Home Blog Page 260

1 ડિસેમ્બરથી મોટો બદલાવ: પેન્શન, ટેક્સ અને LPG પર પડશે સીધી અસર

0

નવેમ્બર મહિનો પૂરો થવાનો છે અને નવો મહિનો ઘણા નાણાકીય ફેરફારો લાવશે જે તમારા ખિસ્સા પર સીધી અસર કરી શકે છે. આ ફેરફારોમાં LPG ગેસ સિલિન્ડર, પેન્શન અને ઇંધણ સંબંધિત નિયમોનો સમાવેશ થાય છે. 1 ડિસેમ્બરથી પાંચ મુખ્ય નિયમો બદલાઈ રહ્યા છે. ચાલો જાણીએ કે તેમની તમારા ખિસ્સા પર શું અસર પડશે.

પહેલો ફેરફાર – LPG ગેસ સિલિન્ડરના ભાવ
સરકાર ઘણીવાર 1 ડિસેમ્બરે LPGના ભાવમાં સુધારો કરે છે. આ ફેરફાર કોમર્શિયલ અને રસોઈ ગેસ સિલિન્ડર પર લાગુ પડે છે. નવેમ્બરમાં તેલ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં સુધારો કર્યો હતો. 1 નવેમ્બરે 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ₹6.50નો ઘટાડો કરવામાં આવ્યો હતો. રસોઈ ગેસના ભાવ ઘણા સમયથી યથાવત છે.

બીજો ફેરફાર – UPS સમયમર્યાદા
સરકારી કર્મચારીઓ માટે યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) પસંદ કરવાની અંતિમ તારીખ 30 નવેમ્બર નક્કી કરવામાં આવી છે. અગાઉ આ તારીખ 30 સપ્ટેમ્બર હતી. જો કોઈ કર્મચારી NPS અને UPS વચ્ચે પસંદગી કરવા માંગે છે તો તેમણે 30 નવેમ્બર પહેલા આ પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. આ તક 1 ડિસેમ્બર પછી ઉપલબ્ધ ન પણ હોય.

ત્રીજો ફેરફાર – જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું
વરિષ્ઠ નાગરિકોએ પેન્શન લાભ મેળવવા માટે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું જરૂરી છે. 30 નવેમ્બર એ જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની અંતિમ તારીખ છે. જીવન પ્રમાણપત્ર સબમિટ કરવામાં નિષ્ફળતાના પરિણામે તેમનું પેન્શન સસ્પેન્ડ થઈ શકે છે.

ચોથો ફેરફાર – કર નિયમો
જો તમારો ઓક્ટોબરમાં TDS કાપવામાં આવ્યો હોય તો તમારે કલમ 194-IA, 194-IB, 194M અને 194S હેઠળ સ્ટેટમેન્ટ સબમિટ કરવા આવશ્યક છે જેની અંતિમ તારીખ 30 નવેમ્બર છે. વધુમાં જે કરદાતાઓને કલમ 92E હેઠળ રિપોર્ટ સબમિટ કરવાની જરૂર છે તેઓ પણ 30 નવેમ્બર સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.

પાંચમો ફેરફાર – CNG-PNG અને જેટ ફ્યુઅલ
તેલ કંપનીઓ દર મહિને LPG, CNG, PNG અને જેટ ફ્યુઅલ (AFT) ના ભાવમાં સુધારો કરે છે. નવેમ્બરની જેમ આ ભાવમાં ડિસેમ્બરમાં પણ ફેરફાર જોવા મળી શકે છે.

હોંગકોંગમાં બહુમાળી રહેણાક સંકુલમાં ભીષણ આગ, 13 લોકોના મોત, 28 ઘાયલ

હોંગકોંગના તાઈ પો જિલ્લામાં સ્થિત એક બહુમાળી રહેણાંક સંકુલમાં આજે (26 નવેમ્બર) બપોરે ભીષણ આગ લાગતા 13 લોકોના મોત થયા છે, જ્યારે 28 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં એક ફાયરફાઇટરનો પણ સમાવેશ થાય છે. આ ઘટના બાદ લગભગ 700 જેટલા રહેવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

કોમ્પલેક્સના સંકુલમાં 2000 ફ્લેટ્સ

મીડિયા અહેવાલો મુજબ, બપોરે 2.51 મિનિટે વાંગ ફુક કોર્ટ નામના હાઉસિંગ કોમ્પલેક્સમાં ભીષણ આગ લાગી હતી. આ કોમ્પલેક્સના સંકુલમાં કુલ 8 બ્લોક્સ અને 2000 ફ્લેટ્સ આવેલા છે. મૃત્યુ પામેલા 13 લોકોમાંથી નવાના મોત ઘટનાસ્થળે જ થયા હતા, જ્યારે ગંભીર રીતે દાઝી ગયેલા ચાર લોકોએ હોસ્પિટલમાં જીવ ગુમાવ્યો હતો.

