Home Blog Page 132

11 વર્ષ બાદ રામપાલને જામીન, છતાં જેલમુક્તિ પર સસ્પેન્સ યથાવત્

0

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે રાજદ્રોહના કેસમાં સ્વયંભૂ સંત રામપાલને જામીન મંજૂર કર્યા છે. લગભગ 11 વર્ષ બાદ મળેલી આ રાહતથી તેમના સમર્થકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. રામપાલ હાલ હરિયાણાની હિસાર જેલમાં બંધ છે. વર્ષ 2014માં હરિયાણાના બરવાલામાં આવેલ સતલોક આશ્રમમાં વહીવટીતંત્ર અને તેમના સમર્થકો વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ અથડામણમાં 6 લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાને પગલે તેમના વિરુદ્ધ અનેક કેસ નોંધાયા હતા, જેમાં રાજદ્રોહનો કેસ પણ સામેલ હતો.

હાઈકોર્ટમાંથી જામીન મળ્યા હોવા છતાં રામપાલની જેલમાંથી તાત્કાલિક મુક્તિ શક્ય નથી, કારણ કે તેમની સામે અન્ય અનેક કેસો હજુ પેન્ડિંગ છે. તેથી તેમની જેલમુક્તિ અન્ય કેસોની કાનૂની પ્રક્રિયા અને શરતોના પાલન પર આધારિત રહેશે. મળતી માહિતી મુજબ, જામીનની શરતોનું કડક પાલન કરવું જરૂરી રહેશે. રામપાલ સતલોક આશ્રમના પ્રમુખ છે અને તેમના અનુયાયીઓ દેશના અનેક રાજ્યોમાં ફેલાયેલા છે. હાઈકોર્ટના આ નિર્ણય બાદ એક તરફ તેમના સમર્થકોમાં ખુશી છે, તો બીજી તરફ વહીવટી તંત્ર આગળની કાનૂની પ્રક્રિયાઓ પર નજર રાખી રહ્યું છે.

કોણ છે રામપાલ?
રામપાલ એક ભારતીય આધ્યાત્મિક ઉપદેશક અને સતલોક આશ્રમના સ્થાપક છે. તેમનો જન્મ 1951માં હરિયાણામાં થયો હતો. ધાર્મિક નેતા બનતા પહેલાં તેઓ સિંચાઈ વિભાગમાં જુનિયર એન્જિનિયર તરીકે કાર્યરત હતા. તેમણે ભગવદ ગીતા, કબીર સાગર સહિતના ધાર્મિક ગ્રંથોના આધાર પર પોતાના આધ્યાત્મિક ઉપદેશો આપવાનું શરૂ કર્યું. તેઓ સંત કબીરના ઉપદેશોને અનુસરીને ભક્તિ અને મોક્ષના માર્ગનો પ્રચાર કરે છે. તેમના અનુયાયીઓ તેમને આધ્યાત્મિક ગુરુ તરીકે માને છે.

શું છે વિવાદ?
વર્ષ 2006માં હરિયાણામાં રામપાલના અનુયાયીઓ અને અન્ય ધાર્મિક જૂથ વચ્ચે અથડામણ થઈ હતી, ત્યારથી તેઓ ચર્ચામાં આવ્યા હતા. બાદમાં 2014માં હિસાર સ્થિત સતલોક આશ્રમમાં પોલીસ સાથે થયેલી હિંસક અથડામણમાં 6 લોકોના મોત થયા હતા. આ દરમિયાન પોલીસને રામપાલને ધરપકડ કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રામપાલ પર ગેરકાયદેસર કેદ રાખવા અને લોકોને પર અત્યાચાર કરવા જેવા ગંભીર આરોપો લાગ્યા છે. કેટલાક કેસોમાં અદાલતોએ તેમની વિરુદ્ધ ચુકાદા પણ આપ્યા છે. વિવાદો હોવા છતાં, ખાસ કરીને ઉત્તર ભારતમાં તેમના અનુયાયીઓની મોટી સંખ્યા છે અને તેઓ વિવિધ માધ્યમો દ્વારા પોતાના ઉપદેશોનો પ્રસાર કરે છે.

