Home Blog Page 125

લખતર હાઈવે લોહીલુહાણ: બેફામ ગતિએ આવતા ડમ્પરે પદયાત્રીઓને કચડતાં 7 લોકોના મોત

ગુજરાતના ધોરીમાર્ગો પર અકસ્માતોની શ્રેણી અટકવાનું નામ લેતી નથી. આજે વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે પર એક હૃદયદ્રાવક અકસ્માત બન્યો છે. લખતરના ભાસ્કરપરા ગામ નજીક બેફામ ગતિએ દોડતા ડમ્પરે પદયાત્રીઓના સંઘને કચડી નાખતા 7 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા, જ્યારે અંદાજે 4થી વધુ યાત્રિકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

લખતર-વિરમગામ હાઈવે પર છારદ અને ભાસ્કરપરા ગામ વચ્ચે આ ભયાનક અકસ્માત બન્યો હતો. રાજકોટથી મેરા જઈ રહેલા ભરવાડ સમાજના યાત્રાળુઓનો સંઘ પગપાળા જઈ રહ્યો હતો. તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવેલા ડમ્પરે તેમને અડફેટે લીધા હતા. આ ઘટનાથી હાઈવે પર ચીસો અને રડારડનો માહોલ સર્જાઈ ગયો હતો.

આ દુર્ઘટનામાં મસાભાઇ કરશનભાઈ મુંધવા, જાલુબેન મસાભાઇ મુંધવા, રાણીબેન મંગાભાઇ લાંબરીયા અને વજીબેન વીભાભાઇ મુંધવા સહિત કુલ 7 લોકોના જીવ ગયા હતા. મૃતકોમાં પાંચ મહિલાઓ અને બે પુરુષોનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતા જ લખતર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મૃતકો ભરવાડ સમાજના મુંધવા પરિવારના સભ્યો હતા, જે ધાર્મિક યાત્રા માટે રાજકોટથી નીકળ્યા હતા. આજે સવારે મંદિરે ધજા ચડાવવાની હતી, પરંતુ તે પહેલાં જ આ ગોઝારી દુર્ઘટનાએ આખા પરિવારને શોકમાં ગરકાવ કરી દીધો.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ડમ્પરે અંદાજે 10 જેટલા યાત્રિકોને અડફેટે લીધા હતા. અકસ્માતની તીવ્રતા એટલી ગંભીર હતી કે પદયાત્રીઓના શરીરો રસ્તા પર લોહીલુહાણ હાલતમાં વેરવિખેર થઈ ગયા હતા. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

અકસમાતની જાણ થતા ઇન્ચાર્જ એસપી વેદિકા બિહાની સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. મૃતદેહોને ટ્રેક્ટરની ટ્રોલી દ્વારા હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.

આ હૃદયદ્રાવક ઘટનાની જાણ થતાં ગેડીયાના મહંત લાલદાસ બાપુ અને ધારાસભ્ય પી.કે. પરમાર સહિતના સમાજના આગેવાનો પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. આ ગોઝારી દુર્ઘટનાએ સમગ્ર ભરવાડ સમાજમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.

શેરબજારમાં ભારે ધરાશાયી: સેન્સેક્સ 1600 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 23600ની નીચે સરક્યો

0

સોમવારે શરૂઆતના વેપારમાં સેન્સેક્સ 1,600 પોઈન્ટથી વધુ ઘટ્યો હતો, જ્યારે નિફ્ટી 23,600 ની નીચે આવી ગયો હતો. બેંકિંગ શેરોમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. શરૂઆતના વેપારમાં સેન્સેક્સ 75,939 ના ઇન્ટ્રાડે નીચા સ્તરે પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી 450 પોઈન્ટથી વધુ ઘટીને 23,600 ની નીચે સવારે 9:20 વાગ્યે બંધ થયો હતો. બજારની અસ્થિરતાને માપતો ભારતીય VIX 13% થી વધુ વધીને 21 ની ઉપર પહોંચ્યો હતો. શરૂઆતના વેપારમાં રૂપિયો 49 પૈસા ઘટીને 93.32 પર પહોંચી ગયો હતો.

શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ-નિફ્ટીની સ્થિતિ
સેન્સેક્સ
76,003.55
-1,546.70 (-1.99%)

નિફ્ટી
23,580.00
-470.60 (-1.96%)

યુએસ અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ અંગે શાંતિ વાટાઘાટો તૂટી ગયા પછી બજારમાં વ્યાપક વેચવાલીનો દબદબો રહ્યો. આના પરિણામે તમામ મુખ્ય ક્ષેત્રીય સૂચકાંકો લાલ રંગમાં ગબડ્યા. જાહેર ક્ષેત્રની બેંકો સૌથી વધુ નુકસાનમાં રહી, ત્યારબાદ બેંકિંગ, નાણાકીય અને તેલ અને ગેસ ક્ષેત્રોનો સમાવેશ થાય છે. દરમિયાન, વૈશ્વિક આર્થિક ચિંતાઓને કારણે રોકાણકારો દબાણ હેઠળ હોવાનું જણાયું. ફાર્મા અને આરોગ્યસંભાળ જેવા સલામત-હેવન ક્ષેત્રોમાં ઓછો ઘટાડો જોવા મળ્યો. એકંદર બજાર સેન્ટિમેન્ટ નબળું રહ્યું, જે જોખમ ટાળવા અને ઇક્વિટીમાં ક્ષેત્રીય નેતૃત્વના અભાવને પ્રતિબિંબિત કરે છે.

તેલના ભાવમાં વધારો
આ વિકાસ વચ્ચે, ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે અને બ્રેન્ટ ક્રૂડ $૧૦૩ પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે, જે વૈશ્વિક અર્થતંત્ર અને બજારો માટે એક નવી ચિંતા તરીકે ઉભરી આવ્યું છે.

આ નાકાબંધી મૂળભૂત રીતે ઇરાન પર સંભવિત નાકાબંધીના પ્રતિભાવમાં અમેરિકાનું પગલું છે, અને તેની ભવિષ્યની અસર સ્પષ્ટ નથી. તેમણે ઉમેર્યું કે આ પરિસ્થિતિ નાટકીય ભૂરાજકીય વિકાસ તરફ દોરી શકે છે, જેની સીધી અસર બજારો પર પડશે. તેમણે રોકાણકારોને સલાહ આપી કે આ અત્યંત અનિશ્ચિત વાતાવરણમાં રાહ જુઓ અને જુઓની વ્યૂહરચના અપનાવવી શ્રેષ્ઠ રહેશે.

સુરતમાં SOGની મોટી કાર્યવાહી: બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ કૌભાંડનો પર્દાફાશ

0

સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવતા કૌભાંડનો પર્દાફાશ થયો છે. SOG દ્વારા દરોડા પાડી નકલી લર્નિંગ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવતી ટોળકીને ઝડપી પાડવામાં આવી હતી.

7થી 10 હજાર વસૂલીને બનાવતા નકલી લાયસન્સ
તપાસ દરમિયાન સામે આવ્યું કે આ ટોળકી લોકો પાસેથી 7થી 10 હજાર રૂપિયા લઈ બોગસ લર્નિંગ લાયસન્સ બનાવી આપતી હતી. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ લાંબા સમયથી ચાલતી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પોલીસે 13 બોગસ લાયસન્સ જપ્ત કર્યા
પોલીસે કાર્યવાહી દરમિયાન કુલ 13 નકલી લર્નિંગ ડ્રાઇવિંગ લાયસન્સ જપ્ત કર્યા છે. સાથે જ આરોપીઓએ અત્યાર સુધીમાં 25થી વધુ બોગસ લાયસન્સ બનાવ્યાની કબૂલાત પણ કરી છે. પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.

સ્થાનિક ચૂંટણીમાં ભાજપનો શક્તિ પ્રદર્શન: ઢોલ-નગારા સાથે ભવ્ય રેલીમાં ઉમેદવારી નોંધણી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આજે સુરત જિલ્લાના બારડોલી વિસ્તારમાં ભાજપના ઉમેદવારો દ્વારા ઉત્સાહભેર ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. આ પ્રસંગે બારડોલી વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, જિલ્લા પ્રભારી ગૌતમભાઈ ગેડીયા અને બારડોલી નગર પ્રભારી ભાવેશભાઈ પટેલ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા.

