Home Blog Page 356

ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટતાં તબાહી, કાટમાળમાં દટાઇ જતાં યુવતીનું મોત, અનેક વાહનો વહી ગયા

0

ઉત્તરાખંડના ચમોલીના થરાલીમાં વાદળ ફાટવાથી થયેલા વિનાશ બાદ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. થરાલીમાં વાદળ ફાટવાથી પાણીના ધોધથી આવેલા કાટમાળ નીચે દટાઈ જવાથી 20 વર્ષની એક યુવતીનું મોત થયું છે અને અન્ય એક ગુમ થયેલા વૃદ્ધ વ્યક્તિની શોધ ચાલુ છે.

ચમોલી જિલ્લાના થરાલીમાં ગઈકાલે મોડી રાત્રે વાદળ ફાટવાથી થયેલા ભારે વિનાશમાં ઘણા લોકો ગુમ થયાના અહેવાલ છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે, લોકો એવી જગ્યાએ ફસાયેલા છે જ્યાંથી બહાર નીકળવું શક્ય નથી.

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે.
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ યુવતીના મૃત્યુ અંગે દુ:ખ વ્યક્ત કર્યુ છે. શુક્રવારે મોડી રાત્રે ચમોલી જિલ્લાના થરાલી વિસ્તારમાં વાદળ ફાટવાથી યુવતી કાટમાળ નીચે દટાઈ ગઇ હતી. જેના કારણે તેમનું મૃત્યુ થયું છે. એક વ્યક્તિ ગુમ થયાની માહિતી મળતાં તેની સલામતી અને સુખાકારીની કામના કરી છે. દરમિયાન, મુખ્યમંત્રીની સૂચના પર, પોલીસ, આપત્તિ વ્યવસ્થાપન વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ અને રાહત કાર્ય શરૂ કરી દીધું છે.

ઘણા વાહનો પણ કાટમાળમાં દટાયા
શુક્રવારે મોડી રાત્રે થરાલી તહસીલ વિસ્તારના ટુનરી ગડેરામાં વાદળ ફાટવાને કારણે થરાલી બજાર અને આસપાસના વિસ્તારોમાં ભારે કાટમાળ પડ્યો હતો. કાટમાળને કારણે SDM નિવાસસ્થાન સહિત ઘણા ઘરોને નુકસાન થયું હતું. દુકાનો કાટમાળથી ભરાઈ ગઈ હોવાથી વેપારીઓને પણ નુકસાન થયું છે. ઘણા વાહનો પણ કાટમાળમાં દટાઈ ગયા છે.

માહિતી મળતાં જ DDRF ટીમ રાહત અને બચાવ કાર્ય માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. SDRF અને NDRF ટીમ પણ તાબડતોબ ઘટનાસ્થળે જવા રવાના થઇ ગઇ હતી. ભારે વરસાદને કારણે કર્ણપ્રયાગ ગ્વાલડમ રોડને ઘણી જગ્યાએ નુકસાન થયું છે. તેને સરળ બનાવવાનું કામ પ્રાથમિકતાના ધોરણે કરવામાં આવી રહ્યું છે.

GST કાઉન્સિલની મેગા મીટીંગની તારીખ જાહેર, દર ઘટાડાને મંજુર કરશે

0

દરોમાં મોટા ફેરફાર, સામાન્ય માણસને મળશે રાહત

GST કાઉન્સિલની 56મી બેઠક 3 અને 4 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં યોજાવા જઈ રહી છે. બેઠકમાં કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલા GST 2.0 સુધારા પર ચર્ચા થશે, જેમાં હાલના પાંચ સ્લેબને ઘટાડીને ફક્ત બે દર – 5 ટકા અને 18 ટકાના રાખવાનો પ્રસ્તાવ છે. 12 ટકા અને 28 ટકાના સ્લેબને મર્જ કરવાની ભલામણ મંત્રીઓના જૂથે સ્વીકારી લીધી છે. ખાસ કરીને, દારૂ, જુગાર અને તમાકુ જેવા હાનિકારક પદાર્થો પર 40 ટકા GST લાગુ કરવાની ચર્ચા પણ થશે.

