Home Blog Page 158

ગુજરાતમાં બે વર્ષમાં 6,240 બાળકો ગુમ, રાજ્ય સરકારનો ગુમ થયેલી મહિલાઓને લઈ મોટો દાવો

ગુજરાતમાં ગૂમ થતાં બાળકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ગુજરાત વિધાનસભામાં મિસિંગ ચિલ્ડ્રનનો મુદ્દો ગાજ્યો હતો. વિપક્ષે માનવ તસ્કરીની આશંકા સાથે સરકારને આડેહાથ લીધી હતી. ખુદ સરકારે સ્વીકાર્યું કે 24 જિલ્લામાં ગૂમ થયેલા 553 બાળકોને લઈ હજુ પણ કોઈ જાણકારી નથી. 2 વર્ષ પછી પણ ગૂમ થયેલા બાળકોને પોલીસ શોધી શકી નથી.

ગાંધીનગર વિધાનસભા ગૃહમાં કાયદા વ્યવસ્થાને લઈને ગરમાગરમ બહસ જામી હતી. વિપક્ષે રાજ્યમાં ગૂમ થતાં બાળકોને લઈને ચિંતા વ્યક્ત કરી કે, ગૂમ થયેલા બાળકોને શોધવા માટે ગૃહવિભાગે ખાસ ડ્રાઈવ કરવી જોઈએ. પોલીસે સક્રિય થવું જોઈએ. તેનું કારણ એ છે કે છેલ્લાં 2 વર્ષમાં ગુજરાતમાં 24 જિલ્લામાં ગૂમ થયેલા બાળકોની સંખ્યા 6240 છે જે પૈકી હજુ 553 બાળકો મળી આવ્યા નથી જે ચિંતાનું કારણ છે.

ગૂમ થયેલી 67 મહિલાઓ, ઘરે પાછી આવી ગઈ
છેલ્લાં બે વર્ષમાં કુલ મળીને 67 મહિલાઓ ગૂમ થઈ હતી. અમદાવાદમાં સૌથી વધુ 20 અને સુરતમાં 15 મહિલાઓ ગૂમ થઈ હતી. 15થી વધુ જિલ્લામાં મહિલા ગૂમ થયાની ફરિયાદો મળી હતી. જોકે ગૃહવિભાગે દાવો કર્યો કે, ગૂમ થયેલી મહિલાઓ સલામત રીતે પરત ફરી છે. હવે એકેય મહિલા શોધવાની બાકી નથી.

ઈરાનની મોટી જાહેરાત: ભારતીય જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી

0

ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના કારણે વૈશ્વિક સ્તરે ઉર્જા સંકટ વધતું જાય છે. ત્યારે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ઈરાને ભારતીય જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી આપી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અને ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી વચ્ચેની વાતચીત બાદ આ સહમતિ બની છે. રિપોર્ટ મુજબ જે જહાજો અમેરિકા અને ઈઝરાયલ સાથે જોડાયેલા નથી, તેમને આ માર્ગ પરથી પસાર થવા દેવામાં આવશે. આ જ કારણસર હાલમાં ભારતીય જહાજોને સુરક્ષિત માર્ગ આપવામાં આવ્યો છે.

બીજી તરફ, ઈરાને બુધવારે રાત્રે ફારસની ખાડીમાં ‘સેફસી વિષ્ણુ’ નામના એક અમેરિકી તેલ ટેન્કર પર હુમલો કર્યો હતો. જેમાં એક ભારતીય નાગરિકનું મોત થયું છે.

ઉનાળામાં માટલાનું પાણી પીવું કે ફ્રિજનું? જાણો શરીર માટે કોણ વધારે લાભદાયી

0

ઉનાળો શરુ થતા જ ગરમીની શરૂઆત થઇ ગઇ છે. ગરમીમાં ઠંડું પાણી વધારે પીવાની ઇચ્છા થાય છે. ઘણા પરિવારો સ્વાસ્થ્યના કારણે ઠંડા પાણી માટે રેફ્રિજરેટરને બદલે માટીના માટલાનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. માટીના માટલામાંથી નીકળતું મીઠું પાણી અમૃત જેવું લાગે છે. ઉનાળાનું આ દેશી ફ્રિજ પાણીને કુદરતી રીતે ઠંડુ રાખે છે, તેના ક્ષારયુક્ત ગુણો શરીરના pH સ્તરને સંતુલિત કરવામાં પણ જાદુઈ અસર બતાવે છે.

