Home Blog Page 158

બંગાળ, આસામ સહિત 5 રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત, બે તબક્કામાં મતદાન, જાણો વિગત

0

પશ્ચિમ બંગાળ અને આસામ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ રહી છે. ચૂંટણી પંચ હાલમાં દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યું છે જેમાં પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે.

આ પ્રસંગે મુખ્ય ચૂંટણી આયોગના આયુક્ત જ્ઞાનેશ કુમાર તેમજ ચૂંટણી આયોગના અન્ય બે આયુક્ત સુખવીર સિંહ સંધૂ અને વિવેક જોશી હાજર રહ્યા હતા. નોંધનીય છે કે ચૂંટણી આયોગે આ મહિનામાં સંબંધિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની મુલાકાત લઈ ચૂંટણી તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન આયોગે રાજકીય પક્ષો, સુરક્ષા એજન્સીઓ અને પ્રશાસનિક અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી હતી.

ચૂંટણી તારીખોની જાહેરાત પહેલાં મુખ્ય ચૂંટણી આયુક્તે જણાવ્યું હતું કે પાંચેય રાજ્યોના તમામ રાજકીય પક્ષો સાથે ચર્ચા કરવામાં આવી છે અને તેમના સૂચનો લેવામાં આવ્યા છે. આ દરમિયાન ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા પણ કરવામાં આવી હતી.

પાંચ રાજ્યોમાં અંદાજે 17.4 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી નિષ્પક્ષ અને પારદર્શક રીતે યોજવામાં આવશે. તેમણે ખાસ કરીને યુવાનોને અપીલ કરી કે તેઓ વધુમાં વધુ સંખ્યામાં ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લે. મુખ્ય ચૂંટણી આયુક્તે કહ્યું કે “ચૂંટણી પર્વ આપણું ગૌરવ છે.”

ચૂંટણી મતદાન તારીખ

  • પશ્ચિમ બંગાળ – પ્રથમ ચરણ – 23 એપ્રિલ / બીજા ચરણ – 29 એપ્રિલ
  • તમિલનાડું – 23 એપ્રિલ
  • કેરળ – 9 એપ્રિલ
  • આસામ – 9 એપ્રિલ
  • પુડ્ડુચેરી – 9 એપ્રિલ

ચૂંટણી પરિણામ તારીખ

  • પશ્ચિમ બંગાળ – 4 મે
  • તમિલનાડું – 4 મે
  • કેરળ – 4 મે
  • આસામ – 4 મે
  • પુડ્ડુચેરી – 4 મે

ભારતીય નૌકાદળનું INS સુદર્શિની માલ્ટાના વેલેટા બંદરે પહોંચ્યું

ગલ્ફમાં ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલના આક્રમણ વચ્ચે ભારતમાં ક્રુડતેલ અને રાંધણગેસ સહિતના ગેસના પુરવઠાની સર્જાયેલી તંગીમાં હવે આગામી દિવસોમાં રાહતના સમાચાર છે. ઈરાને હાર્મુઝ જળમાર્ગ બંધ કરતા ખાડીના દેશોમાંથી આવતા ભારતના ગેસ અને ક્રુડ ટેન્કર દરિયામાં યુદ્ધના માહોલ વચ્ચે ફસાઈ ગયા હતા.

પરંતુ ભારત સરકારે ઈરાન સાથે વાતચીત કરતા જ હવે ભારતીય ફલેટ ધરાવતા જહાજોને હાર્મુઝ જળમાર્ગમાંથી પસાર થવાની મંજુરી આપ્યા બાદ બે એલપીજી ટેન્કર શિવાલીક અને નંદાદેવી હોર્મુજ જળમાર્ગ પસાર કરીને ભારત આવવા રવાના થઈ ગયા છે અને શિવાલીકમાં 40 હજાર મેટ્રીક ટન એલપીજી લાવવામાં આવી રહ્યું છે.

જયારે નંદાદેવીમાં 46 હજાર મેટ્રીક ટન એલપીજી ભારત પહોંચશે. ઈરાને ભારતીય જહાજોને મંજુરી આપ્યા બાદ આ વિસ્તારમાં તૈનાત ભારતીય નૌકાદળના જહાજ આઈએનએસ સુરત અને અન્ય નૌકાદળ જહાજોએ એક બાદ એક એમ બન્ને ભારતીય જહાજોને હોર્મુઝ જળમાર્ગ પસાર કરાવીને સલામત દરિયા સુધી પહોંચાડી દીધા છે અને તે હવે કંડલા બંદરો લાંગરે તેવા સંકેત છે.