બારડોલી એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત: એક જ પરિવારના 4ના મોત

બારડોલી તાલુકાના દસ્તાન ગામ નજીક એક્સપ્રેસ હાઈવે પર આજે વહેલી સવારે ભયાનક અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, એક ટેમ્પાનું ટાયર ફાટી જતા તે હાઈવે પર ઉભું રહ્યું હતું. આ દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલી ઇકો કાર ટેમ્પા પાછળ જોરદાર અથડાઈ હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર એક મહિલા સહિત એક જ પરિવારના ચાર લોકોના કરુણ મોત નીપજ્યા હતા. કારમાં સવાર લોકો મુંબઈથી ખંભાત જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આ સાથે સુરત જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોમાં અકસ્માતોની સંખ્યા વધતી નજરે પડી રહી છે, જેના કારણે ટ્રાફિક નિયમોનું પાલન અને સાવચેતી રાખવાની જરૂરિયાત ફરી એકવાર ચર્ચામાં આવી છે. પોલીસ દ્વારા વાહનચાલકોને ખાસ કરીને હાઈવે પર ઝડપ નિયંત્રણમાં રાખવા અને સુરક્ષા નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી રહી છે.

મળતી વિગતો મુજબ, આણંદ જિલ્લાના ખંભાત ખાતે કાદરપુરા મહોલ્લામાં રહેતો દાઉદી વ્હોરા સમાજનો પરિવાર મુંબઈની હોસ્પિટલમાં સારવાર કરાવીને મોડી રાત્રે ઈકો કાર (GJ 23 BL 0679) માં પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન દસ્તાન ગામ પાસે ભારતમાળા હાઈવે પર ટાયર ફાટવાને કારણે સ્થિર ઉભેલા ટેમ્પો (GJ 16 AW 3448) પાછળ કાર ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી ભીષણ હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને તેમાં સવાર ચારેય સભ્યોના પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા.

તસ્વીર: તેજસ વશી

ખડગેના નિવેદન બાદ માફી સાથે વિવાદ શાંત કરવાનો પ્રયાસ, છતાં રાજકારણ ગરમાયું

0

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કેરળમાં આપેલા ચૂંટણી ભાષણ અંગે સ્પષ્ટતા આપી છે. તેમણે પોતાની ટિપ્પણી બદલ ઊંડો દુઃખ વ્યક્ત કર્યો અને જણાવ્યું કે તેમની વાતોને જાણીને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે. ખડગેએ સ્પષ્ટ કર્યું કે તેમનો ક્યારેય ગુજરાતના લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો કોઈ ઇરાદો નહોતો. તેમણે ઉમેર્યું કે તેઓ હંમેશા ગુજરાતના લોકો પ્રત્યે આદર ધરાવે છે અને આગળ પણ રાખશે.

આ વિવાદ કેમ ઉભો થયો?
આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ખડગેએ કેરળના ઇડુક્કી જિલ્લામાં એક ચૂંટણી સભામાં સંબોધન કર્યું હતું. તેમણે કેરળના લોકોના શિક્ષણ અને સમજણની પ્રશંસા કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે ઓછા શિક્ષિત લોકોને ગેરમાર્ગે દોરવું સરળ છે, જેમ કે ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોમાં થાય છે, જ્યારે કેરળના મતદારો વધુ જાગૃત હોવાથી તેમને ભ્રમિત કરવું મુશ્કેલ છે.

ભાજપે શું પ્રતિક્રિયા આપી?
આ નિવેદન બાદ ભાજપે કોંગ્રેસ પર કડક પ્રહાર કર્યો. ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ આ નિવેદનને કોંગ્રેસની ‘વિભાજન કરો અને શાસન કરો’ જેવી માનસિકતા દર્શાવતું ગણાવ્યું. વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે આ ટિપ્પણીને શરમજનક ગણાવી અને પ્રશ્ન ઉઠાવ્યો કે શું મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને મોરારજી દેસાઈ જેવા મહાન નેતાઓ પણ અભણ હતા? ભાજપે ખડગે પાસે જાહેર માફી માંગવાની માંગ કરી અને સોનિયા ગાંધી તથા રાહુલ ગાંધીને આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરવા કહ્યું.