જોકે માટલાના પાણીની મીઠાશ ફક્ત ત્યારે જ ફાયદાકારક છે જો તેની જાળવણીમાં યોગ્ય કાળજી લેવામાં આવે. સહેજ પણ બેદરકારી ફાયદાને બદલે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. ચાલો જાણીએ માટલાના પાણીનો ઉપયોગ કરતી વખતે કઇ ભૂલો ટાળવી જોઇએ.

માટલામાં સીધો ગ્લાસ નાખવાનું ટાળો
માટલામાંથી પાણી પીવા માટે સીધો હાથ અથવા ગ્લાસ નાખવાનું ટાળો. હંમેશા લાંબા હાથા વાળો ડોયો અથવા નળવાળું માટલું ખરીદો. આમ કરવાથી ચેપ ફેલાવવાનું જોખમ ઓછું થઇ જાય છે.

માટલાને ક્યારેય સીધા સૂર્યપ્રકાશમાં ન રાખો. સૂર્યપ્રકાશથી પાણી ગરમ થઇ જાય છે, સાથે-સાથે માટીના કુદરતી ગુણો ઉપર પણ અસર પડે છે. તેને ઘરના સૌથી ઠંડા અને છાંયડાવાળા ખૂણામાં રાખવું શ્રેષ્ઠ છે. માટલાને ભીના કોથળા અથવા કપડાથી લપેટી રાખવામાં આવે તો વાષ્પીકરણ સુધરે છે, જેના કારણે પાણી વધારે ઠંડુ અને શુદ્ધ રહે છે.

માટલાને દર 2-3 દિવસે ખાલી કરો અને તેને સ્વચ્છ પાણીથી ઘસીને ધોઈ લો. સાબુ અથવા ડિટર્જન્ટનો ઉપયોગ કરવાનું ટાળો, કારણ કે આનાથી માટલાના રોમછીદ્ર કેમિકલ શોષી શકે છે.

માટીના માટલાની પણ એક સેલ્ફ લાઇફ હોય છે. સમય જતાં તેના સૂક્ષ્મ છિદ્રો બંધ થઇ જાય છે, જેથી પાણી ઠંડુ થવું ઓછું થઇ જાય છે. સારા સ્વાસ્થ્ય અને તાજગી માટે દર વર્ષે નવું માટલું ખરીદવું એ સારો ઉપાય હોઈ શકે છે.

આપણે ઘણીવાર માટલાની સફાઇ કરીએ છીએ પરંતુ તેના ઢાંકણાની અવગણના કરીએ છીએ. માટલાને હંમેશા એવી પ્લેટ અથવા ઢાંકણાથી ઢાંકો જે સારી રીતે ફિટ થાય, જેથી ધૂળ, ગંદકી અથવા જંતુઓ પાણીમાં ન જાય. તેને પણ માટલા સાથે સાફ કરવું જોઈએ.

પેટ્રોલ-ડીઝલ અને ગેસ અછત મુદ્દે સરકાર સક્રિય: અમિત શાહની અધ્યક્ષતામાં બની કમિટી

0

દેશમાં પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસની અછત ન રહે તે માટે કેન્દ્ર સરકારે એક મોટું પગલું ભર્યું છે. સરકારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસના પુરવઠા પર દેખરેખ રાખવા માટે એક ખાસ સમિતિની રચના કરી છે. ત્રણ મંત્રીઓની સમિતિમાં વિદેશ મંત્રી એસ. જયશંકર અને કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીનો સમાવેશ થાય છે.

આ સમિતિમાં કોણ કોણ છે?

  • અમિત શાહ (ગૃહમંત્રી)
  • એસ. જયશંકર (વિદેશ મંત્રી)
  • હરદીપ સિંહ પુરી (પેટ્રોલિયમ મંત્રી)
  • ગેસ એજન્સીઓમાં ભીડ જામી

દિલ્હી, મુંબઈ, લખનૌ અને ભોપાલ જેવા મુખ્ય શહેરોમાં ગેસ એજન્સીઓની બહાર લાંબી લાઈનો જોવા મળી રહી છે. લોકો તેમના સિલિન્ડર રિફિલ કરાવવા માટે કલાકો સુધી રાહ જોઈ રહ્યા છે, જેનું મુખ્ય કારણ મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલી જંગ છે. આ અહેવાલોએ લોકોમાં ભય ફેલાવ્યો છે કે રસોઈ ગેસનો પુરવઠો ખોરવાઈ શકે છે અથવા કિંમતો વધી શકે છે. આ ગભરાટને કારણે લોકો સમય પહેલા ગેસનો સ્ટોક કરવા ઉતાવળ કરી રહ્યા છે, જેના કારણે બજારોમાં અરાજકતા ફેલાઈ રહી છે.

