Home Blog Page 205

સ્પેનમાં બે હાઈ-સ્પીડ ટ્રેન સામ-સામે અથડાતા 21ના મોત, અનેક ઘાયલ

0

સ્પેનનાકોર્ડોબામાંએડમ્યુઝ સ્ટેશન પાસે રવિવારે સાંજે 5:40 GMT (ભારતીય સમય મુજબ રાત્રે 11:10) વાગ્યે થઈ હતી. સ્પેનની રેલ સંસ્થા ADIFએ જણાવ્યું કે, મલાગાથીમેડ્રિડ જઈ રહેલી ટ્રેન (ઈર્યો 6189) પાટા પરથી ઉતરી ગઈ અને બાજુના ટ્રેક પર ચાલી ગઈ. તે જ સમયે, સામેથી મેડ્રિડથીહુએલ્વા જઈ રહેલી બીજી ટ્રેન સાથે તેની જોરદાર ટક્કર થઈ હતી.

સ્પેનમાં બે હાઇ-સ્પીડટ્રેનો વચ્ચે થયેલા ભયાનક અકસ્માતમાં 20 થી વધુ લોકો માર્યા ગયા અને ઘણા ઘાયલ થયા. સ્પેનના પરિવહન મંત્રીએ જણાવ્યું હતું કે દક્ષિણ સ્પેનમાં એક હાઇ-સ્પીડ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ અને વિરુદ્ધ દિશામાંથી આવતી બીજી ટ્રેન સાથે અથડાતાં ઓછામાં ઓછા 21 લોકો માર્યા ગયા છે.

રેલ ઓપરેટર એડિફના જણાવ્યા અનુસાર, માલાગા અને મેડ્રિડ વચ્ચે દોડતી એક ટ્રેન, જેમાં આશરે 300 મુસાફરો હતા, સ્થાનિક સમય મુજબ સાંજે 7:45 વાગ્યે કોર્ડોબા નજીક પાટા પરથી ઉતરી ગઈ, બીજી ટ્રેનને પાર કરી ગઈ અને મેડ્રિડથી દક્ષિણ સ્પેનના બીજા શહેર હુએલ્વા જતી બીજી ટ્રેન સાથે અથડાઈ. ટ્રેનમાં આશરે 200 મુસાફરો હતા.

સ્પેનિશ પરિવહન મંત્રી ઓસ્કરપુએન્ટેએ જણાવ્યું હતું કે આ અકસ્માતમાં 21 લોકો માર્યા ગયા છે. તેમણે ઉમેર્યું કે બચાવ કામગીરી ચાલી રહી છે અને અન્ય મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.

ગણતંત્ર દિવસ પહેલાં દેશભરમાં હાઈ એલર્ટ, દિલ્હી સહિત અનેક શહેરોમાં આતંકી હુમલાની આશંકા

0

26 જાન્યુઆરીના ગણતંત્ર દિવસના સમારોહ પહેલાં દેશની સુરક્ષા એજન્સીઓએ મોટું એલર્ટ જાહેર કર્યું છે. ખાલિસ્તાની આતંકી સંગઠનો અને બાંગ્લાદેશ આધારિત આતંકી સંગઠનો દિલ્હી તથા દેશનાં અન્ય અનેક શહેરોને નિશાન બનાવવાની કોશિશ કરે એવી શક્યતા છે, એમ ઇન્ટેલિજન્સ સૂત્રોએ જણાવ્યું હતું. આ સંભાવનાને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર કડક નજર રાખવામાં આવી રહી છે.

ઇન્ટેલિજન્સ એલર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પંજાબના ગેંગસ્ટર વિદેશથી કામ કરતા ખાલિસ્તાની અને કટ્ટરપંથી હેન્ડલર્સ માટે ફૂટ સોલ્જર તરીકે કામ કરી રહ્યા છે. આરોપ છે કે આ હેન્ડલર્સ પોતાના એજન્ડાને આગળ ધપાવવા અને દેશની આંતરિક સુરક્ષાને ખોરવવા માટે ગુનાહિત નેટવર્કનો ઉપયોગ કરી રહ્યા છે.

આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ ભારત વિરુદ્ધ મોટું કાવતરું રચી રહ્યું છે. આ મુદ્દે ગુપ્તચર એજન્સીઓએ આતંકી હુમલાના ષડયંત્ર અંગે ચેતવણી જારી કરી છે. એજન્સીઓનું કહેવું છે કે જૈશના અલ-કાયદા, તાલિબાન અને હક્કાની નેટવર્ક જેવાં ખતરનાક સંગઠનો સાથે મજબૂત સંબંધો છે અને આ બધાં જૂથો મળીને IED આધારિત હુમલાઓની યોજના બનાવી રહ્યા છે. બીજી તરફ, જૈશ-એ-મોહમ્મદનો સરગણા મૌલાના મસૂદ અઝહર ‘ઓપરેશન સિંદૂર’ બાદથી ખૂબ સક્રિય થયો છે અને ભારત વિરુદ્ધ સતત ઝેર ઓકી રહ્યો છે.જૈશના સરગના મૌલાના મસૂદ અઝહર અને તેનો સહયોગી રઉફ અસગર ભારત અંદર આતંકી હુમલાઓની યોજના બનાવી રહ્યા છે અને તેને અંજામ આપવા માટે સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. આશંકા છે કે સંગઠન આવનારા દિવસોમાં IED હુમલો કરવાની કોશિશ કરે એવી શક્યતા છે, એમ સૂત્રોએ જણાવ્યા હતું.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જૈશના કમાન્ડર મહંમદ મુસદ્દિક અને મસૂદ કાશ્મીરી કાશ્મીરમાં હાજર આતંકીઓને હુમલાઓ અંગેના નિર્દેશ આપી રહ્યા છે. મોહમ્મદ મુસદ્દિક સરહદ પારથી જૈશના આતંકીઓને ભારત અંદર ઘૂસણખોરી કરાવવામાં પણ મદદ કરી રહ્યો છે.

Matar Kachori Recipe: મટર કચોરી રેસીપી, ક્રિસ્પી અને ચટાકેદાર બધાને ભાવશે!

0

શિયાળામાં વટાણા સસ્તા ભાવે મળે છે અને ભરપૂર માત્રામાં મળે છે, આ શાકભાજી પ્રોટીનથી ભરપૂર છે, ઘણા લોકો આખા વર્ષ માટે આ સીઝનમાં વટાણા ફ્રોઝન કરીને રાખે છે, આ ઉપરાંત ખાસ સીઝનમાં મળતા વટાણામાંથી અનેક રેસીપી પણ ટ્રાય કરે છે, જેમાં મટર કચોરીનો સ્વાદ અનેરો હોય છે, આ ક્રિસ્પી રેસીપી બાળકોથી લઇ મોટા બધાને ભાવે છે, અહીં જાણો મટર કચોરી રેસીપી

મટર કચોરી ખુબજ ક્રિસ્પી, ટેસ્ટી અને લાજવાબ બને છે, આ ખાસ મીની કચોરી બનાવવા માટે વટાણા, અન્ય શાકભાજી જો તમારે ઉમેરવા હોય તો બાકી ડ્રાય મસાલા ઉમેરીને સ્ટફિંગ તૈયાર કરવામાં આવે છે, તેને મેંદા અથવા ઘઉંના બાંધેલા લોટમાંથી નાની રોટલી કરી સ્ટફિંગ કરીને તળીને બનાવવામાં આવે છે.

મટર કચોરી રેસીપી

  • મટર કચોરી રેસીપી સામગ્રી
  • 100 ગ્રામ મટર
  • 1 ચમચી ધાણા
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી વરિયાળી
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચું પાવડર
  • 2 લીલા મરચાં
  • 1 ઇંચ આદુ
  • 1 કપ મેંદો
  • 1 ચમચી અજમો
  • 3 ચમચી ઘી
  • પાણી – જરૂર મુજબ
  • તેલ – તળવા માટે

મટર કચોરી બનાવાની રીત
સૌ પ્રથમ લીલા વટાણાને આદુ અને લીલા મરચાં સાથે સમારી લો. આખા મસાલાને ડ્રાય શેકીને બારીક પાવડર બનાવો.

