Home Blog Page 211

ચાઈનીઝ દોરીનો 2.67 કરોડનો મુદ્દામાલ જપ્ત, 409 FIR અને 477ની ધરપકડ, હાઈકોર્ટમાં સોગંદનામું

ઉત્તરાયણ પર્વ દરમિયાન જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ચાઈનીઝ દોરી અને ઘાતક તુક્કલ પરના પ્રતિબંધ અંગે ગુજરાત હાઈકોર્ટમાં મહત્વનું સોગંદનામું રજૂ કર્યું છે. ગૃહ વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરી દ્વારા રજૂ કરવામાં આવેલી આ વિગતોમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યભરમાં સિન્થેટીક, નાયલોન અને ચાઈનીઝ દોરીના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકતું જાહેરનામું અમલી છે અને તેની કડક અમલવારી કરવામાં આવી રહી છે.

સરકાર દ્વારા રજૂ કરાયેલા આંકડાઓ મુજબ, પ્રતિબંધિત દોરીઓના ગેરકાયદેસર વેચાણ અને વપરાશના કિસ્સામાં અત્યાર સુધીમાં કુલ 409 એફઆઈઆર (FIR) દાખલ કરવામાં આવી છે. પોલીસની વિવિધ ટીમો દ્વારા હાથ ધરવામાં આવેલા દરોડામાં ચાઈનીઝ દોરીના અંદાજે 71,819 જેટલા રીલ (ટેલર) જપ્ત કરવામાં આવ્યા છે, જેની બજાર કિંમત આશરે 2.67 કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા કુલ 477 લોકોની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી હોવાનું પણ સરકાર પક્ષે હાઈકોર્ટને જણાવ્યું હતું.

કાયદાકીય કાર્યવાહીની સાથે સાથે જનજાગૃતિ ફેલાવવા માટે પણ વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. પ્રતિબંધિત દોરીના જોખમો વિશે લોકોને માહિતગાર કરવા માટે 37થી વધુ સત્તાવાર જાહેરાતો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 683થી વધુ પોસ્ટ દ્વારા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું છે.

નોંધનીય છે કે પોલીસ તંત્રને આ બાબતે વિશેષ સત્તાઓ સોંપવામાં આવી છે. જાહેરનામાનો ભંગ કરનારા તત્વો વિરુદ્ધ હવે કોઈપણ પોલીસ કર્મચારી સીધી ફરિયાદ દાખલ કરી શકે છે. ઓનલાઇન પ્લેટફોર્મ પર થતા વેચાણ અંગે પણ સાયબર ક્રાઈમ અને સ્થાનિક પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે.

પાડોશી રાજ્યોમાંથી આવી ઘાતક દોરીઓની આયાત અટકાવવા માટે સરહદી જિલ્લાઓના પોલીસ વડાઓને સરહદ પર કડક ચેકિંગના આદેશો આપવામાં આવ્યા છે. નાગરિકોની સુવિધા માટે સીટી અને ડિસ્ટ્રીકટ પોલીસ કંટ્રોલ રૂમ ખાતે ખાસ ‘ઉત્તરાયણ હેલ્પડેસ્ક’ કાર્યરત કરવામાં આવ્યું છે. કોઈપણ નાગરિક 112 નંબર પર ફોન કરીને ગેરકાયદેસર દોરીના વેચાણ કે સંગ્રહ વિશે માહિતી આપી શકે છે. આ ફરિયાદોની નોંધણી માટે અલગ રજિસ્ટર રાખવા અને 24 કલાક ફરજ પર રહેલા અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવાના કડક નિર્દેશ પણ જારી કરાયા છે.

Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી, ખાસ દિવસે રજૂ થશે બજેટ

0

સંસદ 2026 નું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ, 2026 સુધી યોજાશે. પ્રથમ તબક્કો 13 ફેબ્રુઆરી, 2026 ના રોજ પૂર્ણ થશે અને સંસદ 9 માર્ચ, 2026 ના રોજ ફરી એકત્ર થશે. ભારત સરકારની ભલામણ પર, માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બજેટ સત્ર 2026 માટે સંસદના બંને ગૃહોને બોલાવવા માટે સંમતિ આપી છે. આ સત્ર 28 જાન્યુઆરી, 2026 ના રોજ શરૂ થશે અને 2 એપ્રિલ, 2026 સુધી ચાલુ રહેશે.

પ્રથમ તબક્કો 13 ફેબ્રુઆરી, 2026 ના રોજ પૂર્ણ થશે અને સંસદ 9 માર્ચ, 2026 ના રોજ ફરી મળશે. અર્થપૂર્ણ ચર્ચા અને લોકો-કેન્દ્રિત શાસન તરફ આ એક મહત્વપૂર્ણ પગલું છે. બહુપ્રતિક્ષિત કેન્દ્રીય બજેટ 2026 ની તારીખો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. તાજેતરની પ્રથાથી અલગ થઈને, નાણામંત્રી નિર્મલા સીતારમણ ૧ ફેબ્રુઆરી, સંસદીય બાબતોની કેબિનેટ સમિતિએ બજેટના કાર્યક્રમને અંતિમ સ્વરૂપ આપી દીધું છે.

મુખ્ય તારીખો નીચે મુજબ છે:

  • સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરી, 2026 થી શરૂ થશે અને 2 એપ્રિલ, 2026 સુધી ચાલુ રહેશે.
  • પહેલો તબક્કો 13 ફેબ્રુઆરી, 2026 ના રોજ સમાપ્ત થશે. બીજો તબક્કો 9 માર્ચ, 2026 ના રોજ શરૂ થશે.
  • આર્થિક સર્વેક્ષણ 2025-26 29 જાન્યુઆરી, 2026 ના રોજ રજૂ કરવામાં આવશે.
  • કેન્દ્રીય બજેટ 2026-27 1 ફેબ્રુઆરી, 2026 ના રોજ રજૂ કરવામાં આવશે.
  • રવિવારે બજેટ રજૂ કરવું એ એક દુર્લભ ઘટના છે.
  • ભલે ૧ ફેબ્રુઆરી 2017 માં સ્થાપિત પરંપરા અનુસાર હોય, પણ અઠવાડિયાનો દિવસ નથી. આ પહેલી વાર નથી કે કેન્દ્રીય બજેટ રવિવારે રજૂ કરવામાં આવશે, પરંતુ તે એક દુર્લભ ઘટના છે.
  • નાણાકીય વર્ષની શરૂઆત (1 એપ્રિલ) સુધીમાં ભંડોળની ફાળવણી સુનિશ્ચિત કરવા માટે, 2017માં બજેટની તારીખ 28 ફેબ્રુઆરીથી બદલીને 1 ફેબ્રુઆરી કરવામાં આવી હતી.

હિમાચલમાં મોટો અકસ્માત, સિરમૌરમાં ખાનગી બસ ખાઈમાં પડતા 14 લોકોના મોત, 52 ઘાયલ

0

હિમાચલ પ્રદેશના સિરમૌરમાં બસ ખાઈમાં પડતાં 14 લોકોના મોત અને 52 લોકો ઘાયલ થયા છે. શુક્રવારે બપોરે 3 વાગ્યે આ દુર્ઘટનાગ્રસ્ત બસ શિમલાથી રાજગઢ થઈને કુપવી જઈ રહી હતી ત્યારે રસ્તા પરથી ઉતરી 500 મીટર ઊંડી ખાઈમાં પડતા કેટલાકના ઘટનાસ્થળે જ મોત થયા, જ્યારે કેટલાકના સારવાર દરમિયાન મોત થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો અને વળતરની જાહેરાત કરી છે.