767 ફાયરફાઇટર્સ તૈનાત

ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, આખી બહુમાળી બિલ્ડિંગમાં આગ ફેલાઈ ગઈ હતી. બિલ્ડિંગની બહારની દિવાલો પર સમારકામ માટેના વાંસના લાકડા બાંધેલા હોવાથી આગ વધુ વિકરાળ બની હતી. આ ઘટનાસ્થળે 767 ફાયરફાઇટર્સ તૈનાત કરવામાં આવ્યા હતા. પોલીસે આસપાસની ઇમારતો ખાલી કરાવી હતી. ટ્રાન્સપોર્ટ વિભાગે જણાવ્યું કે આગને કારણે 30થી વધુ બસ રૂટને ડાયવર્ટ કરવામાં આવ્યા છે.

અમદાવાદને 2030 કોમનવેલ્થ ગેમ્સનું સત્તાવાર યજમાન જાહેર કરવામાં આવ્યું

0

ગુજરાત માટે આજનો દિવસ ખૂબ જ ઐતિહાસિક રહ્યો છે. કોમનવેલ્થ ગેમ્સની 2030ની યજમાની અમદાવાદનો નિર્ણય લેવાઈ ચૂક્યો છે. સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં થયેલી મિટિંગમાં અમદાવાદના નામ પર મહોર લગી ગઈ છે. ગ્લાસમોમાં આ ગર્વીલી ક્ષણના સાક્ષી બનવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ભારત તરફથી એક ડેલિગેશન પહોંચ્યું હતું. કોમનવેલ્થ સ્પોર્ટ એ એવી સંસ્થા છે, જે કોઈ દેશને યજમાની આપવાનો નિર્ણય લે છે. કોઈપણ દેશ માટે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવું એ માત્ર રમતગમતના દૃષ્ટિકોણથી જ નહીં, આંતરરાષ્ટ્રીય સ્તરે એની સમૃદ્ધિ, વિઝન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે પણ મહત્ત્વનું માનવામાં આવે છે.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “આ ગુજરાત અને ભારત માટે ગર્વની ક્ષણ છે. કોમનવેલ્થ ગેમ્સને 100 વર્ષ થઈ રહ્યા છે ત્યારે તેનું આયોજન કરવું એ અમારા માટે સન્માનની વાત છે. અમદાવાદ વિશ્વને આવકારવા માટે તૈયાર છે. આ ગેમ્સ ફક્ત આપણા માળખાગત સુવિધાઓ અને પ્રતિભાને જ નહીં પરંતુ આપણી એકતા અને શ્રેષ્ઠતાનું પણ પ્રદર્શન કરશે.” અત્યારસુધી ઓસ્ટ્રેલિયા, કેનેડા, ઇંગ્લેન્ડ, ભારત, ન્યૂઝીલેન્ડ વગેરે સહિત નવ અલગ-અલગ દેશો કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી ચૂક્યા છે. એમાં ઓસ્ટ્રેલિયાએ 5 વખત કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું છે.

ભારતે અત્યારસુધીમાં 3 મલ્ટીસ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન કર્યું છે, જેમાં 1951 અને 1982 એશિયન ગેમ્સ અને 2010ની કોમનવેલ્થ ગેમ્સનો સમાવેશ થાય છે. આ ત્રણેય રમતોનું આયોજન દિલ્હીમાં જ થયું હતું. હવે કોમનવેલ્થ ગેમ્સ-2030ની યજમાની અમદાવાદને મળી ચૂકી છે. એટલે પહેલીવાર એવું બનશે કે કોઈ ઇન્ટરનેશનલ લેવલની મલ્ટીસ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન દિલ્હી બહાર થશે. એટલું જ નહીં, 2030માં જ્યારે અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાશે ત્યારે એક સંયોગ એવો પણ છે કે કોમનવેલ્થ ગેમ્સના આયોજનની 100મી વર્ષગાંઠ પણ હશે.

આમ તો છેલ્લાં ત્રણેક વર્ષથી અમદાવાદમાં ઓલિમ્પિક યોજવા માટેની તૈયારીઓમાં સરકાર લાગી ગઈ હતી. કારણ કે કોમનવેલ્થ ગેમ્સના આયોજનને એક ટેસ્ટ ઇવેન્ટ તરીકે જોવામાં આવી રહી છે. અમદાવાદમાં કોમનવેલ્થ યોજાય એટલે વડાપ્રધાન મોદીથી માંડીને કેન્દ્રીય ખેલ મંત્રાલય તેમજ ગુજરાત સરકાર ઘણા સમયથી પ્રયાસરત હતા. આ મહેનત હવે રંગ લાવી છે.

