Home Blog Page 341

સોનાની દાણચોરી કેસમાં અભિનેત્રી રાણ્યા રાવને 102 કરોડનો દંડ

0

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ 127.3 કિલોગ્રામ સોનાની દાણાચોરીના ગાજવીજ ભરેલા કેસમાં દક્ષિણ ભારતની અભિનેત્રી રાન્યા રાવ સહિત અનેક આરોપીઓને નોટિસ પાઠવી છે. આ કેસમાં આરોપીઓએ સોનાની દાણાચોરી દ્વારા દેશમાં ગેરકાયદેસર રીતે સોનું લાવીને માર્કેટમાં ફેરવ્યું હોવાનો ખુલાસો થયો છે. તપાસ દરમિયાન આરોપીઓ સામે અંદાજે ₹102.55 કરોડનો દંડ વસૂલવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, DRIની ટીમે બેંગલુરુ સ્થિત મધ્યસ્થ જેલમાં જઈને નોટિસ સુપરત કરી હતી. જો આરોપીઓ દંડની ચુકવણી કરવામાં નિષ્ફળ જશે તો તેમની તમામ સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરાશે. અધિકારીઓનું કહેવું છે કે આ સમગ્ર કેસ આંતરરાષ્ટ્રીય ગેરકાયદેસર નેટવર્ક સાથે સંકળાયેલો હોઈ શકે છે, અને તેના સોરસ સુધી પહોંચવા તપાસ ચાલુ છે

શું છે આખો મામલો?

  • કન્નડ અભિનેત્રી અને વરિષ્ઠ પોલીસ અધિકારી કે. રામચંદ્ર રાવની સાવકી પુત્રી રાણ્યા 3 માર્ચે બેંગ્લોરના કેમ્પેગૌડા એરપોર્ટ પર ઉતરી હતી.સાંજે ૬ વાગ્યાની આસપાસ, રાણ્યા એક્ઝિટ ગેટ તરફ ગઈ. બહાર નીકળવા માટે, તે ગ્રીન ચેનલ તરફ ગઈ. ગ્રીન ચેનલ એવા મુસાફરો માટે છે જેમની પાસે ચેક કરવા માટે કોઈ સામાન નથીરાન્યા પહેલા પણ આ જ રીતે એરપોર્ટની બહાર આવતી હતી. તે દિવસે, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ એટલે કે DRI ના અધિકારીઓએ તેને રોકી. પૂછ્યું- શું તમારી પાસે સોનું છે કે બીજું કંઈ એવું છે જે બતાવી શકો? રાન્યાએ જવાબ આપ્યો- ના. આ વાતચીતથી દરમિયાન રાન્યાના ચહેરા પર ગભરામણ દેખાવા લાગી હતી. અધિકારીઓને શંકા ગઈ. તેમણે બે મહિલા અધિકારીઓને બોલાવી અને રાન્યાને તપાસવા કહ્યું.જ્યારે તેને ચેક કરવામાં આવી આવી, ત્યારે તેના શરીરના જુદા જુદા ભાગોમાં સોનું મળી આવ્યું. તેની પાસેથી કુલ 14.2 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું, જેની કિંમત 12.56 કરોડ રૂપિયા જેટલી થાય છે 