આ બસ રહી હતી જેમાં 66 જેટલા યાત્રીઓ સવાર હતા. જાણવા મળેલી વિગત મુજબ રસ્તા પર હિમ જામી થવાના કારણે બસ ફસડાઇ ગઇ હતી અને 100 મીટર ઉંડી ખાઇમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં ડ્રાઇવર સહિત 14 યાત્રીઓના મોત થયા હતા અને બાવનથી વધુ ઘાયલ થયા હતા.

આ અકસ્માતમાં બસના ફુરચે ફુરચા ઉડી ગયા છે. આ દુર્ઘટનાના કારણોની તપાસના આદેશ અપાયા છે. 2008માં ખરીદાયેલી આ ખાનગી બસની ફિટનેસ પુરી થવાની હતી. તેની પરમીટ 2028 સુધીની હતી. પોલીસના જણાવ્યા અનુસાર શુક્રવારે બપોરે જેવી બસ ધમાકા સાથે પડી તો તેની છત તૂટી ગઇ અને ઉલટી પડી ગઇ હતી.

ઘટના સ્થળે સ્થાનિક લોકોએ બસની બોડીને હાથેથી ઉઠાવીને ઘાયલ લોકોને બહાર કાઢ્યા હતા. ઘાયલોને ચાર-ચાર લોકોએ મળીને ઉઠાવ્યા હતા અને રસ્તા સુધી પહોંચાડ્યા હતા. ચારે બાજુ ઘાયલોની ચીસાચીસ મચી ગઇ હતી.

અકસ્માતની જાણ થતાં જ નાયબ કમિશ્નર અને પોલીસ અધિક્ષક એન.એસ. નેગી ઘટના સ્થળે પહોંચ્યા હતા. ડેપ્યુટી સીએમ મુકેશ અગ્નિહોત્રી હોસ્પિટલે પહોંચ્યા હતા. દુર્ઘટના પર ઉદ્યોગમંત્રી હર્ષવર્ધન ચૌહાણ, કોંગે્રસ પ્રદેશ અધ્યક્ષ વિનયકુમાર, મુખ્યમંત્રી સુખવિન્દર સુખ્ખુ, વિપક્ષી નેતા જયરામ ઠાકુરે શોક વ્યકત કર્યો છે.

સુરતનો ઐતિહાસિક સચિન પેલેસ યથાવત રહેશે, તોડફોડ સામે હાઈકોર્ટનો સ્ટે

સુરતના ઐતિહાસિક સચિન પેલેસના ડિમોલિશન મામલે ગુજરાત હાઈકોર્ટે અત્યંત મહત્વનો વચગાળાનો આદેશ આપ્યો છે. અદાલતે સચિનના રાજવી પરિવાર દ્વારા કરવામાં આવેલી અરજી પર સુનાવણી હાથ ધરતા નિર્દેશ આપ્યો છે કે પેલેસના બાંધકામ સામે હાલ કોઈ પણ પ્રકારની કડક કાર્યવાહી અથવા ડિમોલિશન કરવામાં ન આવે. આ આદેશથી સુરતના આ ઐતિહાસિક વારસાને હાલ પૂરતી રાહત મળી છે.

આ કેસની વિગતો મુજબ, સચિનના પૂર્વ શાસક પરિવારના સભ્યો દ્વારા હાઈકોર્ટમાં ધા નાખવામાં આવી હતી. રાજવી પરિવાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ ધારાશાસ્ત્રીએ જસ્ટિસ મૌના ભટ્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે તેઓ જમીનનો અમુક હિસ્સો સમર્પણ કરવા તૈયાર છે.

જેથી પેલેસના મુખ્ય બાંધકામને બચાવી શકાય. અરજદારે કોર્ટને જણાવ્યું હતું કે તેઓ જે જમીન સરેન્ડર કરવા માંગે છે તે પેલેસની ઉપરના ભાગની ખુલ્લી જગ્યા છે. જો સત્તાધિકારીઓ નકશામાં સામાન્ય ફેરફાર કરીને આ વૈકલ્પિક જમીન સ્વીકારે, તો પેલેસના ઐતિહાસિક બાંધકામને તોડવાની જરૂર રહેશે નહીં.