નાણા મંત્રાલયના સૂત્રો મુજબ, આ નવા માળખાથી સામાન્ય નાગરિકોને મોટી રાહત મળશે. નમકીન, નૂડલ્સ, માખણ, ઘી જેવી આવશ્યક વસ્તુઓ 5 ટકા સ્લેબમાં આવશે જ્યારે નાની કાર પરનો GST 28 ટકાથી ઘટાડીને 18 ટકા થવાની સંભાવના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ નિમિત્તે આપેલા સંદેશમાં વચન આપ્યું હતું કે GST સુધારાથી આવનારી દિવાળી સુધીમાં દેશના સામાન્ય માણસને સીધો લાભ મળશે.

બિહારના ભ્રષ્ટ અધિકારીએ આખી રાત નોટો સળગાવી, છતાં 39.50 લાખ પકડાઇ ગયા

0

બિહારનો એક સરકારી એન્જિનિયર કાળા નાણાંનો ધનકુબેર નીકળ્યો. જ્યારે તેના ઘરે દરોડો પાડવામાં આવ્યો ત્યારે તે પકડાઈ ન જવાય તેની બીકે ઘરમાં રાતભર બેસી રહ્યો અને 2 થી 3 કરોડ રૂપિયા આગના હવાલે કરીને સળગાવી દીધા. આટલી બધી નોટો સળગાવવા છતાં, અમુક નોટો બચી ગઈ અને આર્થિક ગુના એકમએ એન્જિનિયરના ઘરેથી 39 લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યા. આ ધન કુબેરનું નામ વિનોદ રાય છે.

તે ગ્રામીણ બાંધકામ વિભાગમાં સુપરિન્ટેન્ડન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. પોલીસે નોટો સળગાવવા અને પુરાવાનો નાશ કરીને સરકારી કામમાં અવરોધ ઊભો કરવાના આરોપસર વિનોદ અને તેની પત્નીની ધરપકડ કરી છે. એન્જિનિયર સામે ભ્રષ્ટાચારનો અલગ કેસ દાખલ કરવામાં આવશે.

મળતી માહિતી મુજબ, એન્જિનિયર વિનોદ રાય ગયા ગુરુવારે રાત્રે નોટોનો મોટો જથ્થો લઈને સીતામઢીથી પટના જવા રવાના થયા હતા. આર્થિક ગુના એકમને આ વાતની જાણ થઈ ગઈ. આથી આર્થિક ગુના એકમ ટીમ રાત્રે તેના પટના નિવાસસ્થાને પહોંચી ગઈ. જોકે, આ પહેલા એન્જિનિયરે બધા પૈસા તેના પટના નિવાસસ્થાને મોકલી દીધા હતા. જ્યારે આર્થિક ગુના એકમ ટીમ દરોડા પાડવા પહોંચી ત્યારે એન્જિનિયરની પત્ની દિવાલની જેમ ઘરની નીચે ઉભી રહી. તેણે આર્થિક ગુના એકમટીમને કહ્યું કે તે ઘરમાં એકલી છે. આવી સ્થિતિમાં, દરોડા પાડતી ટીમને સવારની રાહ જોવાની ફરજ પડી.બીજી તરફ, ઉપરના રૂમમાં, એન્જિનિયર આખી રાત નોટો સળગાવતા રહ્યા. તેને સળગાવીને થાકી ગયા છતાં, 39.50 લાખ રૂપિયા બચાવી લેવામાં આવ્યા.

શુક્રવારે સવારે જ્યારે આર્થિક ગુના એકમ ટીમે ઘર પર દરોડો પાડ્યો, ત્યારે પાણીની ટાંકીમાંથી આ રોકડ રકમ મળી આવી. ટીમને ઘરમાંથી લગભગ 12.5 લાખ રૂપિયાની અડધી બળી ગયેલી નોટો અને બાથરૂમના પાઇપમાંથી મોટી માત્રામાં બળી ગયેલી નોટોનો કાટમાળ પણ મળી આવ્યો. એવો અંદાજ છે કે રાત્રે એન્જિનિયર દ્વારા લગભગ 2 થી 3 કરોડ રૂપિયાની રોકડ રકમ સળગાવી દેવામાં આવી હતી.