કર્ણાટક ગોલ્ડ સ્મગલિંગ કેસ : તારીખવાર સમગ્ર ઘટનાક્રમ

  • 3 માર્ચ: 14.2 કિલો સોનાની હેરાફેરી કરતા રાયણાને બેંગલુરુના કેમ્પેગોડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમણે સોનાને જાંઘ અને કમર પર ટેપથી ચોંટાડી છુપાવ્યું હતું.
  • 4 માર્ચ: કોર્ટએ રાયણાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા.
  • 5 માર્ચ: તપાસ એજન્સીઓએ રાયણાના એપાર્ટમેન્ટ પર દરોડો પાડી તપાસ કરી. અઢી કરોડ (2.1 કરોડ) રૂપિયાની જ્વેલરી અને 2.7 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી.
  • 7 માર્ચ: કોર્ટએ રાયણાને 3 દિવસ માટે ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ની કસ્ટડીમાં મોકલ્યા.
  • 10 માર્ચ: કોર્ટમાં આરોપ મુકાયો કે સિદ્ધારમૈયા સરકારના એક મંત્રી ગોલ્ડ સ્મગલિંગ કૌભાંડમાં સંકળાયેલા છે. આ અંગે રાયણાએ DRI પર દબાણ કરવાના પણ આરોપ લગાવ્યા. કોર્ટએ તેને 24 માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો.એ જ દિવસે (10 માર્ચ) રાયણાના મિત્ર તરૂણ રાજુની ધરપકડ થઈ. કોર્ટએ તેને 5 દિવસ માટે DRIની કસ્ટડીમાં મોકલ્યો.
  • 11 માર્ચ: રાયણાના સસરા, પિતા અને કર્ણાટકના DGP કે. રામચંદ્ર રાવ પર તેમની પુત્રને મદદ કરવાનો આરોપ લાગ્યો. રાજ્ય સરકારે આ મામલે તપાસના આદેશ આપ્યા

કેદારનાથ-હેમકુંડ માટે 7 હજાર કરોડના રોપવે પ્રોજેક્ટને કેન્દ્રની લીલી ઝંડી

0

રાષ્ટ્રીય રાજમાર્ગ લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ લિમિટેડ (NHLML)એ મંગળવારે, 2 સપ્ટેમ્બર, 2025ના રોજ ઉત્તરાખંડ પર્યટન વિભાગ સાથે 7,000 કરોડ રૂપિયાની બે રોપવે પરિયોજનાઓના વિકાસ માટે એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા. NHLML એ સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય હેઠળની એક વિશેષ ઇકાઈ (SPV) છે. આ પરિયોજનાઓમાં 4,100 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ સાથે 12.9 કિલોમીટર લાંબો સોનપ્રયાગ-કેદારનાથ રોપવે અને 2,700 કરોડ રૂપિયાના ખર્ચ સાથે 12.4 કિલોમીટર લાંબો ગોવિંદઘાટ-હેમકુંડ સાહિબ રોપવે સામેલ છે.

મિનિટોમાં પૂર્ણ થશે કલાકોની યાત્રા
કેદારનાથ રોપવે પરિયોજના યાત્રીઓ માટે વરદાનથી ઓછી નથી. હાલમાં ભક્તોને કેદારનાથ મંદિર સુધી પહોંચવા માટે ગૌરીકુંડથી 16 કિલોમીટરની અત્યંત પડકારજનક યાત્રા કરવી પડે છે, જે હાલમાં પગપાળા, ટટ્ટુ, પાલખી કે હેલિકોપ્ટર દ્વારા પૂર્ણ થાય છે. રોપવે બન્યા બાદ 8થી 9 કલાકની આ યાત્રા માત્ર 36 મિનિટમાં પૂર્ણ થઈ શકશે.

આર્થિક અને પર્યટન વિકાસ
આ રોપવે પરિયોજનાઓથી રાજ્યમાં રોપવે જોડાણનો વિસ્તાર થશે અને પર્યટનને પ્રોત્સાહન મળવાથી ઉત્તરાખંડની અર્થવ્યવસ્થા મજબૂત થવાની આશા છે. આ પરિયોજનાઓ હોસ્પિટાલિટી, પરિવહન અને ખાદ્ય ઉદ્યોગો જેવા સંલગ્ન ક્ષેત્રોમાં રોજગારીની તકો પણ ઊભી કરશે.

મુખ્યમંત્રી ધામીનું નિવેદન
આ સમજૂતી પર ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ રાજ્ય મંત્રી અજય ટામ્ટા તેમજ રાજ્યના પર્યટન, ધાર્મિક બાબતો અને સંસ્કૃતિ મંત્રી સતપાલ મહારાજની હાજરીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા. મુખ્યમંત્રી ધામીએ જણાવ્યું કે, આ સમજૂતી રાજ્યની ધાર્મિક અને સાંસ્કૃતિક વિરાસતને વૈશ્વિક સ્તરે નવી ઓળખ આપશે અને પર્યટન, રોજગાર સર્જન તેમજ પર્યાવરણ સંરક્ષણને નવી દિશા આપશે.

