Home Blog Page 146

ધર્મ પરિવર્તન સાથે અનુસૂચિત જાતિનો દરજ્જો સમાપ્ત થશે: સુપ્રીમ કોર્ટ

0

સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે હિંદુ, શીખ અથવા બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈ ધર્મ માનનાર વ્યક્તિને અનુસૂચિત જાતિ (Scheduled Caste)નો સભ્ય માનવામાં આવી શકતો નથી. કોર્ટે વધુમાં જણાવ્યું કે અન્ય ધર્મમાં ધર્માંતરણ કર્યા બાદ અનુસૂચિત જાતિનો દરજ્જો ખતમ થઈ જાય છે.

જસ્ટિસ પી.કે. મિશ્રા અને એન.વી. અંજરિયા (P.K. Mishra and N.V. Anjaria)ની બેન્ચે નિર્ણય આપ્યો હતો કે ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતરણ કરેલી દલિત વ્યક્તિ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અધિનિયમ હેઠળ થયેલા ઉલ્લંઘનનો દાવો કરી શકતી નથી. કોર્ટે કહ્યું હતું કે હિંદુ, શીખ અથવા બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈ ધર્મ માનનાર વ્યક્તિ અનુસૂચિત જાતિનો સભ્ય બની શકતી નથી. અન્ય ધર્મમાં ધર્માંતરણ થતાં જ અનુસૂચિત જાતિનો દરજ્જો સમાપ્ત થઈ જાય છે.

કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે બંધારણ, કાયદો અથવા રાજ્ય વિધાનસભા હેઠળ મળતા કોઈ પણ કાનૂની લાભ, સુરક્ષા, આરક્ષણ અથવા હક એવી વ્યક્તિને આપવામાં આવી શકતા નથી જેને કલમ 3 હેઠળ અનુસૂચિત જાતિનો સભ્ય માનવામાં આવતો નથી. આ પ્રતિબંધ સંપૂર્ણ છે.

શું હતો આખો મામલો?
સુપ્રીમ કોર્ટે (Supreme Court) આ નિર્ણય આંધ્ર પ્રદેશ હાઈ કોર્ટના મે, 2025ના ચુકાદા સામે પાદરી ચિન્થડા આનંદ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ પર આપ્યો હતો. આનંદે આરોપ લગાવ્યો હતો કે અક્કાલા રામીરેડ્ડી અને અન્ય લોકોએ તેમના સામે જાતિ આધારિત ભેદભાવ અને દુર્વ્યવહાર કર્યો હતો. તેમણે એસસી/એસટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી, જેને આધારે પોલીસે FIR નોંધાવી હતી.

ત્યાર બાદ રામીરેડ્ડીએ કેસ રદ્દ કરવાની માગ સાથે હાઈ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં હતાં. જસ્ટિસ એન. હરિનાથે FIR રદ કરતાં જણાવ્યું હતું કે આનંદ ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યા બાદ અનુસૂચિત જાતિનો દરજ્જો ગુમાવી ચૂક્યા હતા, તેથી તેઓ એસસી/એસટી અધિનિયમ હેઠળ સુરક્ષા માગવાનો હક રાખતા નથી.

કોર્ટે એ પણ કહ્યું હતું કે આનંદ પાસે અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર હોવા છતાં તેમને કોઈ લાભ મળી શકશે નહીં, કારણ કે ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતરણ પછી અનુસૂચિત જાતિનો દરજ્જો અમાન્ય બની જાય છે. ત્યાર બાદ આનંદે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી.