જોકે સરકારે આ બધી ચિંતાઓને સંપૂર્ણપણે ફગાવી દીધી છે. સરકારનો દાવો છે કે દેશમાં પૂરતો ગેસ અને તેલનો સ્ટોક છે અને સપ્લાય ચેઇનમાં કોઈ વિક્ષેપ નથી. પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ ભારતના સ્થાનિક પુરવઠા પર અસર કરશે નહીં અને ગેસ પુરવઠો સામાન્ય રીતે ચાલુ રહેશે. સરકારે જનતાને અફવાઓ પર ધ્યાન ન આપવા અને ગભરાટથી બચવા અપીલ કરી છે, કારણ કે દેશનો ઉર્જા પુરવઠો સંપૂર્ણપણે સુરક્ષિત છે.

1 એપ્રિલથી દેશમાં માત્ર E20 પેટ્રોલ: એન્જિન અને માઇલેજ પર શું પડશે અસર? જાણો

0

ભારતમાં ઇંધણ નીતિમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે, જેમાં 1 એપ્રિલ, 2026 થી દેશના તમામ પેટ્રોલ પંપ પર માત્ર E20 પેટ્રોલ (20% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ) વેચાણ માટે ઉપલબ્ધ થશે. કેન્દ્ર સરકારનું લક્ષ્ય ક્રૂડ ઓઈલની આયાતમાં ઘટાડો, પ્રદૂષણમાં ઘટાડો અને ખેડૂતોની આવક વધારવાનો છે. આ નિર્ણય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયની ઇથેનોલ મિશ્રણ નીતિનો એક ભાગ છે, જે અંતર્ગત પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ વધારીને 20 ટકા કરવામાં આવી રહ્યું છે.

જો તમે ટુ-વ્હીલર, ફોર વ્હીલર અથવા કોઈ પણ પેટ્રોલથી ચાલતું વાહન પણ ચલાવો છો, તો અહીં જાણો કે E20 પેટ્રોલ શું છે, નિયમો શું છે, તેનાથી વાહનની માઇલેજ પર કેવી અસર થાય છે અને કારના એન્જિનને કેવી રીતે સુરક્ષિત રાખવું.

E20 પેટ્રોલ શું છે?
E20 પેટ્રોલ એક એવું ઇંખણ છે જેમાં 80 ટકા પેટ્રોલ અને 20 ટકા ઇથેનોલનું મિશ્રણ કરવામાં આવે છે. ઇથેનોલ સામાન્ય રીતે શેરડી, મકાઈ અને અન્ય બાયોમાસમાંથી ઉત્પન્ન થાય છે, તેથી તે શુદ્ધ પેટ્રોલ કરતાં પર્યાવરણ માટે વધુ સારું અને રિન્યુએબલ ઇંધણ માનવામાં આવે છે.

1 એપ્રિલ, 2026 થી શું બદલાશે
સરકારના નવા નિયમ મુજબ દેશભરના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના તમામ પેટ્રોલ પંપ પર ઇ20 પેટ્રોલનું વેચાણ ફરજિયાત રહેશે. આ ઇ20 પેટ્રોલનો મિનિમમ રિસર્ચ ઓક્ટેન નંબર રોન 95 હશે, ત્યારબાદ સામાન્ય લો ઓક્ટેન પેટ્રોલની ઉપલબ્ધતા ધીમે ધીમે દૂર કરવામાં આવશે. આ પ્રક્રિયા ઇથેનોલ મિશ્રણ કાર્યક્રમને વેગ આપવાની ભારત સરકારની વ્યૂહરચનાનો પણ એક ભાગ છે.

E20 પેટ્રોલના ફાયદા
E20 પેટ્રોલના ઘણા મોટા ફાયદા છે, જે નીચે મુજબ છે.

  • ઓછું પ્રદૂષણ : ઇથેનોલ એક સ્વચ્છ જ્વલનશીલ બળતણ છે, જે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોકાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરે છે.
  • એન્જિન ઓછો અવાજ કરે છે : RON 95 હોવાથી એન્જિનમાં વધુ સારી નોક પ્રોટેક્શન મળે છે.
  • ક્રૂડ આયાત ઘટશે : ભારતના ક્રૂડ ઓઇલની આયાત બિલ ઘટશે, જેનાથી વિદેશી હૂંડિયામણની બચત થશે.
  • ખેડૂતોને ફાયદો : ઇથેનોલના ઉત્પાદનમાં શેરડી અને મકાઈની માંગ વધશે, જે ખેડૂતોની આવકમાં વધારો કરી શકે છે.