એન્જિનિયર 100 કરોડ રૂપિયાની મિલકતનો માલિક હોવાની ચર્ચા
પ્રારંભિક મૂલ્યાંકન મુજબ, એન્જિનિયર વિનોદ રાય પાસે 100 કરોડ રૂપિયાની સ્થાવર અને જંગમ મિલકત હોવાનો અંદાજ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પણ આ કેસની તપાસ કરી શકે છે. દરોડા દરમિયાન, વિનોદ પાસેથી 18 જમીન અને મિલકતના દસ્તાવેજ, 15 બેંક ખાતા અને ઘણા ભાગીદારીના કાગળો મળી આવ્યા હતા. આ ઉપરાંત, 26 લાખ રૂપિયાના દાગીના, વીમા પોલિસી અને રોકાણના કાગળો પણ મળી આવ્યા હતા.

એશિયા કપ પહેલા શુભમન ગિલને મોટો ઝટકો

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન અને ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલ અંગે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ક્રિકબઝના અહેવાલ મુજબ, ગિલ હાલ બીમાર હોવાથી તે 28 ઓગસ્ટથી શરૂ થનારી દુલીપ ટ્રોફી 2025 માં નોર્થ ઝોનનું નેતૃત્વ કરી શકશે નહીં. ગિલ હાલમાં ચંદીગઢ ખાતે આરામ કરી રહ્યા છે અને તેમના સ્વાસ્થ્ય અંગે ટીમ મેનેજમેન્ટ નજર રાખી રહ્યું છે.ઉત્તર ઝોન 28 ઓગસ્ટે પૂર્વ ઝોન સામે મુકાબલો કરશે, પરંતુ ગિલના બહાર થવાથી ટીમના નેતૃત્વ અંગે મોટો પ્રશ્ન ઊભો થયો છે. હાલ નોર્થ ઝોનના ઉપ-કપ્તાન અંકિત કુમારને કમાન સોંપવાની શક્યતા છે.

તેમ છતાં ચાહકો માટે રાહતની વાત એ છે કે શુભમન ગિલ 9 સપ્ટેમ્બરથી શરૂ થનારા એશિયા કપ 2025 માટે ભારતીય ટીમના ઉપ-કપ્તાન તરીકે ઉપલબ્ધ રહેશે. લાંબા સમય પછી T20I ફોર્મેટમાં વાપસી કરતા ગિલ પાસે ટીમ ઈન્ડિયા માટે મોટો ફટકો આપવા અને શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની અપેક્ષા છે.

પશ્ચિમ ન્યૂ યોર્કમાં ટુર બસ પલટી જતાં 5 લોકોના મોત, અનેક ઘાયલ

નાયગ્રા ધોધથી ન્યુયોર્ક શહેર જઈ રહેલી એક પ્રવાસી બસ પલટી ગઈ હતી, જેમાં પાંચ લોકોના મોત થયા છે અને અનેક મુસાફરોને ઈજાગ્રસ્ત થયા હતા. ન્યૂયોર્ક સ્ટેટ પોલીસના જણાવ્યા અનુસાર, બસના ડ્રાઇવરે સ્ટીયરિંગ કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે બસ પલટી ગઈ હતી. આ અકસ્માત શુક્રવારે (22મી ઓગસ્ટ) સર્જાયો હતો.

અહેવાલો અનુસાર, બસમાં 54 મુસાફરો હતા. મોટાભાગના મુસાફરોએ સીટ બેલ્ટ પહેર્યા નહોતા, જેના કારણે અકસ્માત દરમિયાન બારીઓ તૂટી જતાં ઘણા મુસાફરો બસમાંથી નીચે પડી ગયા હતા. બસમાં બાળકો પણ હતા અને મોટાભાગના મુસાફરો ભારતીય, ચીની અને ફિલિપિન્સના હતા. મર્સી ફ્લાઇટ અને અન્ય ઈમરજન્સી સેવાઓએ ઈજાગ્રસ્ત લોકોને બફેલોમાં એરી કાઉન્ટી મેડિકલ સેન્ટર સહિત વિસ્તારની હોસ્પિટલોમાં પહોંચાડ્યા હતા. 40થી વધુ લોકોની સારવાર કરવામાં આવી રહી છે. મુસાફરોને માથામાં ઈજાઓથી લઈને તૂટેલા હાથ અને પગ સુધીની ઈજાઓ પહોંચી છે.

