Home Blog Page 268

Surat: લિંબાયત પોલીસ સ્ટેશનના ચોથા માળેથી કૂદી યુવકનો આપઘાત

સુરતમાં પોલીસ સ્ટેશનમાં જ યુવકે આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે. મળતી માહિતી અનુસાર સુરતના લિંબાયત પોલીસ સ્ટેશનમાં એક યુવકે ચોથામાળેથી કુદીને આત્મહત્યા કરી લીધી છે. પોલીસ સ્ટેશનમાં જ યુવકે આત્મહત્યા કરી લેતા પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. આ યુવક કોણ છે, અને તે આરોપી છે કે ફરિયાદી? એ અંગે પોલીસ મૌન છે. જે કારણે શંકાના વાદળો વધુ ઘેરા બન્યા છે.

મળતી માહિતી પ્રમાણે, આપઘાત કરનાર યુવકની ઉંમર 35થી 40 વર્ષ જેટલી લાગી રહી છે. આજે (24 નવેમ્બર) પોલીસ સ્ટેશન પર કોઈ રજૂઆત કરવા અથવા ફરિયાદ કરવા આવ્યો હતો. ત્યારબાદ અચાનક જ ટેરેસ પર પહોંચી ગયો હતો અને ત્યાંથી કૂદી ગયો હતો. ઘટના અંગેની જાણ થતા પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો અને યુવકની તપાસ કરતા તેનું મોત થઈ ચૂક્યું હતું.

પોલીસ સ્ટેશનમાં યુવકના આપઘાતના પગલે લિંબાયત પોલીસની કામગીરી પર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. પોલીસની હાજરીમાં આ યુવક ટેરેસ પર કઈ રીતે પહોંચી ગયો તે એક મોટો સવાલ છે. હાલ તો એસીપી ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પોલીસ સ્ટેશન દોડી ગયા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું નિધન

0

આજે દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્રનું નિધન થયું છે. ઘણા દિવસોથી ઘર પર જ તેમની સારવાર ચાલી રહી હતી. આ દરમિયામન પરિવાર વચ્ચે દેઓલ હાઉસમાં એક્ટરે અંતિમ શ્વાસ લીધા છે. મહત્વની વાત એ છે કે, બર્થ-ડેના 14 દિવસ પહેલા જ ધર્મેન્દ્રનું નિધન થયું છે. નોંધનીય છે કે, 89 વર્ષીય એક્ટરને શ્વાસ લેવામાં તકલીફ થતાં 31 ઓક્ટોબરે રાત્રે મુંબઈની બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 12 નવેમ્બરે તેમને રજા આપવામાં આવી તે પહેલાં તેમણે ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં સારવાર લીધી હતી.

ઘરે જ ચાલી રહી છે સારવાર
ધર્મેન્દ્ર ઘણા સમયથી બીમાર છે. તેમને 31 ઓક્ટોબર, 2025 ના રોજ નિયમિત તપાસ માટે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 10 નવેમ્બરના રોજ તેમની તબિયત અચાનક બગડી. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. તેમને લાંબા સમય સુધી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી અને પછી તેમને ઘરે લઈ જવામાં આવ્યા. ઘણા કલાકારો તેમને મળવા હોસ્પિટલમાં ગયા હતા. સલમાન ખાન, શાહરૂખ ખાન, ગોવિંદા અને અમીષા પટેલ જેવા કલાકારોએ તેમની મુલાકાત લીધી હતી. એવા અહેવાલો હતા કે ધર્મેન્દ્રની પહેલી પત્ની પ્રકાશ ઇચ્છતી હતી કે તેમની સારવાર ઘરે જ કરવામાં આવે, તેથી જ તેમની સારવાર ઘરેથી જ કરવામાં આવી રહી હતી.