શું તમારી કાર E20 માટે તૈયાર છે?
સરકાર અને ઓટો કંપનીઓના જણાવ્યા અનુસાર, 2023 પછી લોન્ચ થયેલી મોટાભાગની કાર E20 સુસંગત છે, જે નવી એન્જિન ટેક્નોલોજી અનુસાર ડિઝાઇન કરવામાં આવી છે

E20 તૈયાર મોડલ ઓફર કરતી મોટી કંપનીઓ
મારુતિ સુઝુકી, હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા, ટાટા મોટર્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા એ કંપનીઓમાં સામેલ છે જેમણે ભારત સરકારની E20 પેટ્રોલ નીતિ હેઠળ પોતાને તૈયાર કર્યા છે. આ સિવાય અન્ય કંપનીઓ પણ આ નવી પેટ્રોલ પોલિસી હેઠળ પોતાને અનુકૂળ થવા માટે ઝડપથી તૈયારી કરી રહી છે.

E20 પેટ્રોલની જૂની કાર પર શું અસર થશે?

  • નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, BS3 અને BS4 અથવા 2020 પહેલાની ઘણી કારની થોડી અસર થઈ શકે છે, જે નીચે મુજબ છે.
  • માઇલેજમાં 3 થી 7 ટકાનો ઘટાડો જોવા મળી શકે છે.
  • રબર અને પ્લાસ્ટિકના પાર્ટ્સ ઝડપથી ઘસાઈ શકે છે.
  • નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, વાહનમાં લાંબા સમય સુધી ઇ20 ઇંધણ સંગ્રહિત કરવું યોગ્ય નથી, તેથી વપરાયેલી કારના માલિકોએ માલિકના મેન્યુઅલમાં ઇ20 સુસંગતતા ચોક્કસપણે તપાસવી જોઈએ.

કાર માલિકો માટે મહત્વની સલાહ

  • E20 પેટ્રોલનો ઉપયોગ કરતી વખતે આ સાવચેતી રાખો.
  • વાહનનું ફ્યૂઅલ ફિલ્ટર સમયસર બદલી નાંખો.
  • પેટ્રોલને લાંબા સમય સુધી ટાંકીમાં સંગ્રહિત કરશો નહીં
  • ભેજવાળા વિસ્તારોમાં ફ્યૂઅલ ટેન્કને 25 ટકાથી ઉપર રાખો.
  • નિયમિત સર્વિસ કરાવો

E20 પેટ્રોલનો ઉદ્દેશ્ય શું છે?
ઇ20 પેટ્રોલ પાછળ ભારત સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય ક્રૂડ ઓઇલની આયાત નિર્ભરતા ઘટાડવાનો છે. તેનાથી ગ્રીન ઇંધણના ઉપયોગને વેગ મળશે સાથે સાથે પ્રદૂષણ પણ ઘટે છે. કેન્દ્ર સરકારની આ પહેલને ભારતના ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશન તરફનું એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.

સુરતના લિંબાયતમાં પતિએ કરી પત્નીની હત્યા

સુરતના લિંબાયત વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપીએ પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી દુપટ્ટાથી ગળું દબાવી તેની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. શરૂઆતમાં આરોપીએ ચક્કર આવી પડવાથી મોત થયું હોવાનું કહેીને ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મૃતકના ભાઈએ પતિ પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખતો હોવાનું જણાવતાં પોલીસે કડક પૂછપરછ હાથ ધરી.

તપાસ દરમિયાન આરોપીનો ભાંડો ફૂટ્યો અને તેણે હત્યા કર્યાની કબૂલાત આપી. વધુ તપાસમાં સામે આવ્યું કે હત્યા પહેલા આરોપીએ ગૂગલ પર શ્વાસ રૂંધવાથી કેટલા સમયમાં મોત થઈ શકે તેમજ ક્લોરોફોર્મ ક્યાંથી મળી શકે તેવી માહિતી પણ સર્ચ કરી હતી. 9 માર્ચે યુવતીનું મોત થયું હતું અને પોલીસ તપાસ બાદ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે.

હોર્મુઝ નજીક કાર્ગો જહાજ પર ઇરાની હુમલો: બે ભારતીયોના મોત, એક લાપતા

0

ઈરાન અને ઈઝરાયલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે સીધી રીતે ભારત પર જોવા મળી રહી છે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈને ગુજરાતના કંડલા આવી રહેલા એક થાઈ કાર્ગો જહાજ પર હુમલો કર્યો હતો. દુ:ખની વાત એ છે કે, આ ઘટનામાં બે ભારતીય નાગરિકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે એક ભારતીય હજુ લાપતા છે. ભારતના વિદેશ મંત્રાલયે આ હુમલાની આકરી નિંદા કરતા વેપારી જહાજો અને નિર્દોષ લોકોના જીવ જોખમમાં ન મૂકવાની સ્પષ્ટ ચેતવણી આપી છે.

