Home Blog Page 213

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

0

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને એક ઈમેલ દ્વારા જીવથી મારી નાખવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો હતો. રાજભવનના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, અજાણ્યા શખ્સે ઈમેલમાં રાજ્યપાલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. ચોંકાવનારી બાબત એ છે કે મોકલનાર આરોપીએ ઈમેલમાં પોતાનો મોબાઈલ નંબર પણ આપ્યો હતો. આ ગંભીર મામલે રાજ્યના ડીજીપીને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી અને આરોપીની ધરપકડ કરવાના આદેશો આપવામાં આવ્યા હતા. મુખ્ય પ્રધાન મમતા બેનર્જી અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પણ આ ઘટના અંગે વિગતવાર જાણકારી આપી દેવામાં આવી હતી.

રાજ્યપાલને મળેલી આ ધમકી બાદ તેમની સુરક્ષામાં ધરખમ વધારો કરવામાં આવ્યો હતો. સીવી આનંદ બોઝને પહેલેથી જ ઝેડ-પ્લસ સુરક્ષા મળી રહી છે, પરંતુ હવે તેમની સુરક્ષા માટે વધારાના કેન્દ્રીય પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. હાલમાં લગભગ 60 થી 70 સીઆરપીએફ (CRPF) અને રાજ્ય પોલીસના જવાનો સંયુક્ત રીતે તેમની સુરક્ષા વ્યવસ્થા સંભાળી રહ્યા છે. સુરક્ષા એજન્સીઓ આ ઈમેલના મૂળ સુધી પહોંચવા માટે ટેકનિકલ તપાસ ચલાવી રહી છે જેથી ધમકી પાછળના ઈરાદા અને વ્યક્તિની ઓળખ થઈ શકે.

બીજી તરફ, આ ઘટનાને લઈને પશ્ચિમ બંગાળમાં રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપના આઈટી સેલના વડા અમિત માલવીયાએ મમતા બેનર્જી સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે પડી ભાંગી છે, જ્યાં રાજ્યના રાજ્યપાલ પણ સુરક્ષિત નથી. તેમણે આક્ષેપ કર્યો હતો કે મુખ્ય પ્રધાન પોતાની ખાનગી ફાઈલો અને તપાસ એજન્સીઓ સામે લડવામાં વ્યસ્ત છે જ્યારે રાજ્યની સુરક્ષા જોખમમાં છે. તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આ મુદ્દે શરૂ થયેલા વાકયુદ્ધે રાજ્યના રાજકારણમાં નવો વળાંક લાવી દીધો છે.

Toxicનું ટીઝર જારી, યશના 40માં બર્થડે પર છવાયો રૌદ્ર અવતાર, હોલિવૂડ સ્ટાઈલ એક્શન પર ફેન્સ ફિદા

દક્ષિણ સિનેમાના સુપરસ્ટાર યશે Yash તેના ચાહકોને તેના 40મા જન્મદિવસ પર એક અદ્ભુત ભેટ આપી છે. તેની મચ અવેઈટેડ ગેંગસ્ટર ફિલ્મ Toxicનું પહેલું ટીઝર Toxic’s teaser રિલીઝ થઈ ગયું છે, જેણે સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી દીધી છે. ટીઝરમાં યશ ખૂબ જ હિંસક, ડાર્ક અને બેબાક અંદાજમાં જોવા મળે છે, જે તેની અગાઉની ભૂમિકાઓથી સંપૂર્ણપણે અલગ છે.

ફિલ્મના નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર ટીઝર શેર કરતા લખ્યું છે કે તમારા ખતરાને સારી રીતે જાણો- ઈન્ટ્રોડ્યુસિંગ રાયા. ટીઝરની શરૂઆત એક અંતિમ સંસ્કારના દ્રશ્યથી થાય છે, જ્યાં એક પરિવાર ઉતાવળમાં કબ્રસ્તાનમાંથી બહાર નીકળતો જોવા મળે છે. પછી ત્યાં એક કાર આવીને રોકાય છે અને વાર્તા એક રહસ્યમય વળાંક લે છે.