  • એક પેનમાં તેલ ઉમેરો, મસાલા પાવડરને અન્ય મસાલા સાથે ઉમેરો અને મિક્સ કરો. લીલા વટાણામાં મીઠું મિક્સ કરો અને સારી રીતે મિક્સ કરો. 4-5 મિનિટ માટે કુક કરો.
  • ઉલ્લેખિત બધી સામગ્રીને મિક્સ કરીને નરમ કણક ભેળવો અને તેને 5 મિનિટ માટે રાખો.
  • હવે લોટ બાંધો, એમાંથી થોડો લોટ લઈને રોટલી વણીને એમાં વચ્ચે લીલા વટાણાનું સ્ટફિંગ ભરો પછી તેને કચોરીનો આકર આપો.
  • ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. થોડી ચટણી સાથે ગરમ ગરમ આનંદ માણો.

બોલિવૂડમાં નથી મળતું કામ, એઆર રહેમાનના નિવેદન પર જાવેદ અખ્તર સહિતના લોકોએ જવાબ આપ્યો

ઓસ્કર વિજેતા મ્યુઝિક કમ્પોઝર એઆર રહેમાનના ‘કોમ્યુનલ’ (સાંપ્રદાયિક) નિવેદનને કારણે બોલિવૂડમાં ખળભળાટ મચી ગયો છે. રહેમાને દાવો કર્યો છે કે તેમને છેલ્લા 8 વર્ષથી બોલિવૂડમાં કામ મળતું નથી, જેની પાછળનું કારણ ઉદ્યોગમાં બદલાયેલી સત્તા અને અમુક પ્રકારની નકારાત્મક માનસિકતા હોઈ શકે છે. આ નિવેદન બાદ જાવેદ અખ્તર Javed Akhtar, શાન અને શંકર મહાદેવન જેવા દિગ્ગજોએ પોતાની પ્રતિક્રિયા આપી છે.

રહેમાને શું વિવાદાસ્પદ દાવો કર્યો?
એક ઈન્ટરવ્યૂમાં જાણીતા સંગીતકાર રહેમાને બોલિવૂડમાં સાંપ્રદાયિક્તાને લઈને મોટું નિવેદન આપતા વિવાદ ઊભો થયો છે. તેમણે કહ્યું છે કે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છેલ્લા આઠ વર્ષથી તેમને કામ નથી મળ્યું. મ્યુઝિક ઈન્ડસ્ટ્રી હવે સંગીતકારો અને ડાયરેક્ટર નહીં પણ કોર્પોરેટ સંસ્થાઓના હાથમાં જતી રહી છે. ઈન્ડસ્ટ્રીની સત્તા તેવા લોકોના હાથમાં છે જે ક્રિએટિવ નથી. મને કામ ન મળવા પાછળ સાંપ્રદાયિક કારણ પણ જવાબદાર હોઈ શકે છે. જોકે આ બધુ સીધું જ મારી સામે નથી થતું, આવી વાતો મને સાંભળવા મળે છે. જોકે હું કામની શોધમાં નથી, જે કામ મને મળે છે તેમાં હું ખુશ છું.

જાવેદ અખ્તરની અસંમતિ
આ મુદ્દે ગીતકાર જાવેદ અખ્તરે કહ્યું છે કે મને આવું નથી લાગતું. હું મુંબઈમાં જ રહું છું અને સૌ કોઈને મળતો રહું છું. લોકો મને ખૂબ સન્માન આપે છે. મને લાગે છે ત્યાં સુધી ઈન્ડસ્ટ્રીના લોકો એમ સમજે છે કે એ. આર. રહેમાન વિદેશના પ્રોજેક્ટ્સમાં વધુ વ્યસ્ત રહે છે. એવામાં લોકોને સંકોચ થતો હશે કે એ. આર. રહેમાન આવશે કે નહીં આવે. તેઓ મહાન વ્યક્તિ છે તેથી નાના પ્રોડ્યુસર તેમની પાસે જતાં ખચકાય છે.

શાને સ્પષ્ટ કર્યું કે મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં કોઈ ધાર્મિક ભેદભાવ નથી
બોલિવૂડ સિંગર શાને આ મામલે કહ્યું છે કે લોકોના પોતપોતાનાં વિચાર હોઈ શકે. પણ જે તે સંગીતકાર અને ગીતકાર પોતાના વિચારો પ્રમાણે નિર્ણય લેતા હોય છે. મને પણ ઘણી વાર કામ નથી મળતું. પણ હું ક્યારેય તેને વ્યક્તિગતરૂપે નથી લેતો. આપણને કેટલું કામ મળશે તે આપણાં હાથમાં નથી. જે કામ મળે તે સારી રીતે કરવું જોઈએ. મને નથી લાગતું કે મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં કોઈ સાંપ્રદાયિકતા છે. જો આવું જ હોત તો બોલિવૂડના ત્રણેય સુપરસ્ટાર્સ(ખાન ત્રિપુટી) લઘુમતી સમુદાયના છે.