સુરતમાં સોસાયટી વિવાદે લીધો હિંસક વળાંક: ડોક્ટર સહિત 3 સામે ફરિયાદ

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી જાનકી રેસિડેન્સીમાં સોસાયટીના મુદ્દે થયેલી નાની બોલાચાલી ભયાનક હુમલામાં ફેરવાઈ ગઈ હતી. ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન અંગે ચર્ચા દરમિયાન સોસાયટીના મેઇન્ટેનન્સ મુદ્દે ઉગ્ર વિવાદ સર્જાતા યુવાન પર હથોડાથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેને જોઈને લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

પોલીસ ફરિયાદ મુજબ, 22 માર્ચે રાત્રે લગભગ 11:30 વાગ્યે ચિરાગ કોસંબિયા મિત્રો સાથે ગાર્ડન પાસે ક્રિકેટ ટુર્નામેન્ટ અંગે ચર્ચા કરી રહ્યા હતા. તે દરમિયાન ભરત સુરતી ત્યાં આવી પહોંચ્યા અને મીટિંગ અંગે વાંધો ઉઠાવી બોલાચાલી શરૂ કરી હતી. બાદમાં તેમણે હિરેન બરોડિયા અને ડો. વિપુલ બરોડિયાને પણ સ્થળ પર બોલાવ્યા હતા.

વાતચીત દરમિયાન ભરત સુરતી સેન્ટીંગ કામમાં વપરાતો હથોડો લઈને આવ્યા અને ચિરાગના ગળાના ભાગે હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન તેમણે ધમકીભર્યા શબ્દોમાં કહ્યું કે, “તારા નાટક વધી ગયા છે, આજે તને પતાવી જ નાખું.” આ દરમિયાન હિરેન બરોડિયા અને ડો. વિપુલ બરોડિયાએ પણ ઝપાઝપી કરી હતી. સોસાયટીના અન્ય રહેવાસીઓ વચ્ચે પડી બંને પક્ષોને અલગ પાડ્યા હતા.

આ બનાવ દરમિયાન હાજર રહેલા એક વ્યક્તિએ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો હતો, જેમાં હુમલાની ક્ષણો સ્પષ્ટ જોવા મળે છે. વીડિયો જોઈ રહેલા લોકો, ખાસ કરીને બાળકો, ચીસો પાડતા જોવા મળે છે.

ઘટના બાદ ત્રણેય આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. જોકે, પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ભરત સુરતી અને હિરેન બરોડિયાની ધરપકડ કરી છે, જ્યારે ડો. વિપુલ બરોડિયા હજુ ફરાર છે. પોલીસ દ્વારા તેમની શોધખોળ ચાલુ છે અને આગળની તપાસ હાથ ધરાઈ રહી છે.

રેલવે ટિકિટના રિફંડના નિયમોમાં મોટો ફેરફાર, હવે 8 કલાક પહેલા રદ કરવાથી નહીં મળે પૈસા

0

ટિકિટના કાળાબજારને રોકવા માટે રેલવેએ ટિકિટના રિફંડના નિયમોમાં નોંધપાત્ર ફેરફાર કર્યા છે. ટિકિટ કેન્સલ કરવા પર મુસાફરોને હવે સંપૂર્ણ રિફંડ મળશે નહીં, પરંતુ તેના બદલે પ્રસ્થાનના સમયના આધારે રિફંડ ઘટાડવામાં આવશે. નવા નિયમો અનુસાર, ટ્રેનના નિર્ધારિત પ્રસ્થાન સમયના 8 કલાકની અંદર ટિકિટ રદ કરનારા મુસાફરોને કોઈ રિફંડ મળશે નહીં. જો કે, જો ટિકિટ નિર્ધારિત પ્રસ્થાન સમયના 24 કલાકથી 8 કલાકની વચ્ચે રદ કરવામાં આવે છે તો ફક્ત 50 ટકા રકમ જ પરત કરવામાં આવશે. વધુમાં, જો ટિકિટ 72 કલાક પહેલા રદ કરવામાં આવે છે તો મુસાફરોને 75 ટકા રિફંડ મળશે.

નોંધનીય છે કે અગાઉ, 72 કલાક કે તે પહેલાં ટિકિટ કેન્સલ કરનારા મુસાફરોને લગભગ સંપૂર્ણ રિફંડ મળતું હતું. જો કે, આ નવા નિયમોના અમલીકરણ સાથે કાળાબજારી કરનારાઓને રોકવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેનાથી સામાન્ય મુસાફરો માટે ટિકિટ સરળતાથી મળી શકે.