આમ દેશમાં એલપીજી કટોકટી વચ્ચે મોટા જથ્થામાં રાંધણગેસ ભારત પહોંચી રહ્યો છે અને હજુ ખાડીના દેશોમાં અગાઉના ઓર્ડરના એલપીજી ટેન્કર હાલ લાંગરેલા પડયા છે તેમને પણ સલામત રીતે હાર્મુઝ જળમાર્ગ પસાર કરાવવા નૌકાદળે તૈયારી કરી છે.

સુરતમાં ગેસ કાળાબજારી પર પોલીસ કડક: DG કે.એલ.એન. રાવનું અલ્ટીમેટમ

સુરત શહેરમાં ગેસ સિલિન્ડરની અછતનો લાભ ઉઠાવી કાળાબજારી કરતા તત્વો સામે પોલીસ કમિશનર (DG) કે.એલ.એન. રાવે કડક વલણ અપનાવ્યું છે. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે ગેરકાયદેસર સંગ્રહખોરી કરનાર કોઈપણ શખ્સને છોડવામાં આવશે નહીં. લોકો સુધી રાંધણ ગેસ સમયસર અને વ્યાજબી ભાવે પહોંચી રહે તે માટે સુરત પોલીસ હવે સીધી દેખરેખ રાખશે.

આ મામલે DG કે.એલ.એન. રાવે સુરત શહેરના તમામ પોલીસ ઇન્સ્પેક્ટરો (PI) ને ખાસ સૂચના આપી છે. તેમના વિસ્તારમાં આવતી ગેસ એજન્સીઓ અને ગોડાઉનો પર તકેદારી રાખવા તેમજ કોઈ ગેરકાયદેસર રીતે ગેસના બાટલાનો સંગ્રહ ન કરે તે જોવાની જવાબદારી સોંપવામાં આવી છે. પોલીસ હવે એવા લોકોને શોધી કાઢશે જેઓ કૃત્રિમ અછત ઉભી કરી વધુ ભાવ પડાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ગેસનો પુરવઠો વહેલી તકે ગ્રાહકો સુધી પહોંચે તે માટે ગેસ સિલિન્ડર ભરેલા ટ્રકો અને ટેમ્પોને કોઈપણ અવરોધ વિના એજન્સીઓ સુધી પહોંચવા દેવા પોલીસને તાકીદ કરવામાં આવી છે. પોલીસની આ સક્રિયતાને કારણે ગેસ વિતરણ વ્યવસ્થામાં સુધારો આવવાની અને કાળાબજારી અટકવાની આશા સેવાઈ રહી છે. જો કોઈ પણ વ્યક્તિ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલી જણાશે તો તેની સામે કાયદાકીય કલમો હેઠળ આકરી કાર્યવાહી કરવામાં આવશે.

ગોડાદરામાં સમૂહ વિવાહમાં 15 હજાર મહેમાનો માટે ચૂલે રંધાઈ 14 વાનગીઓ

0

આંતરરાષ્ટ્રીય સ્તરે ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવની અસર હવે સ્થાનિક સ્તરે પણ જોવા મળી રહી છે. સુરત શહેરમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત સર્જાતા અનેક હોટલ, રેસ્ટોરાં અને સામાજિક કાર્યક્રમો પર અસર પડી છે. આવી જ સ્થિતિ સુરતના ગોડાદરા વિસ્તારમાં આયોજિત એક સમૂહ લગ્ન પ્રસંગ દરમિયાન જોવા મળી.

સુરતના ગોડાદરા વિસ્તારમાં ઉતર ભારતીય સમૂહ વિવાહ સમિતિ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નમાં 51 યુગલો લગ્નગ્રંથિથી જોડાવા જઈ રહ્યા છે. જ્યાં સમૂહ લગ્નમાં અંદાજિત 15 હજાર મહેમાનોનું જમવાનું બનાવવાનું હતું. પરંતુ કેટરર્સે ગેસની બોટલની અછત હોવાની વાત કરી હતી. જેથી રસોઈ કેવી રીતે બનશે, તે અંગે આયોજકો ચિંતામાં મૂકાયા હતા. જે દરમિયાન આયોજકોએ સમાજની મિટિંગ પણ બોલાવી હતી.