આ ફિલ્મોમાં ધર્મેન્દ્રએ કર્યુ કામ
ધર્મેન્દ્રએ ઘણી ફિલ્મોમાં અભિનય કર્યુ. તેમણે 1960માં ફિલ્મ દિલ ભી તેરા હમ ભી તેરેથી ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેઓ શોલા ઔર શબનમમાં જોવા મળ્યા હતા. ધર્મેન્દ્રએ અનપધ, બંદિની, પૂજા કે ફૂલ, હકીકત, ફૂલ ઔર પથ્થર, અનુપમા, ખામોશી, પ્યાર હી પ્યાર, તુમ હસીન મેં જવાન, સીતા ઔર ગીતા, લોફર, યાદો કી બારાત અને શોલે સહિત ઘણી શાનદાર ફિલ્મોમાં અભિનય કર્યો છે.

ધર્મેન્દ્ર 89 વર્ષની ઉંમરે પણ સતત કામ કરી રહ્યાં છે. તેમણે છેલ્લે ફિલ્મ તેરી બાતોં મેં ઉલ્ઝા જિયામાં જય સિંહ અગ્નિહોત્રીની ભૂમિકા ભજવી હતી. હવે તેઓ આગામી ફિલ્મ 21 માં જોવા મળશે. 21 25મી ડિસેમ્બરે રિલીઝ થશે. સોમવારે ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. શ્રીરામ રાઘવન દ્વારા દિગ્દર્શિત, આ એક યુદ્ધ-ડ્રામા ફિલ્મ છે જેમાં અગસ્ત્ય નંદા મુખ્ય ભૂમિકામાં છે.

જસ્ટિસ સૂર્યકાંત બન્યા 53માં મુખ્ય ન્યાયાધીશ, જાણો વકીલથી લઇને CJI સુધીની સફર

0

જસ્ટિસ સૂર્યકાંતે ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક ભવ્ય સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને શપથ ગ્રહણ કરાવ્યા હતા. સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે બે દાયકાથી વધુનો બહોળો અનુભવ ધરાવતા જસ્ટિસ સૂર્ય કાંતનો કાર્યકાળ 9 ફેબ્રુઆરી, 2027 સુધી રહેશે.

જસ્ટિસ સૂર્યકાંતની ન્યાયિક કારકિર્દી અત્યંત નોંધનીય રહી છે. સુપ્રીમ કોર્ટમાં પોતાના કાર્યકાળ દરમિયાન, તેમણે કેટલાક ઐતિહાસિક અને રાષ્ટ્રીય મહત્ત્વના ચુકાદાઓમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમાં જમ્મુ-કાશ્મીર માટેના કલમ 370ને નાબૂદ કરવાના નિર્ણય, અભિવ્યક્તિની સ્વતંત્રતા, લોકશાહી, ભ્રષ્ટાચાર, પર્યાવરણ અને લૈંગિક સમાનતા જેવા સંવેદનશીલ અને બંધારણીય મુદ્દાઓ પરના મહત્ત્વના ચુકાદાઓનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, તેઓ હાઈકોર્ટમાંથી સીધા સુપ્રીમ કોર્ટમાં આવ્યા હતા અને ન્યાયના ક્ષેત્રમાં તેમનો અનુભવ તેમને આ સર્વોચ્ચ પદ માટે વિશેષ યોગ્યતા પ્રદાન કરે છે.

જસ્ટિસ સૂર્યકાન્ત કોણ છે?
10 ફેબ્રુઆરી, 1962 ના રોજ હરિયાણાના હિસાર જિલ્લામાં એક મધ્યમ વર્ગના પરિવારમાં જન્મેલા જસ્ટિસ કાંત નાના શહેરના પ્રેક્ટિશનરમાંથી બારમાંથી ઉદય પામીને દેશના સર્વોચ્ચ ન્યાયિક પદ સુધી પહોંચ્યા. વર્ષોથી તેઓ અનેક રાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ ચુકાદાઓ અને બંધારણીય નિર્ણયોનો ભાગ રહ્યા છે. તેમણે 2011 માં કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાંથી કાયદામાં માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી, ‘ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ’ પ્રાપ્ત કર્યું.