નવી જોગવાઈઓ હેઠળ, મુસાફરો હવે કોઈપણ સ્ટેશન પરથી ઑફલાઇન તેમની ટિકિટ રદ કરી શકશે. આનાથી મુસાફરોને ફક્ત તે સ્ટેશન સુધી મર્યાદિત રહેવાની જરૂર રહેશે નહીં જ્યાં તેમણે ટિકિટ બુક કરાવી હતી. વધુમાં મુસાફરો હવે પ્રસ્થાન સ્ટેશનથી આગળ કોઈપણ સ્ટેશનથી ટ્રેનમાં ચઢી શકશે. આનાથી મુસાફરી વધુ સુવિધા મળશે.

સુરત ખજોદ ડમ્પિંગ સાઈટ પર ફરી ભીષણ આગ: કચરા કૌભાંડ અને સ્વચ્છતા દાવા પર સવાલ

સુરતના ખજોદ ખાતે આવેલી દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી ડમ્પિંગ સાઇટ પર ફરી એકવાર ભીષણ આગ ફાટી નીકળી છે. માત્ર 52 દિવસના ટૂંકા ગાળામાં બીજી વખત લાગેલી આ આગને કારણે સમગ્ર વિસ્તારમાં કાળા ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા છે. આ ઘટનાએ ફરી પાલિકાની કામગીરી પર સવાલો ઊભા કર્યા છે અને ‘કચરા કૌભાંડ’ના આક્ષેપો ફરી ઉછળવાની શક્યતા વધારી છે.

આજે બપોરે અચાનક લાગેલી આગ જોતજોતામાં વિકરાળ બની ગઈ હતી. આગ એટલી ભયાનક છે કે તેનો ધુમાડો કિલોમીટરો દૂરથી દેખાઈ રહ્યો છે. વેસુ, વીઆઈપી રોડ અને અલથાણ જેવા આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને પણ ધુમાડાના ગોટેગોટા સ્પષ્ટ રીતે નજરે પડી રહ્યા છે. ઘટના સ્થળે ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવા સતત પ્રયાસો ચાલી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ લાગેલી આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગને ચાર દિવસ સુધી ભારે જહેમત ઉઠાવવી પડી હતી. તે સમયે પણ કચરાના યોગ્ય નિકાલ અને મેનેજમેન્ટ અંગે પાલિકાની કામગીરી પર પ્રશ્નો ઉઠ્યા હતા.

સુરત મહાનગરપાલિકા દ્વારા કચરાના નિકાલ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, છતાં આવી ઘટનાઓ વારંવાર બનતા લોકોમાં રોષ ફેલાયો છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે કચરાના વજન અને નિકાલમાં થતી ગેરરીતિઓ છુપાવવા માટે ઈરાદાપૂર્વક આગ લગાડવામાં આવતી હોય શકે. 52 દિવસ પહેલા લાગેલી આગ પછી કયા પગલાં લેવામાં આવ્યા તેની સ્પષ્ટતા હજુ સુધી સામે આવી નથી, ત્યારે ફરી આવી ઘટના બનતા પ્રશાસન સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

મિડલ ઈસ્ટ યુદ્ધ પર પીએમ મોદીનો સંદેશ: સાવધાન, સતર્ક અને તૈયાર રહેવાની અપીલ

0

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્યસભામાં મધ્ય પૂર્વ સંઘર્ષને કારણે બગડતી પરિસ્થિતિ અંગે સંબોધન કર્યું. આમાં, પીએમ મોદીએ ઉર્જા સંકટ અંગે સરકારની તૈયારી, યુદ્ધને કારણે વિશ્વમાં બગડતી પરિસ્થિતિ અને આ અંગે ભારતના વલણ વિશે જણાવ્યું. પીએમ મોદીએ કહ્યું કે મધ્ય પૂર્વમાં યુદ્ધ સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે. આના કારણે પેટ્રોલ, ડીઝલ અને ગેસના પુરવઠા પર અસર પડી રહી છે. યુદ્ધથી પ્રભાવિત તમામ દેશો ઉપરાંત, અમે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા સાથે પણ સંપર્કમાં છીએ. અમારું લક્ષ્ય વાતચીત અને રાજદ્વારી દ્વારા ક્ષેત્રમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાનો છે.