સમાજની મિટિંગમાં જૂની પદ્ધતિથી રસોઈ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આયોજકોએ આ આપદાને અવસરમાં બદલી હતી. આયોજકોએ અંદાજિત 15 હજાર મહેમાનોની રસોઈ કરવા માટે JCBની મદદથી 5 ખાડા કર્યા હતા. અંદાજિત 2 હજાર કિલો લાકડા મંગાવવામાં આવ્યા હતા. તેમ જૂની પદ્ધતિથી રસોઈ તૈયાર કરવામાં આવી હતી. આ ઘટનાએ સાબિત કર્યું છે કે, સંસાધનોની અછત હોય, ત્યારે પરંપરાગત પદ્ધતિ અપનાવીને પણ મોટા આયોજનો સફળ બનાવી શકાય છે.

ઉતર ભારતીય સમૂહ વિવાહ સમિતિના આયોજક અમિતસિંગ રાજપૂતએ જણાવ્યું હતું કે હાલ, અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. એવી પરિસ્થિતિમાં કોમર્શિયલ ગેસના બાટલાની અછત છે. આ સમાચાર દસ દિવસ પહેલા કેટરિંગવાળાએ આપ્યા હતા. કેટરિંગવાળા પાસે ગેસ સિલિન્ડર નથી. તમે બાટલા લાવશો તો જમવાનું બનાવી શકાશે નહી. જે બાદ અમે સમાજની મિટિંગ બોલાવી હતી. તેમજ સાંસદનો સંપર્ક પણ કર્યો હતો.

અમિતસિંગ રાજપૂતએ આગળ જણાવ્યું કે, અમે રાતના સમયે જેસીબી બોલાવીને ખાડો કરીને રાતથી જ જમવાની તૈયારી શરુ કરી દેવામાં આવી છે. વધુમાં આયોજકે કહ્યું કે, સમાજમાં બદનામી થશે, કઈ રીતે આયોજન પૂરુ પાડીશું, તેવો ભય હતો. પરંતુ હવે અમારો પ્રસંગ પૂર્ણતાની આરે છે. જ્યારે કોઈનો આવો પ્રસંગ આવે તેમણે આવું કરવું જોઈએ

ગ્રીન કાર્ડની લાલચમાં રચ્યું નકલી લૂંટનું કાવતરું, અમેરિકામાં પકડાયા 11 ભારતીયો

અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા અને વિઝા મેળવવાની લાલચમાં કાયદા સાથે ચેડાં કરતા 11 વિરુદ્ધ ફેડરલ પ્રોસિક્યુટર્સે વિઝા ફ્રોડના ગંભીર આરોપો હેઠળ કાર્યવાહી કરી છે. આ ગ્રુપ પર આરોપ છે કે તેઓએ ’U વિઝા’ મેળવવા માટે રેસ્ટોરન્ટ્સ અને સ્ટોર્સમાં નકલી સશસ્ત્ર લૂંટનું નાટક રચ્યું હતું.

અમેરિકામાં ’U વિઝા’ એવા લોકોને આપવામાં આવે છે જેઓ કોઈ ગંભીર ગુનાનો શિકાર બન્યા હોય અને પોલીસને તપાસમાં મદદ કરતા હોય. આ વિઝા મળવાથી વર્ક પરમિટ અને 5 થી 10 વર્ષમાં ગ્રીન કાર્ડ મળવાનો રસ્તો પણ આપોઆપ ખુલી જતો હોય છે. આરોપીઓએ આ કાયદાનો દુરુપયોગ કરવા માટે મેસેચ્યુસેટ્સ, કેન્ટુકી અને ઓહાયો જેવા રાજ્યોમાં સ્ટોર માલિકો સાથે મળીને નકલી લૂંટનું કૌભાંડ ચાલુ કરી દીધું હતું. લૂંટારુ નકલી હથિયાર સાથે સ્ટોરમાં ઘૂસીને કેશ લૂંટીને ભાગી જતા હતા. જે સ્ટોરના CCTVમાં કેદ થતું. આ ઘટના બાદ સ્ટોરના કર્મચારીઓ પોલીસને લૂંટ અંગે જાણ કરતા અને પોતે ’ભોગ બન્યા’ હોવાનું પણ દર્શાવતા હતા.

અમેરિકન જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરાયેલ યાદી મુજબ, આરોપીઓમાં જિતેન્દ્રકુમાર પટેલ, મહેશકુમાર પટેલ, સંજયકુમાર પટેલ, દીપિકાબેન પટેલ, રમેશભાઈ પટેલ, અમિતાબહેન પટેલ, રોનકકુમાર પટેલ, સંગીતાબેન પટેલ, મિનકેશ પટેલ, સોનલ પટેલ અને મિતુલ પટેલનો સમાવેશ થાય છે. આ તમામ લોકો અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા હતા. જેમાંથી દીપિકાબેન પટેલને ભારત ડિપોર્ટ (દેશનિકાલ) કરી દેવામાં આવ્યા છે. જ્યારે અન્યની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.