બારડોલી નગર ભાજપ પ્રમુખ અનંતભાઈ જૈન, મહામંત્રી નિસર્ગભાઈ મહેતા, મુકેશભાઈ પટેલ તેમજ તાલુકા પ્રમુખ ડૉ. આનંદભાઈ પટેલ, મહામંત્રી જીતુભાઈ વાસીયા અને હિમાંશુભાઈ પટેલ સાથે મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.

ઢોલ-નગારા અને વાજતે ગાજતે નીકળેલી ભવ્ય રેલી વચ્ચે વિશાળ જનમેદની સાથે ઉમેદવારો બારડોલી નગર પાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે પોતાની ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા.

ઇનપુટ: તેજસ વશી.

કડોદરા નગર પાલિકા ચૂંટણી: ભાજપના ઉમેદવારોની ભવ્ય રેલી સાથે ઉમેદવારી નોંધણી

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી અંતર્ગત કડોદરા-ચલથાણ નગરમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ ભવ્ય રીતે ઉમેદવારી નોંધાવી. ઉમેદવારો સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ અકળામુખી હનુમાનજીના દર્શન કરીને શુભ શરૂઆત કરી હતી.

સુરત જિલ્લા મહામંત્રી અંકુરભાઈ દેસાઈ, કડોદરા નગર પ્રમુખ કિરણભાઈ પરમાર, મહામંત્રી હિતેશ દેસાઈ, કૃપાશંકર શુક્લા સહિતના આગેવાનો અને વિશાળ જનમેદની સાથે ડીજે અને ઢોલ-નગારા સાથે ભવ્ય રેલી કાઢવામાં આવી હતી. કડોદરા થી શરૂ થયેલી આ રેલી કામરેજ સેવાસદન સુધી પહોંચી, જ્યાં તમામ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

ઇનપુટ: તેજસ વશી.

માંડવી-અરેઠમાં ભાજપના ઉમેદવારોની ઉમેદવારી નોંધણી, ચૂંટણી જંગનો શંખનાદ

આજ રોજ માંડવી કચેરી ખાતે માંડવી અને અરેઠ તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયત માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

આ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવા જી, ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિજી, અરેઠ તાલુકા પ્રમુખ આતિશ ભાઈ,મહામંત્રી તથા કાર્યકર્તાઓ સમર્થકો ઉપસ્થિતિએ સમગ્ર વાતાવરણમાં જંગી ઉર્જા અને જીતનો વિશ્વાસ પ્રગટાવ્યો.

કાર્યકર્તાઓના જુસ્સા અને સંગઠનની શક્તિ સાથે હવે જીત નિશ્ચિત બની રહી છે. વિકાસના સંકલ્પ સાથે ભાજપ ફરી એકવાર જનતા નો આશીર્વાદ મેળવવા સજ્જ છે.

ઇનપુટ: તેજસ વશી.

ખાસ ક્ષણે પીએમ મોદી અને રાહુલ ગાંધી વચ્ચે લાંબી ચર્ચા: રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની મુલાકાત

0

ભારતીય લોકશાહીમાં શનિવારે સવારે એક સુંદર ક્ષણ જોવા મળી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ લગભગ બે મિનિટ સુધી એકબીજા સાથે વાત કરી. આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી, અને સોશિયલ મીડિયા પર લોકો તેને લોકશાહી શિષ્ટાચારનું પ્રતીક ગણાવી રહ્યા છે.

મહાત્મા જ્યોતિબા ફૂલેને શ્રદ્ધાંજલિ આપવા માટે દિલ્હીમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે દરમિયાન આ દ્રશ્ય સામે આવ્યું.

પીએમ મોદી અને રાહુલ ગાંધીએ વાત કરી
જ્યારે પીએમ મોદી તેમના કાફલા સાથે સંસદ સંકુલમાં પ્રેરણા સ્થળ પર પહોંચ્યા, ત્યારે રાહુલ ગાંધી લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડા, કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલ અને અન્ય કેન્દ્રીય મંત્રીઓ સાથે ઉભા હતા. બંનેએ એકબીજાનું સ્વાગત કર્યું અને લાંબી વાતચીત કરી હતી.

જ્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન ફૂલેને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા, ત્યારે અન્ય મંત્રીઓ અને અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું.