બીજી તરફ, સુરત મહાનગરપાલિકાના વકીલે કોર્ટને જાણ કરી હતી કે સત્તાધિકારીઓએ સંબંધિત વિસ્તારનો કબજો મેળવી લીધો છે અને અરજદારો દ્વારા જમીન સમર્પણ કર્યા બાદ જ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે, અરજદારોની મુખ્ય માંગણી એ છે કે ડિમોલિશન લાઇનને થોડી ઉપરની તરફ ખસેડવામાં આવે જેથી કરીને રહેણાંક મહેલ સુરક્ષિત રહી શકે.

હાઈકોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ નોંધ્યું હતું કે અરજદારો જમીન આપવા માટે તૈયાર છે, માત્ર પેલેસના બાંધકામને બચાવવા માટે જમીનના માપણીમાં થોડો ફેરફાર કરવાની વિનંતી કરી રહ્યા છે.

આ પરિસિ્થતિને ધ્યાને રાખીને અદાલતે સુરત મહાનગરપાલિકાને નોટિસ પાઠવી છે અને આગામી સુનાવણી સુધી પેલેસના બાંધકામ પર સ્ટે આપ્યો છે. આ કેસની હવે પછીની સુનાવણીમાં પેલેસના અસ્તિત્વ અને જમીન સંપાદનના મુદ્દે વધુ સ્પષ્ટતા થશે.

મુંબઈના ગોરેગાંવમાં મકાનમાં લાગી ભીષણ આગ, એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત

0

મુંબઈના ગોરેગાંવ પશ્ચિમ સ્થિત ભગતસિંહ નગરમાં શનિવારે, 10 જાન્યુઆરીએ વહેલી સવારે લગભગ 3 વાગ્યે એક ઘરમાં આગ લાગવાની દુઃખદ ઘટના બની હતી. આ ભીષણ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોના ગૂંગળામણને કારણે મૃત્યુ થયા છે, જેમાં બે પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે.

ભગતસિંહ નગરના ઘરમાં આગ લાગવાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબૂ મેળવી લીધો હતો, પરંતુ ઘરમાં સૂઈ રહેલા ત્રણ લોકોને બચાવી શકાયા ન હતા. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં ગૂંગળામણને કારણે એક મહિલા સહિત ત્રણ લોકોના મોત થયા છે.

ઘરમાં હાજર ત્રણેય લોકોને ટ્રોમા કેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. એક અધિકારીએ જણાવ્યું કે મૃતકોની ઓળખ હર્ષદા પાવસ્કર (19), કુશલ પાવસ્કર (12) અને સંજોગ પાવસ્કર (48) તરીકે થઈ છે.

મુંબઈ ફાયર બ્રિગેડ વિભાગને આગ લાગ્યાની જાણ સવારે 3:06 વાગ્યે મળી હતી. વિભાગ તરફથી જણાવવામાં આવ્યું કે ઘરમાં આગ ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર પરના વીજળીના વાયરોમાં લાગી હતી, જે બાદ તે ઘરમાં રાખેલા અન્ય સામાન સુધી ફેલાઈ ગઈ હતી. વિભાગે વધુમાં જણાવ્યું કે ફાયર બ્રિગેડના જવાનો પહોંચે તે પહેલાં, સ્થાનિક લોકોએ ડોલથી પાણી નાખીને આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળે પહોંચીને સૌથી પહેલા વીજળીનો પુરવઠો કાપી નાખ્યો હતો.