તપાસમાં બહાર આવ્યું છે કે, રામભાઈ નામનો મુખ્ય સૂત્રધાર આ સમગ્ર લૂંટનું પ્લાનિંગ કરતો હતો. ’ભોગ બનનાર’ વ્યક્તિઓ રામભાઈને પૈસા આપતા હતા. રામભાઈ સ્ટોર માલિકોને તેમના સ્ટોરમાં લૂંટનું નાટક કરવા માટે નાણાં ચૂકવતો હતો. લૂંટ કરનાર અને ભાગી જવામાં મદદ કરનાર ડ્રાઈવરની અગાઉ જ ધરપકડ કરી લેવામાં આવી છે.વિઝા ફ્રોડના કાવતરાના આરોપમાં દોષિત ઠરે તો 5 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. 2,50,000 (આશરે 2 કરોડ રૂૂપિયા) થી વધુનો દંડ ફટકારવામાં આવી શકે છે. જેલની સજા પૂર્ણ થયા બાદ આ તમામને અમેરિકામાંથી ડિપોર્ટ કરવામાં પણ આવી શકે છે. જો કે હાલ તો સમગ્ર મામલો કોર્ટમાં છે.

કૌભાંડમાં ઝડપાયેલ ગુજરાતીઓ

  • જિતેન્દ્રકુમાર પટેલ (39 વર્ષ): માર્શફિલ્ડ, મેસેચ્યુસેટ્સ
  • મહેશકુમાર પટેલ (36 વર્ષ): રેન્ડોલ્ફ, મેસેચ્યુસેટ્સ
  • સંજયકુમાર પટેલ (45 વર્ષ): ક્વિન્સી, મેસેચ્યુસેટ્સ
  • દીપિકાબેન પટેલ (40 વર્ષ): વેમાઉથ, મેસેચ્યુસેટ્સ
  • રમેશભાઈ પટેલ (52 વર્ષ): યુબેન્ક, કેન્ટુકી
  • અમિતાબહેન પટેલ (43 વર્ષ): પ્લેનવિલે, મેસેચ્યુસેટ્સ
  • રોનકકુમાર પટેલ (28 વર્ષ): મેરીલેન્ડ હાઇટ્સ, મિઝોરી
  • સંગીતાબેન પટેલ (36 વર્ષ): રેન્ડોલ્ફ, મેસેચ્યુસેટ્સ
  • મિનકેશ પટેલ (42 વર્ષ): પેરીસબર્ગ, ઓહાયો
  • સોનલ પટેલ (42 વર્ષ): પેરીસબર્ગ, ઓહાયો
  • મિતુલ પટેલ (40 વર્ષ): વુસ્ટર, મેસેચ્યુસેટ્સ

જાપાનથી સ્પેન સુધી મહિલાઓને માસિક સ્રાવ રજા, ભારતના કેટલાક રાજ્યોમાં પણ અમલ

0

સુપ્રીમ કોર્ટે દેશભરમાં કામ કરતી મહિલાઓ અને વિદ્યાર્થીઓને તેમના માસિક ધર્મ દરમિયાન થતી મુશ્કેલીઓનો ઉલ્લેખ કરીને ફરજિયાત રજા માંગતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. અરજીનો નિકાલ કરતા કોર્ટે કહ્યું કે સરકારે આ મુદ્દા પર નીતિ નક્કી કરવી જોઈએ, અને તમામ હિસ્સેદારો સાથે પરામર્શ જરૂરી છે. આ નિર્ણય વચ્ચે, આજે આપણે જાણીશું કે કયા દેશો મહિલાઓને માસિક ધર્મ રજા આપે છે. આપણે ભારતના તે રાજ્યો વિશે પણ જાણીશું જ્યાં માસિક ધર્મ રજા ઉપલબ્ધ છે.