જ્યોતિબા ફૂલેને શ્રદ્ધાંજલિ
પીએમ મોદી અને રાહુલ ગાંધીએ પ્રખ્યાત સમાજ સુધારકને શ્રદ્ધાંજલિ આપી અને લાંબી વાતચીત કરી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ફૂલેને તેમની 200મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી, સમાનતા અને સામાજિક ન્યાય પ્રત્યેના તેમના જીવનભરના સમર્પણની પ્રશંસા કરી.

  • એક પોસ્ટમાં તેમણે કહ્યું “મહાન સમાજ સુધારક મહાત્મા ફુલેનું જીવન નૈતિક હિંમત, આત્મચિંતન અને સમાજના ભલા માટે અતૂટ સમર્પણનું પ્રેરણાદાયક ઉદાહરણ છે.”
  • રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે જ્યોતિબા ફુલેએ પોતાનું જીવન હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોના અધિકારોનું રક્ષણ કરવા માટે સમર્પિત કર્યું હતું.
  • રાહુલ ગાંધીએ કહ્યું કે ભેદભાવ અને અસમાનતા સામે જ્યોતિબા ફુલેના વિરોધથી દેશને ન્યાય અને સમાનતા તરફનો સ્પષ્ટ માર્ગ દેખાડ્યો.
  • રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે તેમના આદર્શો સામાજિક ન્યાય પ્રાપ્ત કરવાના પ્રયાસોને પ્રેરણા આપતા રહેશે.

નવસારી જિલ્લા પંચાયત ત્રણ બેઠકો પર ભાજપનો બિનહરીફ મળેલી સંભાવના

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે નવસારી જિલ્લામાં મતદાન પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ જીતની શરૂઆત કરી દીધી છે. જિલ્લા પંચાયતની કુલ 30 બેઠકોમાંથી 3 બેઠકો પર ભાજપે બિનહરીફ વિજય મેળવી પોતાનું ખાતું ખોલાવ્યું છે.

માત્ર નવસારી જિલ્લા પંચાયત જ નહીં, પરંતુ તાલુકા પંચાયત સ્તરે પણ ભાજપનો દબદબો જોવા મળ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગણદેવી તાલુકા પંચાયતની વિવિધ બેઠકો જેવી કે બિગરી-1, બિગરી-2, ભાઠા, અજરાઈ, માસા અને મટવાડ બેઠકો પર પણ ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. વિપક્ષી છાવણીમાં આ ગાબડું પડતા કાર્યકરોમાં સોપો પડી ગયો છે.

ગણદેવી અને ચીખલીમાં વિપક્ષ મેદાનમાં નહોતો
આ ત્રણેય બેઠકો ગણદેવી અને ચીખલી તાલુકાની છે. ગણદેવી તાલુકાની બે અને ચીખલી તાલુકાની એક બેઠક પર વિપક્ષી ઉમેદવારો મેદાનમાં નહોતા ઉતર્યા, જેના કારણે ભાજપના ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા.

આ ઉમેદવારો થયા બિનહરીફ વિજેતા
બિનહરીફ જીતનાર ઉમેદવારોમાં દેવસર બેઠક પરથી રેખાબેન બિપિનભાઈ પટેલ, બિગરી બેઠક પરથી ભીખુભાઈ અમરતભાઈ પટેલ અને ચીખલી તાલુકાની ઘેજ બેઠક પરથી પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અમિતાબેન પટેલનો સમાવેશ થાય છે.

10% બેઠકો જીતતા ભાજપમાં ખુશીનો માહોલ
જિલ્લા પંચાયતની કુલ 30 બેઠકોમાંથી 3 બેઠકો પર બિનહરીફ જીત મળતા ભાજપના કાર્યકરો અને નેતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ જીતની ખુશીમાં પાર્ટી આગેવાનો દ્વારા ફૂલહાર અને ફટાકડાં ફોડીને ઉજવણી કરવામાં આવી હતી.