સર્જક અને વિતરક વચ્ચેનો તફાવત: શંકર મહાદેવ
સિંગર શંકર મહાદેવને આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે હું તમારી વાત સમજી શકું છું. ગીતનું નિર્માણ કરનારા અને ગીત રિલીઝ કરનારા બે અલગ અલગ વ્યક્તિ હોય છે. એવામાં ઘણીવાર ગીત અંગે નિર્ણય લેનારા લોકો સંગીત સાથે જોડાયેલા નથી હોતા. ઘણીવાર જેમ આપણે ઈચ્છીએ તેમ બધુ નથી થતું, કોઈ બીજી વ્યક્તિ તેના નિર્ણય લે છે.

માલદામાં વડાપ્રધાન મોદીની જનસભા, દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પશ્ચિમ બંગાળના માલદામાં એક જંગી જનસભાને સંબોધન કર્યું હતું. આ સાથે તેમણે દેશની પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલીઝંડી આપી હતી. તેમજ પશ્ચિમ બંગાળને હજારો કરોડ રૂપિયાના વિકાસકાર્યોની ભેટ આપતા કહ્યું હતું કે બંગાળમાં પણ અમે સુશાસન લાવીશું.

વંદે ભારત સ્લીપર ટ્રેનની ખાસિયતો

  • મુસાફરીનો સમય: હાવડા અને ગુવાહાટી વચ્ચે મુસાફરીમાં અત્યારે લગભગ 17 કલાક લાગે છે, જે આ ટ્રેન શરૂ થવાથી ઘટીને 14 કલાક થઈ જશે.
  • ઝડપ: આ ટ્રેન 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવાની ક્ષમતા ધરાવે છે.
  • કોચની સુવિધા: ટ્રેનમાં કુલ 16 આધુનિક કોચ છે, જેમાં કુલ 1128 મુસાફરો મુસાફરી કરી શકશે.
  • આરામદાયક મુસાફરી: અત્યાર સુધીની વંદે ભારત ટ્રેનો માત્ર બેસવાની સુવિધા (ચેર કાર) આપતી હતી, પરંતુ આ સ્લીપર ટ્રેનમાં મુસાફરો રાત્રે આરામથી સૂઈને લાંબા અંતરની મુસાફરી કરી શકશે.
  • ટેકનોલોજી: ટ્રેનમાં એરોડાયનેમિક ડિઝાઇન અને આધુનિક સસ્પેન્શન સિસ્ટમ છે, જેના કારણે ટ્રેનમાં ઝટકા અને અવાજ ઓછા અનુભવાશે.

ટિકિટનો અંદાજિત દર (ભાડું)
ટ્રેનમાં 11 એસી-3 ટિયર, 4 એસી-2 ટિયર અને 1 ફર્સ્ટ એસી કોચ છે. ભાડાની વિગત નીચે મુજબ છે:

  • થર્ડ એસી (3AC): અંદાજે રૂ.2300
  • સેકન્ડ એસી (2AC): અંદાજે રૂ.3000
  • ફર્સ્ટ એસી (1AC): અંદાજે રૂ.3600

અલ-ફલાહ યુનિવર્સિટીની 140 કરોડની સંપત્તિ જપ્ત, ચાર્જશીટ દાખલ

0

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ શુક્રવારે મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ (PMLA) હેઠળ અલ-ફલાહ યુનિવર્સિટી સામે મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીએ હરિયાણામાં આવેલી આ યુનિવર્સિટીની આશરે રૂ. 140 કરોડની અચલ સંપત્તિને અસ્થાયી રીતે જપ્ત કરી છે. આ કાર્યવાહી 10 નવેમ્બરસ 2025એ દિલ્હીના લાલ કિલ્લા પર થયેલા ભીષણ આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ સાથે જોડાયેલા ‘વ્હાઇટ-કોલર’ આતંકી મોડ્યુલની તપાસ બાદ કરવામાં આવી છે. તપાસમાં ખૂલ્યું છે કે આ યુનિવર્સિટી માત્ર નાણાકીય છેતરપિંડીનું કેન્દ્ર જ નહોતી, પરંતુ આતંકી પ્રવૃત્તિઓ માટે એક ઓપરેશનલ હબ તરીકે પણ તેનો ઉપયોગ થતો હતો.