ટ્રમ્પની ઈરાનને કડક ચેતવણી: દેખાવકારો પર ગોળીબાર થયો તો અમેરિકા કરશે હુમલો

0

ઈરાનમાં મુલ્લાશાસન સામે દેશના 30થી વધુ શહેરોમાં શરૂ થયેલા વિરોધ-હિંસક અથડામણ દેખાવકારો તથા પોલીસ-સુરક્ષા દળો વચ્ચે હિંસાની સ્થિતિ વચ્ચે હવે અમેરિકાએ ઈરાન પર મોટા હુમલાની તૈયારી કરી છે અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપતા જણાવ્યુ હતું કે, જો શાસન વિરોધી દેખાવકારો પર દમન થશે તો અમેરિકા રમ્યાનગીરી કરશે.

ઈરાનને જયાં સુધી વધુ દર્દ થતુ હશે ત્યાં જ પ્રહાર કરશે. પ્રમુખ ટ્રમ્પે પણ માટે `ઘી સ્ટાર્ટ શુટીંગ ટુ’ તેના શબ્દો ઉચ્ચાર્યા હતા. વ્હાઈટહાઉસમાં પત્રકારો સાથેની વાતચીતમાં પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું કે ઈરાનનું નેતૃત્વ ખૂબ જ મુશ્કેલીમાં હોય તેવું જણાય છે.

હજુ થોડા સપ્તાહ પુર્વે જ કોઈએ ન વિચાર્યુ હોય તે બની રહ્યું છે. લોકો માર્ગ પર આવી ગયા છે. જો ઈરાનની સેના દેખાવકારો પર ગોળી ચલાવશે તો અમો પણ ગોળીઓ ચલાવીશું. અમેરિકા આ સ્થિતિમાં દાખલ કરશે અને હુમલો કરશે. ટ્રમ્પે જણાવ્યું કે ઈરાનની સ્થિતિ પર અમારી નજીકથી નજર છે અને અમો ઈરાનની જનતાની હત્યા થવા દેતુ નહી.

ઈરાનમાં જે રીતે વધુને વધુ શહેરોમાં શાસક પાપાતોલ્લાહ ખામેનઈ વિરુદ્ધ લોકો માર્ગ પર આપ્યા છે. તેથી ઈરાની નેતૃત્વની ચિંતા વધી છે. જો કે ખામેનેઈએ વળતો પ્રહાર કરતા જણાવ્યું કે ટ્રમ્પના હાથ હજારો ઈરાનીઓના લોહીથી ખરડાયેલા છે અને જો અમેરિકા અમારા પર હુમલો કરશે તો અમો પણ વળતો જવાબ આપીશું.

વિદેશમંત્રીએ કહ્યું કે, અમો ઈઝરાયેલ કે અમેરિકા સાથે યુદ્ધ ઈચ્છતા નથી પણ જો અમારા પર યુદ્ધ લદાશે તો અમો વળતો હુમલો કરીશું. અમો વાટાઘાટની સમસ્યા ઉકેલવા તૈયાર છીએ. ઈરાનમાં વ્યાપક રીતે ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે તથા લોકોની કૂચ સામે લોખંડી બંદોબસ્ત લદાયો છે.

ઈરાનમાં વિરોધ પ્રદર્શનોમાં અત્યાર સુધીમાં 217ના મોત, ડૉક્ટરનો ચોંકાવનારો દાવો

ઈરાનમાં ઈસ્લામિક શાસન વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોએ હવે વિકરાળ રૂપ ધારણ કરી લીધું છે. ઈરાની સરકારના નિર્દેશ પર સુરક્ષાદળો દ્વારા ઘણી જગ્યાએ ગોળીબાર કરવામાં આવી રહ્યો હોવાની વાતો સામે આવી રહી છે. ટાઈમ મેગેઝિન સાથેની વાતચીતમાં, એક ઈરાની ડોક્ટરે પોતાની ઓળખ ગુપ્ત રાખવાની શરતે દાવો કર્યો છે કે માત્ર રાજધાની તેહરાનની છ હોસ્પિટલોમાં જ ઓછામાં ઓછા 217 પ્રદર્શનકારીઓના મોત નોંધાયા છે, જેમાંથી મોટાભાગના ગોળીબારમાં માર્યા ગયા છે. જોકે, ટાઈમ મેગેઝિને આ આંકડાઓની સ્વતંત્ર રીતે પુષ્ટિ કરી નથી.