પીરિયડ રજા આપતા દેશો

  • જાપાન (૧૯૪૭)
    જાપાન એ પીરિયડ લીવ લાગુ કરનારા પ્રથમ દેશોમાંનો એક હતો. તે કાનૂની અધિકાર છે, પરંતુ કંપનીઓ નક્કી કરે છે કે રજા ચૂકવવામાં આવે છે કે ચૂકવણી વગર.
  • ઇન્ડોનેશિયા
    ઇન્ડોનેશિયામાં, સ્ત્રીઓને માસિક સ્રાવ દરમિયાન દર મહિને બે દિવસની પગારવાળી રજા મળે છે.
  • તાઇવાન
    તાઇવાનમાં રોજગારમાં જાતિ સમાનતા કાયદા હેઠળ, મહિલાઓ દર વર્ષે ત્રણ દિવસની માસિક રજા લઈ શકે છે, સામાન્ય રીતે અડધા પગાર પર.
  • દક્ષિણ કોરિયા
    દક્ષિણ કોરિયામાં, મહિલાઓને મહિનામાં એક દિવસની રજા મળે છે. રસપ્રદ વાત એ છે કે, જો તેઓ રજાનો ઉપયોગ ન કરે, તો તેમની કંપની તેમને વધારાનું વળતર આપે છે.
  • ઝામ્બિયા
    સ્થાનિક રીતે “મધર્સ ડે” તરીકે ઓળખાતા ઝામ્બિયાના કાયદા મુજબ મહિલાઓને પૂર્વ સૂચના વિના દર મહિને એક દિવસ રજા લેવાની મંજૂરી છે.
  • વિયેતનામ
    વિયેતનામમાં કામ કરતી મહિલાઓ માસિક ચક્ર દરમિયાન દરરોજ 30 મિનિટનો વિરામ અથવા ત્રણ દિવસની રજા પસંદ કરી શકે છે.
  • સ્પેન (૨૦૨૩)
    આ પ્રકારનો કાયદો પસાર કરનાર પ્રથમ યુરોપિયન દેશ સ્પેન, ગંભીર પીડા માટે ત્રણથી પાંચ દિવસની રજાની મંજૂરી આપે છે, જેનો ખર્ચ સરકાર દ્વારા આવરી લેવામાં આવે છે, જેથી ભરતીમાં મહિલાઓ સામે ભેદભાવ અટકાવવામાં આવે.

ભારતના 5 રાજ્યો જે માસિક રજા આપે છે

  • કર્ણાટક:
    કર્ણાટક એ ભારતીય રાજ્યોમાં સામેલ થઈ ગયું છે જેમણે માસિક સ્રાવ રજાની જરૂરિયાતને માન્યતા આપી છે.
  • બિહાર:
    ભારતમાં માસિક સ્રાવ રજા ચળવળના પ્રણેતા બિહારે 2 જાન્યુઆરી, 1992 ના રોજ મહિલા સરકારી કર્મચારીઓ માટે સતત બે દિવસની પેઇડ રજા શરૂ કરી હતી. કોચીન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (CUSAT) માં વિદ્યાર્થીઓના નેતૃત્વ હેઠળના આંદોલનને પગલે, કેરળની યુનિવર્સિટીઓએ માસિક સ્રાવ રજા આપવાનું શરૂ કર્યું છે.
  • ઓડિશા :
    માસિક સ્રાવ રજા પર દેશવ્યાપી ચર્ચાઓ વચ્ચે, ઓડિશાએ સરકારી અને ખાનગી બંને ક્ષેત્રોમાં મહિલા કર્મચારીઓ માટે એક દિવસની પેઇડ રજા લાગુ કરી. રાજ્યના 78મા ભારતીય રાષ્ટ્રીય દિવસ નિમિત્તે તત્કાલીન નાયબ મુખ્યમંત્રી પ્રભાવતી પરિદા દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી.
  • સિક્કિમ:
    સિક્કિમ હાઈકોર્ટ રજિસ્ટ્રીના નિયમો અનુસાર, મહિલા કર્મચારીઓ તબીબી અધિકારીની ભલામણ પર દર મહિને 2-3 દિવસની માસિક રજા મેળવી શકે છે. સિક્કિમ યુનિવર્સિટી મહિલા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને માસિક સ્રાવ રજાનો એક દિવસ પણ પ્રદાન કરે છે.

ઘબરાશો નહીં! ઘરે બેઠા સરળતાથી બુક કરો ઘરેલું LPG સિલિન્ડર, જાણો 5 સરળ અને ઝડપી રીતો

0

દેશમાં ગેસ સિલિન્ડરની અછતના અહેવાલો વચ્ચે, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે મહત્વપૂર્ણ માહિતી આપી છે. તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટમાં, મંત્રાલયે જણાવ્યું હતું કે ઘરેલુ LPG સિલિન્ડર ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા પૂરી પાડવામાં આવતી ઘણી અનુકૂળ ચેનલો દ્વારા સરળતાથી બુક કરી શકાય છે.

ઘરેલુ LPG સિલિન્ડર પાંચ અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરીને તમારા ઘરેથી બુક કરાવી શકાય છે. આ પ્રક્રિયા WhatsApp, SMS/IVRS અથવા સંબંધિત OMC ની મોબાઇલ એપ્લિકેશન દ્વારા પૂર્ણ કરી શકાય છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય જણાવે છે કે આ પ્રક્રિયાઓ ગ્રાહકોને વિતરકોની મુલાકાત લેવાની અથવા કતારોમાં ઉભા રહેવાની જરૂરિયાતને દૂર કરે છે.