ભારતના પાડોશી દેશ નેપાળમાં ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 4.4ની તીવ્રતા

ભારતના પાડોશી દેશ નેપાળ ભૂકંપના આંચકાથી હચમચી ઉઠ્યું હતું. પૂર્વી નેપાળમાં 4.4 ની તીવ્રતાનો ભૂકંપ નોંધવામાં આવ્યો છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, શુક્રવારે રાત્રે 11:15 વાગ્યે પૂર્વી નેપાળના સંખુવાસભા જિલ્લામાં 4.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્રબિંદુ મગહાંગ વિસ્તારમાં હતું. આ ભૂકંપની ઊંડાઈ જમીનથી 10 કિલોમીટર નીચે નોંધાઈ છે.

અનેક જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા
અધિકારીઓએ જણાવ્યું હતું કે પૂર્વી નેપાળના ઘણા જિલ્લાઓમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના આંચકાના ડરથી લોકો મોડી રાત્રે પોતાના ઘરની બહાર નીકળી ગયા હતા. લોકોને લાગ્યું હતું કે વધુ આંચકા આવશે. તીવ્ર ભૂકંપના આંચકાના ડરને કારણે, તેઓ મોડી રાત સુધી ઘરની બહાર રહેવાની ફરજ પડી હતી. જોકે, આ ભૂકંપ ફક્ત એક જ વાર આવ્યો હતો. આ ભૂકંપથી કોઈ જાનહાનિ કે નુકસાનના સમાચાર નથી.

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.

  • ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.જ્યારે
  • ૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
  • ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.

અનિલ અંબાણીની મુશ્કેલીઓ ઓછી થતી નથી, ED પછી હવે CBIના દરોડા

0

ઉદ્યોગપતિ અનિલ અંબાણીની મુશ્કેલીઓ વધી રહી છે. CBIએ RCOM અને મુંબઈમાં અનિલ અંબાણીના પરિસરમાં દરોડા પાડ્યા છે. અગાઉ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તેમના ઘણા સ્થળોએ દરોડા પાડ્યા હતા અને અનિલ અંબાણીને પૂછપરછ માટે બોલાવ્યા હતા.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, સીબીઆઈના આ દરોડા બેંક ગોટાળા કેસમાં પાડવામાં આવ્યા છે. આ કેસ એસબીઆઈમાંથી 2000 કરોડની લોનમાં ગોટાળાને લગતો છે. 13 જૂન 2025ના રોજ એસબીઆઈએ આ એકાઉન્ટને નકલી જાહેર કરી રદીધું હતું. ત્યારપછી એસબીઆઈએ તેની માહિતી આરબીઆઈને આપી હતી.

પ્રારંભિક અહેવાલો અનુસાર, EDએ CBI પહેલાં અનિલ અંબાણીને નવી દિલ્હીના મુખ્યમથકમાં બોલાવીને 17,000 કરોડ રૂપિયાના બેંક લોન ગોટાળા અંગે ઘણા કલાકો સુધી પૂછપરછ કરી હતી. આ દરમિયાન EDએ અનિલ અંબાણીને શેલ કંપનીઓને લોન મોકલવામાં આવી હતી કે કેમ? રાજકીય પક્ષોને પૈસા આપવામાં આવ્યા હતા કે કેમ? અને કોઈ અધિકારીને લાંચ આપવામાં આવી હતી કે કેમ? જેવા સવાલો પૂછ્યા હતા. તેમને એક અઠવાડિયા પછી ફરી હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું.

આ ઉપરાંત, ગયા મહિને EDએ દિલ્હી અને મુંબઈમાં અનિલ અંબાણી સાથે જોડાયેલા 35 સ્થળો પર રેડ કરી હતી. આ રેડ મની લોન્ડરિંગની તપાસ હેઠળ કરવામાં આવી હતી, જેમાં 50 કંપનીઓની તપાસ કરવામાં આવી અને 25 લોકો સાથે પૂછપરછ કરવામાં આવી. EDની પ્રારંભિક તપાસમાં બેંકો, શેરધારકો, રોકાણકારો અને જાહેર સંસ્થાઓને છેતરીને જનતાના પૈસાની ગેરરીતિની આયોજિત યોજનાનો ખુલાસો થયો હતો.