લંડનમાં હર્ષ સંઘવીની આગેવાનીમાં 3 વખત પ્રેઝન્ટેશન થયું

અમદાવાદને 2030ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળે એ માટે લાંબા સમયથી મિટિંગ અને મુલાકાતોનો દોર ચાલતો રહ્યો, જેમાં કોમનવેલ્થની ટીમ બે વખત ગુજરાતની મુલાકાતે આવી અને તેમણે માળખાકીય સુવિધાઓ તેમજ તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ સિવાય લંડનમાં ત્રણ વખત પ્રેઝન્ટેશન પણ થયાં હતાં. 23 સપ્ટેમ્બર, 2025નો એ દિવસ હતો. અમદાવાદમાં 2030ની કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થાય એ માટે લંડનમાં મહત્ત્વની બેઠક મળી રહી હતી. ભારત તરફથી એની આગેવાની એ સમયના ગુજરાતના રમતગમત મંત્રી (હાલના નાયબ મુખ્યમંત્રી) હર્ષ સંઘવી કરી રહ્યા હતા. કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશ 2030ની યજમાનીમાંથી બહાર થઈ ગયા બાદ અમદાવાદ અને નાઇજીરિયાના અબુજા શહેરમાંથી કોને મેજબાની મળવી જોઈએ એના પર ચર્ચા ચાલી રહી હતી. સવાલ ઊઠ્યો, અમદાવાદમાં એવું તો શું છે જેના કારણે તેને કોમનવેલ્થની મેજબાની મળવી જોઈએ? વૈશ્વિક મંચ પર થયેલા આ સવાલનો જવાબ ભારતના ડેલિગેશનનું પ્રતિનિધિત્વ કરી રહેલા હર્ષ સંઘવીએ આપવાનો હતો. તેમણે કહ્યું, અમે એવું આયોજન કરવા માગીએ છીએ, જે લાંબા ગાળાની અસર ઊભી કરે, નહીં કે ટૂંકા ગાળાનો તમાશો. અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ધોરણનાં સ્ટેડિયમ્સ, નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ, નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે. આગામી સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ જેવી સુવિધાઓ ઊભી કરવાની તૈયારી છે.

આ રીતે કોમનવેલ્થ ગેમ્સ માટે મંજૂરી મળીકોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનને સોંપવામાં આવેલી બિડમાં અમદાવાદને એક કોમ્પેક્ટ અને આધુનિક ગેમ્સ ફૂટપ્રિન્ટ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું, જે ખેલાડીઓ, અધિકારીઓ અને દર્શકો માટે એકદમ અનુકૂળ અને સુવિધાપૂર્ણ હોય. આમ, હોસ્ટ સિટી તરીકે અમદાવાદ ઘણા પેરામીટર્સ પર ખરું ઊતરે એમ છે. મિટિંગમાં હાજર કોમનવેલ્થ ગેમ્સના પ્રતિનિધિઓ અને અધિકારીઓ તેમજ અન્ય દેશથી આવેલા લોકોને પણ આ વાત ગળે ઊતરી. આમ, વૈશ્વિક પટલ પર અમદાવાદની દાવેદારી મજબૂત બની. અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ-2030ની યજમાની મળે એ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની એક ટીમે 7 જૂન, 2025ના રોજ લંડન પહોંચી હતી, જ્યાં કોમનવેલ્થ ગેમ્સના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતની ભારતીય ટીમ દ્વારા અમદાવાદમાં યજમાની માટે અત્યારસુધી શું-શું તૈયારીઓ કરવામાં આવી એની માહિતી અધિકારીઓને આપવામાં આવી હતી. લંડન ખાતે કોમનવેલ્થ ગેમ્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા અને ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના પ્રતિનિધિઓ પણ સામેલ હતા. આ બેઠક પછી નક્કી થયું હતું કે યજમાની માટેનો સત્તાવાર પ્રસ્તાવ 31 ઓગસ્ટ, 2025 સુધીમાં સબ્મિટ કરવો. લંડનમાં થયેલી મિટિંગ બાદ ભારત કોમનવેલ્થ ગેમ્સ 2030ની સત્તાવાર દાવેદારી માટે કેન્દ્રીય રમતગમત મંત્રાલયે એક પ્રસ્તાવ બનાવ્યો, જેને કેન્દ્રીય કેબિનેટમાં રજૂ કર્યો હતો. PM મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે બિડ રજૂ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આમ, અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ યોજવા માટે કેન્દ્ર સરકારની સત્તાવાર મંજૂરી મળી હતી.

લંડનમાં જૂન મહિનામાં થયેલી મિટિંગ અને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી બાદ બીજી મહત્ત્વની બેઠક ઓગસ્ટ મહિનાની 29મી તારીખે મળી. આ દિવસે હોકી લીજેન્ડ મેજર ધ્યાનચંદના સન્માનમાં ભારતમાં નેશનલ સ્પોર્ટ્સ ડે ઊજવવામાં આવે છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત એક ડેલિગેશન લંડન પહોંચ્યું હતું. આ ડેલિગેશનમાં ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશનનાં અધ્યક્ષ પી.ટી.ઉષા, ગુજરાતના યુવા અને સાંસ્કૃતિક વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમાર તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ સામેલ હતા. તેમણે 2030ની કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા માટે લંડન ખાતે કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન સમક્ષ ઔપચારિક પ્રપોઝલ સબમિટ કર્યું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને IOAનાં પ્રમુખ પી.ટી. ઉષાના નેતૃત્વમાં એક ડેલિગેશને લંડનમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ મૂલ્યાંકન સમિતિ સમક્ષ ઔપચારિક રીતે અમદાવાદનો પ્રસ્તાવ રજૂ કર્યો. આ પ્રપોઝલમાં અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સની સેન્ટેનરી એડિશન, એટલે કે 100 વર્ષની ઉજવણી માટે હોસ્ટ સિટીના દાવેદાર તરીકે પ્રસ્તાવિત કરવામાં આવ્યું હતું. કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની માટે અમદાવાદની જેમ નાઇજીરિયાના અબુજા શહેર માટે પણ દાવેદારી કરવામાં આવી હતી, એટલે કોમનવેલ્થ ગેમ્સના પદાધિકારીઓએ આ બન્નેમાંથી કોઈ એક વેન્યૂ પસંદ કરવાનો હતો.