ફિલ્મ સ્ટાર્સના વીડિયો વડે 1.63 કરોડની છેતરપિંડી – સુરતનું શાહ દંપતી જેલમાં

0

સુરત શહેરમાં રોકાણકારોને ચકમો આપનાર શાહ દંપતીના કૌભાંડનો પર્દાફાશ થયો છે. સિંગણપોર-કોઝ વે રોડ ઉપર “શાહ ઈન્વેસ્ટમેન્ટ” નામે ઓફિસ ચલાવતી પૂજા હાર્દિક શાહ અને હાર્દિક અશોક શાહે ફિલ્મ સ્ટાર્સ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરનાં વીડિયોનો ઉપયોગ કરી લોકોને 100 દિવસમાં 12થી 15% વળતરનો લાલચ આપ્યો હતો. આ લાલચમાં આવી અનેક રોકાણકારોએ કરોડો રૂપિયા લગાવ્યા પરંતુ માત્ર થોડા જ પૈસા પરત મળતાં છેતરાઈ ગયા.

ચોક બજાર પોલીસ તથા CID ક્રાઈમમાં અત્યારસુધીમાં અલગ-અલગ છ ફરિયાદો નોંધાઈ ચૂકી છે. જેમાં સુરતના હરેશ ડુંગરાણીએ 11 લાખ, ભાવનગરના પાર્થ પંડ્યાએ 58 લાખ અને અશ્વિન રાણાભાઈએ 75 લાખ ગુમાવ્યા હોવાની વિગતો સામે આવી છે. આમ અત્યાર સુધીમાં 1.63 કરોડ રૂપિયાનો છેતરપિંડીનો કેસ નોંધાઈ ગયો છે.

શાહ દંપતીએ રોકાણકારોને લોભામણી ઓફર આપી લાખોની ઠગાઈ કરી હતી. તેમના બે લક્ઝુરિયસ ઓફિસોમાં 50થી વધુ સ્ટાફ કામ કરતો હતો અને મોટા સ્ક્રીન પર શેરબજારનું ટ્રેડિંગ બતાવી લોકોને વિશ્વાસમાં લેવાતા હતા. એટલું જ નહીં, શાહ ઈન્વેસ્ટમેન્ટને અનેક એવોર્ડ પણ મળ્યા હતા અને એક ઇવેન્ટમાં તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ તેમને એવોર્ડ આપ્યો હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. હાલ આ દંપતી જેલમાં છે અને CID ક્રાઈમ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે

સુરતના ટ્રી ગણેશનું ‘એશિયા બુક ઓફ રેકોર્ડ્સ’માં સ્થાન

સુરતના પર્યાવરણપ્રેમી વિરલ દેસાઈ દ્વારા છેલ્લા આઠ વર્ષથી ઉજવાતો અનોખો ‘ટ્રી ગણેશા’ મહોત્સવ હવે એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પામ્યો છે. આ મહોત્સવને વિશ્વની એકમાત્ર ધાર્મિક-સાંસ્કૃતિક ઈવેન્ટ તરીકે ઓળખવામાં આવી છે, જે સંપૂર્ણપણે પર્યાવરણ સંરક્ષણ પર કેન્દ્રિત છે. ‘ટ્રી ગણેશા’ અંતર્ગત ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન એન્ડ ક્લાઈમેટચેન્જ’ ચળવળથી અત્યાર સુધીમાં એક લાખથી વધુ વિદ્યાર્થીઓને પર્યાવરણ સેનાની તરીકે તૈયાર કરવામાં આવ્યા છે.

સુરત પોલીસ, ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ અને ગુજરાત વન વિભાગના સહકારથી આ અભિયાનને વિશાળ સ્વરૂપ મળ્યું છે. વિરલ દેસાઈએ જણાવ્યું કે, “ટ્રી ગણેશા માત્ર ઉત્સવ નથી, પરંતુ એક ચળવળ છે જે યુવા પેઢીને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરીને આપણા ગ્રહનું ભવિષ્ય સુરક્ષિત કરવાનો પ્રયાસ કરે છે.” આ આંતરરાષ્ટ્રીય સફળતાથી સુરતનું નામ વૈશ્વિક સ્તરે ગુંજી ઉઠ્યું છે

પર્યાવરણ કેન્દ્રી વિવિધ થીમ ‘ટ્રી ગણેશા માત્ર ઉત્સવ નથી, પરંતુ એક ચળવળ છે’ વિરલ દેસાઈએ જણાવ્યું હતું કે, ટ્રી ગણેશા એ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ એક એવી ચળવળ છે જે યુવા પેઢીને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરીને આપણા ગ્રહનું ભવિષ્ય સુરક્ષિત કરવાનો પ્રયાસ કરે છે. એશિયા બુક ઓફ રેકોર્ડની આ ઓળખ આપણી મુહિમની સફળતાનો પુરાવો છે.