ઘરેથી ઘરેલુ LPG સિલિન્ડર બુક કરવાની 5 અલગ અલગ રીતો કઈ છે?

  • પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે X પરની એક પોસ્ટમાં માહિતી આપી છે કે ગ્રાહકો વોટ્સએપ, મિસ્ડ કોલ, IVRS, એપ્લિકેશનનો ઉપયોગ કરીને અને ભારત ગેસ, ઇન્ડેન અને HP ગેસના સિલિન્ડર બુક કરવા માટે વેબ પેજની મુલાકાત લઈને ઘરેલુ LPG સિલિન્ડર બુક કરાવી શકે છે.
  • આ હેતુ માટે, અલગ નંબરો આપવામાં આવ્યા છે, જ્યાં ઘરેલુ LPG સિલિન્ડર WhatsApp, મિસ્ડ કોલ અથવા IVRS દ્વારા બુક કરી શકાય છે. ગેસ સિલિન્ડર હેલો BPCL, ઇન્ડિયન ઓઇલ વન અને HP પે એપ્લિકેશન દ્વારા પણ બુક કરી શકાય છે.
  • આ ઉપરાંત, તમે my.ebharatgas.com, cx.indianoil.in અને myhpgas.in પર જઈને પણ ઘરેલું LPG સિલિન્ડર બુક કરાવી શકો છો.
  • દેશમાં ગેસ સિલિન્ડરની અછતની જાણ થતાં જ લોકોને ગેસ એજન્સીઓ અને વેરહાઉસની બહાર લાઇનો લાગી ગઈ. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે દેશભરમાં ઘણી જગ્યાએ લોકો સવારે 3 વાગ્યાથી જ લાઇનોમાં ઉભા જોવા મળ્યા. ઘણા લોકોએ તો એમ પણ કહ્યું કે તેઓ ત્રણ દિવસથી લાઇનમાં રાહ જોઈ રહ્યા હતા, પરંતુ તેમનો વારો આવ્યો ન હતો, અને તેમને સિલિન્ડર મળી શક્યું ન હતું.
  • આવી સ્થિતિમાં, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા ઘરેલુ LPG સિલિન્ડર બુક કરવાની 5 અલગ અલગ રીતો જણાવવાથી ગ્રાહકોને થોડી રાહત મળી શકે છે.

ગેસની અછતનો માર: હોટેલ-રેસ્ટોરાંમાં LPG સરચાર્જથી જમવાનું થયું મોંઘું

0

કોમર્શિયલ LPGનો પુરવઠો ઘટી ગયો હોવાથી હાલમાં હોટેલમાં જમવા જવાનું મોંઘું થઈ ગયું છે, કેમ કે રેસ્ટોરાં અને ઇટરીઝને સિલિન્ડર મેળવવા માટે વધુ અગવડો પડી રહી છે. કોમર્સિયલ સિલિન્ડરના ભાવ પણ વધી ગયા છે ત્યારે કેટલીક રેસ્ટોરાંએ એમના બિલમાં LPG સરચાર્જ અથવા તો ’ગેસ સપ્લાય ઇશ્યુ’ અથવા તો ’LPG revision’ના નામે વધારાનો ચાર્જ ગ્રાહકો પર જ નાખી રહી છે. કુકિંગ ગેસની અછતને કારણે ઑલરેડી બેન્ગલોર, દિલ્હી અને ચેન્નઈની રેસ્ટોરાંઓએ તો વધારાનો ચાર્જ લેવાનું શરૂૂ કરી દીધું છે. ગ્રાહકો સોશિયલ મીડિયા પર આ વધારાના સરચાર્જવાળાં બિલ શેર કરવા લાગ્યા છે.

ચેન્નઈની એક રેસ્ટોરાંએ 70 રૂૂપિયાના સાંભર-ચાવલના પાર્સલ ઑર્ડર પર 15 રૂૂપિયાનો LPG રિવિઝન ચાર્જ વસૂલ્યો છે. બેન્ગલોરની એક રેસ્ટોરાંએ ફૂડ-ઑર્ડરની સાથે 30 રૂૂપિયા ’ગેસ સપ્લાય ઇશ્યુ’ના નામે વસૂલ્યા છે, જ્યારે કેટલીક રેસ્ટોરાંએ દરેક ચીજ પર અમુક ટકા ચાર્જ વધારવાને બદલે ટેમ્પરરી ભાવ વધારાવાળાં અને સીમિત આઇટમોવાળાં મેનુ કાર્ડ જ બહાર પાડ્યાં છે.