ભયાનક દમન અને સરકારી ક્રૂરતા
જો આ મૃત્યુઆંક સાચો હોય તો, તે ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શનોના ભયાનક દમન તરફ ઈશારો કરે છે. આ વિરોધ પ્રદર્શનો 28 ડિસેમ્બરથી આર્થિક સંકટ સામે શરૂ થયા હતા, પરંતુ હવે તે ઈરાનના તમામ 31 પ્રાંતોમાં ફેલાઈ ચૂક્યા છે અને ઈસ્લામિક શાસનને ઉખાડી ફેંકવાની માંગ કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓ ‘આઝાદી’ અને ‘તાનાશાહ મુર્દાબાદ’ જેવા નારા લગાવી રહ્યા છે.

ઈરાની ડોક્ટરે દાવો કર્યો કે, “જેમ-જેમ પ્રદર્શનો તીવ્ર બન્યા, ઘણા વિસ્તારોમાં સુરક્ષાદળોએ પ્રદર્શનકારીઓ પર સીધી ગોળીઓ ચલાવી. શુક્રવારે હોસ્પિટલોમાંથી મૃતદેહોને હટાવવામાં આવ્યા. મરનારાઓમાં મોટાભાગના યુવાનો હતા. ઉત્તરી તેહરાનના એક પોલીસ સ્ટેશનની બહાર મશીનગનથી થયેલા ફાયરિંગમાં ઘણા પ્રદર્શનકારીઓ ઘટનાસ્થળે જ માર્યા ગયા.” આ દરમિયાન, ઈરાની પ્રદર્શનકારીઓએ તેહરાનની અલ-રસૂલ મસ્જિદમાં આગ લગાવી દીધી હોવાના પણ અહેવાલ છે.

સરકારનું કડક વલણ અને ધમકીઓ
આ વિરોધ પ્રદર્શનો વચ્ચે ઈરાની નેતૃત્વએ કડક સંદેશ આપ્યા છે. સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામૈનીએ કહ્યું છે કે ‘ઈસ્લામિક રિપબ્લિક તોફાનીઓ સામે નહીં ઝૂકે’. તેહરાનના સરકારી વકીલે ચેતવણી આપી છે કે પ્રદર્શનકારીઓને મોતની સજા સુધી આપવામાં આવી શકે છે. ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના એક અધિકારીએ તો માતા-પિતાને પોતાના બાળકોને પ્રદર્શનોથી દૂર રાખવા, નહીંતર ગોળી વાગવા પર ફરિયાદ ન કરવાની પણ ધમકી આપી છે.