ઉત્તર પ્રદેશમાં ફરી એકવાર ધર્મ પરિવર્તન ગેંગનો પર્દાફાશ, 8 લોકોની ધરપકડ

0

ઉત્તર પ્રદેશના આગ્રામાં ફરી એકવાર ધર્મ પરિવર્તન ગેંગનો પર્દાફાશ થયો છે. શાહગંજ પોલીસે આ ગેંગના 8 સભ્યોની ધરપકડ કરી છે. જેમાં 5 પુરુષો અને ૩ મહિલાઓનો સમાવેશ થાય છે. ગેંગ લીડર રાજકુમાર લાલવાણી પોલીસ કસ્ટડીમાં છે. પોલીસના જણાવ્યા મુજબ, આ ગેંગ ગરીબ અને બીમાર લોકોને ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે લલચાવતી હતી લોકોને ઝાડુ-ફૂંક, ચમત્કાર અને સારવારના ખોટા વચનો આપીને તેમની જાળમાં ફસાવતા હતા.

ધર્મ પરિવર્તન ગેંગનો પર્દાફાશ
પોલીસને એક વ્હાઈટ કોલર લીડર દ્વારા આ ગેંગ વિશે માહિતી મળી હતી. ત્યારબાદ 2 મહિલા પોલીસકર્મીઓને ગુપ્ત કામગીરી માટે તૈનાત કરવામાં આવી હતી. તેમણે સત્સંગના નામે ચાલી રહેલા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો અને ધર્મ પરિવર્તનની વાસ્તવિકતાના પુરાવા એકત્રિત કર્યા હતા

પોલીસે ગેંગના 8 સભ્યોની ધરપકડ કરી
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગનો ‘ચર્ચ ઓફ ગોડ’ આગ્રા સાથે સંબંધ છે. રવિવારે ગુપ્ત બેઠકોમાં ધર્મ પરિવર્તનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવતી હતી. સોશિયલ મીડિયા અને યુટ્યુબ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો હતો. પોલીસે દરોડો પાડયો હતો અને ઘણા મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો અને સામગ્રી કબજે કરી હતી. હાલમાં, કેસની વધુ તપાસ ચાલી રહી છે.

રાંદેરમાં પર્યાવરણ સંરક્ષણ અને મહાભારતની ભવ્ય થીમ પર ગણેશોત્સવની ઉજવણી

લોકમાન્ય બાળ ગંગાધર ટિળકે જનમાનસમાં રાષ્ટ્રવાદની ભાવના વિકસિત કરવા અને સમાજને સંગઠિત કરવા માટે સાર્વજનિક ગણેશ ઉત્સવની શરૂઆત કરી હતી. રાજ્ય સરકારે પર્યાવરણ પ્રત્યે જનજાગૃતિ અને પરંપરાગત ગણેશ મૂર્તિઓથી થતા પાણી પ્રદૂષણને ઘટાડવા ‘ઈકોફ્રેન્ડલી ગણેશોત્સવ’ અભિયાનને પ્રોત્સાહન આપ્યું છે, ત્યારે સુરતના રાંદેરના ગુજરાત હાઉસિંગ બોર્ડના જય માતાદી ગ્રુપ દ્વારા આ વર્ષે પર્યાવરણ સંરક્ષણ અને મહાભારતની ભવ્ય થીમ પર ભવ્ય ગણેશ પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં ભારતીય સંસ્કૃતિના સિદ્ધાંતો, ધાર્મિક શ્રદ્ધા અને નૈતિક મૂલ્યો ઉજાગર થયા છે. આ ગ્રુપ છેલ્લા ૧૫ વર્ષથી ગણેશજીની એક જ મૂર્તિની પુન:સ્થાપના કરીને નાણા બચાવી પર્યાવરણના રક્ષણ સાથે સમાજ સેવા કરે છે.