Surat: લાજપોર જેલના આરોપીને પાલતુ કૂતરાની અંતિમવિધિ માટે હાઇકોર્ટની ખાસ મંજૂરી

ગુજરાત હાઈકોર્ટે સુરતના લાજપોર સેન્ટ્રલ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા આરોપીને તેના પાલતુ કૂતરાની અંતિમવિધિ કરવા માટે પોલીસ કસ્ટડીમાં ઘરે લઈ સુરત પોલીસને આદેશ આપ્યો હતો. આ વ્યક્તિ તેની પત્ની દ્વારા દાખલ કરાયેલા છેતરપિંડીના કેસમાં જેલમાં છે.

જસ્ટિસ યુ. ટી. દેસાઈની બેન્ચ સામે સુરતના એક રહેવાસીએ તાત્કાલિક જામીન માટે અરજી કરી હતી. તેની પત્નીએ તેની સામે આરોપ મૂક્યો છે કે તેણે રોકાણ પોલિસીની રકમમાંથી રૂ. 17 લાખ અયોગ્ય રીતે લઇ લીધા હતા.

આ વ્યક્તિએ ચાર્જશીટ દાખલ થાય તે પહેલાં ટ્રાયલ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, પરંતુ તે અરજી નામંજૂર કરવામાં આવી હતી. ત્યારબાદ તેણે ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો. શુક્રવારે જ્યારે હાઈકોર્ટમાં તેની અરજીની પહેલી સુનાવણી થઈ રહી હતી ત્યારે જ તેના પાલતુ જર્મન શેફર્ડ કૂતરાનું મોત થયું હતું.

તેના વકીલ કૃતિ શાહે કોર્ટને મૌખિક રજૂઆત કરી અને કહ્યું કે અરજદાર છેલ્લા 14 વર્ષથી આ કૂતરાને રાખતો હતો અને તેની સાથે ભાવનાત્મક જોડાણ હતું. તેથી તે પોતાના પાલતુ કૂતરાની અંતિમવિધિ કરવા ઇચ્છે છે.

વકીલની આ રજૂઆતને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે મૌખિક આદેશ આપ્યો કે અરજદારને પોલીસ કસ્ટડીમાં તેના સુરત સ્થિત ઘરે લઈ જવામાં આવે અને શુક્રવારે સાંજે 8 વાગ્યા સુધી તેને ત્યાં રહેવાની મંજૂરી આપવામાં આવે. કોર્ટના આદેશમાં જણાવાયું હતું કે અરજદાર પોતાના પાલતુ કૂતરાની અંતિમવિધિ કરવા માંગે છે અને તેથી તેને 13 માર્ચ 2026ના રોજ પોલીસ કસ્ટડીમાં ઘરે લઈ જવામાં આવે.

કોર્ટએ વધુમાં જણાવ્યું કે પોલીસ કર્મચારીઓ સાદા કપડાંમાં રહેશે અને પોલીસ કસ્ટડીનો ખર્ચ સરકાર દ્વારા ભરવામાં આવશે. આ આદેશ ઈમેલ દ્વારા સંબંધિત કોર્ટ, પોલીસ સ્ટેશન અને લાજપોર સેન્ટ્રલ જેલ, સુરતને મોકલવાનો પણ આદેશ આપવામાં આવ્યો હતો. કોર્ટએ કહ્યું કે રાતે 8 વાગ્યા પછી અરજદારને ફરીથી જેલ અધિકારીઓને સોંપી દેવામાં આવે.

આ કેસમાં અરજદારની પત્નીએ ફરિયાદ નોંધાવી છે કે લગ્ન બાદ વર્ષ 2000માં તેની નામે લેવાયેલી રોકાણ પોલિસીની મુદત પૂરી થતાં રૂ. 17 લાખની રકમમાંથી પતિએ લઇ લીધી હતી. ફરિયાદ મુજબ, પતિએ પત્નીના પિતાના નામે રહેલા મૂળ નોમિનીને બદલી પોતાના નામે કરવાનો પ્રયાસ કર્યો હતો અને પોલિસી રેકોર્ડમાં બનાવટી સહી કરીને કરીને ફેરફાર કર્યા હતા.

પોલિસીની મુદત 2025માં પૂરી થયા બાદ પતિએ રૂ. 17 લાખની રકમ પહેલા પત્ની સાથેના જોઇન્ટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી અને ત્યારબાદ પોતાની દીકરી સાથેના જોઇન્ટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી હોવાનું વકીલ દ્વારા કોર્ટને જણાવાયું.