શશિ થરૂરની પ્રતિક્રિયા
કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે પણ આ મામલે પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે રાજકારણમાં ચર્ચાનું સ્તર સતત ઘટી રહ્યું છે અને આપણે પોતાની ભાષા તે લોકોના સ્તર સુધી ઘટાડવી જોઈએ નહીં, જે અપશબ્દોનો ઉપયોગ કરે છે. તેમણે નેતાઓને ભાષાની શિસ્ત જાળવવા અપીલ કરી.

ઇટાલિયાનો ઓડિયો-વીડિયો વોર: પોલીસ અને હર્ષ સંઘવી પર આક્ષેપો, વાયરલ ક્લિપથી વિવાદ ગરમાયો

0

સુરતના મોટા વરાછા ખાતે આવેલા આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના ઘરે મહેસાણા પોલીસ 2020માં પરવાનગી વિના રેલી કાઢવાના કેસમાં સમન્સ આપવા પહોંચી હતી, જેને લઈને વિવાદ ઉભો થયો છે. ઇટાલિયાએ આરોપ લગાવ્યો કે પોલીસ તેમના ઘરે પહોંચી તેમની માતા સાથે ગેરવર્તન કર્યું. આ ઘટના બાદ એક કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ, જેમાં પોલીસની કાર્યવાહી અંગે પૂર્વ તૈયારી જેવી વાતચીત દર્શાવવામાં આવી છે. જોકે, ઇટાલિયાએ આ ઓડિયોને સંપૂર્ણપણે ખોટો ગણાવી દાવો કર્યો છે કે તે AI દ્વારા તૈયાર કરાયેલ છે.

વાયરલ ઓડિયોમાં “જીતુ” અને “ગોપાલ” વચ્ચેની વાતચીતમાં પોલીસ ઘરે વોરંટ બજાવવા આવશે અને ઘરના ફોટા લઈ પોર્ટલ પર અપલોડ કરશે તેવી ચર્ચા છે. જેમાં ગોપાલ તરફથી એવું કહેવામાં આવે છે કે “પોલીસ આવે તો આવવા દો, અને પછી કહીશું કે મારી મા ને હેરાન કરે છે.” આ ક્લિપને લઈને વિવાદ વધુ ઉગ્ર બન્યો છે.

આ મામલે ઇટાલિયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “મારા પરિવાર સાથે ગેરવર્તનનો ભાંડો ફોડતા જ સાંજ સુધીમાં બનાવટી AI ઓડિયો વાયરલ કરવામાં આવ્યો.” તેમણે વધુમાં કહ્યું કે ભાજપ અને હર્ષ સંઘવી પર તેમણે અગાઉ પણ અનેક મુદ્દાઓ ઉઠાવ્યા છે, પરંતુ ક્યારેય આવો ઓડિયો સામે આવ્યો નહોતો. ઇટાલિયાએ આ ઓડિયોને “ફેબ્રિકેટેડ” ગણાવી કહ્યું કે તેમાં દર્શાવેલી વાતો બિનઆધારિત અને બનાવટી છે.

ઇટાલિયાએ જણાવ્યું કે તેઓ કાયદાની સારી સમજ ધરાવે છે અને પોતે વકીલ રહી ચૂક્યા છે, તેથી કોઈ વ્યક્તિ તેમને નિયમોની સમજ આપે તે હાસ્યાસ્પદ છે. તેમણે આક્ષેપ કર્યો કે આ આખી ઘટનાને રાજકીય રીતે પ્રભાવિત કરવા માટે બનાવટી ઓડિયો તૈયાર કરવામાં આવ્યો છે.

આ સાથે જ ઇટાલિયાએ ભાજપ અને હર્ષ સંઘવી પર વધુ આક્ષેપો કરતાં જણાવ્યું કે તેમના સમયમાં રાજ્યમાં ડ્રગ્સ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વધી છે અને પોલીસ પર પણ હુમલાઓ વધ્યા છે. તેમણે પડકાર આપ્યો કે આવા મુદ્દાઓ પર પણ ઓડિયો બનાવી બતાવો.