જય માતાદી ગ્રુપના નિલેશભાઈ હદાણીએ જણાવ્યું હતું કે, છેલ્લા અમે 30 વર્ષથી ગણેશજીની સ્થાપના કરીએ છીએ. પણ છેલ્લા ૧૫ વર્ષથી એક જ મૂર્તિનો પુન:ઉપયોગ કરીને પર્યાવરણનું જતન કરવાને પહેલ કરી છે. દર વર્ષે ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક થીમ પર ઉજવણી કરવામાં આવે છે. મૂર્તિ પાછળ ખર્ચાતા પૈસાનો સમાજ સેવા અને ગરીબ બાળકોના શિક્ષણ માટે ઉપયોગ કરીએ છીએ. સ્થાપિત મંગલમૂર્તિનું વિસર્જન ગણેશ પંડાલમાં જ કરવામાં આવે છે. એટલે નદીઓમાં મૂર્તિઓના વિસર્જનથી થતું પ્રદૂષણ અટકશે, પર્યાવરણ બચાવવામાં સહાયરૂપ બનીએ છીએ. આ નાનકડા પ્રયાસથી બાળકોમાં સંસ્કાર તેમજ જવાબદારીની ભાવના વિકાસ કરવાનો અમારો હેતુ છે.

તેમણે મૂર્તિ અને શણગારની વિશેષતા વિષે જણાવ્યું કે, શણગારની દરેક સામગ્રીનો પુન: ઉપયોગ કરીએ છીએ. જેથી કોઈ પણ પ્રકારના કચરાનું સર્જન નથી થતું. છેલ્લા છ દિવસમાં 20 હજારથી વધુ શહેરીજનોએ અહીં દર્શન કરીને ધન્યતા અનુભવી છે. આ પંડાલ દ્વારા મહાભારતના સિદ્ધાંતોને આધારે સમાજમાં ધર્મ અને મૂલ્ય સમર્પિત જીવન, આપણા પ્રાચીન વારસા અને પરંપરાની સાચી સમજ સાથે પ્રગતિ અને ભક્તિ, સામાજિક સૌહાર્દ અને એકતાની ભાવના કેળવવાનો સંદેશ પણ આપવાનો પ્રયાસ કર્યો છે.

આ ગણેશ પંડાલની મુખ્ય વિશેષતા
મહાભારતના પ્રસંગો ગદાધારી ભીમ, દ્રૌપદી સ્વયંવર, દુયોધનનું અપમાન, દ્રૌપદીનું ચીરહરણ, ચોપાઈ, ષડયંત્ર, દાનેશ્વરી કર્ણ, દુર્યોધન વધ, અશ્વત્થામા, મણિ, સંજય દ્વારા મહાભારત વર્ણન, અભિમન્યુ વધ, બાણશૈયા પર ભિષ્મ પિતામહ, મહાભારત રચયિતા મહર્ષિ વેદ વ્યાસ, શ્રીકૃષ્ણના ગીતા ઉપદેશ જેવી કલાકૃત્તિઓ દર્શાવવામાં આવ્યા છે. સ્થાનિક કલાકારો, મૂર્તિકારો અને વિદ્યાર્થીઓએ નિર્માણ કરેલા આ પંડાલે યુવા પ્રતિભાને એક મંચ પૂરો પાડ્યો છે. દરરોજ આરતી, ભજન, અને યજ્ઞ જેવી ધાર્મિક પ્રવૃત્તિઓથી ભક્તિભાવભર્યું વાતાવરણ ઉભું થાય છે. 

એક જ રાતમાં 8 ગણેશ પંડાલોમાં ચોરી, મૂર્તિઓને ખંડિત કરતા લોકોમાં રોષ ફૂટ્યો

સુરતમાં એક જ રાતમાં આઠ ગણેશ પંડાલમાં ચોરી થઇ છે. જેમાં ચાંદીની મૂર્તિ, તાંબાના દીવા સહિતની વસ્તુઓ ચોર ઉઠાવી ગયા છે. મહિધરપુરામાં તસ્કરોએ 8 પંડાલોમાં કરી ચોરી. ગણેશ પંડાલમાં ફક્ત ચોરીથી ના અટકતા તસ્કરોએ મૂર્તિઓ પણ ખંડિત કરી. ભગવાનની મૂર્તિઓ ખંડિત થતા અને પંડાલોમાં ચોરીની ઘટના બનતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો. ઘટનાની પોલીસને જાણ કરાઈ.