જસ્ટિસ કાંત અગાઉ 5 ઓક્ટોબર, 2018થી હિમાચલ પ્રદેશ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે સેવા આપી હતી. તે પહેલાં, તેમણે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં અનેક સીમાચિહ્નરૂપ ચુકાદાઓ આપ્યા હતા.

ન્યાયાધીશ કાંત સંબંધિત કેટલાક નોંધપાત્ર નિર્ણયો

  • સુપ્રીમ કોર્ટમાં તેમના કાર્યકાળમાં કલમ 370, વાણી સ્વાતંત્ર્ય અને નાગરિકતાના મુદ્દાઓ પર મહત્વપૂર્ણ નિર્ણયો શામેલ હતા, જે આજના બંધારણીય કાયદાને આકાર આપવામાં તેમની ભૂમિકા દર્શાવે છે.
  • ન્યાયાધીશ તાજેતરમાં રાષ્ટ્રપતિ સંદર્ભની સુનાવણી કરનારી બેન્ચમાં પણ હતા, જેમાં રાજ્ય વિધાનસભાઓ દ્વારા પસાર કરાયેલા બિલો સાથે વ્યવહાર કરવામાં રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની સત્તાઓના અવકાશની તપાસ કરવામાં આવી હતી. આ કેસમાં નિર્ણયની રાહ જોવાઈ રહી છે અને તેની ઘણા રાજ્યો પર મોટી અસર થવાની અપેક્ષા છે.
  • એક અલગ સુનાવણીમાં ન્યાયાધીશ કાંતે ચૂંટણી પંચને બિહારની ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી બાકાત રહેલા 6.5 મિલિયન મતદારોની માહિતી પ્રદાન કરવા અપીલ કરી હતી. આ નિર્દેશ ત્યારે આવ્યો જ્યારે સુપ્રીમ કોર્ટ રાજ્યની ચૂંટણીઓ પહેલાં મતદાર યાદીના ખાસ સઘન સંશોધન કરવાના કમિશનના નિર્ણયને પડકારતી અરજી પર સુનાવણી કરી રહી હતી.

મહારાષ્ટ્રમાં ચાલતી કારમાં ડ્રાઇવરને આવ્યો હાર્ટ એટેક

0

મહારાષ્ટ્રના અંબરનાથ શહેરમાં તાજેતરમાં એક અત્યંત કરુણ અને ભયાનક માર્ગ અકસ્માત નોંધાયો છે, જેણે સમગ્ર શહેરને હચમચાવી નાખ્યું છે. એક કારના ડ્રાઇવરને અચાનક ડ્રાઇવિંગ દરમિયાન હાર્ટ એટેક આવતા કાર સંપૂર્ણપણે નિયંત્રણ બહાર જતી રહી હતી, જેના કારણે તે 4 થી 5 વાહનો સાથે અથડાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કુલ 4 લોકોનાં કરૂણ મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જે દ્રશ્યોની ભયાનકતા દર્શાવે છે.

આ ભયાનક ઘટના અંબરનાથના એક વ્યસ્ત ફ્લાયઓવર પર બની હતી. ડ્રાઇવરને હાર્ટ એટેક આવતા કાર બેકાબૂ બની, ડિવાઇડર ઓળંગી ગઈ અને સામેના ટ્રેક પર આવીને વાહનો સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે એક બાઇકસવાર હવામાં ઉછળીને ફ્લાયઓવર પરથી નીચે પટકાયો હતો. મૃત્યુ પામનાર 4 લોકોમાં કારના ડ્રાઇવર પોતે, તેમજ અન્ય 3 રાહદારીઓ/વાહનચાલકોનો સમાવેશ થાય છે.

ચૂંટણી પ્રચાર દરમિયાન બની ઘટના
મળી રહેલા અહેવાલો અનુસાર, આ અકસ્માત ત્યારે થયો જ્યારે શિવસેનાના ઉમેદવાર કિરણ ચૌબે તેમના ડ્રાઇવર લક્ષ્મણ શિંદે સાથે ચૂંટણી પ્રચાર માટે બુવા પાડા વિસ્તાર તરફ જઈ રહ્યા હતા. ફ્લાયઓવર પર પહોંચતા જ ડ્રાઇવર લક્ષ્મણ શિંદેને અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો, જેના કારણે કાર બેકાબૂ થઈ ગઈ અને તે પછી તેણે રસ્તા પર ભયંકર કહેર મચાવ્યો.