પીએમ મોદીએ કહ્યું કે આ કટોકટી અનોખી છે. ઉકેલો અલગ રીતે વિકસાવવામાં આવી રહ્યા છે. આપણે દરેક પડકારનો સામનો ધીરજ, સંયમ અને શાંત મનથી કરવો જોઈએ. આ યુદ્ધ અંગેની પરિસ્થિતિ દરેક ક્ષણે બદલાઈ રહી છે, તેથી હું મારા દેશવાસીઓને પણ કહેવા માંગુ છું કે આપણે દરેક પડકાર માટે તૈયાર રહેવું જોઈએ. આ યુદ્ધની ખરાબ અસરો લાંબા સમય સુધી રહેવાની શક્યતા છે. જોકે, હું મારા દેશવાસીઓને ખાતરી આપું છું કે સરકાર સતર્ક છે અને અત્યંત ગંભીરતા સાથે રણનીતિ બનાવી રહી છે.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે અમે યુનાઇટેડ સ્ટેટ્સ સાથે પણ સંપર્કમાં છીએ. અમે પશ્ચિમ એશિયાના રાષ્ટ્રોના વડાઓ સાથે બે રાઉન્ડની વાતચીત કરી છે. હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજો પસાર થવાનું મુશ્કેલ બન્યું છે. હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી મોટા રૂટમાંથી એક છે. અમે ખાતરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે ભારતને તેલ, ગેસ અને ખાતરોનો પુરવઠો અકબંધ રહે. વિશ્વભરના ઘણા જહાજો હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા છે. તેમાં મોટી સંખ્યામાં ભારતીય ક્રૂ સભ્યો છે. આ ભારત માટે પણ ખૂબ ચિંતાનો વિષય છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં, ભારતીય સંસદના આ ઉપલા ગૃહમાંથી શાંતિ અને સંવાદ માટે વિશ્વભરમાં એક સંયુક્ત અવાજ સંભળાય તે જરૂરી છે.

પીએમ મોદીએ કહ્યું કે પશ્ચિમ એશિયામાં યુદ્ધ શરૂ થયાને ત્રણ અઠવાડિયાથી વધુ સમય થઈ ગયો છે. આ યુદ્ધે વિશ્વમાં ગંભીર ઉર્જા સંકટ પેદા કર્યું છે. આ પરિસ્થિતિ ભારત માટે પણ ચિંતાજનક છે. યુદ્ધે આપણા વેપાર માર્ગોને પણ અસર કરી છે. આને કારણે, પેટ્રોલ, ડીઝલ, ગેસ અને ખાતરોનો નિયમિત પુરવઠો ખોરવાઈ ગયો છે. લગભગ 10 મિલિયન ભારતીયો ખાડી દેશોમાં રહે છે અને કામ કરે છે. તેમના જીવન અને આજીવિકાની સુરક્ષા પણ ભારત માટે એક મોટી ચિંતા છે.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “હું રાજ્યસભાના સભ્યો અને રાષ્ટ્રને ખાતરી આપું છું કે આપણા દેશમાં ક્રૂડ ઓઇલનો પૂરતો સંગ્રહ અને સતત પુરવઠાની વ્યવસ્થા છે. આપણી સરકાર ઇંધણના કોઈપણ એક સ્ત્રોત પર વધુ પડતી નિર્ભરતા ટાળવા માટે પ્રયત્નશીલ છે. સરકાર LPG ઉપરાંત ઘરેલુ ગેસ પુરવઠામાં PNGના ઉપયોગ પર ભાર મૂકી રહી છે. હું રાજ્ય સરકારોને પણ વિનંતી કરવા માંગુ છું કે તેઓ સ્થળાંતરિત મજૂરોનું ખાસ ધ્યાન રાખે. કટોકટીના સમયમાં તેઓ સૌથી વધુ પ્રભાવિત થાય છે. યોજનાઓના લાભ તેમના સુધી પહોંચવા જોઈએ.”

