધવાને કારણે નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. વલસાડના 13 ગામ, દાદરાનગર હવેલીના 14 ગામ અને દમણના 10 ગામ એલર્ટ કરવામાં આવ્યા છે. ભારે વરસાદને કારણે રોડને પણ મોટાપાયે નુકસાન થયું છે. જિલ્લાના પંચાયતના 84 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે અને લોકોને નદી કિનારે ન જવા માટે અપીલ કરી છે. લોકોને સાવચેત રહેવા પણ સૂચના આપી છે.

અમેરિકાની રાજનીતિમાં ઉથલપાથલ: ઇલોન મસ્કએ નવી પાર્ટીની જાહેરાત કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇલોન મસ્ક વચ્ચેનો વિવાદ વધુ વકર્યો છે. જેમાં જેની છેલ્લા ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી તે નવી રાજકીય પાર્ટીની જાહેરાત કરવામાં આવી છે. ઇલોન મસ્કે હવે રાજકારણમાં ઝંપલાવ્યું છે. ઇલોન મસ્કે નવી રાજકીય પાર્ટી ” અમેરિકા પાર્ટી ” ની જાહેરાત કરી દીધી છે. જ્યારે આ અંગે પ્રતિક્રિયા આપતા ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર ટેસ્લાના વડાને પાટા પરથી ઉતરી ગયેલી ટ્રેન ગણાવ્યા અને કહ્યું કે ત્રીજા પક્ષની જાહેરાત કરીને તે પાટા પરથી ઉતરી ગયા છે.

લોકોને સ્વતંત્રતા માટે ‘અમેરિકા પાર્ટી’ બનાવશે
જેમાં ડોનાલ્ડ ટ્રમ્પના બિગ બ્યુટીફુલ બિલ પસાર થયા બાદ ઇલોન મસ્કે જાહેરાત કરી હતી કે લોકોને સ્વતંત્રતા માટે ‘અમેરિકા પાર્ટી’ બનાવશે. આ નિર્ણય અમેરિકામાં રિપબ્લિકન અને ડેમોક્રેટિક બંને પાર્ટીઓ અંગે લોકોના અસંતોષ વચ્ચે આવ્યો છે.

અમેરિકામાં ક્યારેય ત્રીજો પક્ષ સફળ થયો નથી તે વાસ્તવિકતા
ટ્રુથ સોશિયલ પર, ટ્રમ્પે લખ્યું, ” ઇલોન મસ્કને સંપૂર્ણપણે પાટા પરથી ઉતરી ગયેલા જોઈને દુઃખ થયું છે. છેલ્લા પાંચ અઠવાડિયામાં તે ટ્રેન ભંગારમાં ફેરવાઈ ગઇ છે. તે ત્રીજો રાજકીય પક્ષ પણ શરૂ કરવા માંગે છે. અમેરિકામાં ક્યારેય ત્રીજો પક્ષ સફળ થયો નથી તે વાસ્તવિકતા છે. એવું લાગે છે કે સિસ્ટમ તેના માટે રચાયેલ નથી. યુએસ રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે ત્રીજો પક્ષ નાણાંનો વ્યપ અને અરાજકતા તરફ દોરી જાય છે અને વોશિંગ્ટનમાં કટ્ટરપંથી ડાબેરી ડેમોક્રેટ્સ જેમણે પોતાનો આત્મવિશ્વાસ અને મન ગુમાવી દીધું છે તેમની સાથે ઘણું થઇ ચૂક્યું છે.

ટ્રમ્પે વધુમાં કહ્યું કે મસ્ક નાખુશ છે કારણ કે બિલ ઇવી મેન્ડેન્ટને સમાપ્ત કરે છે. જેનાથી ટેસ્લાના ઇલેક્ટ્રિક વાહનો માટે ગ્રીન-એનર્જી ક્રેડિટ્સ સમાપ્ત થઈ ગઇ છે. તેમણે કહ્યું, બીજી બાજુ, રિપબ્લિકન એક સરળ ચાલતું ‘મશીન’ છે જેમણે આપણા દેશના ઇતિહાસમાં તેના પ્રકારનું સૌથી મોટું બિલ પસાર કર્યું છે. આ એક મહાન બિલ છે. પરંતુ કમનસીબે ઇલોન માટે તે હાસ્યાસ્પદ ઇલેક્ટ્રિક વાહન મેન્ડેન્ટને સમાપ્ત કરે છે. જેનાથી દરેકને ટૂંકા સમયમાં ઇલેક્ટ્રિક કાર ખરીદવાની ફરજ પડી હોત.