ત્યારબાદ યશનું પાત્ર ઉભરી આવે છે. કાળા ઓવરકોટમાં લપેટાયેલો, રાયા ધુમાડા અને ધુમ્મસ વચ્ચે સિગારેટ પીતો દેખાય છે. બીજી જ ક્ષણે તે બંદૂક ઉપાડે છે અને નિર્દયતાથી ગોળીબાર કરવાનું શરૂ કરે છે. ટીઝરની સૌથી શક્તિશાળી ડાયલોગ ત્યારે આવે છે જ્યારે યશ કહે છે, ડેડી ઈઝ હોમ.

ટીઝર રિલીઝ થતાં જ ચાહકોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચી ગયો. સોશિયલ મીડિયા પર લોકો તેને હોલીવુડ સ્તરની સામગ્રી કહી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે ટોટલ હોલીવુડ વાઇબ્સ, જ્યારે બીજાએ કહ્યું, સેન્ડલવુડથી ઈન્ટરનેશનલ ફીલ

ફિલ્મ વિશે
ટોક્સિક એક પીરિયડ ગેંગસ્ટર ફિલ્મ છે. જેનું નિર્દેશન ગીતૂ મોહનદાસે કર્યું છે. આ ફિલ્મ KVN પ્રોડક્શન્સ અને યશની કંપની મોન્સ્ટર માઇન્ડ ક્રિએશન્સ દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવી છે. રસપ્રદ વાત એ છે કે યશે ફિલ્મના કહાણી લેખનમાં ગીતુ મોહનદાસને સાથ પણ આપ્યો છે.

ફિલ્મ ક્યારે રિલીઝ થશે?
યશ ઉપરાંત આ ફિલ્મમાં નયનતારા, કિયારા અડવાણી, તારા સુતારિયા, હુમા કુરેશી, અક્ષય ઓબેરોય, સુદેવ નાયર અને રુક્મિણી વસંત પણ મુખ્ય ભૂમિકામાં છે. ટોક્સિક 19 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે અને એવું માનવામાં આવે છે કે આ ફિલ્મ યશની કરિયરનો એક નવો અને બોલ્ડ અધ્યાય સાબિત થશે.

સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત શ્રદ્ધાળુઓ કરશે સોમનાથ દાદાના દિવ્ય દર્શન

ભારતની પ્રાચીન સંસ્કૃતિ, આધ્યાત્મિક પરંપરા અને રાષ્ટ્રીય ગૌરવનું જીવંત કેન્દ્ર એવા સોમનાથ મંદિર ખાતે આયોજિત સોમનાથ સ્વાભિમાન પર્વનો ભવ્ય પ્રારંભ થયો છે ત્યારે હજારો શ્રદ્ધાળુઓ દેશભરમાંથી સોમનાથ દાદાના દર્શનાર્થે જઈ રહ્યા છે. આજ રોજ સુરત રેલ્વે સ્ટેશનથી સુરત અને વેરાવળની સ્પેશિયલ ટ્રેનને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ ફલેગઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

‘ભારત માતા કી જય, હર હર મહાદેવ, ઓમ નમઃશિવાય’ના નાદ સાથે સુરત જિલ્લાના ૧૩૦૦ જેટલા વડીલો, યુવાનો સહિતના શ્રદ્ધાળુઓ સાથેની ટ્રેનને રવાના કરાઈ હતી.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સોમનાથ સ્વાભિમાન પર્વ એ ભારતના સ્વાભિમાન, ઐતિહાસિક ધરોહર અને સાંસ્કૃતિક પુર્નઉત્થાનનો સશક્ત અભિવ્યક્તિરૂપ કાર્યક્રમ છે. જેમાં ભાગ લેવા માટે દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ સોમનાથ પધારી રહ્યા છે. ૭૨ કલાકના સામુહિક ઓમકાર નાદ સાથે શિવમંદિરો ગુંજી રહ્યા છે. ઋષિકુમારોના શંખનાદ અને સંતોના સાન્નિધ્યમાં ઓમ નમઃશિવાયના જાપ સોમનાથ મંદિરમાં થઈ રહ્યા છે એમ જણાવી નાયબ મુખ્યમંત્રીએ સૌ યાત્રાળુઓને શુભકામનાઓ પાઠવી હતી.