સુરતમાં ગણેશ પંડાલમાં તસ્કરોએ કરી લૂંટ
પોલીસે મહિધરપુરામાં તસ્કરોએ 8 પંડાલોમાં થયેલ ચોરીને લઈને કડક તપાસ હાથ ધરી. ગણેશ પંડાલમાં ચોરી થયાનું સામે આવતા ક્રાઇમ બ્રાન્ચ સહિત સ્થાનિક પોલીસો તત્કાલ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે પંડાલ અને આસપાસના CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. અને ગણતરીના કલાકોમાં પંડાલમાં કરાયેલ ચોરીનો ભેદ ઉકેલાયો. પોલીસે બે ઈસમોની ધરપકડ કરી.

ચોરી કરવા આવેલા તસ્કરો CCTVમાં કેદ થયા
પોલીસે ગણેશ પંડાલની ચોરીમાં તત્કાલ એકશનમાં આવતા શંકાસ્પદ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. CCTV ફૂટેજના આધારે ચોરી કરનાર ઇસમોની ઓળખ કરી. દરમિયાન સ્ટેશન વિસ્તારમાંથી આરોપીઓ મળી આવ્યા. પોલીસે આરોપીઓને ઝડપી ચોરીનો મુદ્દા માલ કબ્જે કરવાની કાર્યવાહી શરૂ કરી.

રાપરમાં જજના બંગલામાં ઘૂસ્યો ઝેરી કોબ્રા સાપ, રેસ્ક્યુ કરી સલામત છોડી દેવાયો

રાપર સિવિલ કોર્ટના જજ ના બંગલા માંથી ઝેરી સર્પ નીકળતાં દોડધામ મચી ગઈ હતી. રાપર તાલુકા સિવિલ કોર્ટના પ્રિન્સીપલ સિવિલ જજ એ.એમ. પાટડીયાના બંગલા માંથી ગઈકાલે સાંજના સમયે આશરે બે ત્રણ ફુટ લંબાઈ ધરાવતો કાળો કોબરા સર્પ નીકળી આવતાં ગભરાટની લાગણી ઉભી થઈ હતી. આ ઝેરી સર્પને ત્યાં લોકોએ પકડીને સુરક્ષિત છોડી દીધો હતો.

રાપર સિવિલ કોર્ટના વિકાસવાડી વિસ્તારમાં જજીસ બંગલા અને અન્ય સરકારી કર્મચારીઓના ક્વાર્ટર્સ આવેલા છે. આ કોલોનીમાં ઘણા કર્મચારીઓ તેમના પરિવાર સાથે રહે છે. ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં જંગલી વનસ્પતિ મોટા પ્રમાણમાં ઊગી નીકળે છે. આ વનસ્પતિમાં સાપ સહિતના અનેક જીવજંતુઓનો વસવાટ હોય છે.

વરસાદની સીઝનમાં આ જીવજંતુઓ વારંવાર બહાર આવતા હોવાથી રહીશો અને કર્મચારીઓમાં ભયનો માહોલ રહે છે. આ સમસ્યાના નિવારણ માટે કોર્ટના સ્ટાફે સ્ટેટ માર્ગ મકાન વિભાગ અને સ્થાનિક નગરપાલિકા પાસે નિયમિત સફાઈની માંગણી કરી છે.

પંજાબના તમામ 23 જિલ્લાઓને પૂરગ્રસ્ત જાહેર, 3.5 લાખ લોકો પ્રભાવિત

0

દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદના પગલે જનજીવનને વ્યાપક અસર થઈ છે. જેમાં સૌથી વધુ અસર ગ્રસ્ત રાજ્ય પંજાબમાં ભારે વરસાદ અને પૂરના લીધે હાલત કફોડી બની છે. રાજ્યના 23 જીલ્લામાં 1400 થી વધુ ગામો પૂરની ચપેટમાં છે. જેના પગલે રાજ્ય સરકારે રાજ્યને આપત્તિગ્રસ્ત જાહેર કર્યું છે. આ અંગે મુખ્ય સચિવ કેએપી સિન્હાએ આદેશ જાહેર કર્યો છે. તેમજ તમામ વિભાગોને એલર્ટ કર્યા છે. આપદા પ્રબંધન અધિનિયમ 2025 અંતર્ગત તમામ જીલ્લા ક્લેકટરોને રાહત કાર્યમાં તેજી લાવવા આદેશ આપ્યા છે.