આ સમગ્ર મામલે હવે રાજકીય વાતાવરણ ગરમાયું છે અને ચૂંટણીના માહોલ વચ્ચે આ વિવાદ ક્યાં સુધી પહોંચે છે તે જોવાનું રહ્યું.

IPS મનોજ નિનામાનું રાજીનામું, સ્થાનિક ચૂંટણીમાં ભાજપથી ઉમેદવારીની ચર્ચા

0

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થયા બાદ તમામ પક્ષોએ ધમધમાટ શરૂ કરી દીધો છે. આ દરમિયાન એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. 2006ની બેચના આઈપીએસ અધિકારી મનોજ નિનામાએ રાજીનામું આપ્યું છે. તેઓ ભાજપમાંથી જિલ્લા પંચાયતની ચૂંટણી લડી શકે છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 11 એપ્રિલ છે. આ પહેલા તેઓ સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ શકે છે.

મનોજ નિનામા હાલ આઈજીપી તરીકે સ્ટેટ ટ્રાફિક બ્રાંચમાં તૈનાત હતા. તેઓ અરવલ્લી જિલ્લાની ભીલોડા જિલ્લા પંચાયતની ચૂંટણી લડી શકે છે. અહીંયા કોંગ્રેસની સ્થિતિ ઘણી મજબૂત છે. આ સ્થિતિમાં મનોજ નિનામાની એન્ટ્રીને ભાજપનો માસ્ટરસ્ટ્રોક માનવામાં આવે છે. નિનામાના રાજીનામા બાદ ઉત્તર ગુજરાતની રાજનીતિ પણ ગરમાઈ છે.

કોણ છે મનોજ નિનામા
1 જૂન 1966ના રોજ જન્મેલા મનોજ નિનામા આદિવાસી સમુદાયથી આવે છે. તેમણે બીકોમ પછી એલએલબી કર્યું છે. 2006ની બેચના આઈપીએસ મનોજ નિનામા ગુજરાત પોલીસમાં લાંબા સમયથી સેવા આપી રહ્યા છે. તેઓ સ્ટેટ ટ્રાફિક વિંગમાં આઈજીપી હતી. આ પહેલા વડોદરા સિટીમાં પણ ફરજ બજાવી ચુક્યા છે. તેઓ 31 મે, 2026ના રોજ નિવૃત્ત થવાના હતા પરંતુ આ પહેલા જ રાજીનામું આપી દીધું છે.

શિસ્તબદ્ધ અને વહીવટી અનુભવ ધરાવતા નિનામાની રાજકારણમાં એન્ટ્રીથી વહીવટમાં વધુ પારદર્શિતા આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં જ્યારે ભાજપ અને અન્ય પક્ષો દ્વારા નવા અને શિક્ષિત ચહેરાઓને પ્રાધાન્ય આપવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, ત્યારે એક ઉચ્ચ પોલીસ અધિકારીની રાજકારણમાં એન્ટ્રી ખાસ ચર્ચાનો વિષય બની છે. જો ભાજપ તેમના નામ પર મહોર મારશે, તો સ્થાનિક સ્તરે રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. આગામી દિવસોમાં પક્ષ દ્વારા ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે, જેના પર હવે સૌની નજર ટકેલી છે.

ટિકિટ વિવાદે સુરત AAPમાં ભડકો, સહ કન્વીનરનું રાજીનામું

0

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં સુરત શહેરમાં આમ આદમી પાર્ટીમાં આંતરિક વિખવાદ ખુલ્લો પડી રહ્યો છે. ટિકિટ વહેંચણીને લઈને પક્ષની અંદર અસંતોષ વધતા, વોર્ડ નંબર-2ના સહ કન્વીનર અશોક બલરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

પક્ષની કાર્યપદ્ધતિ સામે નારાજગી વ્યક્ત કરી
મળતી માહિતી મુજબ, અશોક બલરે શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીને રાજીનામું સોંપ્યું છે. તેમણે પક્ષની કાર્યપદ્ધતિ સામે નારાજગી વ્યક્ત કરી છે. બલરે આરોપ લગાવ્યો છે કે પક્ષ પાયાના કાર્યકરોને અવગણે છે અને ટિકિટ વહેંચણીમાં યોગ્ય માપદંડો અપનાવવામાં આવતા નથી.

