કલમ 370 હટાવ્યા બાદ ઓમર અબ્દુલ્લાએ આજે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. આ ઉપરાંત સુરેન્દ્ર ચૌધરીએ જમ્મુ-કાશ્મીરના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ શ્રીનગરમાં શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે ઓમર અને તેમના મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.

શેર એ કાશ્મીર ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરમાં આ કાર્યક્રમ યોજાયો હતો. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ આ કાર્યક્રમમાં જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ પહેલા એવા અહેવાલ સામે આવ્યા હતા કે કોંગ્રેસ નેશનલ કોન્ફરન્સની સરકારને બહારથી ટેકો કરશે. તેમનો કોઈ નેતા મંત્રી પદ ગ્રહણ નહીં કરે. જેના પર ઓમર અબ્દુલ્લાહનું રિએક્શન સામે આવ્યું હતું અને તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ અને અમારી વચ્ચે બધું બરાબર છે, કોઈ ગરબડ નથી.
નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લા પ્રથમ વખત કેન્દ્રશાસિત પ્રદેશ અને બીજી વખત જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી બન્યા છે. આ અવસર પર INDIA ગઠબંધને તાકાતનું પ્રદર્શન કર્યું. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, NCP ના શરદ જૂથમાંથી સુપ્રિયા સુલે, PDP પ્રમુખ મહેબૂબા મુફ્તી, CPI ના ડી રાજા અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહ્યા હતા.
આ પણ વાંચો :-