ન્યૂયોર્ક એરપોર્ટ પર વિમાન અકસ્માત: 100 મીટર દૂર ફેંકાયેલી ફ્લાઇટ એટેન્ડન્ટનો ચમત્કારી બચાવ

0

ન્યૂયોર્કના લાગાર્ડિયા એરપોર્ટ પર રવિવારે એક ભયાનક વિમાન અકસ્માત સર્જાયો, જેમાં એર કેનેડા જાઝની ફ્લાઇટ લેન્ડિંગ દરમિયાન ફાયર ટ્રક સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં એક ફ્લાઇટ એટેન્ડન્ટ સોલેન્જ ટ્રેમ્બલે વિમાનથી 100 મીટરથી વધુ દૂર ફેંકાઈ ગયા હોવા છતાં જીવતા બચી ગયા, જેને તેમના પરિવારે “ચમત્કાર” ગણાવ્યો છે.

માહિતી અનુસાર, જાઝ એવિએશન દ્વારા સંચાલિત CRJ-900 વિમાન લેન્ડિંગ દરમિયાન રનવે પર રહેલા એક વાહન સાથે અથડાયું હતું. આ ગંભીર અકસ્માતમાં બંને પાઇલટના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. કુલ નવ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાં ટ્રેમ્બલેનો પણ સમાવેશ થાય છે. તેમને અનેક ફ્રેક્ચર થયા હોવાનું જાણવા મળ્યું છે.

26 વર્ષનો અનુભવ ધરાવતા ટ્રેમ્બલે અકસ્માત બાદ પણ પોતાની સીટ સાથે બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા. મૃત્યુ પામેલા પાઇલટમાંથી એકની ઓળખ ક્વિબેકના 30 વર્ષીય એન્ટોઇન ફોરેસ્ટ તરીકે થઈ છે, જ્યારે બીજા પાઇલટ મેકેન્ઝી ગુંથર હતા.

એર લાઇન પાઇલોટ્સ એસોસિએશને આ દુર્ઘટનાને અત્યંત દુઃખદ ગણાવીને મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. અકસ્માત પહેલા કંટ્રોલર દ્વારા ફાયર ટ્રકને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ પરિસ્થિતિ ઝડપથી બગડતાં આ ગંભીર ઘટના બની ગઈ.

ક્રેશ બાદના ઓડિયો રેકોર્ડિંગમાં કંટ્રોલરો વચ્ચેની વાતચીત પણ સામે આવી છે, જેમાં એક કંટ્રોલરે આ ઘટનાને “ખૂબ જ ભયાનક દૃશ્ય” ગણાવ્યું હતું, જ્યારે બીજા કંટ્રોલરે પોતાની ભૂલ અંગે ખેદ વ્યક્ત કર્યો હતો.

અજય દેવગન રોહિત જુગરાજ સાથે હાઈ-કોન્સેપ્ટ હોરર ફિલ્મમાં જોડાશે

અજય દેવગન હવે ફરી એક વખત હોરર જોનરમાં પ્રવેશ કરવા તૈયાર છે, હવે તે ફિલ્મમેકર રોહિત જુગરાજ સાથે એક હાઇ-કોન્સેપ્ટ હોરર જોનરની ફિલ્મ માટે જોડાયો છે. આ અંગેના અહેવાલો મુજબ આ પ્રોજેક્ટ હાલ પ્રી-પ્રોડક્શનનાં તબક્કામાં છે અને આ અજય અને રોહિત જુગરાજ વચ્ચેનું એક રસપ્રદ કોલબરેશન છે. રોહિત જુગરાજ સરદારજી અને સરદારજી 2 જેવી પંજાબી બ્લોકબસ્ટર હિટ્સ માટે જાણીતા ફિલ્મ મેકર છે. કુમાર મંગત દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી આ ફિલ્મનું નામ હજુ જાહેર થયું નથી, પરંતુ તેને એક હાઇ-કોન્સેપ્ટ હોરર સ્ટોરી તરીકે તૈયાર કરવામાં આવી રહી છે, જેનો સિનેમેટિક સ્કેલ ભવ્ય હશે.