કાર્યકરોમાં અસંતોષ ફેલાયો
તેમણે વધુમાં જણાવ્યું કે કેટલાક વિસ્તારોમાં વિવાદાસ્પદ છબી ધરાવતા ઉમેદવારોને પસંદગી આપવામાં આવી રહી છે, જેના કારણે લાંબા સમયથી કામ કરતા કાર્યકરોમાં અસંતોષ ફેલાયો છે. આ ઘટનાએ પાર્ટીમાં આંતરિક ગૂંચવણને વધુ તેજ કરી છે.

ચૂંટણી નજીક આવતા આ પ્રકારના વિવાદો આપ માટે ચિંતાનો વિષય બની શકે છે. ખાસ કરીને કાર્યકરોમાં ઉદ્ભવતો અસંતોષ પાર્ટીના પ્રદર્શન પર અસર કરી શકે છે. હવે પાર્ટી નેતૃત્વ આ મુદ્દાને કેવી રીતે હેન્ડલ કરે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.

RBIનો નિર્ણય: રેપો રેટ યથાવત, હોમ લોન EMIમાં કોઈ રાહત નહીં

0

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર સંજય મલ્હોત્રાએ આજે ​​નાણાકીય વર્ષ 2026-27 માટે પ્રથમ નાણાકીય નીતિની જાહેરાત કરી, જેમાં રેપો રેટ 5.25 ટકા યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો.

RBI ગવર્નરે શું કહ્યું?
MPCએ પણ તેની પોલિસીને ‘તટસ્થ’ જાળવી રાખી છે, જેનો અર્થ એ કે બેંક ભવિષ્યના આર્થિક ડેટાના આધારે દર વધારવા અથવા ઘટાડવા માટે સ્વતંત્ર છે. ગવર્નરે કહ્યું કે, ‘વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ છતાં ભારતીય અર્થતંત્ર મજબૂત છે, પરંતુ ફુગાવા પર નજીકથી નજર રાખવા માટે હાલ માટે દરો યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.’

ફુગાવાના અંદાજો શું છે?
RBI ગવર્નર મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, ‘RBIની અપેક્ષા છે કે ઉચ્ચ ક્ષમતાના ઉપયોગને કારણે પ્રાઈવેટ સેક્ટરમાં રોકાણમાં તેજી બની રહશે.’ RBI ગવર્નરે વૃદ્ધિ પર હવામાનની અસરની જાણકારી આપતા કહ્યું કે, ‘અલ નિનો પરિસ્થિતિઓની સંભાવના જોખમી હોઈ શકે છે.’ RBIએ નાણાકીય વર્ષ 2026-27 માટે CPI ફુગાવો 4.6 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો છે. નાણાકીય વર્ષ 27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનો આર્થિક વિકાસ 6.9 ટકા રહેવાની આશા છે. RBIએ બીજા ત્રિમાસિક ગાળામાં GDP વૃદ્ધિ 6.8 ટકા અને ત્રીજા ત્રિમાસિક ગાળામાં 6.7 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે. અગાઉની MPC બેઠકમાં, ભારતીય રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ બે ત્રિમાસિક ગાળા માટે ભારતનો આર્થિક વિકાસ અનુક્રમે 6.9 ટકા અને 7 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું હતું.

અમરેલી જિલ્લામાં ફરી એક ભૂકંપના આંચકા, જાણો રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા

ભૌગોલિક સ્થિતિને કારણે ભૂકંપ માટે અત્યંત સંવેદનશીલ રાજ્ય ગણાતા ગુજરાતમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ વખતે અમરેલી જિલ્લાના મીતીયાળા પંથકમાં ભૂકંપના ઉપરાઉપરી આંચકાઓથી ફફડાટ વ્યાપી ગયો છે, જ્યાં ગત રાત્રીથી સવારના ૯ વાગ્યા સુધીમાં કુલ ૮ જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જો કે ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી વિભાગ દ્વારા માત્ર એક જ આંચકાની સત્તાવાર પૃષ્ટી કરવામાં આવી છે, જેનું કેન્દ્રબિંદુ અમરેલીથી ૪૩ કિલોમીટર દૂર વાંકિયા ગામ નજીક નોંધાયું હતું, જેની રિક્ટર સ્કેલ પર 3.3 તીવ્રતા નોંધાઈ હતી.