આ ભયાનક અકસ્માતમાં ડ્રાઇવર લક્ષ્મણ શિંદેનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ થયું હતું. અન્ય મૃતકોમાં અંબરનાથ મ્યુનિસિપલ કાઉન્સિલના કર્મચારી ચંદ્રકાંત અનારકે, અને સ્થાનિક રહેવાસીઓ સુમિત ચેલાની અને શૈલેષ જાધવનો સમાવેશ થાય છે. ચંદ્રકાંત અનારકે બાઇકસવાર હતા, જે ટક્કર બાદ નીચે પટકાયા હતા.

કેનેડાથી દિલ્હી આવતી ફ્લાઈટનું કોલકાતામાં ઇમરજન્સી લેન્ડિંગ, જાણો કારણ

0

કેનેડાના વાનકુવરથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટનું કોલકાતા ખાતે લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વાનકુવર થી દિલ્હી આવતી ફ્લાઈટ કોલકાતા થઈને આવતી હોય છે. આ દરમિયાન દિલ્હીના એક 70 વર્ષીય મુસાફર દલબીર સિંહની હાલત અચાનક બગડી ગઈ હતી. છાતીમાં દુખાવો શરૂ થયો હોવાના કારણે કોલાકાતા એરપોર્ટ પર રાત્રે 09:15 વાગ્યે મેડિકલ ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. મુસાફરને ઉતારીને બાકીના 176 મુસાફરો સાથે વિમાન ફરી 10:10 વાગ્યે દિલ્હી જવા માટે રવાના થઈ ગયું હતું.

તબીબોએ મુસાફર દલબીર સિંહને મૃત જાહેર કર્યાં
મળતી વિગતે પ્રમાણે, દલબીર સિંહને વિમાનમાંથી ઉતાર્યાં બાદ સત્વરે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. પરંતુ અહીં હાલત વધારે ગંભીર થતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યાં હતાં. આ સમગ્ર મામલે પોલીસે મૃતકના પરિવારને જાણ કરી દીધી છે. આ સાથે સાથે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે આરજી કર મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યો હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. પરિવાર દિલ્હીથી કોલકાતા આવવા માટે રવાના થયો હોવાનું પણ જાણવા મળ્યું છે.

રિસિન ઝેર કેસ: આરોપીઓ ‘ગુમનામ કેવી રીતે રહેવું’, ATS તપાસમાં ખુલ્યા રાજ

0

ગુજરાત એટીએસ જે અત્યંત ઘાતક ઝેર “રિસિન” નો ઉપયોગ કરીને એકસાથે સેંકડો લોકોને મારવાના આતંકવાદી કાવતરાની તપાસ કરી રહી છે, તેને એક આરોપી અને તેના હેન્ડલર વચ્ચેની સોશિયલ મીડિયા વાતચીતમાંથી ડિજિટલ સાહિત્ય મળ્યું છે, જે “ગુમનામ કેવી રીતે રહેવું” વિશે જાણકારી આપે છે. તપાસ એજન્સીએ એક જ આરોપીને અમદાવાદની એક હોટલમાંથી બહાર નીકળતો દર્શાવતો વીડિયો ફૂટેજ પણ મેળવ્યા છે. અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં બીજા આરોપીના ઘરેથી કાળો ઝંડો મળી આવ્યો હતો.

9 નવેમ્બરના રોજ આતંકવાદ વિરોધી ટુકડી (ATS) એ એક મોટા આતંકવાદી કાવતરાનો પર્દાફાશ કર્યો હતો, જેમાં ત્રણ આરોપીઓ: ડૉ. અહેમદ મોહીઉદ્દીન સૈયદ, આઝાદ સુલેમાન શેખ અને મોહમ્મદ સુહેલ ખાનને એક મોટા આતંકવાદી હુમલામાં કથિત સંડોવણી બદલ શસ્ત્રો અને રસાયણો સાથે ધરપકડ કરી હતી.