EDએ યુનિવર્સિટીની સંપત્તિઓને ‘અપરાધની આવક’ તરીકે ગણાવી છે. ફરીદાબાદના ધૌજ વિસ્તારમાં આવેલી 54 એકર જમીન, યુનિવર્સિટીની મુખ્ય વહીવટી ઇમારતો, વિવિધ વિભાગીય બ્લોક્સ અને વિદ્યાર્થી હોસ્ટેલ્સને કબજે કરવામાં આવ્યાં છે. યુનિવર્સિટીના ચેરમેન જવાદ અહમદ સિદ્દીકી અને અલ-ફલાહ ચેરિટેબલ ટ્રસ્ટ પર રૂ. 493 કરોડની છેતરપિંડી કરવાનો આરોપ છે. એજન્સીનો દાવો છે કે ટ્રસ્ટે NAAC અને UGCની ખોટી માન્યતાનો હવાલો આપી વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી કરોડો રૂપિયાની ફી વસૂલી હતી.

લાલ કિલ્લા બ્લાસ્ટના આતંકીઓ સાથે જોડાણ
NIAએ જ્યારે 15 લોકોના જીવ લેનારા લાલ કિલ્લા બોમ્બ વિસ્ફોટના તાર અહીંથી જોડાયેલા હોવાનું શોધ્યું, ત્યારે યુનિવર્સિટી પર સંકટ વધુ ઘેરાયું. વિસ્ફોટ કરનાર આત્મઘાતી હુમલાખોર ડો. ઉમર ઉન નબી અલ-ફલાહના મેડિકલ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર હતો. તપાસમાં ખુલાસો થયો છે કે કેમ્પસનો ઉપયોગ ટેક્નિકલ યોજના બનાવવા અને વિસ્ફોટકો સંગ્રહવા માટે કરવામાં આવતો હતો. આ સેલમાં તાલીમપ્રાપ્ત મેડિકલ વ્યાવસાયિકો સામેલ હતા, જેમના સંબંધ ઇન્ડિયન મુજાહિદીન અને વિદેશી હેન્ડલર્સ સાથે હોવાનું જાણવા મળ્યું છે. EDએ જવાદ સિદ્દીકી સામે ચાર્જશીટ દાખલ કરી છે, જે નવેમ્બર 2025થી ન્યાયિક કસ્ટડીમાં છે.

જામનગર બાદ જુનાગઢમાં ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો પ્રયાસ, ખેડૂત સભામાં ભારે હોબાળો

જુનાગઢના ગડુમાં AAPની ખેડૂત સભામાં જૂતું ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જ્યાં ગોપાલ ઈટાલિયા ભાષણ આપવા માટે ઉભા થાય છે તે દરમિયાન એક શખ્સ નજીક આવીને તેમની પર જૂતું ફેંકવાનો પ્રયાસ કરે છે તે પહેલા કાર્યકર્તાઓનું ધ્યાન પડે છે અને તે શખ્સને ઝડપી પોલીસને સોંપવામાં આવે છે.

જો કે, સદનસીબે ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ થયો છે, અગાઉ પણ એક સભામાં ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવામાં આવ્યું હતુ અને કાર્યકરની નજરે પડતા શખ્સને પકડી લીધો અને જૂતું ફેંકવાનો પ્રયાસ કરનારને પોલીસને સોંપાયો છે, આ મામલે ગોપાલ ઈટાલિયાનું કહેવું છે કે, રાજકીય ઇશારે જૂતું ફેંકાયું છે.