આ વેળાએ મેયર દક્ષેશભાઈ માવાણી, જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, અગ્રણી ઝંખનાબેન પટેલ, વી.ડી.ઝાલાવાડીયા, અનિલકુમાર શુકલા તથા અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નોંધનીય છે કે, સોમનાથ પર ગઝનવીના આક્રમણના ૧૦૦૦ વર્ષ અને મંદિર જીર્ણોદ્ધારના ૭૫ વર્ષનો સુભગ સમન્વય સધાયો છે ત્યારે ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ અંતર્ગત તા.૦૮, ૦૯ અને તા.૧૦ દરમિયાન ત્રિદિવસીય મહોત્સવમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત શોર્ય યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી આગામી તા.૧૦ અને ૧૧ જાન્યુ. દરમિયાન સોમનાથ મંદિર ખાતે સોમનાથ સ્વાભિમાન પર્વમાં સહભાગી થશે.

ઋતિક રોશનની ફિટનેસનું રહસ્ય શું છે? 51 વર્ષની ઉંમરે 25 વર્ષના યુવાન જેવી મસલ્સ બોડી

બોલીવુડના ગ્રીક ગોડ કહેવાતા ઋતિક રોશનની ફિટનેસ 51 વર્ષની ઉંમરે પર 25 વર્ષના યુવાન જેવી છે. 6 પેક એબ્સ અને મસલ્સ જોઇને યુવતીઓ ઋતિક રોશન પાછળ પાગલ થાય છે. તાજેતરમાં વોર 2 ફિલ્મમાં પોતાની પાવરફુલ બોડી અને ફિટનેસથી ફેન્સના દિલ જીત્યા હતા. અન્ય સેલેબ્રિટી ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ અને હાર્ડ ડાઇટિંગ પર વિશ્વાસ કરે છે, જ્યારે ઋતિક રોશન દર અઢી – ત્રણ કલાકે ખાય છે,પરંતુ સંતુલિત રીતે.

ઋતિક રોશનના પર્સનલ શેફ શુભમ વિશ્વકર્માના મતે તેમનો ડાયટ પ્લાન ચુસ્ત છે. તેઓ દિસવભરમાં થોડુંક થોડુંક ખાય છે અને રાતે 9 વાગ્યા સુધી ડિનર કરી લે છે. તેમની થાળીમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ફાઇબર અને હેલ્દી ફેટ્સનું સંતુલિત સંયોજન હોય છે.

ઋતિક રોશન ડાયટમાં શું થાય છે? (Hrithik Daily Diet Plan)

  • પ્રોટીન : સફેદ માછલી, ઇંડા, ચિકન, દાળ, રાજમા, ચણા
  • કાર્બ્સ અને ફાઇબર : ઓટ્સ, કિનોઆ, શાકભાજી, જુવારની રોટલી
  • હેલ્ધી ફેટ : ડ્રાયફ્રૂટ્સ, સીડ્સ, ગ્રીક યોગર્ટ
  • ઓમેગા 3 : ફિશ અને ઇંડા

ઋતિક રોશન પિત્ઝા બર્ગર ખાવાના શોખીન
ઋતિક રોશન ડાયટ મામલે ચુસ્ત છે પણ ક્યારેક ક્યારેક ચીટ ડે પણ હોય છે. આ દિવસે તે તંદુરી ચિકન, બારબેક્યૂ ચિકન, કાર્બ વગરનું બર્ગર અને જુવારના બેઝ વાળું પિત્ઝા ખાવાનું પસંદ કરે છે. મીઠાઇમાં તેમને પ્રોટીનથી ભરપૂર બ્રાઉની પસંદ છે.