અરજદારે કોર્ટને કહ્યું કે તે તેનીપત્નીને રૂ. 17 લાખ પરત આપવા તૈયાર છે. વકીલ કૃતિ શાહે દલીલ કરી કે આ મામલો મૂળભૂત રીતે વૈવાહિક વિવાદથી ઊભો થયો છે અને દીકરી વિદેશમાં અભ્યાસ કરતી હોવાથી રકમ તેના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.

જો કે હાઈકોર્ટે અરજદારને તાત્કાલિક જામીન આપવા ઇનકાર કર્યો હતો, પરંતુ જસ્ટિસ યુ. ટી. દેસાઈએ કહ્યું કે પાલતુ કૂતરાની અંતિમવિધિ માટે તેને પોલીસ કસ્ટડીમાં હાજરી આપવા મંજૂરી આપવામાં આવશે.

લદ્દાખ કાર્યકર્તા સોનમ વાંગચુકની NSA હેઠળની અટકાયત રદ: કેન્દ્રનો મોટો નિર્ણય

0

લદ્દાખમાં શાંતિ અને સ્થિરતા સ્થાપિત કરવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કરતાં કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ લદ્દાખના જાણીતા કાર્યકર્તા સોનમ વાંગચુકની અટકાયત રદ કરી છે. વધતા વિરોધ પ્રદર્શન વચ્ચે લગભગ છ મહિના બાદ લેવામાં આવેલા આ નિર્ણયને પ્રદેશમાં શાંતિ સ્થાપિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

કેન્દ્ર સરકારનો આ નિર્ણય સુપ્રીમ કોર્ટેમાં વાંગચુકની પત્ની ગીતાંજલિ જે. એંગ્મો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી મુલતવી રાખ્યા બાદ આવ્યો છે. ન્યાયમૂર્તિ અરવિંદ કુમાર અને પી.બી. વરાલેની બેન્ચ આ મામલે 17 માર્ચે સુનાવણી કરશે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ તારીખ પછી વધુ દલીલો સાંભળવામાં આવશે નહીં.

વાંગચુકને ગયા વર્ષે 26 સપ્ટેમ્બરે NSA હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યા હતા. તેમના પર 24 સપ્ટેમ્બરે લદ્દાખમાં થયેલા હિંસક વિરોધ પ્રદર્શનને પ્રેરિત કરવાનો આરોપ હતો. આ પ્રદર્શન દરમિયાન પોલીસ ફાયરિંગમાં ચાર લોકોના મોત થયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં તણાવભર્યું વાતાવરણ સર્જાયું હતું.

ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે લેહ શહેરમાં સર્જાયેલી કાયદો અને વ્યવસ્થાની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ અનુસાર વાંગચુકને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. હાલ તેઓ અટકાયતના સમયગાળાનો મોટો ભાગ પસાર કરી ચૂક્યા છે.

પ્રવક્તાએ વધુમાં જણાવ્યું કે સરકાર લદ્દાખના લોકોની માંગ અને ચિંતાઓને સમજવા માટે વિવિધ સમુદાયના નેતાઓ અને હિતધારકો સાથે સતત સંવાદમાં છે. પરંતુ સતત બંધ અને વિરોધના વાતાવરણને કારણે વિદ્યાર્થીઓ, નોકરી શોધતા યુવાનો, વેપારીઓ, ટૂર ઓપરેટરો અને પ્રવાસન ઉદ્યોગ પર નકારાત્મક અસર પડી રહી છે.

સરકારે જણાવ્યું કે લદ્દાખમાં શાંતિ, સ્થિરતા અને પરસ્પર વિશ્વાસનું વાતાવરણ સર્જવું તેની પ્રાથમિકતા છે. આ માટે હિતધારકો સાથે રચનાત્મક સંવાદને પ્રોત્સાહન આપવામાં આવશે. યોગ્ય વિચારણા બાદ NSA હેઠળની સત્તાનો ઉપયોગ કરીને વાંગચુકની અટકાયત તાત્કાલિક અસરથી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સરકારે ફરી એકવાર લદ્દાખની સુરક્ષા અને વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે અને આશા વ્યક્ત કરી છે કે પ્રદેશ સંબંધિત મુદ્દાઓ સંવાદ અને રચનાત્મક ચર્ચા દ્વારા ઉકેલાશે. આ માટે ઉચ્ચ સ્તરીય સમિતિ સહિત વિવિધ મંચો દ્વારા ચર્ચા આગળ વધારવામાં આવશે.