આ હુમલા પાછળ ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ (IRGC) એ પોતાનો બચાવ રજૂ કર્યો છે. IRGC નું કહેવું છે કે, લાઇબેરિયાના ધ્વજવાળા જહાજ ’એક્સપ્રેસ રોમ’ અને થાઈ જહાજ ’મયુરી નારી’એ તેમની ચેતવણીઓ કાને ધરી ન હતી અને પરવાનગી વગર જ હોર્મુઝ સ્ટ્રેટમાં પ્રવેશ કર્યો હતો, જેના કારણે આ કાર્યવાહી કરવામાં આવી.

ખુલ્લી ધમકી: IRGC નેવી કમાન્ડર અલીરેઝા તાંગસિરીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ચીમકી આપી છે કે આ વિસ્તારમાંથી પસાર થવા માટે કોઈપણ જહાજે ઈરાનની મંજૂરી લેવી જ પડશે. ટાર્ગેટ કોણ છે?: ઈરાની સેનાએ સરકારી ટીવી પર એવી પણ જાહેરાત કરી છે કે અમેરિકા, ઈઝરાયલ કે તેમના સાથી દેશો સાથે જોડાયેલા કોઈપણ જહાજને તેઓ નિશાન બનાવશે.

પશ્ચિમ એશિયાની આ ગંભીર અને તંગ પરિસ્થિતિને જોતા ભારત સરકાર ઈરાનમાં રહેતા ભારતીયોની સુરક્ષાને લઈને પણ અત્યંત ચિંતિત છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા જયસ્વાલે જણાવ્યું કે હાલમાં ઈરાનમાં આશરે 9,000 જેટલા ભારતીયો ફસાયેલા છે.

અગાઉ ભારત સરકારે નાગરિકોને ત્યાંથી નીકળી જવા અને સાવચેતી રાખવા માટે એડવાઈઝરી (સલાહ) જારી કરી હતી. આ સલાહ માનીને ઘણા લોકો સુરક્ષિત રીતે ઘરે પરત ફરી ચૂક્યા છે. જોકે, હજુ પણ મોટી સંખ્યામાં ભારતીયો ત્યાં રહેલા છે અને ભારતીય દૂતાવાસ સતત તેમના સંપર્કમાં રહીને તેમને મદદ પહોંચાડવાના પ્રયાસો કરી રહ્યું છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ ઘટના અને તેમાં થયેલા ભારતીયોના મૃત્યુની પુષ્ટિ કરી છે. તેમણે માહિતી આપતા જણાવ્યું હતું કે, “અમને અહેવાલ મળ્યા છે કે 11 માર્ચે હોર્મુઝ સ્ટ્રેટમાં થાઈ કાર્ગો જહાજ ’મયુરી નારી’ પર હુમલો થયો છે. આ જહાજ ગુજરાતના કંડલા બંદરે આવી રહ્યું હતું.” તેમણે સ્પષ્ટ શબ્દોમાં ભારતનો વિરોધ નોંધાવતા કહ્યું કે, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે વેપારી જહાજોને આ રીતે નિશાન બનાવવાની ભારત સખત નિંદા કરે છે. આ હુમલામાં ભારતીયો સહિત નિર્દોષ લોકોના જીવ ગયા છે. કોઈપણ સંજોગોમાં કાર્ગો જહાજો અને નિર્દોષ નાગરિકોના જીવને જોખમમાં મૂકવાનું ટાળવું જોઈએ.

તેલ સંકટ વચ્ચે પણ બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકાને સહાય: ભારતની ‘5S’ રણનીતિ ચર્ચામાં

0

અમેરિકા-ઈરાન યુદ્ધ ભારત સહિત સમગ્ર વિશ્વને અસર કરી રહ્યું છે. પરંતુ, તેમ છતાં, ભારત તેના પડોશીઓ પ્રત્યે ઉદારતા દાખવી રહ્યું છે. હાલનું સંકટ તેલ અને ગેસનું છે. બાંગ્લાદેશે ભારતને આગામી ચાર મહિના માટે 50 હજાર મેટ્રિક ટન ડીઝલ પૂરું પાડવાની અપીલ કરી હતી. આ માંગને પગલે, 10 માર્ચે ભારતમાંથી 5,000 ટન ડીઝલ બાંગ્લાદેશ પહોંચ્યું. તેવી જ રીતે, તેલ સંકટ દરમિયાન ભારત નેપાળ અને શ્રીલંકા માટે તારણહાર તરીકે ઉભરી આવ્યું છે. ખરેખર, આ ભારતની પડોશી પ્રથમ નીતિ હેઠળ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ‘5S’ વ્યૂહરચના પણ આની પાછળ છે.