શુક્રવારે માહિતી આપતા ATSના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓએ 7 નવેમ્બરના CCTV ફૂટેજ મેળવ્યા છે, જેમાં શંકાસ્પદ આતંકવાદી અહેમદ સૈયદ અમદાવાદના મિર્ઝાપુર રોડ પર સૈયદ મસ્જિદ નજીક હોટેલ ગ્રાન્ડ એમ્બિયન્સમાંથી બહાર નીકળતો દેખાય છે. તેમણે એમ પણ કહ્યું કે યુપીના અન્ય એક આરોપી સુહેલ ખાનના ઘરેથી કાળો ઝંડો મળી આવ્યો છે. વધુમાં અધિકારીએ કહ્યું, “સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સૈયદ અને તેના હેન્ડલર વચ્ચેની વાતચીતમાં અમને ‘ગુમનામ કેવી રીતે રહેવું’ શીર્ષક ધરાવતું ડિજિટલ સાહિત્ય પણ મળ્યું છે.”

અધિકારીઓએ સૈયદના સોશિયલ મીડિયા ડિસ્પ્લે પ્રોફાઇલનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો, જેમાં સુહેલના ઘરેથી મળેલો એ જ કાળો ઝંડો દર્શાવવામાં આવ્યો છે. ATSએ 9 નવેમ્બરના રોજ ત્રણેયની ધરપકડ સાથે એક શંકાસ્પદ આતંકવાદી સિન્ડિકેટનો પર્દાફાશ કરવાનો દાવો કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે સૈયદ કથિત રીતે ઝેર ‘રિસિન’ તૈયાર કરી રહ્યો હતો, અને તેનો હેન્ડલર ઇસ્લામિક સ્ટેટ ખોરાસન પ્રાંત (ISKP) સાથે જોડાયેલો હતો.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ત્રણ આરોપીઓમાંથી સૈયદ હૈદરાબાદ (તેલંગાણા) નો રહેવાસી છે, જ્યારે આઝાદ અને સુહેલ ઉત્તર પ્રદેશના છે. હૈદરાબાદનો રહેવાસી સૈયદ MBBS ડોક્ટર છે. આતંકવાદી કાવતરાની તપાસ દરમિયાન ATS એ હૈદરાબાદમાં સૈયદના ઘરની તપાસ કરી અને અજાણ્યા રસાયણો અને કાચો માલ જપ્ત કર્યો. ઉત્તર પ્રદેશમાં રહેતા બે આરોપીઓની તેમના ઘરે તપાસ બાદ ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસ ઇન્સ્પેક્ટર પર 19 વર્ષીય યુવતી સાથે અડપલાંનો આરોપ, પીડિતાએ 181 પર કરી ફરિયાદ

પીઆઈ બરકતઅલી ચાવડા આ પહેલા પણ વિવાદોમાં આવી ચૂક્યા છે. અગાઉ તેઓ અમદાવાદ એસીબી અને રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂક્યા છે. પીઆઈ ચાવડા અગાઉ પણ આ પ્રકારના વિવાદમાં આવી ચૂક્યા છે. મળતી માહિતી અનુસાર, અગાઉ કચ્છમાં દુષ્કર્મની ફરિયાદ થઈ હતી, જ્યારે તેઓ PSI હતા, પરંતુ એમાં સમાધાન થઈ ચૂક્યું છે. હાલ પીઆઈ સામે ફરિયાદ દાખલ કરી સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસ ઇન્સ્પેક્ટર બરકતઅલી ચાવડા સામે 19 વર્ષીય યુવતીએ શારીરિક અડપલાં કર્યા હોવાનો આરોપ મૂક્યો છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, PI ચાવડાએ લિફ્ટમાં તેની સાથે અડપલાં કર્યા હતા અને તેના ખભા પર હાથ મૂક્યો હતો. ગભરાઇ ગયેલી યુવતીએ અભયમ હેલ્પલાઇનને ફોન કર્યો હતો. ટીમે કાઉન્સેલિંગ કર્યા બાદ યુવતીએ આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