વેરાવળ કોર્ટને બૉમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, આખી કોર્ટ ખાલી કરાવાઈ

ગીર સોમનાથની વેરાવળ કોર્ટને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકીના પગલે વેરાવળ કોર્ટ ખાલી કરી દેવાઈ. બૉમ્બ સ્ક્વોડ સહિતની સુરક્ષા એજન્સીઓએ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. આજે (7 જુલાઇ) ગીર સોમનાથ જિલ્લાના વેરાવળની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકીભર્યા ઇમેલની જાણ થતાં કોર્ટ પરિસરને ખાલી કરી દેવામાં આવ્યું હતું અને સુરક્ષા એજન્સીઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વેરાવળ કોર્ટના ડિસ્ટ્રિક્ટ જજ વિક્રમસિંહ ગોહિલને આજે વહેલી સવારે ઇમેલ દ્વારા કોર્ટને બોમ્બ વડે ઉડાવી દેવાની ધમકી મળી હતી. ધમકીભર્યા ઇમેલ મળતાં જ તેમણે સુરક્ષા એજન્સીને જાણ કરી હતી અને સુરક્ષાને ધ્યાને રાખી કોર્ટના જૂના બિલ્ડિંગને ખાલી કરાવી દેવામાં આવ્યું હતું. બોમ્બની ધમકી મળતાં કોર્ટ પરિસરમાં ભયનો માહોલ છવાયો છે. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કોર્ટમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.

સુરતમાં દરવર્ષે રંઝાડતા ખાડીપૂર અને ઝિંગા તળાવની સમસ્યાનો ઉકેલ કેમ આવતો નથી? વારંવારના ઉધામા કેમ શાંત થઈ જાય છે?

  • ખાડીની સફાઈ, આધુનિકીકરણ સહિત વિવિધ બહાને કરોડોનું આંધણ કરવા છતાં મનપાના જાંબાઝ અધિકારીઓ, શાસકો પાસે કોઈ જ ઉકેલ નથી, કારણ…
  • ખાડીનું પુરાણ, ખાડીકાંઠે ગેરકાયદે બાંધકામો આ બધું કોની મહેરબાનીથી થાય છે? પૂર ટાણે વિરોધ કરવા નીકળી પડતા કહેવાતા લોકપ્રતિનિધિઓ જ ગેરકાયદે બાંધકામો તોડવામાં હંમેશાં ‘આડાપગ’ કરતા આવ્યા છે
  • સુરતના મેયર દક્ષેશ માવાણી, સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલ સજ્જન છે, પરંતુ સક્ષમ નથી; તંત્ર પાસે કામ કરાવવામાં નિષ્ફળ રહ્યા
  • દરવર્ષે ચોમાસાના દિવસોમાં સેંકડો પરિવારોના ઘરમાં પૂરના પાણી ફરી વળે છે, વહીવટી તંત્ર સામે તાયફા કરાય છે, વિરોધ રેલી પણ નીકળે છે, પરંતુ પૂરના પાણી બંધ થતા નથી
  • વાતવાતમાં પક્ષના નેતૃત્વના નામે પોતાની નિષ્ફળતા ક્યાં સુધી ઢાંકી શકાશે, મળેલી બંધારણીય સત્તાનો ઉપયોગ કરતા આવડતું ના હોય તો અધિકારી પણ ક્યાંથી ગાંઠવાના? સુરતને ભૂતકાળમાં પણ મહિલા IAS અધિકારી મળ્યા હતા, પરંતુ તંત્રને ખડેપગે રાખવામાં માહિર હતાં
  • ઝિંગા તળાવ સુરતની કાયમી સમસ્યા છે, તળાવો તોડી પાડવા માટે વર્ષોથી ઉધામા થતા આવે છે, પરંતુ કેટલાં તળાવ તૂટ્યાં? ઘણી વખત તો ઉધામા કરનારાઓ પણ ખોવાઈ જાય છે, કહેવાની જરૂર નથી કે ઉધામા કરનારા કેમ ચૂપ થઈ જાય છે