ઋતિક રોશન દરરોજ ભોજનમાં દાળ ભાત, રોટલી, સબ્જી ખાવાનું પસંદ કરે છે. તેમનું મનપસંદ ભોજન છે મગની દાળ, ભિંડિનું શાક, જુવારની રોટલી અને દહીં. ફિટનેસને ધ્યાનમાં રાખી ઋતિક રોશન રિફાઇન્ડ શુગર, ગ્લૂટેન અને સીડ્સ ઓઇલ ખાવાનું ટાળે છે.

સુરતના આંબોલી ગામમાં ભીષણ આગ, 50થી વધુ ઝુંપડાઓ બળીને ખાખ, શ્રમજીવીઓ બેઘર

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના આંબોલી ગામમાં આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આંબોલી ગામમાં આવેલા શ્રમજીવીઓના રહેણાંક વિસ્તારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા અંદાજે 50થી વધુ ઝુંપડાઓ બળીને ખાખ થઈ ગયા છે. આ દુર્ઘટનામાં ગરીબ શ્રમજીવીઓની જીવનભરની મૂડી સમાન ઘરવખરી બળીને રાખ થઈ ગઈ છે.

ઘટનાની મળતી માહિતી અનુસાર, આ આગ લાગવાનું કારણ રસોઈ બનાવવા માટે સળગાવવામાં આવેલા ચૂલામાંથી ઉડેલા તણખલા હોવાનું મનાઈ રહ્યું છે. પવનના કારણે તણખલા ઝુંપડાના સૂકા ઘાસ અને પ્લાસ્ટિક પર પડતા આગ ઝડપથી ફેલાઈ હતી. એક પછી એક એમ લાઈનબંધ 50 જેટલા ઝુંપડાઓ આગની લપેટમાં આવી ગયા હતા. સદનસીબે, આગ લાગતા જ લોકો બહાર દોડી આવતા મોટી જાનહાનિ ટળી છે, પરંતુ આર્થિક રીતે શ્રમજીવીઓ પાયમાલ થઈ ગયા છે.

ફાયર બ્રિગેડની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો
આગની જાણ થતા જ કામરેજ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર ફાઈટર્સ દ્વારા સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં શ્રમજીવીઓના ઘરમાં રહેલું અનાજ, કપડાં અને અન્ય ઘરવખરીનો સામાન સંપૂર્ણપણે નાશ પામ્યો હતો.

શ્રમજીવી પરિવારો ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર
કડકડતી ઠંડી વચ્ચે પોતાના આશિયાના છીનવાઈ જતા શ્રમજીવી પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. માથે છત ન રહેતા અને ખાવા માટે અનાજ પણ ન બચતા પરિવારોમાં શોકની લાગણી જોવા મળી રહી છે. સ્થાનિક આગેવાનો અને તંત્ર દ્વારા અસરગ્રસ્તોને તાત્કાલિક સહાય પૂરી પાડવામાં આવે તેવી માગ ઉઠી રહી છે.

GPSCની 2026માં પ્રીલિમ પરીક્ષાની તારીખો જાહેર, જુઓ ટાઇમ ટેબલ

ગુજરાતમાં સરકારી નોકરીનું સ્વપ્ન જોઈ રહેલા હજારો ઉમેદવારો માટે રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વર્ષ 2026 દરમિયાન યોજાનારી વિવિધ ક્લાસ-1 અને ક્લાસ-2 સંવર્ગની પ્રાથમિક પરીક્ષાઓની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. લાંબા સમયથી તારીખોની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે આ જાહેરાતને મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