બીજી બાજુ ગભરાઈ ગયેલી યુવતીએ તાત્કાલિક 181નો સંપર્ક કર્યો હતો. અભયમની ટીમે યુવતીને પૂછપરછ કરી કાયદાકીય માહિતી આપી હતી. બાદમાં યુવતીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

New Labour Code: શું નવી શ્રમ સંહિતાથી તમને ફાયદો થશે? સરળ શબ્દોમાં સમજો

0

દેશની કેન્દ્ર સરકારે ‘આત્મનિર્ભર ભારત’ની પહેલની આગળ ધપાવવા માટે વધુ એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. સરકારે શ્રમ (લેબર) સાથે જોડાયેલા 29 કાયદાઓને હટાવી દીધા છે અને તેના બદલે નવા 4 કાયદાઓ ઘડ્યા છે. 21 નવેમ્બરથી નવા 4 લેબર લો અમલમાં આવ્યા છે. જે દેશમાં રોજગારી અને ઔદ્યોગિક વ્યવસ્થાની નવી પરિભાષા આપે છે. જે કર્મચારીઓ માટે પણ ફાયદાકારક છે. લેબર લોના નવા 4 કાયદાઓ કામદારો માટે કેવી રીતે લાભદાયી છે, આવો જાણીએ.

દેશમાં લઘુત્તમ વેતન લાગુ થશે
જૂનો લેબર લો 1930થી 1950 વચ્ચેનો હતો. જે ઇકોનોમી ફ્રેન્ડલી ન હતો. તેમા ગિગ વર્કર્સ, પ્લેટફોર્મ વર્ક, માઇગ્રન્ટ લેબર જેવી ટર્મ ન હતી. નવા લેબર લોમાં આ તમામને આવરી લેવામાં આવ્યા છે. નવા લેબર લો મુજબ હવેથી દરેક નોકરીદાતાએ હવે નિમણૂકપત્ર આપવું ફરજિયાત છે. દરેક કામદારો લઘુત્તમ વેતનની શ્રેણીમાં આવશે. દેશમાં સમાન રીતે લઘુત્તમ વેતન લાગુ કરવામાં આવશે. જેથી કોઈનો પગાર એટલો પણ ઓછો ન હોય જેનાથી તેનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની જાય. સાથોસાથ નોકરીદાતાએ કામદારોને સમયસર વેતનની ચૂકવણી કરવાની રહેશે.

નવા લેબર લોમાં કર્મચારીઓના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. 40 વર્ષથી ઉપરના કર્મચારીઓને મફત વાર્ષિક હેલ્થ-ચેકઅપની સુવિધા મળશે. કોન્ટ્રાક્ટના કર્મચારીઓને પણ આ લાભ મળશે. ખાણ, કેમિકલ, કંસ્ટ્રક્શન જેવા જોખમી ક્ષેત્રો સાથે જોડાયેલા કામદારોને 100 ટકા હેલ્થ સિક્યુરિટીની ગેરંટી મળશે. નવા નિયમોમાં મહિલાઓને પણ સમાન વેતન અને સન્માનની ગેરંટી આપવામાં આવી છે. ટ્રાન્સઝેન્ડરને પણ કામમાં સમાન હક મળશે. કંપની કે સંસ્થા તરફથી સુરક્ષાની ખાતરી સાથે મહિલાઓ નાઇટ શિફ્ટમાં પણ કામ કરી શકશે.