મૃત્યુઆંક પર અસમંજસ
માનવાધિકાર સંગઠનોએ મૃત્યુઆંક ડોક્ટરના દાવા કરતાં ઓછો જણાવ્યો છે. વોશિંગ્ટન સ્થિત હ્યુમન રાઈટ્સ એક્ટિવિસ્ટ ન્યૂઝ એજન્સી અનુસાર, અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 63 લોકોના મોત થયા છે, જેમાં 49 નાગરિકોનો સમાવેશ થાય છે. જોકે, ઈરાનમાં મીડિયા પર સરકારી નિયંત્રણ અને વિદેશી સમાચાર એજન્સીઓ પર કડક પ્રતિબંધોને કારણે મૃત્યુના આંકડાઓમાં ભિન્નતા જોવા મળી રહી છે. બીજી તરફ, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ખામૈનીના નેતૃત્વવાળા ઈસ્લામિક શાસનને ચેતવણી આપી છે કે જો પ્રદર્શનકારીઓની હત્યા થઈ તો પરિણામ ખૂબ જ ખરાબ આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 3 દિવસના ગુજરાત પ્રવાસે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 3 દિવસના ગુજરાત પ્રવાસે છે. વિવિધ ધાર્મિક, સામાજિક અને રાજકીય કાર્યક્રમોમાં પીએમ મોદી ભાગ લેશે. પવિત્ર જ્યોતિર્લિંગ સોમનાથથી પીએમ મોદીના પ્રવાસનો પ્રારંભ થશે. વડાપ્રધાન મોદી આજે સાંજે સોમનાથ પહોંચશે. સોમનાથ મંદિર ટ્રસ્ટની બેઠકમાં પીએમ મોદી રહેશે ઉપસ્થિત. સોમનાથ મંદિરમાં વિકાસ કાર્યોની સમીક્ષા કરશે. 11 જાન્યુ.એ પીએમ મોદી સોમનાથ મંદિરમાં વિશેષ પૂજા કરશે. સોમનાથ મંદિરમાં દર્શન બાદ શૌર્ય યાત્રામાં પીએમ મોદી ભાગ લેશે. રાજકોટમાં રિજનલ વાયબ્રન્ટ સમિટનો પ્રારંભ કરાવશે. 12 જાન્યુ.એ પીએમ મોદી જર્મનીના ચાન્સેલર સાથે મુલાકાત કરશે. બન્ને દેશના નેતા રિવરફ્રન્ટ પર આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવની કરાવશે શરૂઆત.

યુરોપમાં ભયાનક તોફાન ‘ગોરેટ્ટી’નો કહેર: ઉત્તર જર્મનીમાં હિમવર્ષા અને પ્રચંડ પવનથી ટ્રેન સેવાઓ સંપૂર્ણ બંધ

યુરોપ અત્યારે શિયાળાના સૌથી ભયાનક તોફાન ગોરેટ્ટીનો સામનો કરી રહ્યું છે. શુક્રવારે ઉત્તરી જર્મનીમાં કુદરતે એવું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું કે સમગ્ર પરિવહન વ્યવસ્થા પડી ભાંગી છે. હિમવર્ષા અને પ્રચંડ પવનને કારણે રાષ્ટ્રીય રેલ ઓપરેટર, ડોઇશ બાહનને લાંબા અંતરની તમામ ટ્રેન સેવાઓ તાત્કાલિક અસરથી સ્થગિત કરવાની ફરજ પડી છે. રેલવે તંત્રએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, હાલની પરિસ્થિતિમાં ઉત્તરી જર્મનીમાં રેલ મુસાફરી કરવી અશક્ય છે.

મુખ્ય રૂટ પર બ્રેક અને મુસાફરોની હાલાકી
આ વાવાઝોડાની સૌથી વધુ અસર જર્મનીના આર્થિક અને વહીવટી કેન્દ્રો પર પડી છે. બર્લિનથી હેમ્બર્ગ અને પશ્ચિમના ઔદ્યોગિક રાજ્ય નોર્થ રાઈન-વેસ્ટફેલિયાને જોડતા રેલવે ટ્રેક બરફની યાદર નીચે ઢંકાઈ ગયા છે. લાંબા અંતરની ટ્રેનો બંધ થવાને કારણે હજારો મુસાફરો રેલવે સ્ટેશનો પર અટવાઈ પડ્યા છે. તોફાનની તીવ્રતા એટલી વધારે છે કે પાટા પરથી બરફ હટાવવાની કામગીરી પણ જોખમી બની છે.

માત્ર જમીન પર જ નહીં. પરંતુ આભમાં પણ જોખમ વધ્યું છે. ખરાબ દ્રશ્યતા અને તેજ પવનને કારણે હવાઈ સેવાઓ પર ગંભીર અસર પડી છે.યુનાઇટેડ કિંગડમ (UK) જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને અન્ય સુરક્ષિત એરપોર્ટ્સ પર ડાયવર્ટ કરવામાં આવી છે. રનવે પર બરફ જામી જવાને કારણે વિમાનોનું લેન્ડિંગ અને ટેક-ઓફ કરવું જોખમી બન્યું છે.