GPSC દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, કુલ 18 જેટલા અલગ-અલગ સંવર્ગોની પ્રીલિમ પરીક્ષા ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ 2026 દરમિયાન તબક્કાવાર યોજાશે. આ પરીક્ષાઓમાં વહીવટી, ટેક્નિકલ તેમજ શિક્ષણ અને વિશેષ સેવાઓનાં પદોનો સમાવેશ થાય છે. તારીખો જાહેર થતાં જ પરીક્ષાની તૈયારીમાં લાગેલા ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આયોગ દ્વારા જાહેર કરાયેલા શિડ્યૂલ મુજબ વહીવટી અને સચિવાલય સેવાઓમાં રહસ્ય સચિવ (ક્લાસ-2), મદદનીશ વહીવટી અધિકારી (ક્લાસ-2) જેવા પદો માટે પરીક્ષા લેવામાં આવશે. ઉપરાંત ટેક્નિકલ અને વિશેષ સેવાઓ હેઠળ MIS મેનેજર (ક્લાસ-1 અને 2), પશુચિકિત્સા અધિકારી (ક્લાસ-2), મુખ્ય વૈજ્ઞાનિક અધિકારી જેવા મહત્ત્વનાં પદોનો સમાવેશ થાય છે.

શિક્ષણ અને અન્ય સેવાઓમાં ગુજરાત શિક્ષણ સેવા, નિયામક ગ્રંથપાલ, નાયબ માહિતી નિયામક તેમજ મદદનીશ ઉદ્યોગ કમિશનર માટે પણ પ્રાથમિક કસોટી યોજાશે. આ સિવાય ગુજરાત મત્સ્યોદ્યોગ સેવા અને સામાન્ય રાજ્ય સેવામાં વહીવટી અધિકારી (ક્લાસ-2) માટેની પરીક્ષાઓ પણ આ સમયગાળા દરમિયાન લેવામાં આવશે.

ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં ટાઈફોઈડે હાહાકાર મચાવ્યો

0

ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસો સતત વધી રહ્યા છે. સરકારી માહિતી અનુસાર, તાજેતરમાં 11 નવા કેસ નોંધાયા છે, જેના કારણે ટાઇફોઇડના દર્દીઓની કુલ સંખ્યા 144 થઈ ગઈ છે. વધતા જતા કેસોએ આરોગ્ય તંત્રની ચિંતા વધારી દીધી છે. હાલમાં, ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 85 દર્દીઓ સારવાર હેઠળ છે, જ્યારે 59 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે.

આ પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે, આરોગ્ય વિભાગની કુલ 85 ટીમો સેક્ટર 24, 26, 28 અને આદિવાસી વિસ્તારોમાં ઘરે ઘરે જઈને સર્વે કરી રહી છે. રહેવાસીઓને ક્લોરિનની ગોળીઓ અને ORS પેકેટનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. પાણી પુરવઠા વિભાગે ક્લોરિનેશન શરૂ કરી દીધું છે અને વિવિધ વિસ્તારોમાંથી પાણીના નમૂના એકત્રિત કરવામાં આવી રહ્યા છે.

ટાઈફોઈડના કેસોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, મુખ્યમંત્રીએ ગઈકાલે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. તેમણે કલેક્ટરને પરિસ્થિતિમાં ઝડપી સુધારો થાય તે માટે જરૂરી પગલાં લેવા નિર્દેશ આપ્યો હતો. આ બેઠક બાદ, માર્ગ અને મકાન વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશને પાણીની લાઈનોમાં લીકેજ ઓળખી કાઢ્યા હતા અને તાત્કાલિક સમારકામ શરૂ કર્યું હતું.