લગભગ દરવર્ષે સુરતના ખાડી અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણી ફરી ‍વળે છે, પરંતુ આજ પર્યંત ખાડીપૂરની સમસ્યા દૂર કરવામાં મહાપાલિકા અને સિંચાઈ વિભાગ સતત નિષ્ફળ રહેતાં આવ્યાં છે. પ્રતિવર્ષ ખાડીની સફાઈ, બાંધકામ, બ્યુટીફિકેશનના નામે કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવે છે. હવે આ કરોડો રૂપિયા ખરેખર ખાડીની સફાઈ અને આધુનિકીકરણ માટે ખર્ચ કરવામાં આવે છે તો પછી દરવર્ષે ખાડીના પૂર કેમ ફરી વળે છે? મતલબ ખાડી સફાઈના નામે નર્યું ‘તૂત’ ચલાવવામાં આવે છે. વળી શાસકો અને ચૂંટાયેલા પ્રતિનિધિ‌ઓ દરવર્ષે ખાડીકાંઠાના વિસ્તારોનું ઉપરાણું લઈને મહાપાલિકા અને કલેક્ટરની સંકલન બેઠકમાં ઉધામા મચાવીને પોતે લોકોના ઉદ્ધારક હોવાની અને ‘હીરો’ બનવાની કોશિશ કરે છે.

આ લોકોને ચોક્કસ ખાતરી હોય છે કે, ચોમાસાના દિવસો પૂરા થઈ જતા બધું જ ભુલાઈ જશે અને ખાડીકાંઠાના ગેરકાયદે બાંધકામો તૂટતાં રોકવા ફરી આ કહેવાતા લોક પ્રતિનિધિઓ જ આડા ઊભા રહી જાય છે. મતલબ ખાડીના પૂરની સમસ્યા માટે બીજું કોઈ નહીં. ખાડીકાંઠે દબાણ અને બાંધકામ કરનારા લોકો અને ખુદ નગરસેવકો જ જવાબદાર છે.

સુરત દરિયાકાંઠાનું શહેર હોવાથી દરિયાને મળતા નદી, નાળા અને ખાડીના પાણી સુરત શહેરની વચ્ચોવચ્ચથી પસાર થઈ રહ્યાં છે. અલબત્ત આ કુદરતી વહેણને ડાયવર્ટ કરવા કે નિયંત્રણમાં રાખવાનું કામ કપરું નથી, પરંતુ શાસકોની દાનત નથી. ખાડીકિનારે વસતા લોકો શિયાળો, ઉનાળાના દિવસોમાં કુદરતી વહેણને અવરોધતાં બાંધકામો કરે છે અને આવા બાંધકામો રોકવા તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવે છે, ત્યારે જે તે વિસ્તારના પ્રતિનિધિઓ જ ગેરકાયદે બાંધકામ કરનારાઓનું ઉપરાણું લઈને અધિકારીઓને દબડાવતા હોવાની અનેક ઘટનાઓ બનતી રહે છે. ચોમાસાનો વરસાદ પડતા ખાડીપૂરની પીડા આકાર પામે છે. ત્યારે ગેરકાયદે બાંધકામો અને દબાણો કરનારાઓ ભૂલી જવાય છે.