CISF યુનિટ-સુરત એરપોર્ટ દ્વારા ‘360° ટ્રાન્સફોર્મેશન’ પર બે દિવસીય તાલીમ યોજાઈ

CISF યુનિટ, સુરત એરપોર્ટ દ્વારા ‘૩૬૦° ટ્રાન્સફોર્મેશન ટ્રેનિંગ અને મોટિવેશનલ ટૉક’ વિષય પર બે દિવસીય તાલીમ યોજાઈ હતી. જેનું સંચાલન બિહેવિયરલ ટ્રેનિંગ એક્સપર્ટ અને ‘સ્ટાર્ટ સીખના’ના સ્થાપક સુશ્રી સ્વાતિ બંસલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે પોતાના સંશોધન અને અનુભવના આધારે, પ્રાચીન અંકશાસ્ત્રને આધુનિક માનવ મનોવિજ્ઞાનના સિદ્ધાંતો સાથે જોડી કુલ ૪૯ CISF કર્મચારીઓને માનવ વિચાર, લાગણીઓ અને વર્તન પર ઊંડું તેમજ વ્યવહારુ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ ફરજના લાંબા કલાકો અને વ્યાવસાયિક દબાણના પડકારો દરમિયાન કર્મચારીઓમાં સ્વાસ્થ્ય, શિસ્ત, ફોકસ અને નેતૃત્વની ઊર્જાનો પુનઃસંચાર કરવાનો હતો. તેમજ કાર્યસ્થળ પર સકારાત્મકતા, ટીમ ભાવના અને સર્વગ્રાહી વ્યક્તિત્વ વિકાસને પ્રોત્સાહિત કરવાનો હતો. તાલીમમાં જોડાનારા દરેક સહભાગીઓએ શીખેલા કૌશલ્યોને વ્યક્તિગત તેમજ વ્યાવસાયિક જીવનમાં અપનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. 

RSS વાળી ટી-શર્ટને લઈને કોમેડિયન કુણાલ કામરા ફરી મુશ્કેલીમાં, ભાજપે કાર્યવાહીની ચેતવણી આપી

0

કોમેડિયન કુણાલ કામરા ફરી એકવાર વિવાદમાં આવી ગયા છે. તેમણે સોશિયલ મીડિયા પર એક ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં તેઓ એક એવી ટી-શર્ટ પહેરેલા નજરે પડે છે, જેના વિશે દાવો કરવામાં આવ્યો છે કે તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની મજાક ઉડાવી રહ્યો છે. આ પોસ્ટ પર ભાજપ તરફથી તીવ્ર પ્રતિક્રિયા આવી છે. પાર્ટીએ મંગળવારે સંભવિત પોલીસ કાર્યવાહીની ચેતવણી આપી છે.

કામરાએ સ્પષ્ટતા કરી
એકનાથ શિંદે પર કામરા દ્વારા કરવામાં આવેલી ટીકાને લગતા અગાઉના વિવાદના સંદર્ભમાં, કામરાએ તેની નવી પોસ્ટમાં સ્પષ્ટતા કરી કે આ ફોટો કોઈ કોમેડી ક્લબમાં લેવામાં આવ્યો નથી. વધુમાં, ફોટામાં ‘R’ પુરો દેખાતો નથી, તેથી એવી અટકળો છે કે ટી-શર્ટ પરના અક્ષરો ‘PSS’ પણ હોઈ શકે છે.

પોલીસ તેના પર કાર્યવાહીની ચેતવણી
મહારાષ્ટ્રના મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ચંદ્રશેખર બાવનકુલેએ જણાવ્યું કે કોઈ પણ વ્યક્તિ ઓનલાઈન “વાંધાજનક” સામગ્રી શેર કરશે તો પોલીસ તેના પર કાર્યવાહી કરી શકે છે. આ નિવેદન કામરાના તે ફોટાના સંદર્ભમાં આવ્યું છે, જેમાં ટી-શર્ટ પર એક કૂતરાનો ફોટ અને RSS લખેલું ચિત્ર દેખાતું હતું.