જો કે બીજી તરફ સવારના ૯ વાગ્યા સુધીમાં કુલ ૮ જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જેમાં સવારે ૪:૧૫ કલાકે ૧.૮, ૪:૧૬ કલાકે ૨.૩, ૪:૨૪ કલાકે ૧.૦, અને ૪:૫૭ કલાકે ૧.૪ની તીવ્રતાના આંચકા બાદ સવારે ૭:૦૦ વાગ્યે ૨.૨ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. આ શ્રેણીમાં સવારે ૭:૧૫ કલાકે ૩.૫૮ની તીવ્રતાનો સૌથી મોટો આંચકો અનુભવાયો હતો, ત્યારબાદ સવારે ૭:૫૧ અને ૮:૫૭ કલાકે ૧.૫ની તીવ્રતાના આંચકા આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સતત આવી રહેલા આ આંચકાઓને કારણે મીતીયાળા અને આસપાસના ગ્રામ્ય પંથકના લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

ચારેક દિવસ પહેલા નવસારીના વાંસદા પંથકમાં વહેલી સવારે 3.4ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. વહેલી સવારે 5:27 વાગ્યા આસપાસ અચાનક ધરા ધ્રૂજી ઉઠી હતી. ખાસ કરીને વાંસદાના જૂજ ડેમ નજીકના ગામોમાં ભૂકંપનો વધુ અનુભવ થયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા હતા. ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં જ નોંધાયેલો આ ભૂકંપનો 15મો આંચકા હતો.

રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતાનો અંદાજ કેવી રીતે લગાવી શકાય?

  • 0 થી 1.9: સીસ્મોગ્રાફથી મળતી માહિતી
  • 2 થી 2.9: ખૂબ જ ઓછું કંપન જાણવા મળે છે
  • 3 થી 3.9: એવું લાગે કે કોઈ ભારે વાહન પાસથી પસાર થયું
  • 4 થી 4.9: ઘરમાં રાખેલું સામાન તેની જગ્યાએથી નીચે પડી શકે
  • 5 થી 5.9: ભારે સામાન અને ફર્નિચર પણ હલી શકે
  • 6 થી 6.9: ઈમારતનો પાયો ફટી શકે
  • 7 થી 7.9: ઈમારતો તૂટી પડે
  • 8 થી 8.9: સુનામીનું જોખમ, વધુ વિનાશ
  • 9 અથવા વધુ: સૌથી ભયાનક વિનાશ, ધરતીનું કંપન સ્પષ્ટ અનુભવાય

દારૂ પીધેલી હાલતમાં ડ્રાઈવિંગ બદલ ડેવિડ વોર્નર મુશ્કેલીમાં, સિડનીમાં ધરપકડ

0

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ અને વિવાદાસ્પદ ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર ફરી એકવાર મેદાન બહારની હરકતોને કારણે મુશ્કેલીમાં મુકાયા છે. પાકિસ્તાન સુપર લીગ (PSL) 2026 માં કરાચી કિંગ્સની કેપ્ટનશીપ કરી રહેલા વોર્નર લીગમાંથી ટૂંકો બ્રેક લઈને પોતાના વતન સિડની પરત ફર્યા હતા, જ્યાં રવિવારે રાત્રે દારૂૂ પીને વાહન ચલાવવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી છે. આ સમાચાર વાયુવેગે ફેલાતા ક્રિકેટ ચાહકોમાં ભારે ચર્ચા જાગી છે. મળતી વિગતો મુજબ, આ ઘટના સિડનીના મારૌબા વિસ્તારમાં બની હતી.

ડેવિડ વોર્નર પોતાની કાર લઈને જઈ રહ્યા હતા ત્યારે સામે પોલીસનું ચેકિંગ જોઈને તેમણે સમયસૂચકતા વાપરી કાર સાઈડમાં પાર્ક કરી દીધી હતી. જોકે, સતર્ક પોલીસ અધિકારીઓએ શંકાના આધારે તેમની પાસે જઈને તપાસ કરી હતી.