કેબિનેટ મંત્રી હરદીપ સિંહ મુન્ડિયને જણાવ્યું હતું 1400 ગામોને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે, જેમાં અત્યાર સુધીમાં 3,54,626 લોકો અસરગ્રસ્ત થયા છે. અત્યાર સુધીમાં અંદાજે 20,000 લોકોને પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. 1,48,590 હેક્ટર ઊભો પાક બરબાદ થઈ ગયા છે. સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં ગુરદાસપુર, માનસા, અમૃતસર, કપૂરથલા, ફિરોઝપુર, તરણતારન અને હોશિયારપુરનો સમાવેશ થાય છે.

તમામ સ્કૂલો, કોલેજ, યુનિવર્સીટીઓ બંધ રાખવા આદેશ
રાજ્યના પૂરની ગંભીર સ્થિતિને જોતા રાજય સરકારે તમામ સ્કૂલો, કોલેજ, યુનિવર્સીટી અને પોલિટેકનીકો ને 7 સપ્ટેબર સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય અત્યારે ભીષણ પૂરનો સામનો કરી રહ્યો છે. ભારે વરસાદ અને બંધમાંથી છોડવામાં આવતા પાણીના લીધે અનેક જીલ્લામાં પૂરની સ્થિતિ છે. તેમજ હાલત વધુ બગડી રહી છે. તેમજ આગામી દિવસોમાં સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.

6 વર્ષમાં પંજાબમાં ત્રીજી વાર પૂરની સ્થિતિ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 6 વર્ષમાં પંજાબમાં પૂરની સ્થિતી સર્જાવાની આ ત્રીજી ઘટના છે. અગાઉ 2023માં 1,500થી વધુ ગામો અસરગ્રસ્ત થયા હતા અને 2 લાખ હેક્ટર જમીન પરની પાકને વ્યાપક નુકસાન થયું હતું. વર્ષ 2019માં પણ 300થી વધુ ગામોને અસર થઈ હતી. આ વર્ષે પણ રાજ્યમાં સિઝનનો રેકોર્ડ બ્રેક વરસાદ નોંધાયો છે. તેમજ હજુ પણ ભારે વરસાદની આગાહી છે.

અમદાવાદમાં સરખેજના સકરી તળાવમાં ડૂબી જતા 3 લોકોના મોત

0

અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલું ઐતિહાસિક શકરી તળાવ આજે એક ગમખ્વાર ઘટનાનું સાક્ષી બન્યું. તળાવમાં હોડી પલટી જવાથી ત્રણ યુવકોના કરુણ મોત નિપજ્યા છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

શું બની હતી ઘટના?
પ્રાથમિક માહિતી મુજબ, આ ત્રણ યુવકો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની હોડી લઈને તળાવમાં ગયા હતા. થોડા સમય બાદ કોઈ અગમ્ય કારણોસર તેમની હોડી પલટી ગઈ હતી અને ત્રણેય યુવકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે તરત જ બચાવ કામગીરી અને શોધખોળ શરૂ કરી હતી. સ્થાનિક લોકોની મદદથી અને ફાયર વિભાગની સતત મહેનત બાદ, ડૂબી ગયેલા ત્રણેય યુવકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.

મૃતકોની ઓળખ અને આગળની કાર્યવાહી
હાલમાં મૃતક યુવકોની ઓળખ અને તેમના પરિવારજનોને જાણ કરવાની કામગીરી ચાલી રહી છે. પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ દુર્ઘટના પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ કાર્યવાહી કરી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર તળાવો અને જળાશયોની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. લોકો અને ખાસ કરીને યુવકોએ આવા સ્થળોએ સાવચેતી રાખવી કેટલી જરૂરી છે, તે આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે. આ કરુણ ઘટનાથી મૃતકોના પરિવારજનોમાં ભારે શોક અને દુઃખનો માહોલ છવાયો છે.