ગોપાલ ઈટાલિયા સાથે આ પ્રકારની ઘટના પહેલીવાર બની નથી. આ અગાઉ જામનગર ખાતે પણ એક કાર્યક્રમ દરમિયાન તેમના પર જૂતું ફેંકવાની ઘટના બની હતી. જામનગરની એ ઘટના બાદ ફરી એકવાર માળિયા હાટીનામાં એનું પુનરાવર્તન થતાં સુરક્ષા-વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા થયા છે. આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓએ આ ઘટનાને લોકશાહી પર હુમલો ગણાવી સખત શબ્દોમાં વખોડી કાઢી છે.

આ સમગ્ર ઘટનાને લઈ પોલીસે તે શખ્સની પૂછપરછ શરૂ કરી છે, આ શખ્સ કોણ છે તેની ઓળખ હજી થઈ નથી અને સમગ્ર મામલે કોઈ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ નથી.

ગોપાલ ઈટાલિયા તેમનું ભાષણ કરવા માટે સ્ટેજ પર પહોંચ્યા અને તેઓ ખેડૂતોને સંબોધિત કરી રહ્યાં હતા અને ભાષણ દરમિયાન એક શખ્સ તેમની તરફ જૂતું ફેંકવાનો પ્રયાસ કરી રહ્યો છે અને કાર્યકરોનું ધ્યાન જતા તેને ઝડપી લેવામાં આવે છે, આ સમગ્ર ઘટનામાં ગોપાલ ઈટાલિયાને કોઈ ઈજા પહોંચી છે, અને કોના કહેવાથી આ કરવામાં આવ્યું તેને લઈ પોલીસની પણ તપાસ ચાલી રહી છે.

લોરેન્સ બિશ્નોઇ ગેંગથી પંજાબી સિંગર બી પ્રાકને મારવાની ધમકી

0

દેશના જાણીતા બોલિવુડ અને પંજાબી ગાયક બી પ્રાકને કુખ્યાત લોરેન્સ બિશ્નોઇ ગેંગે જાનથી મારવાની ધમકી આપી છે. લોરેન્સ બિશ્નોઇ ગેંગે બી પ્રાક પાસેથી 10 કરોડ રૂપિયાની ખંડણી માગી છે. ગેંગ દ્વારા સિંગર બી પ્રાકના સાથી દિલનૂરને ફોન કરીને 10 કરોડ રૂપિયાની ખંડણી માગવામાં આવી છે. ગેંગે એક સપ્તાહની અંદર પૈસા આપવા માટે કહ્યું છે. આ મામલે મોહાલીમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

લોરેન્સ બિશ્નોઇ ગેંગ તરફથી ધમકી આપનાર કોલરે પોતાનું નામ આરજુ બિશ્નોઇ હોવાનું જણાવ્યું છે. બી પ્રાકને આપવામાં આવેલી ધમકીમાં કહેવામાં આવ્યું છે કે 10 કરોડ રૂપિયા આપો, નહીં તો માટીમાં મિલાવી દઈશું.

શું છે મામલો?
પંજાબી સિંગર દિલનૂરે ધમકીભર્યો કોલ આવ્યા બાદ SSP મોહાલી પાસે ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ કોલ કરનાર વ્યક્તિએ પોતાને આરજુ બિશ્નોઇ તરીકે ઓળખાવ્યો અને દિલનૂરને કહ્યું હતું કે તે પોતાના મિત્ર, બોલિવુડ અને પંજાબી સિંગર બી પ્રાકને કહી દે કે 10 કરોડ રૂપિયાની ખંડણી આપી દે, નહીં તો એક સપ્તાહની અંદર ખરાબ પરિણામો ભોગવવાં પડશે. ઉલ્લેખનીય છે કે લોરેન્સ બિશ્નોઇ દેશનો કુખ્યાત ગેંગસ્ટર છે, જે હાલ જેલમાં બંધ છે અને ત્યાંથી જ પોતાનું નેટવર્ક ચલાવે છે. પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યામાં પણ લોરેન્સ બિશ્નોઇનું નામ સામે આવ્યું હતું.

દિલનૂરની ફરિયાદ અનુસાર પાંચ જાન્યુઆરીએ તેમને એક વિદેશી નંબર પરથી બે મિસ્ડ કોલ આવ્યા હતા, જેના જવાબ તેમણે આપ્યા નહોતા. છઠ્ઠી0 જાન્યુઆરીએ તેમને બીજા એક વિદેશી નંબર પરથી કોલ આવ્યો. દિલનૂરે કોલ ઉપાડ્યો ત્યારે વાતચીત શંકાસ્પદ લાગી, તેથી તેમણે ફોન કાપી નાખ્યો. તેના તરત બાદ તેમને એક વોઇસ મેસેજ મળ્યો, જેમાં ખંડણીની ધમકી આપવામાં આવી હતી.