પ્રાથમિક શ્વાસ પરીક્ષણમાં નિષ્ફળ ગયા બાદ વોર્નરની અટકાયત કરી તેમને મારૌબા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલા બ્લડ આલ્કોહોલ ટેસ્ટમાં ચોંકાવનારું રીડિંગ સામે આવ્યું છે. વોર્નરના લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ 0.104 નોંધાયું હતું, જે કાયદેસરની નિર્ધારિત મર્યાદા કરતા ઘણું વધારે છે.

પોલીસે તાત્કાલિક ધોરણે તેમની ધરપકડ કરી ગુનો નોંધ્યો હતો. જોકે, કાયદાકીય પ્રક્રિયા બાદ હાલ તેમને જામીન પર છોડવામાં આવ્યા છે, પરંતુ તેમની મુસીબત હજુ પૂરી થઈ નથી. તેમને મે 2026 માં સ્થાનિક કોર્ટમાં હાજર રહેવા માટે નોટિસ ફટકારવામાં આવી છે.

ઈરાન-અમેરિકા સીઝફાયરથી શેરબજાર અને સોનું-ચાંદીમાં તેજી જોરદાર તેજી

0

ઈરાન અને અમેરિકા વચ્ચે સીઝફાયરના અહેવાલ આવતા વૈશ્વિક સ્તરે સર્જાયેલી શાંતિની અસરે આજે ભારતીય શેરબજારમાં તોફાની તેજી જોવા મળી છે. આજે બુધવારે બજાર ખુલતાની સાથે જ રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જેના પરિણામે સેન્સેક્સ અને નિફ્ટીએ રેકોર્ડબ્રેક છલાંગ લગાવી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ નો સેન્સેક્સ 2700 પોઈન્ટથી વધુ ઉછળ્યો છે, જ્યારે નિફ્ટીએ પણ ઓપનિંગમાં જ 800 પોઈન્ટનો જોરદાર વધારો નોંધાવ્યો હતો. જયારે ક્રુડના ભાવમાં 19 ટકા સુધી ઘટાડો થયો હતો.

બુધવારે સવારે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ તેના અગાઉના બંધ 74,616.58 ની સામે સીધો 77,290 ના સ્તર પર પહોંચી ગયો હતો. માત્ર ગણતરીની સેક્ધડોમાં જ તેની ગતિ તેજ થઈ હતી અને તે 77,392 ના લેવલ પર ટ્રેડ કરતો જોવા મળ્યો હતો. બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જ ના નિફ્ટીએ પણ માર્કેટ ખુલતાની સાથે જ 800 અંકનો જંગી ઉછાળો લીધો હતો.

શેરબજારમાં આ ’ગ્રાન્ડ વેલકમ’ પાછળનું મુખ્ય કારણ અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલો બે અઠવાડિયાનો યુદ્ધવિરામ છે. છેલ્લા કેટલાક સમયથી અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતા ફેલાઈ હતી. જોકે, બે અઠવાડિયાના સીઝફાયરની સમજૂતી થતાં જ બજારમાંથી યુદ્ધનો ભય દૂર થયો છે. સેન્સેક્સ નિફ્ટીની સાથે બેંક નિફ્ટી પણ 2600 અંક અને મીડ કેપ નિફ્ટી પણ 1800 અંક વધી હતી.

આજે તમામ સેક્ટરના શેરમાં તેજી જોવા મળી હતી. ઈન્ડિગો શેર 10% વધ્યો હતો. આજે અદાણી,રિલાયન્સ, ઓઈલ કંપનીઓના શેરના ભાવ વધ્યા હતા જ્યારે તમામ બેંકના શેર પણ વધ્યા છે. આજે ડોલરની સામે ભારતનો રૂૂપિયો પણ વધુ 36 પૈસા સુધરતા આયાતકારોને ફાયદો થશે. ડોલર હાલ 92.64 પર જોવા મળી રહ્યો છે.