RSS કડક જવાબ આપવો જોઈએ-સંજય શિરસાત
ભાજપના સહયોગી શિવસેનાના મંત્રી સંજય શિરસાતે કહ્યું કે RSS એ આ પોસ્ટનો કડક જવાબ આપવો જોઈએ. તેમણે આરોપ લગાવ્યો કે કામરાએ અગાઉ વડા પ્રધાન મોદી અને એકનાથ શિંદે પર નિશાન સાધ્યું હતું, અને હવે તેમણે સીધા RSS પર હુમલો કર્યો છે. ભાજપે જવાબ આપવો જોઈએ. તેમણે એ પણ યાદ અપાવ્યું કે આ વર્ષે માર્ચમાં, શિંદે પર કામરાની ટિપ્પણીઓ બાદ, શિવસેનાના કાર્યકરોએ મુંબઈના ખારમાં હેબિટેટ કોમેડી ક્લબ અને તે હોટલમાં તોડફોડ કરી હતી. ભાજપના નેતાઓએ કામરાની નવી પોસ્ટને “અપમાનજનક અને ઉશ્કેરણીજનક” ગણાવી છે.

ગૌતમ ગંભીરે BCCIને પોતાના ભવિષ્ય પર નિર્ણય લેવા કહ્યું: “મહત્વપૂર્ણ ભારતીય ક્રિકેટ છે, હું નહીં”

0

દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણીમાં ખરાબ પ્રદર્શન પછી ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરની ચારેબાજુથી ટીકાઓ થઇ રહી છે. ટેસ્ટ મેચ પછી યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ગંભીરે કહ્યું હતું કે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં કારમાં પરાજય બાદ તેના ભવિષ્ય પર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) નિર્ણય કરવાનો છે. જોકે તેમણે એ પણ યાદ અપાવ્યું કે તેમના કાર્યકાળ દરમિયાન ટીમે કેટલી સફળતા મેળવી છે.

બુધવારે ગુવાહાટીમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે 408 રનથી થયેલા કારમા પરાજય પછી પ્રેસ કોન્ફરન્સમાં ગૌતમ ગંભીરે કહ્યું કે મારા ભવિષ્યનો નિર્ણય બીસીસીઆઈએ નક્કી કરવાનો છે. પરંતુ હું એ જ વ્યક્તિ છું જેણે તમને ઇંગ્લેન્ડમાં અનુકૂળ પરિણામો આપ્યા હતા અને હું ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ કોચ હતો. ઉલ્લેખનીય છે કે ભારત ચેમ્પિયન્સ ટ્રોફીમાં ચેમ્પિયન બન્યું હતું.

95/1 થી 112/7 સ્વીકાર્ય નથી – ગંભીર
ગંભીરે ચાલુ વર્ષના પ્રારંભે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની ટાઇટલ જીત અને ઈંગ્લેન્ડ સામેની ઘરઆંગણે 2-2થી ડ્રો થયાનો ઉલ્લેખ કર્યો હતો. દક્ષિણ આફ્રિકા સામે 0-2થી હાર બાદ ગંભીરે કહ્યું કે દોષ દરેકનો છે અને તેની શરૂઆત મારાથી થાય છે. અમારે વધુ સારું રમવું પડશે. પ્રથમ ઈનિંગ્સમાં એક તબક્કે અમારો સ્કોર એક વિકેટે 95 રન હતો, જે 7 વિકેટે 122 રન થઈ ગયો હતો. આ સ્વીકાર્ય નથી.

દરેકનો દોષ છે
ગંભીરે કહ્યું કે તમે એક વ્યક્તિ અથવા ચોક્કસ શોટને દોષી ઠેરવી શકતા નથી. બધાનો દોષ છે. મેં ક્યારેય કોઈ એક વ્યક્તિને દોષી ઠેરવ્યો નથી અને ભવિષ્યમાં પણ આવું કરીશ નહીં. ગંભીરની આગેવાનીમાં ભારત 18માંથી 10 ટેસ્ટ મેચ હારી ચૂક્યું છે, જેમાં ગત વર્ષે ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે ક્લિન સ્વિપ અને હવે સાઉથ આફ્રિકા સામે ક્લિન સ્વિપ સામેલ છે.

ટેસ્ટમાં કેવા ખેલાડીઓ જોઇએ
ગુવાહાટીમાં સાઉથ આફ્રિકા સામે ભારતનો પરાજય ટેસ્ટ ક્રિકેટમાં રનની દ્રષ્ટિએ સૌથી મોટી હાર છે. ગંભીરે કહ્યું કે ટેસ્ટ ક્રિકેટ રમવા માટે તમારે ખૂબ ઝડપી અને પ્રતિભાશાળી ક્રિકેટરોની જરૂર નથી. અમને મર્યાદિત કૌશલ વાળા મજબૂત માનસિકતાવાળા ખેલાડીઓની જરૂર છે. તેઓ સારા ટેસ્ટ ક્રિકેટર બને છે.

ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળાએ કરી આત્મહત્યા, એક વર્ષ પહેલા પૂર્વ મંગેતરે નોંધાવી હતી દુષ્કર્મની ફરિયાદ

0

ભારતીય ટીમના ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત રસિકભાઈ પાબારી (રહે. નૂતનનગર શેરી નં.6, કાલાવડ રોડ) એ આજે આત્મહત્યા કરી જીવન ટૂંકાવી દીધુ છે. તમને જણાવી દઈએ કે, આજથી એક વર્ષ અગાઉ ચેતેશ્વર પુજારાના સાળા જીત રસિકભાઈ પાબારી પર તેની પૂર્વ મંગેતરે દૂષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેમાં લગ્નની લાલચ આપી જીત પાબારીએ તેનું શારીરિક શોષણ કર્યા બાદ બીજી યુવતી સાથે લગ્ન કરી લીધાનો આરોપ મૂકયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક જીતની પૂર્વ મંગેતરે લગ્નની લાલચ આપી જીત પાબારી દ્વારા બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધવામાં આવ્યાના આક્ષેપ કર્યા હતા. આ મામલે માલવિયાનગર પોલીસે દૂષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

ઉલ્લેખનિય છે કે જીત રસિકભાઈ પાબારી પર આજથી એક વર્ષ પહેલા 26 નવેમ્બર 2024 ના રોજ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી અને આજે ઠીક એક વર્ષ બાદ તે જ તારીખ એટલે કે 26 નવેમ્બર 2025ના રોજ જીત પાબારીએ આત્મહત્યા કરી લીધી છે. હાલમાં માલવિયાનગર પોલીસની ટીમે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની હત્યા? અદિયાલા જેલમાં મુલાકાત લેવા ગયેલી બહેનને ભગાડી

બુધવારે અફઘાન મીડિયાએ દાવો કર્યો હતો કે પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની રાવલપિંડીની અદિયાલા જેલમાં હત્યા કરવામાં આવી છે. આનાથી પાકિસ્તાનમાં ગભરાટનો માહોલ સર્જાયો છે. ઇમરાન ખાનના સમર્થકો માંગ કરી રહ્યા છે કે જો તેઓ સુરક્ષિત અને જીવિત છે, તો તેમને મળવા કેમ નથી દેવામાં આવી રહ્યા? લોકો સોશિયલ મીડિયા પર પણ શાહબાઝ શરીફની સરકાર સામે પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે.

પાકિસ્તાનમાં ઇમરાન ખાનની હત્યાની અફવાઓ તેજ
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન 2023 થી રાવલપિંડીની અદિયાલા જેલમાં કેદ છે, પરંતુ પાકિસ્તાનમાં તેમની હત્યાની અફવાઓ ઝડપથી ફેલાઈ રહી છે. પાકિસ્તાની સેના અને સરકાર પર જેલમાં તેમને ત્રાસ આપવાનો આરોપ છે. જોકે, કોઈને પણ તેમને મળવા દેવામાં આવી રહ્યા નથી. મંગળવારે રાત્રે (25 નવેમ્બર) ઇમરાન ખાનની બહેનો, નૌરીન ખાન, અલીમા ખાન અને ઉઝમા ખાનને જેલમાંથી ખેંચીને બહાર કાઢવામાં આવી હતી અને માર મારવામાં આવ્યો હતો. પીટીઆઈ (પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ)ના કાર્યકરો કોઈપણ ભોગે ઇમરાન ખાનને મળવાની માંગ કરી રહ્યા છે, જ્યારે પાકિસ્તાન સરકાર તેમના મૃત્યુના અહેવાલોને અફવા ગણાવીને ફગાવી રહી છે.

PTI ના હજારો સમર્થકો જેલની બહાર એકઠા થયા
અહેવાલો અનુસાર, ઇમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) પાર્ટીના હજારો સમર્થકો જેલની બહાર એકઠા થયા છે, અને માંગ કરી રહ્યા છે કે અધિકારીઓ તેમના નેતાના સ્વાસ્થ્ય વિશે માહિતી આપે. સમર્થકોને નિયંત્રિત કરવા અને કોઈપણ હિંસક ઘટનાઓને રોકવા માટે જેલની બહાર સેંકડો સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. અહેવાલો સૂચવે છે કે ઇમરાન ખાનની બહેનો, અલીમા ખાન, ડૉ. ઉઝમા અને નૂરીન નિયાઝી, અન્ય પાર્ટી નેતાઓ સાથે, જેલ નજીક ફેક્ટરી નાકા પર ધરણા પર બેઠા છે, પરંતુ તેમને આગળ વધવા દેવામાં આવ્યા નથી.