કોલકાતામાં EDએ જ્યાં રેડ પાડી ત્યાં પહોંચ્યા CM મમતા બેનર્જી, ભાજપ પર ગંભીર આરોપો

0

એક તરફ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં IPAC વડા પ્રતીક જૈનના નિવાસસ્થાન અને કાર્યાલય પર કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે, બીજી તરફ મુખ્યમંત્રી મમતા બેનર્જી આ જ સમયે જૈનના નિવાસસ્થાને પહોંચી છે. સાથે જ અહીં પહોંચીને ભાજપ પર તેમણે મોટા આરોપો લગાવ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ED કથિત નાણાકીય ગેરરીતિઓના કેસના સંદર્ભમાં આ દરોડા પાડી રહી છે. તપાસ ટીમ પ્રતીક જૈનના નિવાસસ્થાન અને કાર્યાલય પર દસ્તાવેજોની તપાસ અને અન્ય જરૂરી પ્રક્રિયાઓ એક સાથે કરી રહી છે. આ કામગીરી દરમિયાન મમતા બેનર્જીની ઘટનાસ્થળે હાજરી રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

EDએ ગુરુવારે IPAC વડા પ્રતીક જૈનના ઘરે સવારથી દરોડા પાડ્યા હતા. સવારથી IPAC કાર્યાલય અને જૈનના ઘરે સર્ચ ઓપરેશન ચાલુ છે. બપોરે 12 વાગ્યાની આસપાસ, જ્યારે સર્ચ ચાલી રહ્યું હતું, ત્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જી અચાનક જૈનના ઘરે પહોંચ્યા અને ભાજપ પર TMC દસ્તાવેજો લેવાનો આરોપ લગાવ્યો. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ IPAC વડા પ્રતીક જૈનના લાઉડન સ્ટ્રીટ સ્થિત નિવાસસ્થાનની મુલાકાત લીધી. કોલકાતા પોલીસ કમિશનર મનોજ વર્મા મુખ્યમંત્રીના આગમનના પાંચ મિનિટ પહેલા પહોંચ્યા હતા.

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ IPAC વડા પ્રતીક જૈનના લાઉડન સ્ટ્રીટ સ્થિત નિવાસસ્થાનની મુલાકાત લીધી. કોલકાતા પોલીસ કમિશનર મનોજ વર્મા મુખ્યમંત્રીના આગમનના પાંચ મિનિટ પહેલા પહોંચ્યા હતા.

તેઓ મારી પાર્ટીના દસ્તાવેજો જપ્ત કરી રહ્યા છે… મમતા બેનર્જીનો મોટો આરોપ
મમતા બેનર્જી થોડીવારમાં પ્રતીકના ઘરેથી લીલા રંગની ફાઇલ લઈને બહાર આવ્યા. તેમણે મીડિયાને કહ્યું, “તેઓ મારી પાર્ટીના બધા દસ્તાવેજો જપ્ત કરી રહ્યા હતા! હું તેમને લઈને આવી છું.”

તેમણે ગૃહમંત્રી અમિત શાહ પર હુમલો કરતા કહ્યું, “તેઓ દેશને નિયંત્રિત કરી શકતા નથી! તેઓ મારી પાર્ટીના દસ્તાવેજો જપ્ત કરી રહ્યા છે! મેં પ્રતીકને ફોન કર્યો. તેઓ મારી પાર્ટીના ઇન્ચાર્જ છે. તેઓ બધું જ લઈ રહ્યા હતા – હાર્ડ ડ્રાઇવ, ફોન.” મમતા બેનર્જીએ કહ્યું કે ત્યારબાદ તેમણે સોલ્ટ લેકમાં IPAC ઓફિસની મુલાકાત લીધી.

મારી પાર્ટીને હાઇજેક કરવાનો પ્રયાસ
મમતા બેનર્જીએ કહ્યું કે એક તરફ, SIR દ્વારા મતદારોના નામ યાદીમાંથી દૂર કરવામાં આવી રહ્યા છે; લગભગ 15 મિલિયન લોકો દૂર કરવામાં આવ્યા છે. બીજી તરફ, આવી શોધ દ્વારા પાર્ટીની યોજનાઓ હાઇજેક કરવામાં આવી રહી છે. “જુઓ, હું આ ફાઇલમાં બધું જ લાવી છું કારણ કે પ્રતીક મારી પાર્ટીનો ઇન્ચાર્જ છે,” તેણીએ કહ્યું. મેં બધી હાર્ડ ડ્રાઈવ ગોઠવી દીધી છે.”