આ અચાનક આવેલી તેજીને કારણે શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં લાખો કરોડ રૂૂપિયાનો વધારો થયો છે. નિષ્ણાતોના મતે જો વૈશ્વિક સંકેતો આવા જ પોઝિટિવ રહ્યા તો બજારમાં હજુ પણ તેજી જોવા મળી શકે છે.

યુદ્ધ વિરામ ની જાહેરાતની સાથે સાથે ક્રૂડના ભાવમાં પણ મોટો કડાકો બોલી ગયો હતો. ગઈકાલે બ્રેન્ટ ક્રૂડ 109.87 ડોલર સુધી પહોંચ્યું હતું. જે આજે યુદ્ધ વિરામની જાહેરાતની સાથે જ એક સમયે 90 ડોલર સુધી આવી રહ્યું હતું. જોકે ત્યારબાદ ક્રૂડ થોડું વધ્યું હતું અને હાલ 94 ડોલર પર જોવા મળી રહ્યું છે. એટલે કે દિવસ દરમિયાન 14 થી 19 % નો ઘટાડો જોવા મળ્યો છે. ક્રૂડના ભાવ ઘટતા આવનારા દિવસોમાં અર્થ તંત્રને મોટી રાહત મળશે.

એશિયન દેશોના શેર માર્કેટમાં પણ શાનદાર તેજી
ભારતીય શેરબજાર આજે જોરદાર વધારા સાથે ખુલ્યા બાદ એશિયન માર્કેટમાં પણ ભારે તેજી જોવા મળી હતી. જાપાનના નીકેઇ સ્ટોક માર્કેટમાં પણ 2872 પોઇન્ટની તેજી જોવા મળી હતી એટલે કે જાપાનનુ સ્ટોક માર્કેટ 5.5 ટકા વધ્યું છે. બીજી બાજુ શાંઘાઇ, હેંગસેંગ, કોરીયાના સ્ટોક માર્કેટ પણ તેજી સાથે ખુલ્યા છે. હેંગસેંગ માર્કેટમાં 780 પોઇન્ટની તેજી, કોરીયાના માર્કેટમાં 7 ટકાની તેજી જોવા મળી છે. હજુ યુરોપીયન માર્કેટ બપોરે ખુલે ત્યારે તેમાં પણ તેજી જોવા મળશે. બીજી બાજુ સિંગાપુર નિફટીમાં પણ 850 પોઇન્ટની તેજી જોવા મળી હતી. એટલે કે સિંગાપુર માર્કેટમાં 4 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

સોનામાં 3500 અને ચાંદીમાં 12000નો વધારો
અમેરિકા અને ઈરાન વચ્ચે બે સપ્તાહના યુદ્ધવિરામના સમાચારની સાથે જ કિંમતી ધાતુઓમાં મોટી તેજી જોવા મળી છે. ખાસ કરીને ચાંદીના ભાવમાં આજે તોતિંગ ઉછાળો નોંધાયો છે. આંકડા મુજબ, ચાંદીનો ગત બંધ ભાવ ₹2,31,348 હતો. આજે બજાર ખુલતા જ તે ₹2,40,601 ના સ્તર પર ખૂલી હતી. સમાચાર લખવા સુધીમાં ચાંદીએ ₹2,44,770 ની હાઈ સપાટી વટાવી છે. હાલમાં ચાંદી ₹2,43,205 પર ટ્રેડ થઈ રહી છે, જે ગઈકાલની સરખામણીએ ₹11,857 (+5.13%) નો ધરખમ વધારો દર્શાવે છે. સોનાના ભાવમાં પણ આજે નોંધપાત્ર તેજી જોવા મળી છે. સોનાનો ગત બંધ ભાવ ₹1,50,289 હતો, જે આજે વધીને ₹1,53,550 પર ખૂલ્યો હતો. દિવસ દરમિયાન સોનાએ ₹1,53,944 ની ઊંચી સપાટી બનાવી છે. હાલમાં સોનું ₹1,53,382 પર ટ્રેડ કરી રહ્યું છે.રાજકોટમાં હાલ હાજર ભાવ સોનાનો 156100 અને ચાંદીનો ભાવ 251240 પર જોવા મળી રહ્યો છે.