આ પ્રક્રિયા સાથે જોડાયેલા સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ’આ નેરેટિવ એટમોસ્ફેરિક સ્ટોરીટેલિંગ પર આધારિત છે, જે તેને પરંપરાગત હોરર ફિલ્મોથી અલગ બનાવે છે. ફિલ્મનું મોટા પાયે શૂટિંગ લંડનમાં થશે અને હાલ મેકર્સ ટેક્નિકલ ડિપાર્ટમેન્ટ્સ અને સ્ક્રીનપ્લે ફાઇનલ કરવાની પ્રક્રિયામાં છે.’

વધુમાં જાણવા મળ્યું છે કે ફિલ્મ માટે કાસ્ટિંગ પણ ચાલી રહ્યું છે, જેમાં ટીમ અજય દેવગનની મજબુત સ્ક્રીન પ્રેઝન્સ સાથે તાલ મિલાવી શકે તેવી કાસ્ટ લાવવા ઇચ્છે છે. સપોર્ટિંગ કાસ્ટની વિગતો હાલ જાહેર કરવામાં આવી નથી, પરંતુ મેકર્સ નવા ટેલેન્ટ અને જાણીતા ચહેરાઓનું મિશ્રણ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ગુજરાતમાં મીની વાવાઝોડું એલર્ટ! 25 થી 31 માર્ચ ભારે વરસાદ

0

રાજ્યના વાતાવરણમાં ફરી ઍકવાર મોટો ઉથલપાથલ થવાના સંકેતો મળી રહ્યા છે. અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી સહમાં કુદરતી આફત ત્રાટકવાની ભીતિ વ્યક્ત કરી છે. માર્ચ મહિનાના અંતિમ દિવસોમાં ગુજરાતના શિરે ‘મીની વાવાઝોડા’નું જોખમ તોળાઈ રહ્યાં છે. જે ખેડૂતો અને સામાન્ય જનતા માટે ચિંતાનો વિષય બન્યો છે.

અંબાલાલ પટેલે વધું જણાવ્યું કે, માર્ચ મહિનામાં હજુ વધુ ૩ પશ્ર્વિમ વિક્ષેપ ગુજરાતના વાતાવરણને હચમચાવશે. ખાસ કરીને 25 અને 26 માર્ચના રોજ નવો વિક્ષેપ સક્રિય થતાં સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ઠેર-ઠેર પવન ફૂંકાશે.

સૌથી વધુ ચિંતાજનક સમયગાળો 28 થી 31 માર્ચનો રહેશે. આ ચાર દિવસો દરમિયાન રાજ્યમાં અત્યંત શક્તિશાળી વિક્ષેપ અને વાવાઝોડા સાથે ભારે માવઠું (કમોસમી વરસાદ) પડવાની શક્યતા છે. પવનની ગતિ સામાન્ય કરતાં વધુ રહેવાની હોવાથી કાચા મકાનો અને ઊભા પાકને મોટું નુકસાન થવાની ભીતિ છે.

સુરતમાં એસટી બસમાં લાગી આગ, અચાનક ધુમાડાથી મચી અફરાતફરી

સુરતના કાપોદ્રા વિસ્તારમાં રાત્રિના સમયે એક મોટી દુર્ઘટના ટળી ગઈ, જ્યારે મુસાફરો ભરેલી ST બસમાં અચાનક આગ લાગી હતી. વરાછા-કાપોદ્રા મેઈન રોડ પર ચાલતી બસમાં ડ્રાઈવર સાઈડમાંથી અચાનક ધુમાડો નીકળતા હાહાકાર મચી ગયો હતો.