રેલવેથી લઈને સેના અને ઈન્કમ ટેક્સ સુધી, નોકરીના નામ પર છેતરપિંડી, ED એ કર્યો પર્દાફાશ

0

ભારતીય રેલ્વે, ટપાલ વિભાગ, આવકવેરા વિભાગ, ભારતીય સેના અને અન્ય સહિત વિવિધ સરકારી વિભાગોમાં નોકરી આપવાના નામે દેશમાં એક મોટું કૌભાંડ ચાલી રહ્યું હતું. આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આ છેતરપિંડીનો પર્દાફાશ કર્યો. ED એ છેતરપિંડીના સંદર્ભમાં દેશભરમાં 15 સ્થળોએ દરોડા પાડ્યા.

મળતી માહિતી મુજબ, ED દ્વારા દરોડા પાડવામાં આવેલી તમામ ગેંગ નકલી સરકારી નોકરીઓના નામે યુવાનોને છેતરપિંડી કરવા અને વિવિધ સરકારી વિભાગોમાં નકલી નિમણૂકો આપવાના કૌભાંડમાં સામેલ હતી.

15 સ્થળોએ ઝડપી કાર્યવાહી
ED ના પટના ઝોનલ યુનિટે, રાજ્ય પોલીસ દળો સાથે સંકલનમાં, આજે વહેલી સવારે દેશભરમાં 15 અલગ અલગ સ્થળોએ દરોડા પાડવાનું શરૂ કર્યું. નીચેના રાજ્યો અને શહેરોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે: બિહારમાં ત્રણ, પશ્ચિમ બંગાળમાં બે, કેરળમાં ચાર, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને ગુજરાતમાં ચાર.

ED દ્વારા કરવામાં આવેલી પ્રારંભિક તપાસમાં ફક્ત ભારતીય રેલ્વેના નામે આ કૌભાંડ બહાર આવ્યું છે. જેમ જેમ કેસ આગળ વધતો ગયો તેમ તેમ એવું બહાર આવ્યું કે આ ગેંગે 40 થી વધુ સરકારી સંસ્થાઓ અને વિભાગોના નામે છેતરપિંડી કરી હતી, જેમાં વન વિભાગ, રેલ્વે ભરતી બોર્ડ (RRB), ભારતીય પોસ્ટ, આવકવેરા વિભાગ, વિવિધ હાઇકોર્ટ, જાહેર બાંધકામ વિભાગ (PWD), બિહાર સરકાર, દિલ્હી વિકાસ સત્તામંડળ (DDA) અને રાજસ્થાન સચિવાલયનો સમાવેશ થાય છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે આરોપીઓ ઉમેદવારોને નકલી નિમણૂક અને જોઇનિંગ લેટર મોકલવા માટે સરકારી ડોમેન જેવા નકલી ઇમેઇલ એકાઉન્ટનો ઉપયોગ કરતા હતા. ગેંગની મોડસ ઓપરેન્ડી અત્યંત સુસંસ્કૃત હતી. વિશ્વાસ મેળવવા માટે, આ છેતરપિંડી કરનારાઓએ કેટલાક પીડિતોને તેમના પ્રારંભિક 2-3 મહિનાનો પગાર પણ ચૂકવ્યો હતો.

એટલું જ નહીં, ઘણા પીડિતોને ભારતીય રેલ્વેમાં RPF કર્મચારીઓ, ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર્સ (TTEs) અને ટેકનિશિયન જેવા હોદ્દાઓ પર ખોટી રીતે પોસ્ટ કરાયેલા દર્શાવવામાં આવ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) હાલમાં આ કેસમાં મની લોન્ડરિંગ એંગલની તપાસ કરી રહ્યું છે અને એવી અપેક્ષા છે કે એજન્સી છેતરપિંડીમાં વધુ નોંધપાત્ર પુરાવા શોધી શકે છે.