ભારત-બાંગ્લાદેશ: મિત્રતાની પાઇપલાઇન

  • ભારત-બાંગ્લાદેશ ફ્રેન્ડશીપ પાઇપલાઇન (IBFP)નું ઉદ્ઘાટન 2023માં કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત, આસામના નુમાલીગઢ રિફાઇનરી લિમિટેડથી બાંગ્લાદેશના પરબતીપુરી ડેપો સુધી હાઇ-સ્પીડ ડીઝલનું પરિવહન કરવામાં આવે છે.
  • ખાસ કરીને ચોખા (બોરો, બાંગ્લાદેશમાં ચોખાની એક જાત) ને સિંચાઈ માટે સસ્તું ડીઝલ પૂરું પાડવાનો પ્રસ્તાવ છે. બંગાળના સમગ્ર પ્રદેશમાં ઔસ, અમન અને બોરો ઉગાડવામાં આવે છે.
  • બોરો ચોખાની જાત શિયાળામાં વાવવામાં આવે છે અને એપ્રિલ-મે સુધીમાં લણણી માટે તૈયાર થઈ જાય છે. બાંગ્લાદેશ દર વર્ષે નુમાલીગઢ રિફાઇનરીમાંથી 180,000 ટન ડીઝલની આયાત કરે છે.

શ્રીલંકા: કટોકટીના સમયમાં પણ તેલ પૂરું પાડે છે

  • ભારતે શ્રીલંકાના ડગમગતા અર્થતંત્રને સતત ટેકો આપ્યો છે. ભારત અને શ્રીલંકા ત્રિંકોમાલી ઓઇલ ટેન્ક ફાર્મ વિકસાવી રહ્યા છે, જે શ્રીલંકાની ઉર્જા સુરક્ષાને વધારવા માટે વ્યૂહાત્મક અનામત તરીકે બનાવવામાં આવી રહ્યું છે.
  • ૨૦૨૨ માં, ભારતે શ્રીલંકાને તેના આર્થિક સંકટ દરમિયાન ૩ બિલિયન ડોલરની કટોકટી સહાય પૂરી પાડી, જેમાં રશિયા પાસેથી નોંધપાત્ર ઇંધણ તેલનો સમાવેશ થાય છે. ૫૦૦ મિલિયન ડોલરની ક્રેડિટ લાઇન વધારીને ૨૦૦ મિલિયન ડોલર કરવામાં આવી હતી.
  • ગયા વર્ષે ડિસેમ્બરમાં, ભારતે ચક્રવાત પેંગોંગ પછી શ્રીલંકાને પુનર્નિર્માણ સહાયમાં $450 મિલિયન આપ્યા હતા. વિદેશ મંત્રી એસ. જયશંકરે ત્યારે કહ્યું હતું કે ભારત હંમેશા શ્રીલંકાની સાથે ઉભું રહેશે.

નેપાળની તેલની જરૂરિયાત ૧૦૦% ભારત પર નિર્ભર છે.

  • ભારત નેપાળની પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ઓઇલ (ATF) સહિતની તેલની 100% જરૂરિયાતો પૂરી કરે છે. મોતીહારી-અમલેખગંજ પાઇપલાઇન દક્ષિણ એશિયામાં એકમાત્ર પેટ્રોલિયમ પાઇપલાઇન છે જે ખર્ચ-અસરકારક દરે તેલ સપ્લાય કરે છે.
  • આ ઉપરાંત, ચિતવન સુધી પાઇપલાઇન નાખવા અને સિલિગુડીથી ઝાપા સુધી નવી પાઇપલાઇન બનાવવાના પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. ભારતના કુલ ઇંધણ નિકાસમાં નેપાળનો હિસ્સો આશરે 28 ટકા છે.

પીએમ મોદીની ‘5S’ રણનીતિ શું છે?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2014 માં સત્તાવાર રીતે નેબરહુડ ફર્સ્ટ પોલિસી શરૂ કરી હતી . તે પડોશીઓ સાથે કામ કરવા માટે 5S વ્યૂહરચના અપનાવે છે.