પરંતુ ડ્રાઈવરની સમયસૂચકતાએ મોટી જાનહાનિ અટકાવી દીધી. તેણે તરત જ બસ રસ્તાની વચ્ચે ઉભી રાખી તમામ 51 મુસાફરોને તાત્કાલિક નીચે ઉતારી દીધા. મુસાફરો નીચે ઉતર્યા પછી થોડા જ સેકન્ડોમાં આખી બસ આગની ઝપેટમાં આવી ગઈ અને જોતજોતામાં બળીને ખાખ થઈ ગઈ.

આ ઘટના કાપોદ્રાના જલારામ ફર્નિચર નજીક બની હતી, જ્યાં નજીકમાં જ પેટ્રોલ પંપ હોવાને કારણે ભયનું વાતાવરણ સર્જાયું હતું. પેટ્રોલ પંપ પર ભારે ભીડ અને રોડ પર ટ્રાફિક જામ હોવાને કારણે ફાયર બ્રિગેડને સ્થળ પર પહોંચવામાં મુશ્કેલી પડી હતી.

અંતે, ફાયર બ્રિગેડે અડધા કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનાની જાણ થતા જ કાપોદ્રા પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ટ્રાફિક નિયંત્રિત કરીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.

આ સમગ્ર ઘટનામાં ડ્રાઈવરની સતર્કતા અને ઝડપી નિર્ણય લેવાની ક્ષમતાને કારણે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો, નહીં તો મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી.

સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, હવે ખરીદી શકાય, જાણો આજે કેટલા ઘટ્યાં

0

ભારતીય બુલિયન માર્કેટમાં આજે મંગળવારે સોના અને ચાંદીના ભાવમાં ભારે કડાકો જોવા મળ્યો છે. વૈશ્વિક દબાણને કારણે કિંમતોમાં થયેલા આ અણધાર્યા ઘટાડાએ રોકાણકારો અને ગ્રાહકોને ચોંકાવી દીધા છે.

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભૌગોલિક તણાવની સીધી અસર ઝવેરાત બજાર પર જોવા મળી રહી છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન મુજબ આજે સોનાના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે.

આજે 24 કેરેટ સોનું 1.40 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે બંધ થયું હતું. અગાઉના ટ્રેડિંગ સત્રની સરખામણીએ સોનાના ભાવમાં હજારો રૂપિયાનો ધરખમ ઘટાડો જોવા મળ્યો છે.

છેલ્લા 24 દિવસમાં ઈરાન સાથેના તણાવ વચ્ચે સોનું આશરે 20,000 રૂપિયા જેટલું સસ્તું થયું છે. જાન્યુઆરીમાં સોનું તેના સર્વોચ્ચ સ્તર 1.76 લાખ રૂપિયા સુધી પહોંચી ગયું હતું.

ચાંદીના ભાવમાં પણ આજે મોટો કડાકો બોલાયો છે અને તે 2.19 લાખ રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી છે. ચાંદી તેના ઓલ-ટાઇમ હાઈ લેવલથી આશરે 1.67 લાખ રૂપિયા સસ્તી મળી રહી છે.

આંતરરાષ્ટ્રીય બજાર કોમેક્સ પર પણ સોના અને ચાંદીના ભાવમાં ભારે વેચવાલી જોવા મળી છે. એમસીએક્સ પર પણ કિંમતો ઘટતા ભારતીય બજારમાં તેની સીધી અસર વર્તાઈ રહી છે.

અમદાવાદમાં આજે સોનાનો ભાવ 1.39 લાખ અને દિલ્હીમાં 1.40 લાખ રૂપિયાની આસપાસ રહ્યો છે. જ્યારે અમદાવાદમાં ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ 2.17 લાખ રૂપિયા નોંધાયો હતો.

બજારના નિષ્ણાતો માને છે કે લાંબાગાળાના રોકાણકારો માટે ખરીદી કરવાની આ એક ઉત્તમ તક હોઈ શકે છે. જોકે, વૈશ્વિક અસ્થિરતાને જોતા ગ્રાહકોએ સાવચેતીપૂર્વક રોકાણ કરવું હિતાવહ છે.