ભારતની આગામી જનગણના 2026–27માં યોજાશે, 95 વર્ષ બાદ થશે વ્યાપક જાતિ આધારિત ગણતરી

0

ભારત સરકારએ આગામી જનગણનાને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. લાંબા સમયથી પ્રતીક્ષિત જનગણના હવે 2026–27 દરમિયાન યોજાશે. કોરોના મહામારીને કારણે 2021ની જનગણના મુલતવી રાખવામાં આવી હતી. આ વખતની જનગણના અનેક રીતે ઐતિહાસિક બનવાની છે, કારણ કે સમગ્ર પ્રક્રિયા પ્રથમ વખત સંપૂર્ણ ડિજિટલ રીતે હાથ ધરાશે અને 95 વર્ષ બાદ ફરી એકવાર વ્યાપક જાતિ આધારિત માહિતી એકત્રિત કરવામાં આવશે.

જનગણના બે તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે. પ્રથમ તબક્કો હાઉસ-લિસ્ટિંગનો રહેશે, જે એપ્રિલથી સપ્ટેમ્બર 2026 દરમિયાન યોજાશે. આ તબક્કામાં દેશભરના ઘરો, દુકાનો, ઇમારતો અને અન્ય સ્થાપનાઓની ગણતરી કરવામાં આવશે. સાથે સાથે ઘરના પ્રકાર, પાણી, શૌચાલય, વિજળી જેવી મૂળભૂત સુવિધાઓ તેમજ જીવન સ્તર દર્શાવતી વસ્તુઓ અંગે માહિતી લેવામાં આવશે. બીજા તબક્કામાં ફેબ્રુઆરી 2027માં જનસંખ્યા ગણતરી હાથ ધરાશે, જેમાં દરેક વ્યક્તિની વ્યક્તિગત વિગતો, પરિવારની માહિતી અને જાતિ સંબંધિત ડેટા નોંધવામાં આવશે.

આ વખતની જનગણનામાં “સ્વ-ગણના”ની સુવિધા પણ આપવામાં આવી છે. સર્વે શરૂ થવાના લગભગ 15 દિવસ પહેલાં ઑનલાઇન પોર્ટલ શરૂ કરાશે, જ્યાં નાગરિકો મોબાઇલ કે કમ્પ્યુટર દ્વારા પોતાનો ડેટા જાતે ભરી શકશે. બાદમાં ગણના કર્મીઓ 30 દિવસ સુધી ઘરેઘર જઈને બાકી માહિતી મોબાઇલ એપ્લિકેશન દ્વારા નોંધશે.

જાતિ આધારિત ગણતરી ખાસ મહત્વ ધરાવે છે. 1931માં બ્રિટિશ શાસન દરમિયાન છેલ્લી વખત વ્યાપક જાતિ ગણતરી થઈ હતી. આઝાદી બાદ આ પ્રથમ વખત છે જ્યારે દરેક વ્યક્તિની જાતિની નોંધ ડિજિટલ માધ્યમથી લેવામાં આવશે. માહિતી Android અને iOS એપ દ્વારા સુરક્ષિત સર્વર પર અપલોડ થશે, જેથી ભૂલોની સંભાવના ઘટશે.

આ વિશાળ કામગીરી માટે અંદાજે 30 લાખ ગણના કર્મીઓને કામે લગાડવામાં આવશે. 2011ની જનગણના મુજબ ભારતની વસ્તી 121 કરોડ હતી, જે હવે નોંધપાત્ર રીતે વધવાની શક્યતા છે. આવી સ્થિતિમાં આ જનગણના દેશની સામાજિક અને આર્થિક યોજના માટે મહત્વપૂર્ણ આધાર બનશે.