આ ઘટનાઓથી શાસકો કે વહીવટી અધિકારીઓ અંધારામાં નથી, પરંતુ ખાડીની સફાઈ અંગે ગંભીર નથી. સ્વચ્છતામાં નંબર વન ગણાતા સુરતની વરસાદી ગટર લાઈનોમાં બારેમાસ ગંદા પાણીનો ધોધ વહેતો રહે છે. આ કોના કારણે અને કોની બેદરકારીને કારણે થઈ રહ્યું છે? લાંબું વિચારવાની જરૂર નથી. થોડા દિવસ પહેલા અમરોલી વિસ્તારમાં એક-બે વર્ષનો બાળક ગટરના ખુલ્લા ઢાંકણાને કારણે ગટરમાં પડી ગયો અને માસૂમ બાળકનાં મોતની અત્યંત ગંભીર ઘટના પછી પણ દેશમાં સ્વચ્છ ગણાતા સુરત શહેરના શાસકોનું રૂવાડું ફરક્યું નથી. બાળકની શોધખોળના અંતે લાશ મળી. પરંતુ સાથે-સાથે એ પણ બહાર આવ્યું હતું કે, વરસાદી પાણીના નિકાલ માટેની લાઈનમાં ઘરના મળ, મૂત્ર અને ગંદા પાણીની લાઈનોનું મેલું વહેતું હતું!પરંતુ થોડા દિવસના કકળાટના અંતે આખો મામલો ભુલાઈ ગયો અને માત્ર અમરોલી નહીં, શહેરભરની વરસાદી પાણીના નિકાલ માટેની લાઈનોમાં ગટરના ગંદા પાણી વહી રહ્યાં છે.

સુરતના કમનસીબે એક નિષ્ફળ કહી શકાય એવા મ્યુનિસિપલ કમિશનર મળ્યા છે. સુરતને સ્વચ્છ અને સુઘડ બનાવવા માટે ભૂતપૂર્વ IAS અધિકારીઓએ દિવસ-રાત એક કર્યા હતા અને હવે મેડમ ક્રેડિટ લઈ રહ્યાં છે. સુરતને ભૂતકાળમાં પણ મહિલા IAS અધિકારી મળ્યાં હતાં, પરંતુ આખું શહેર તેમના પગ નીચે રહેતું હતું. શહેરના કોઈપણ ખૂણામાં કોઈક ઘટના આકાર પામે એટલે ગણતરીની મિનિટોમાં મેડમના કાન સુધી વાત પહોંચી જતી હતી. એ સમયે પણ રાજકીય જૂથબંધી હતી, પરંતુ શહેરનો વિકાસ અને છેવાડા માણસની સમસ્યાઓનો તાકીદે ઉકેલ આવી જતો હતો. પરંતુ સુરત મહાપાલિકાની વર્તમાન હાલત ‘લંગડા ઘોડા’ જેવી છે. દોડતો નથી અને તંત્રને દોડવા પણ દેતો નથી!

સદ્‍નસીબ કહો કે કમનસીબ, વર્તમાન શાસકોના અંતિમ પડાવમાં મેયર દક્ષેશ માવાણી અને સ્ટે‌િન્ડંગ ચેરમેન રાજન પટેલ બંને તરવરિયા યુવાનો છે, પરંતુ વહીવટી તંત્ર પાસે કામ કરાવવામાં સરિયામ નિષ્ફળ રહ્યા છે એવું ચોક્કસ કહી શકાય. એવું કહેવામાં આવે છે કે, આ બંને શોભાના ગાંઠિયા જેવા છે અને પોતાની નિષ્ફળતા ઢાંકવા ભાજપ અધ્યક્ષ સી.આર. પા‌િટલને બદનામ કરવામાં આવે છે.

કોઈ નીતિવિષયક નિર્ણય લેવાનો હોય ત્યારે સ્વાભાવિક પક્ષના શીર્ષ નેતૃત્વને પૂછવાનું હોય! આ રાજકીય પક્ષોની પ્રણાલી છે, પરંતુ રોડ-રસ્તા રિપેર કરવાના, ગંદકીની સમસ્યા દૂર કરવા કે મહાપાલિકાની રોજબરોજની કામગીરીનો અમલ કરાવવા માટે ભાજપ અધ્યક્ષને પૂછવાની જરૂર નથી, પરંતુ તંત્રની અને પોતાની નિષ્ફળતાનો દોષ સી.આર. પા‌િટલના માથે ઢોળવામાં આવે છે અને ચિત્ર એવું ઊભું કરવામાં આવે છે કે, સુરત મહાપાલિકાની રોજબરોજની કામગીરીમાં પણ પક્ષના નેતૃત્વની ઇચ્છા વગર કંઈપણ થતું નથી.અલબત્ત, આ હળાહળ જુઠ્ઠાણું છે. સુરત મહાપાલિકામાં એવા પણ ઘણા કામો ચાલતાં રહે છે, જેની પક્ષના નેતૃત્વને જાણ સુધ્ધાં હોતી નથી.