પંજાબ પોલીસ પર ક્રૂર હિંસાનો આરોપ
ઇમરાન ખાનની બહેનોએ પાકિસ્તાનની પંજાબ પોલીસ પર ક્રૂર હિંસાનો આરોપ લગાવ્યો છે. પંજાબ પોલીસ વડા ઉસ્માન અનવરને કરેલી ફરિયાદમાં, નૂરીન નિયાઝીએ જણાવ્યું હતું કે 71 વર્ષની હોવા છતાં, પોલીસ અધિકારીઓ તેમને વાળ પકડીને બહાર કાઢ્યા. તેમણે આરોપ લગાવ્યો કે, અચાનક સ્ટ્રીટલાઇટ બંધ કરી દેવામાં આવી જેથી અંધારામાં પોલીસ કાર્યવાહી કરી શકે. બહેનોને ઇમરાન ખાનને મળવાની મંજૂરી ન મળ્યાને એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે. તેઓ છેલ્લી વખત 30 ઓક્ટોબર, 2024 ના રોજ મળ્યા હતા. વધુમાં, ઓક્ટોબર 2024 થી, તેમના રાજકીય પક્ષના કોઈપણ સમર્થક કે સભ્યને તેમને મળવાની મંજૂરી આપવામાં આવી નથી, જે તેમના સ્વાસ્થ્ય અથવા તેમના અસ્તિત્વ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.

ભારતીય સેનામાં આવી ભરતી, જો તમે આ લાયકાતો ધરાવો છો તો ફટાફટ કરો અરજી

0

ભારતીય સેના હાલમાં તેના સૌથી મોટા માનવશક્તિ સંકટમાંથી એકનો સામનો કરી રહી છે. આશરે 1.8 લાખ સૈનિકોની અછત સ્પષ્ટ થઈ ગઈ છે. કોવિડ-19 મહામારી દરમિયાન સેનાએ આ પરિસ્થિતિનો સૌથી વધુ સામનો કરવો પડ્યો હતો, જ્યારે ભરતી બે વર્ષ સુધી બંધ રહી હતી અને દર વર્ષે હજારો સૈનિકો નિવૃત્ત થતા રહ્યા. ભરતીના આ અભાવ અને સતત નિવૃત્તિને કારણે ખાલી જગ્યાઓમાં વધારો થયો. 2022માં અગ્નિપથ પ્રોજેક્ટ અમલમાં મૂકાયો તે પહેલાં જ આ અછત ખતરનાક સ્તરે પહોંચી ગઈ હતી. આ તે જગ્યા છે જ્યાં ભારતીય સેનાનું માળખું ધીમે ધીમે અસંતુલિત થવા લાગ્યું.

અગ્નિપથ પ્રોજેક્ટ 2022માં અમલમાં મૂકવામાં આવ્યો હતો, અને પ્રથમ તબક્કામાં, ફક્ત 46,000 અગ્નિવીરોની પસંદગી કરવામાં આવી હતી. તેમાંથી આશરે 40,000 સૈન્યમાં ગયા જ્યારે બાકીના નૌકાદળ અને વાયુસેનાને ફાળવવામાં આવ્યા હતા. યોજના મુજબ થોડા વર્ષોમાં અગ્નિવીરોની સંખ્યા વધારીને 1.75 લાખ કરવામાં આવી હતી પરંતુ આ સમયગાળા દરમિયાન 60,000-65,000 નિવૃત્ત સૈનિકો દર વર્ષે નિવૃત્ત થતા રહ્યા. નવા અગ્નિવીરોની સંખ્યા ઓછી હતી અને નિવૃત્તિઓ વધુ હતી. આના કારણે દર વર્ષે વધુ અછત સર્જાઈ અને દળનું સંતુલન બગડવા લાગ્યું.

પહેલી બેચ 2026 માં નિવૃત્ત થશે
અગ્નિવીર મોડેલ હેઠળ પહેલી બેચ ચાર વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યા પછી 2026 માં નિવૃત્ત થવાનું શરૂ કરશે. આમાંથી માત્ર 25 ટકા કર્મચારીઓને કાયમી ધોરણે સેનામાં સોંપવામાં આવશે. ત્યારબાદ બાકીના કર્મચારીઓ જશે. આનાથી સેનાની એકંદર અછતમાં વધુ વધારો થશે. આ પડકારને ધ્યાનમાં રાખીને સેનાએ હવે તેની ભરતી પેટર્ન બદલવા માટે કામ કરવાનું શરૂ કર્યું છે.

દર વર્ષે 1 લાખથી વધુ અગ્નિવીરોની ભરતી કરવાની તૈયારીઓ
સૂત્રો અનુસાર સેના હવે મોટા પાયે ખાલી જગ્યાઓ ભરવાની યોજના બનાવી રહી છે. વર્તમાન વાર્ષિક ભરતી લગભગ 45-50 હજાર છે, જેને વધારીને 100,000 થી વધુ કરવાનો પ્રસ્તાવ છે. આટલી મોટી સંખ્યા જરૂરી છે કારણ કે પહેલી બેચ 2026 માં નિવૃત્ત થશે જ્યારે નિયમિત સૈનિકો નિવૃત્ત થતા રહેશે જેનાથી મોટો તફાવત સર્જાશે. સમયસર અછતને પહોંચી વળવા માટે 2025 થી ભરતી પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવશે.