આ કેસમાં 2017 થી 2019 ની વચ્ચે યસ બેંકે રિલાયન્સ અનિલ અંબાણી ગ્રૂપની RAAGA કંપનીઓને લગભગ 3,000 કરોડ રૂપિયાની લોન આપી હતી. EDનો દાવો છે કે તેણે એક ગેરકાયદેસર વ્યવહાર વ્યવસ્થાનો પર્દાફાશ કર્યો, જેમાં યસ બેંકના પ્રમોટરોએ લોન સ્વીકારતા પહેલાં તેમની ખાનગી કંપનીઓમાંથી પેમેન્ટ લીધું હતું. આ ફ્રોડ SBIના 2000 કરોડના ગોટાળા સાથે જોડાયેલો હોઈ શકે છે, કારણ કે અનિલ અંબાણી ગ્રૂપ પર ઘણી બેંકોમાંથી લોન લઈને ડિફોલ્ટ કરવાના આરોપો છે. આ ગોટાળાની કુલ રકમ 20,000 કરોડ રૂપિયાથી વધુની લાગે છે, જેમાં SBI, યસ બેંક અને અન્ય લોનનો સમાવેશ થાય છે.

અનિલ અંબાણી પહેલેથી જ દેવાળિયા પ્રક્રિયાનો સામનો કરી ચૂક્યા છે, અને રિલાયન્સ કમ્યુનિકેશન્સ જેવી તેમની ગ્રૂપ કંપનીઓ દેવામાં ડૂબેલી છે. આ રેડ તેમના પર વધતા દબાણને દર્શાવે છે. ED મની લોન્ડરિંગની તપાસ કરી રહી છે, જ્યારે CBI ફ્રોડ અને ભ્રષ્ટાચાર પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આગળ પૂછપરછ અને ધરપકડની શક્યતા છે. આ મામલો રિલાયન્સ ગ્રૂપની અન્ય કંપનીઓ સુધી ફેલાઈ શકે છે, અને RBI તેમજ SEBI પણ સામેલ થઈ શકે છે. આની અસર રોકાણકારો અને શેરધારકો પર પડશે અને રિલાયન્સના શેરોમાં ઉતાર-ચઢાવ શક્ય છે.

અમેરિકાના ટેરિફના કારણે સુરતના હીરા બજારમાં મંદીનો ભય, DWUએ પીએમ સહીત મંત્રીઓ ને લખ્યા પત્ર

અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરીફને લઈને સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા પત્ર લખવામાં આવ્યો છે. આ પત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભારત સરકારના વાણીજ્ય અને ઉઘોગ મંત્રી પીયુષ ગોયેલ, શ્રમ અને રોજગાર મંત્રી મનસુખભાઈ માંડવીયા અને વિદેશ મંત્રી એસ. જયશંકરને લખવામાં આવ્યો છે.

ડાયમંડ વર્કર યુનિયન દ્વારા નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં રજૂઆત કરી હતી કે, ગુજરાતના હીરા ઉઘોગમાં લગભગ 20થી 25 લાખ કર્મચારી કામ કરે છે.

છેલ્લા ઘણા સમયથી હીરા ઉઘોગમાં ભારી મંદી આવી છે. જેની સીધી અસર હીરા ઉઘોગમાં કામ કરતા રત્નકલાકાર પર પડી છે. રૂસ-યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ, જી-7 દેશોના પ્રતિબંધ, વૈશ્વિક મંદી, ઇસરાઈઝ હમાસ વચ્ચે સંઘર્ષનો હીરા ઉઘોગ પર પ્રભાવ પડ્યો છે. જેના કારણે મોટી સંખ્યામાં રત્નકલાકારો બેરોજગાર થયા છે અને વેતન અડધાથી પણ ઓછું થઇ ગયું છે.