પહેલા વર્ષે મળી જશે ગ્રેચ્યુઇટીનો લાભ
નવા લેબર લોમાં ગિગ અને પ્લેટફોર્મ વર્કની પણ પરિભાષા આપવામાં આવી છે. જેથી આ નવા ક્ષેત્રોમાં કામ કરતા લોકોને પહેલીવાર કાયદેસરની ઓળખાણ મળી છે. આવા કર્મચારીઓને પણ હવેથી PF, વીમો, પેન્શન જેવા સામાજિક સુરક્ષાના લાભ મળી શકશે. એગ્રીગેટર્સને તેમના ટર્નઓવરના 1-2 ટકા આપવા પડશે, જે મહત્તમ 5 ટકા સુધી રહેશે. સાથોસાથ કર્મચારીનું EPFO અકાઉન્ટ પણ શરૂ કરવામાં આવશે. જેનાથી અન્ય રાજ્યના કર્મચારીઓને પણ પોર્ટેબિલિટી હેઠળ જોડવામાં આવશે.

ગ્રેચ્યુઇટીને લઈને પણ નવા લેબર લોમાં મહત્ત્વની જોગવાઈ કરવામાં આવી છે. સામાન્ય રીતે કોઈપણ સંસ્થામાં સતત 5 વર્ષ નોકરી પૂરી કર્યા બાદ કર્મચારીને ગ્રેચ્યુઇટીનો લાભ મળતો હતો. પરંતુ નવા લેબર લોમાં કરેલી જોગવાઈ મુજબ હવે કર્મચારીઓને 5 વર્ષની રાહ જોવી પડશે નહીં. તેઓને માત્ર 1 વર્ષમાં ગ્રેચ્યુઇટીનો લાભ મળી જશે. નવા નિયમોમાં ઓવરટાઈમ કરવા પર બમણું વેતન આપવાની ગેરંટી પણ આપવામાં આવી છે.

દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, પાકિસ્તાનથી મંગાવવામાં આવેલા હથિયારો કરાયા જપ્ત

0

આંતરરાષ્ટ્રીય ગુનાહિત નેટવર્ક સામે મોટી સફળતા મેળવતા, દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચે પાકિસ્તાનના ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) સાથે સીધા જોડાયેલા એક મોટા આંતરરાષ્ટ્રીય શસ્ત્ર દાણચોરી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આ કામગીરીમાં આંતરરાજ્ય શસ્ત્ર દાણચોરી મોડ્યુલના ચાર મુખ્ય કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી.

ગેરકાયદેસર વિતરણ માટે બનાવાયેલ અદ્યતન વિદેશી બનાવટના શસ્ત્રોનો મોટો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો હતો. ડીસીપી સંજીવ કુમાર યાદવની આગેવાની હેઠળની ટીમ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અહેવાલ મુજબ, પોલીસે પુષ્ટિ આપી છે કે હથિયારો ડ્રોનનો ઉપયોગ કરીને પાકિસ્તાનથી દેશમાં દાણચોરી કરવામાં આવ્યા હતા, જે સરહદ પાર ઘૂસણખોરીની અત્યંત આધુનિક અને ચિંતાજનક પદ્ધતિ તરફ ઈશારો કરે છે.

ચાર તસ્કરોની પોલીસે કરી ધરપકડ
દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે, કેટલાક તસ્કરો મોટી સંખ્યામાં હથિયારો લઈને દિલ્હી પહોંચવાના છે. જેને લઈને ક્રાઇમ બ્રાંચે રોહિણી વિસ્તારમાં છટકું ગોઠવ્યું હતું. જેમાં હથિયારો લઈને આવતા તસ્કરો ફસાઈ ગયા હતા. ક્રાઇમ બ્રાંચને આંતરરાષ્ટ્રીય હથિયારોની તસ્કરી કરતી ગેંગના ચાર લોકોની ધરપકડ કરવામાં સફળતા મળી હતી.

ક્રાઇમ બ્રાંચે આરોપીઓ પાસેથી મોટી સંખ્યામાં આધુનિક હથિયારો જપ્ત કર્યો હતા. જેમાં તુર્કિયે અને ચીનમાં બનેલા હાઈ-ટેક હથિયારોનો સમાવેશ પણ થાય છે. ઉલ્લેખનીય છે કે, ધરપકડ કરવામાં આવેલા આરોપીઓ પંજાબ અને યુપીના રહેવાસી છે.