તાલુકા પંચાયત

  • બીગરી-1 સીમાબેન સુરેશભાઈ ટંડેલ
  • બીગરી- 2 મહેશ કુમાર રમનલલાલ પટેલ
  • દેવસર- 2 પુસ્પબેન સુરેશભાઈ પટેલ
  • માસા– જયશ્રીબેન ભાવેશકુમાર પટેલ
  • ભાઠા– હીનાબેન પ્રજ્ઞેશભાઈ પટેલ
  • અજરાઇ– સંગીતબેન આશિષભાઈ દેશાઇ

જીલ્લા પંચાયત

  • રેખાબેન વિપીનભાઈ પટેલ
  • ભીખુભાઇ પટેલ

અમેરિકા-ઈરાન શાંતિ ચર્ચા પહેલા ભડક્યો તણાવ: લેબેનોન પર ઈઝરાયલનો હુમલો, 3ના મોત

0

એક તરફ પાકિસ્તાનના પાટનગર ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિની શરતો નક્કી કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક શરૂ થવાની તૈયારીમાં છે, બીજી તરફ ઈઝરાયલે દક્ષિણ લેબેનોનમાં હુમલા ચાલુ રાખીને તણાવ વધારી દીધો છે. શનિવારે સવારે દક્ષિણ લેબેનોનના મેફાદૌન કસબામાં એક રહેણાંક બિલ્ડિંગ પર થયેલા ઈઝરાયેલી હુમલામાં ૩ નાગરિકોના મોત નિપજ્યા છે.

સીઝફાયરમાં લેબેનોનનો મુદ્દો જ મોટો અવરોધ:
ઈરાનનો દાવો: બે અઠવાડિયાના કામચલાઉ યુદ્ધવિરામમાં લેબેનોનનો પણ સમાવેશ થાય છે, તેથી ઈઝરાયલે હુમલા રોકવા જોઈએ.

અમેરિકા-ઈઝરાયલનું વલણ: ડોનાલ્ડ ટ્રમ્પ અને બેન્જામિન નેતન્યાહૂ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે લેબેનોન આ સમજૂતીનો ભાગ નથી અને હિઝબુલ્લાહ વિરુદ્ધ તેમની કાર્યવાહી ચાલુ રહેશે.

પાકિસ્તાનમાં બેઠક પહેલા વિવાદ, યુદ્ધવિરામ થશે કે નહીં?
લેબેનોનમાં સતત થતા હુમલા ઈરાનને ઉશ્કેરી શકે છે, જેની સીધી અસર ઇસ્લામાબાદમાં ચાલી રહેલી વાતચીત પર પડી શકે છે. જો ઈરાન લેબેનોનના મુદ્દે મક્કમ રહેશે, તો કાયમી યુદ્ધવિરામની આશા ઠગારી નીવડી શકે છે.

અમૂલની ઐતિહાસિક સિદ્ધિ: ₹1 ટ્રિલિયન ટર્નઓવર પાર કરી રચ્યો નવો રેકોર્ડ

0

સોમવારે બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ મુજબ, અમૂલ ભારતની પ્રથમ ફાસ્ટ-મુવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (FMCG) કંપની બની છે જેણે નાણાકીય વર્ષ 26 માં આશરે 11 ટકાનો વધારો નોંધાવીને ₹1 ટ્રિલિયન ટર્નઓવરનો સીમાચિહ્ન પાર કર્યો છે.

બિઝનેસ સ્ટાન્ડર્ડ રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં મજબૂત પ્રદર્શન દ્વારા આ વૃદ્ધિને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. કંપનીએ યુરોપ અને યુનાઇટેડ સ્ટેટ્સ જેવા પ્રદેશોમાં તેના તાજા દૂધ ઉત્પાદનનો વિસ્તાર કર્યો અને નાણાકીય વર્ષના છેલ્લા છ માસમાં મજબૂત બે-અંકી વૃદ્ધિ નોંધાવી હતી.

બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ મુજબ, અમૂલના CEO જયેન મહેતાએ જણાવ્યું કે, આ સિધ્ધિ ભારતની વિતરણ કંપનીઓ પર ભાર આપવાના કારણે મળી છે. ખાસ કરીને નાના શહેરો જેની વસ્તી 5,000 થી વધુ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે કંપની ભવિષ્યમાં પણ આ બે-અંકી વૃદ્ધિ દર જાળવી રાખવાની અપેક્ષા રાખે છે.