  • આદર: પડોશીઓ સાથે સમાન વર્તન કરવું
  • સંવાદ: સતત રાજદ્વારી સંપર્ક
  • શાંતિ: પ્રાદેશિક સુરક્ષા સુનિશ્ચિત કરવી
  • સમૃદ્ધિ: પરસ્પર ફાયદાકારક આર્થિક વૃદ્ધિ
  • સંસ્કૃતિ: ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોને પ્રોત્સાહન આપવું

પાકિસ્તાન અને ચીન સમગ્ર પ્રદેશ પર પ્રભુત્વ મેળવવા માંગે છે

  • પાકિસ્તાન અને ચીન ભારત સામે આ ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માંગે છે. શેખ હસીનાની સરકાર ઉથલાવી દીધા પછી, મુહમ્મદ યુનુસની વચગાળાની સરકાર દરમિયાન, ચીને બાંગ્લાદેશ સાથે લશ્કરી ડ્રોન ફેક્ટરી સ્થાપવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા.
  • દરમિયાન, પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા, ISI એ બાંગ્લાદેશમાં એક કાર્યાલય પણ ખોલ્યું. જોકે, તારિક અહેમદની સરકારે હવે ભારત સાથે સારા સંબંધોની હિમાયત કરી છે.
  • ચીને શ્રીલંકા અને નેપાળમાં પણ નોંધપાત્ર રોકાણ કર્યું છે. ચીને શ્રીલંકાના હંબનટોટા બંદરને 99 વર્ષ માટે લીઝ પર લીધું છે.

જમ્મુ-કાશ્મીરના ડેપ્યુટી સીએમ સુરેન્દ્ર ચૌધરી પર રોયલ પાર્કમાં ફાયરિંગ

0

જમ્મુના ગ્રેટર કૈલાશ વિસ્તારમાં આવેલ રોયલ પાર્કમાં બુધવારની રાત્રે ખુશીનો માહોલ થોડીજ વારમાં દહેશતમાં ફેરવાઈ ગયો હતો. એક પ્રતિષ્ઠિત વકીલની પુત્રીના લગ્ન સમારોહ દરમિયાન અચાનક થયેલા ગોળીબારને કારણે મહેમાનો અને સુરક્ષાકર્મીઓમાં દોડધામ મચી ગઈ હતી. આ હાઈપ્રોફાઈલ કાર્યક્રમમાં રાજ્યના દિગ્ગજ નેતાઓની હાજરી હોવાને કારણે સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા થયા છે.

આ ઘટના બની ત્યારે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા અને નાયબ મુખ્યમંત્રી સુરેન્દ્ર ચૌધરી કાર્યક્રમમાં હાજર હતા. ફાયરિંગના કારણે ડેપ્યુટી સીએમ સુરેન્દ્ર ચૌધરીને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ત્યાં હાજર તબીબોએ તાત્કાલિક તેમને પ્રાથમિક સારવાર આપી હતી. સદનસીબે, ફારૂક અબ્દુલ્લા આ ઘટનામાં સંપૂર્ણ સુરક્ષિત રહ્યા હતા અને ડેપ્યુટી સીએમની હાલત પણ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

ફાયરિંગનો અવાજ આવતાની સાથે જ ઘટનાસ્થળે તૈનાત સુરક્ષા એજન્સીઓ એક્શનમાં આવી ગઈ હતી. પોલીસે ગણતરીની મિનિટોમાં જ હુમલાખોરને કાબૂમાં કરી લીધો હતો. પકડાયેલા આરોપીની ઓળખ જૂની મંડી વિસ્તારના રહેવાસી કમલ સિંહ જમવાલ તરીકે થઈ છે. પોલીસે તેની પાસેથી ગુનામાં વપરાયેલું હથિયાર પણ જપ્ત કરી લીધું છે અને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી કમલ સિંહની હાલ કડક પૂછપરછ કરવામાં આવી રહી છે. આ હુમલો પૂર્વ આયોજિત હતો કે કોઈ અંગત અદાવતમાં કરવામાં આવ્યો હતો, તે દિશામાં તપાસ ચાલી રહી છે. આ ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે કેમ તે જાણવા માટે પોલીસ સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનો નોંધી રહી છે.

એલપીજી ગેસ સિલિન્ડર બુકિંગ બાદ કેટલા દિવસમાં ડિલિવરી થશે? સરકારે કરી સ્પષ્ટતા

0

એલપીજી ગેસ સિલિન્ડર અછતથી ગૃહિણીથી લઇ હોટેલ સંચાલકો પરેશાન છે. ઈઝરાયલ ઇરાન યુદ્ધથી ક્રૂડ ઓઇલ અને ગેસની સપ્લાયમા વિક્ષેપ પડ્યો છે, જેના લીધે ભારતમાં રાંધણગેસ સિલિન્ડરની અછત સર્જાઇ છે. કુકિંગ ગેસ સિલિન્ડરની અછતની ચિંત્તા વચ્ચે સરકાર તરફથી એક રાહતના સમાચાર આવ્યા છે. એલપીજી સિલિન્ડરની બુકિંગ બાદ કેટલા દિવસમાં સિલિન્ડરની ડિલિવરી થશે તેના વિશે સરકારે સ્પષ્ટતા કરી છે.