શું તાલીમ કેન્દ્રો આટલી મોટી બેચને સંભાળી શકશે?
સેના હાલમાં તેના રેજિમેન્ટલ કેન્દ્રોમાં શક્તિ, તાલીમ ક્ષમતાઓ અને ઉપલબ્ધ સ્ટાફનું મૂલ્યાંકન કરી રહી છે. મોટી સંખ્યામાં અગ્નિવીરોની ભરતી ફક્ત ત્યારે જ લાગુ કરવામાં આવશે જ્યારે ખાતરી કરવામાં આવે કે તાલીમની ગુણવત્તા પ્રભાવિત ન થાય અને તમામ સલામતી ધોરણો જાળવવામાં આવે. તેથી, નિર્ણય ઉતાવળમાં લેવામાં આવશે નહીં, પરંતુ સેનાની વાસ્તવિક ક્ષમતાઓ અનુસાર આગળ વધશે.

સેનાનું સત્તાવાર નિવેદન
મીડિયા સાથેની વાતચીતમાં, સેનાએ સ્પષ્ટ કર્યું કે અગ્નિપથના પ્રથમ તબક્કામાં 1.75 લાખ અગ્નિવીરોને સામેલ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. વધુમાં વર્તમાન અછતને પહોંચી વળવા માટે વધારાની ખાલી જગ્યાઓ બહાર પાડવામાં આવશે. આ સ્પષ્ટપણે સૂચવે છે કે આગામી મહિનાઓમાં નોંધપાત્ર ભરતીની અપેક્ષા રાખવામાં આવશે.

કર્ણાટકમાં નેતૃત્વનો વિવાદ ગરમાયો, શિવકુમારનો સિક્રેટ ડીલનો દાવો

0

કર્ણાટકમાં નેતૃત્વનો વિવાદ ફરી એકવાર ગરમાયો છે. દરમિયાન, મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ હાઇકમાન્ડને કન્ફ્યુઝન દૂર કરવા કહ્યું છે. તેમનું આ નિવેદન નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારના તે દાવા બાદ આવ્યું છે, જેમાં તેમણે કહ્યું હતુ કે સત્તા વહેંચણી અંગે પાંચ કે છ પક્ષના સભ્યો વચ્ચે સિક્રેટ ડીલ થઈ હતી. અગાઉ, એઆઈસીસી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે રાજ્યમાં નેતૃત્વ પરિવર્તનનો મુદ્દો જાહેરમાં ચર્ચા કરવાનો નથી. 20 નવેમ્બરે કોંગ્રેસ સરકાર તેના પાંચ વર્ષના કાર્યકાળનો અડધો ભાગ પૂર્ણ કરી રહી છે, ત્યારે પાર્ટીના ટોચના નેતૃત્વમાં ફેરબદલની અટકળો તેજ થઈ ગઈ છે.

નિર્ણય હાઇકમાન્ડે જ લેવાનો
2023 માં સિદ્ધારમૈયા અને શિવકુમાર વચ્ચે થયેલી સત્તા વહેંચણીની ચર્ચા હવે સમાચારમાં છે. સિદ્ધારમૈયાએ કહ્યું કે આ બાબતે હાઇકમાન્ડનો નિર્ણય તેમને અને શિવકુમાર સહિત દરેકને લાગુ પડશે. તેમણે કહ્યું, આખરે, નિર્ણય હાઇકમાન્ડે જ લેવાનો છે. અમે તેનું પાલન કરીશું. તેમણે એવી પણ માંગણી કરી કે હાઇકમાન્ડ આ કન્ફ્યુઝનને દુર કરવા માટે નિર્ણય લે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે આ મુદ્દે રાહુલ ગાંધીને મળવાની તેમની કોઈ યોજના નથી.

પાંચ કે છ લોકો વચ્ચેની સિક્રેટ ડીલ
આ અંગે ડીકે શિવકુમારની પ્રતિક્રિયા એ હતી કે, તેઓ આ મુદ્દા પર જાહેરમાં ચર્ચા કરવા માંગતા નથી કારણ કે તે પાર્ટીની અંદર પાંચ કે છ લોકો વચ્ચેની સિક્રેટ ડીલ હતી. તેમણે કહ્યું, મેં મુખ્યમંત્રી બનાવવાની માંગ નથી કરી. આ પાંચ કે છ લોકો વચ્ચેની સિક્રેટ ડીલ છે. હું આ અંગે જાહેરમાં ચર્ચા કરવા માંગતો નથી. તેમણે એમ પણ કહ્યું કે તેઓ પાર્ટીને શરમજનક કે નબળી પાડવા માંગતા નથી.

દરમિયાન, કોંગ્રેસ પક્ષની અંદરનો આ સત્તા સંઘર્ષ વિપક્ષો, એટલે કે ભાજપ અને જેડીએસ માટે એક હથિયાર બની ગયો છે. વિપક્ષે આરોપ લગાવ્યો કે શાસક પક્ષના નેતાઓ મુખ્યમંત્રી પદ માટે લડી રહ્યા છે અને શાસનની અવગણના કરી રહ્યા છે.