બિઝનેસ સ્ટાન્ડર્ડે જણાવ્યું કે પ્રોટીન, પ્રોબાયોટિક અને ઓર્ગેનિક ઉત્પાદનો જેવી શ્રેણીઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીને ઉત્પાદન વૈવિધ્યકરણે પણ આ સફળતામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. છાશ અને પનીર સહિત મૂલ્યવર્ધિત ડેરી સેગમેન્ટમાં મજબૂત માંગ જોવા મળી હતી જેણે એકંદર વિસ્તરણમાં ફાળો આપ્યો હતો.

બિઝનેસ સ્ટાન્ડર્ડે એ વાત પર ભાર મુક્યો કે, આ અગ્રણી ડેરી કંપની હવે 50 થી વધુ દેશોમાં કાર્યરત છે અને તેની વૈશ્વિક વિસ્તરણ વ્યૂહરચના સક્રિયપણે અનુસરી રહી છે. કંપની આફ્રિકા અને દક્ષિણપૂર્વ એશિયામાં નવા બજારોને લક્ષ્ય બનાવી રહી છે અને એક વર્ષમાં લગભગ 10 વધારાના આંતરરાષ્ટ્રીય ભૌગોલિક સ્થળોએ પ્રવેશવાની યોજના ધરાવે છે.

જ્યારે અમૂલનું કુલ ટર્નઓવર ₹1 ટ્રિલિયનને વટાવી ગયું છે, ત્યારે તેની માર્કેટિંગ શાખા – ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) એ નાણાકીય વર્ષ 26 માટે ₹73,450 કરોડની આવક નોંધાવી છે, જે પાછલા વર્ષની સરખામણીમાં 11.4 ટકાનો વધારો દર્શાવે છે. અહેવાલ કરાયેલા આંકડાઓમાં આ વિસંગતતા સહકારી નેટવર્કના માળખામાંથી ઉદ્ભવે છે, જ્યાં અસંખ્ય પ્રાદેશિક ડેરીઓ અમૂલ બ્રાન્ડ હેઠળ ઉત્પાદનો વેચે છે, છતાં તેમની આવક GCMMF ના કુલ ટર્નઓવરમાં સંપૂર્ણપણે પ્રતિબિંબિત થતી નથી. વધુમાં, ગુજરાતમાં પશુધનના ચારાનું વેચાણ જેવા કેટલાક ઘટકો અમૂલના કુલ ટર્નઓવરમાં શામેલ છે પરંતુ GCMMF ના અહેવાલ કરાયેલા આંકડાઓમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.

કંપનીએ તેની વૃદ્ધિ માટે તેના 1,200 થી વધુ ઉત્પાદનોના વ્યાપક પોર્ટફોલિયો, એક મજબૂત વિતરણ નેટવર્ક અને બદલાતા ગ્રાહક વલણોને અનુકૂલન કરવાની ક્ષમતાને શ્રેય આપ્યો છે. 18 જિલ્લા યુનિયનોથી બનેલું તેનું સહકારી માળખું, સ્થાનિક વ્યુહરચના અને મજબૂત બ્રાન્ડ ઓળખ દ્વારા તેની અગ્રણી બજાર સ્થિતિ જાળવી રાખવામાં મદદ કરે છે.

બિઝનેસ સ્ટાન્ડર્ડ મુજબ, અશોકભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આ સિદ્ધિ લાખો ગ્રાહકોના વિશ્વાસ અને 3.6 મિલિયનથી વધુ ડેરી ખેડૂતોના યોગદાનને દર્શાવે છે, જ્યારે ગોરધનભાઈ ધામેલીયાએ તેને સહકારી મોડેલની મજબૂતાઈ અને માપનીયતાના પુરાવા તરીકે બિરદાવ્યું હતું.

મહેતાએ વધુમાં ઉમેર્યું હતું કે, કંપનીનો વિસ્તરણ ફક્ત સ્કેલ પૂરતો મર્યાદિત નથી. તેના બદલે, તે વૈશ્વિક અર્થતંત્રમાં ખેડૂત-માલિકીની સંસ્થાઓની સંભાવનાને ફરીથી વ્યાખ્યાયિત કરવા અને તકનીકી અને વ્યાપારી લાભો સીધા ઉત્પાદકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા વિશે પણ છે.