દિલ્હી પોલીસના જણાવ્યાનુસાર, પાકિસ્તાનથી ડ્રોન દ્વારા પંજાબના રસ્તે આ હથિયારોનું કન્સાઇન્મેન્ટ મોકલવામાં આવ્યું હતું. જેને તસ્કરોની ગેંગ દિલ્હીમાં સપ્લાઈ કરવાની હતી. આ હથિયારો લોરેન્સ બિશ્નોઈ, બમબીહા, ગોગી અને હિમાંશુ ભાઉ ગેંગ સુધી પહોંચવાના હતા.

‘જો હિન્દુ નહિ રહે તો દુનિયા જ નહિ રહે’: RSS પ્રમુખ મોહન ભાગવત

0

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાગવતે હિન્દુ ધર્મ અંગે એક મોટું અને ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આપણે સમાજનું એક એવું નેટવર્ક બનાવ્યું છે, જેના કારણે હિન્દુ સમાજ રહેશે. જો હિન્દુ નહીં હોય તો દુનિયા જ નહીં રહે. મણિપુરની મુલાકાતે પહોંચેલા ભાગવતે કહ્યું કે દરેક વ્યક્તિએ પરિસ્થિતિનો વિચાર કરવો પડે છે. પરિસ્થિતિઓ આવે છે અને જાય છે. વિશ્વના તમામ દેશોમાં વિવિધ પ્રકારની પરિસ્થિતિઓ આવી અને જતી રહી. તેમાં કેટલાક દેશોનો નાશ થઈ ગયો. જેમ કે, ગ્રીસ, ઈજિપ્ત અને રોમ બધા નાશ પામ્યા. આપણામાં કંઈક તો ખાસ છે કે આપણું અસ્તિત્વ નાશ નથી પામતું.

ભારતને ગણાવ્યો એક અમર સમાજ
મોહન ભાગવતે કહ્યું કે ભારત એક અમર સમાજ, એક અમર સિવિલાઈઝેશનનુ નામ છે. બાકી તો બધા આવ્યા, ચમક્યા અને જતા પણ રહ્યા. આપણે તેમનો ઉદય અને પતન જોયો છે. આપણે હજું પણ છીએ અને રહીશું કારણ કે આપણે આપણા સમાજનું બેઝિક નેટવર્ક બનાવ્યું છે. તેના કારણે હિન્દુ સમાજ રહેશે. જો હિન્દુઓ નહી રહેશે તો દુનિયા જ નહીં રહેશે. ધર્મનો સાચો અર્થ અને માર્ગદર્શન વિશ્વને સમય-સમય પર હિન્દુ સમાજ જ આપે છે. આ આપણને ઈશ્વર દ્વારા આપવામાં આવેલું કર્તવ્ય છે.

બ્રિટિશ સામ્રાજ્યનું આપ્યું ઉદાહરણ
RSS પ્રમુખે કહ્યું કે બ્રિટિશ સામ્રાજ્યનો સૂરજ ક્યારેય અસ્ત નહોતો થતો, પરંતુ ભારતમાં તેમના સૂર્યાસ્તની શરૂઆત થઈ. તેના માટે આપણે 1857 થી 1947 સુધી એમ 90 વર્ષ સુધી પ્રયાસ કર્યા હતા. આપણે બધા આટલા લાંબા સમય સુધી સ્વતંત્રતા માટે લડ્યા. તે અવાજને આપણે ક્યારેય દબાવા ન દીધો. ક્યારેક ઓછો થયો, ક્યારેક વધી ગયો, પરંતુ ક્યારેય તેને દબાવા ન દીધો. દરેક સમસ્યાનો અંત શક્ય છે. તેના માટે તેમણે નક્સલવાદનું ઉદાહરણ આપતા કહ્યું કે જ્યારે સમાજે નક્કી કર્યું કે તે હવે સહન નહીં થાય, ત્યારે તેનો અંત પણ આવી ગયો.