ખેર, મૂળ વાત ઉપર આવીએ તો પાછલા ત્રણ વર્ષ દરમિયાન શહેરમાંથી પસાર થતી ખાડીઓની પાણીની વહનક્ષમતા વધારવા પાછળ લગભગ છ કરોડનો ખર્ચ કરાયો હતો! હવે આ છ કરોડ કઈ કામગીરી પાછળ ખર્ચ કરવામાં આવ્યા તેનો કાગળ ઉપર ચોક્કસ હિસાબ હશે. પરંતુ સ્થળ ઉપર તપાસ કરવામાં આવે તો છ કરોડના ખર્ચના આંકડા સાથે મેળ નહીં બેસે. પરંતુ મહાપાલિકાની તિજોરીમાંથી છ કરોડનો ખર્ચ કરાયો છે એ હકીકત છે અને છતાં ખાડીપૂરની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી એ પણ નજર સામેની હકીકત છે! તંત્રની ખરેખર દાનત હોય અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગેરકાયદે બાંધકામો તૂટતા રોકવા કે ગેરકાયદે બાંધકામોને પ્રોત્સાહન આપવાનું બંધ કરે તો ખાડીપૂરની સમસ્યાનો ઉકેલ લાવવાનું કામ ચપટી વગાડવા જેવું છે. પરંતુ સુરતના કમનસીબે વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની ખાડીપૂરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની દાનત નથી.ખાડી જેવી જ સમસ્યા ઝિંગા તળાવની છે. બધા જ જાણે છે કે ઝિંગા તળાવને કારણે પાણીના કુદરતી વહેણ અવરોધાય છે અને પૂરની સમસ્યા વર્ષોવર્ષ પેદા થાય છે, પરંતુ એકપણ શાસક ઝિંગા તળાવોનાં બાંધકામો તોડવામાં સફળ રહ્યો નથી. એવું કહેવાય છે કે, ઝિંગા તળાવ કરોડોનો ધંધો છે અને જ્યાં ‘ધંધા’ની વાત આવે ત્યાં શાસકોના હાથ હેઠા પડવાના જ.

થોડા દિવસ પહેલા ખુદ કેન્દ્રીય મંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પા‌િટલે પાણીના વહેણને અવરોધતા ઝિંગા તળાવો તોડી પાડવાનો આદેશ કર્યો હતો, પરંતુ પરિણામ શું આવ્યું? કેટલા ઝિંગા તળાવ તોડી પાડવામાં આવ્યા?વળી તંત્ર દ્વારા મહાપાલિકા પાસે તળાવો તોડી પાડવા સાધન સહાય માંગીને નવો ડ્રામા ઊભો કરવામાં આવ્યો હતો. બસ આવું જ ચાલ્યા કરશે અને ચોમાસુ પતી જતાની સાથે જ ખાડીપૂર સહિતનો આખો મામલો ભુલાઈ જશે અને સ્વાભાવિક તંત્રના વાહકો પણ આવું જ ઇચ્છતા હશે. સુરત માટે ખાડીપૂર જેટલા જોખમી છે એટલાં જ ઝિંગા તળાવ પણ જોખમી છે. એરપોર્ટ ઉપર ઝિંગા તળાવને કારણે જ ‘બર્ડ હીટ’ એટલે કે વિમાન સાથે પક્ષી અથડાવાનું જોખમ રહેલુ છે પરંતુ આ સમસ્યાની કોને અને શા માટે પડી હોય! દરવર્ષે ચોમાસુ આવવાનું જ, સંકલન બેઠકો મળવાની, અધિકારીઓ સામે ‘તડાફડી’ના ડ્રામા થવાના, પરંતુ વર્ષોનો અનુભવ કહે છે કે સરવાળે ‘પીડા’નો કોઈ જ ઉકેલ આવવાનો નથી.