LPG સિલિન્ડરની બુકિંગ બાદ કેટલા દિવસમાં ડિલિવરી થશે?
એલપીજી સિલિન્ડરની સંગ્રહખોરી રોકવા માટે સરકારે કડક નિર્ણયો લીધા છે. આ કટોકટીની સ્થિતિમાં નાગરિકોને સમયસર કુકિંગ ગેસ સિલિન્ડર સમયસર મળી રહે તેની માટે સરકારે એક મોટી સ્પષ્ટતા કરી છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય (MoPNG)ના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું છે કે, ગેસ સિલિન્ડરની સપ્લાયમાં કોઇ ઘટાડો નથી. જો કોઇ કસ્ટમર એલપીજી ગેસ સિલિન્ડરનું બુકિંગ કરે છે તો તેને અઢી થી 3 દિવસની અંદર ડિલિવરી થઇ જશે. તેમણે લોકોને અપિલ કરી છે કે, દહેશતમાં સિલિન્ડર બુકિંગ કરીને સંગ્રહખોરી કરવી નહીં.

નોંધનિય છે કે, સામાન્ય દિવસોમાં એલપીજી ગેસ સિલિન્ડર બુકિંગ કરાયાના 1 કે 2 દિવસમાં ડિલિવરી થતી હતી. જો કે હાલ ગેસની અછતથી દેશમાં ગેસ સિલિન્ડરની સપ્લાય પર પ્રતિકુળ અસર થઇ છે.

સચિવ સુજાતા શર્માના મતે એલપીજીના વધતા ખર્ચનો બોજ સરકાર ઉઠાવશે અને પડોશી દેશોની તુલનામાં ભારતમાં રાંધણગેસ સસ્તું છે. તેમણે ઉમેર્યું કે, આ વૈશ્વિક સંકટ વચ્ચે સરકાર દેશના નાગરિકોને ઉર્જાનો પુરતો પૂરવઠો મળી રહે તેવા પ્રયાસો કરી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ભારત 40 દેશો પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદે છે.

બે LPG સિલિન્ડર બુકિંગ વચ્ચે 21 દિવસનું અંતર
ઈઝરાયલ ઇરાન યુદ્ધ વચ્ચે ભારતની ઓઈલ ગેસ માર્કેટિગં કંપનીઓએ રાંધણગેસ સિલિન્ડર બુકિંગ અને ડિલિવરીના નિયમ બદલ્યા છે. નવા નિયમ મુજબ હવે છેલ્લા કુકિંગ ગેસ સિલિન્ડરન ડિલિવરીના 21 દિવસ પછી જ નવું સિલિન્ડર બુકિંગ થઇ શકશે. અત્યાર સુધી આ સમય મર્યાદા 15 દિવસની હતી. નવા નિયમથી દેશના 13 લાખ ઘરેલું ગેસ સિલિન્ડર વપરાશકારોને અસર થશે. નવા નિયમ ગત શુક્રવારથી લાગુ થઇ ગયા છે. હવે નવું ગેસ સિલિન્ડર મેળવવા માટે વધુ 6 દિવસ રાહ જોવી પડશે. વધુ વાંચવા અહીં ક્લિક કરો.

LPG સિલિન્ડર વગર ભોજન બનાવવાના 5 વિકલ્પ
ઈઝરાયલ ઈરાન યુદ્ધની આગ ભારતના રસોડા સુધી પહોંચી છે. ક્રૂડ ઓઇળ અને ગેસની સપ્લાય ઘટતા ભારતમાં પણ અછત સર્જાઇ છે. સરકારે એલપીજી ગેસ સિલિન્ડરની સપ્લાય પર કડક નિયંત્રણો લાદયા છે. સ્થિતિમાં લોકો ચિંતિત છે કે, જો ગેસ સિલિન્ડર ખાલી થઇ જાય તો ભોજન કેવી રીતે બનાવવું? આ લેખ તમારી સમસ્યા દૂર કરવામાં મદદ કરશે. અહીં ગેસ સિલિન્ડર વગર ભોજન બનાવવાના 5 વિકલ્પ આપ્યા છે.