યુરોપમાં રેડ એલર્ટ’: 160 કિમીની ઝડપે ફૂંકાતો પવન
હવામાન વિભાગે બ્રિટનથી લઈને જર્મની સુધીના વિસ્તારોમાં દુર્લભ એવી ‘લાલ ચેતવણી’ જારી કરી છે. પવનની ગતિ 160 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ છે, જે વૃક્ષો અને વીજળીના થાંભલાઓને ઉખેડી નાખવા માટે પૂરતી છે. યુકેના અમુક ભાગોમાં તો 30 સેમી જેટલી ભારે બરફવર્ષા નોંધાઈ છે, જેના કારણે શાળાઓ બંધ કરી દેવામાં આવી છે અને લોકોને ઘરમાં જ રહેવાની કડક સલાહ આપવામાં આવી છે.

VNSGU ખાતે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા ‘અંડર-11 એથ્લેટિક્સ મીટ સિઝન 4.0’નો પ્રારંભ

વીર નર્મદ યુનિવર્સિટી ખાતે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી-ગાંધીનગર દ્વારા ‘અંડર-11 એથ્લેટિક્સ મીટ સિઝન 4.5’નો પ્રારંભ થયો છે. તા.૯ થી ૧૨ જાન્યુઆરી દરમિયાન આયોજિત આ સ્પર્ધાનો મુખ્ય હેતુ રાજ્યના યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપવાનો તેમજ તેમની સુષુપ્ત ખેલ પ્રતિભાને વૈજ્ઞાનિક ઢબે ઉજાગર કરવાનો છે.

આ પ્રસંગે VNSGUના કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડાએ રાજ્ય સરકારની સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવાની નીતિની સરાહના કરતા જણાવ્યું કે, દેશ જ્યારે ઓલિમ્પિક માટેની સઘન તૈયારીઓ કરી રહ્યું છે, ત્યારે ઓલિમ્પિક સ્તરના ખેલાડીઓને તૈયાર કરવાની દિશામાં અંડર-11 એથ્લેટિક્સ મીટ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. વૈશ્વિક સ્પર્ધા માટે નાનપણથી જ યોગ્ય માર્ગદર્શન અને તક ઉપલબ્ધ કરાવવી અનિવાર્ય છે. જેના પરિણામે ભવિષ્યના પ્રતિભાશાળી ખેલાડીઓ તૈયાર થાય છે.

આ સ્પર્ધામાં અંડર-9 અને અંડર-11 એમ બે વયજૂથમાં ભાઈઓ અને બહેનોની અલગ કેટેગરીમાં 60 મી., 100 મી., 200 મી. અને 400 મી. દોડ, હર્ડલ રેસ, ટેનિસ બોલ થ્રો, મેડિસિન બોલ થ્રો, સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ, લોંગ જમ્પ, હાઈ જમ્પ અને જેવલિન થ્રો જેવી ૧૧ રમતોનો સમાવેશ થાય છે.

આ સિઝનના પ્રથમ દિવસે અં-૧૧ બહેનોની વિવિધ સ્પર્ધાઓમાં રાજ્યની વિવિધ શાળાઓની 982 વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો.

ઉલ્લખનીય છે કે, તા.10 જન્યુઆરીએ અં-9 ભાઈઓ, રવિવારને તા.૧૧મીએ અં-૧૧ ભાઈઓ અને તા.12મીએ અં-9 બહેનોની પ્રતિસ્પર્ધા યોજાશે. વિજેતા 1,056 વિદ્યાર્થીઓને કુલ રૂ. 22 લાખનું ઇનામ તેમજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા લેવાતી DLSS-ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલમાં પ્રવેશ પરીક્ષા આપવાની સીધી તક મળશે.