આ ઓડિયો મેસેજમાં કોલ કરનાર વ્યક્તિએ કથિત રીતે કહ્યું હતું કે એક સપ્તાહની અંદર 10 કરોડ રૂપિયા આપવા પડશે, નહીં તો બી પ્રાકને ગંભીર નુકસાન પહોંચાડવામાં આવશે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.

પંજાબમાં ગમખ્વાર અકસ્માતમાં ગુજરાતના 5 લોકોના મોત

0

પંજાબના બઠિંડા નજીક ગુરથડી ગામ પાસે મુખ્ય માર્ગ પર શનિવારે સવારે એક દુખદ અકસ્માત સર્જાયો હતો. એક ફોર્ચ્યુનર કાર ડિવાઇડર સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હતી, જેમાં ગુજરાતના પાંચ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. મૃતકોમાં ચાર પુરુષ અને એક મહિલા સામેલ છે.

મળતી માહિતી અનુસાર, મૃતક મહિલા અમિતા ગુજરાત પોલીસમાં અધિકારી તરીકે ફરજ બજાવતી હતી. તેઓ તેમના ચાર મિત્રો સાથે બઠિંડાથી ગુજરાત તરફ જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો. અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ પોલીસે તપાસ શરૂ કરી છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.

આ અકસ્માત પંજાબમાં થયો હોવા છતાં, મૃતકો ગુજરાતના હોવાથી ગુજરાતમાં પણ શોકનું વાતાવરણ છે. પોલીસ અધિકારી અમિતાના મોતથી ગુજરાત પોલીસ વિભાગમાં દુખ વ્યાપી ગયું છે. વધુ વિગતોની તપાસ ચાલુ છે.

અમદાવાદમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીનો આપઘાત

અમદાવાદમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીએ આપઘાત કર્યો. નિશાંતસિંગ લોહાર નામના કેદીએ આપઘાત કર્યો. બાથરૂમની બારીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો. મૃતક આરોપી મોબાઈલ ચોરીના ગુનામાં જેલમાં હતો. વિરમગામ રેલવે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

માહિતી અનુસાર આ કેદીની ધરપકડ વિરમગામ પોલીસે 8 જાન્યુઆરીએ કરી હતી. જોકે જેલમાં 9 દિવસ થયાને જ તેણે આ ચોંકાવનારું પગલું ભરતાં જેલમાં હડકંપ મચી ગયો હતો. કેદીની ઓળખ નિશાન સિંહ તરીકે થઇ છે. તેની વય 31 વર્ષ હતી. મૂળ પંજાબ અને ચોરીના ગુનામાં ઝડપાયેલા નિશાન સિંહે પોતાની પાઘડી ઉતારીને જ એનાથી જ ગળે ફાંસો ખાઈ લીધો હતો. રાણીપ પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

વિગતો મુજબ નિશાન સિંહ કાચા કામનો કેદી હતો. તેણે આજે વહેલી સવારે જ શાંતિનિકેતન યાર્ડના બેરેક નંબર 4માં બાથરૂમમાં પોતાની જ પાઘડીના કાપડના સહારે આત્મહત્યા કરી લીધી હતી. જ્યાં સુધી પોલીસ અધિકારીઓને જાણ થઇ ત્યાં સુધીમાં તો તે જીવ ગુમાવી ચૂક્યો હતો. ડૉક્ટરોએ તપાસ કરતાં તેને મૃત જાહેર કરી દીધો હતો. વિરમગામ રેલવે પોલીસ સ્ટેશને તેની સામે ચોરીનો ગુનો નોંધાયેલો હતો. ધરપકડ બાદ તેને અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં લાવીને રાખવામાં આવ્યો હતો. જોકે તેણે આપઘાત કેમ કર્યો તેને લઈને રહસ્ય ઘેરાયું છે. કોઈ સ્યુસાઈડ નોટ પણ ઘટનાસ્થળેથી મળી નથી.