અમેરિકા દ્વારા લાદવામાં આવેલા 25 ટકા ટેરીફ અને આવનારા સમયમાં 50 ટકા વધવાની સંભાવનાને જોતા આની હીરા ઉઘોગ પર ગંભીર પ્રભાવ પડશે. જેના કારણે લાખો શ્રમિકો બેરોજગાર થવાની સંભાવના છે. જેનાથી આત્મહત્યાની સંખ્યા પણ વધવાની સંભાવના છે. ભારતના લગભગ 40 ટકા પોલીસીંગ હીરા અમેરિકામાં વેચાણ થાય છે. જેથી અમેરિકા 50 ટકા ટેરીફ લગાવે તો આપણા તૈયાર હીરા ત્યાં મોંઘા થશે. જેના કારણે ત્યાના લોકો ખરીદી ઓછી કરશે અથવા બંધ કરશે. જેનાથી આપણા ઉત્પાદન ઓછું થઇ જશે. જેના કારણે બેરોજગારી વધશે અને જો બેરોજગારી વધશે તો આત્મ હત્યા અને ક્રાઈમ પણ વધશે. આ હીરા ઉઘોગને બર્બાદ કરવાની આંતરરાષ્ટ્રીય સાજીશ છે.

પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે, આપણે કોશિશ કરવી જોઈએ કે દેશના લોકો સોનાની જગ્યાએ હીરાના આભુષણ પહેરે જેથી સ્થાનિક બજાર સ્થાપિત થશે અને આપણા લાખો લોકોને સારો રોજગાર મળી શકશે સાથે જ અમેરિકા સિવાય બીજા દેશોમાં પણ નવા બજાર ગોતવા જોઈએ. જેથી અમેરિકા પર નિર્ભર ના રહેવું પડે, આ ખુબ જ જરૂરી છે કે અમેરિકા દ્વારા લગાડવામાં આવેલા ભારી ટેરીફનું ઉચિત સમાધાન થાય અને જો ટેરીફનું સમાધાન નહીં થાય તો લગભગ દોઢથી બે લાખ કર્મચારી બેરોજગાર થઇ શકે છે અને લગભગ 5 લાહ કર્મચારી ગંભીર રૂપથી પ્રભાવિત થશે એટલે અમે માંગ કરીએ છીએ કે સરકાર તેમની મદદ માટે તાત્કાલિક આગળ આવે, મંદીના કારણે કર્મચારીઓ આર્થિક રૂપથી બરબાદ થઇ ગયા છે અને તેમના વેતન પણ ઓછા થઇ ગયા છે. જેના કારણે તેઓ બાળકોની સ્કુલ ફી, ઘરની લોનના હપ્ત્તા ભરી શકતા નથી અને બેરોજગારીના કારણે છેલ્લા બે વર્ષમાં સુરતમાં લગભગ 80 કર્મચારીએ આત્મ હત્યા કરી ચુક્યા છે.

કર્મચારીઓને આ કઠીન પરિસ્થિતિમાંથી કાઢવા માટે માંગ કરવામાં આવી હતી કે, આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે, બેરોજગાર કર્મચારીઓ માટે રત્નદીપ યોજના શરુ કરવામાં આવે, રત્નકલાકાર કલ્યાણ બોર્ડનું ગઠન કરવામાં આવે, આત્મ હત્યા કરનાર કર્મચારીઓના પરિવારને આર્થિક સહાય આપવામાં આવે, શ્રમ કાનુન અનુસાર લાભો આપવામાં આવે અને પ્રોફેશનલ ટેક્સ સમાપ્ત કરવામાં આવે.

શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો

શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની શુક્રવારે કોલંબોમાં ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી જ્યારે તેઓ તેમના રાષ્ટ્રપતિ કાર્યકાળ દરમિયાન વ્યક્તિગત મુસાફરી માટે જાહેર ભંડોળના દુરુપયોગના આરોપોના સંદર્ભમાં તેમનું નિવેદન નોંધાવવા આવ્યા હતા.

સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, રાનિલ વિક્રમસિંઘે શુક્રવારે સવારે નાણાકીય ગુના તપાસ વિભાગ (FCID) સમક્ષ પોતાનું નિવેદન નોંધાવવા પહોંચ્યા હતા. FCIDના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે તેમને કોલંબો ફોર્ટ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી રહ્યા છીએ. રાજ્યના સંસાધનોનો વ્યક્તિગત ઉપયોગ કરવાના આરોપસર તેમની ધરપકડ કરવામાં આવી છે.”

2023 માં હવાનાથી પરત ફરતી વખતે વિક્રમસિંઘે લંડનની ખાનગી યાત્રા કરી હતી. આ દરમિયાન, તેઓ અને તેમની પત્ની મૈત્રી વિક્રમસિંઘે યુનિવર્સિટી ઓફ વોલ્વરહેમ્પ્ટન ખાતે એક સમારોહમાં હાજરી આપી હતી. આ યાત્રા શ્રીલંકાના જાહેર સંસાધનોનો દુરુપયોગ માનવામાં આવે છે. જો કે, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હંમેશા કહેતા આવ્યા છે કે તેમની પત્નીએ તેમની યાત્રાનો ખર્ચ પોતે ઉઠાવ્યો હતો અને તેમાં કોઈ સરકારી ભંડોળનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. પરંતુ પોલીસના ગુનાહિત તપાસ વિભાગ (CID) નો આરોપ છે કે વિક્રમસિંઘેએ તેમની અંગત યાત્રા માટે સરકારી ભંડોળનો ઉપયોગ કર્યો હતો અને રાજ્યએ તેમના સુરક્ષા કર્મચારીઓને પણ ચૂકવણી કરી હતી. આ કેસમાં, શુક્રવારે સવારે તેમને નિવેદન નોંધાવવા માટે બોલાવવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.

અમદાવાદ બાદ મહીસાગરમાં વિદ્યાર્થી પર જીવલેણ હુમલો! વાલીઓમાં ભયનો માહોલ

મહીસાગર જિલ્લાના બાલાસિનોર શહેરમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને એક અત્યંત ગંભીર અને ચિંતાજનક ઘટના સામે આવી છે. અહીં શાળા છૂટ્યા બાદ ધોરણ 8માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી પર છરીથી હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભય અને ચિંતાનો માહોલ ફેલાયો હતો. આ ઘટના બાલાસિનોર નગરના તળાવ દરવાજા પાસે બની હતી. શાળા છૂટ્યા બાદ કેટલાક વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો.

શું છે મામલો
ઘટનાની વિગતો મુજબ, શાળા છૂટ્યા બાદ કેટલાક વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર છરીથી હુમલો કર્યો હતો. છરીના ઘા વાગતા ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને તાત્કાલિક સ્થાનિક લોકોની મદદથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

ઈજાગ્રસ્ત બાળકના વાલીએ શું કહ્યું?
ઈજાગ્રસ્ત બાળકના પિતાએ જણાવ્યું કે, “શાળામાં બાળકો વચ્ચે સામાન્ય ઝઘડો થયો હતો. આ ઝઘડામાં બીજા બાળકે મારા બાળકને છરી મારી.” તેમણે વધુમાં જણાવ્યું કે, “મારા બાળકને ડાબા ખભાથી નીચે સુધી પાંચ જેટલા ઘા મારવામાં આવ્યા છે. બંને બાળકો વચ્ચે શું કારણ હતું તે જાણી શકાયું નથી, પરંતુ અંદરોઅંદરના ઝઘડાને કારણે આ મારામારી થઈ હતી.”

બાલાસિનોર ટાઉન પોલીસે કેસની તપાસ શરૂ કરી
પોલીસે ઈજાગ્રસ્ત વિદ્યાર્થી અને અન્ય સાક્ષીઓના નિવેદનોના આધારે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. આ પ્રકારની ઘટનાઓ બાળકોના શિક્ષણ અને સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કરે છે. શાળાની બહાર પણ બાળકો સુરક્ષિત નથી તે વાલીઓ માટે મોટી ચિંતાનો વિષય બન્યો છે. સ્થાનિક લોકો અને વાલીઓ દ્વારા માંગણી કરવામાં આવી હતી કે પોલીસ આ મામલે કડક કાર્યવાહી કરે.