જનતા દળ યુનાઈટેડની કાર્યકારિણીની બેઠકમાં કેન્દ્ર સમક્ષ મોટી માંગ કરવામાં આવી છે. નીતિશ કુમારની આગેવાનીમાં મળેલી બેઠકમાં બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરવામાં આવી છે. નીતિશ કુમારની આ માગણીને પગલે કેન્દ્રની એનડીએ સરકારમાં ખેલા થવાની શરૂઆત થઈ શકે છે કેમ કે બિહાર બાદ આંધ્રપ્રદેશ પણ આ માગણી ઉઠાવી શકે છે. જેડીયુની આજની આ બેઠક નવી દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબમાં યોજાઈ હતી જેમાં સંજય ઝાને JDUના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
માહિતી અનુસાર મુખ્યમંત્રી અને જેડીયુના પ્રમુખ નીતિશ કુમારે ખુદ સંજય ઝાને કાર્યકારી અધ્યક્ષ બનાવવાની જાહેરાત કરી છે. નીતિશ કુમારે આ નિર્ણય દિલ્હીની કોન્સ્ટિયુશન ક્લબમાં આયોજિત પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં લીધો હતો. આ બેઠકમાં પાર્ટીના વરિષ્ઠ નેતા અનેક મહત્ત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી.
કારોબારી બેઠકમાં પસાર કરાયેલા ઠરાવમાં બિહાર રાજ્યની અનામત બચાવવાની પણ વાત કરવામાં આવી છે. તાજેતરમાં રાજ્યમાં અનામત મર્યાદા વધારીને ૬૫ ટકા કરવામાં આવી હતી. જેડીયુના પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે આ ક્વોટાને બંધારણની નવમી અનુસૂચિમાં સામેલ કરવામાં આવે જેથી તેને ન્યાયિક તપાસથી સુરક્ષિત કરી શકાય અને તેને લાગુ કરવામાં કોઈ મુશ્કેલી ન આવે.
બંધારણમાં કોઈ પણ રાજ્યને વિશેષ રાજ્ય બનાવવાની જોગવાઈ નથી. જો કે, ૧૯૬૯ માં ગાડગીલ સમિતિની ભલામણો હેઠળ વિશેષ રાજ્યનો વિચાર અસ્તિત્વમાં આવ્યો. જમ્મુ અને કાશ્મીર, નાગાલેન્ડ અને આસામને ૧૯૬૯માં વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો. આ શ્રેણીમાં આવતા રાજ્યોને કેન્દ્ર સરકાર તરફથી સહાય અને કર મુક્તિમાં પ્રાથમિકતા આપવામાં આવે છે. એક્સાઈઝ ડ્યુટીમાં વિશેષ મુક્તિની જોગવાઈ પણ કરવામાં આવી છે. આ દરજ્જો એવા રાજ્યોને આપવામાં આવે છે જેમની ભૌગોલિક પરિસ્થિતિ મુશ્કેલ હોય, વસ્તીની ગીચતા ઓછી હોય, આંતરરાષ્ટ્રીય સરહદની નજીક હોય, પછાત હોય અથવા ગરીબ હોય. હાલમાં ભારતમાં ૧૧ રાજ્યોને આ દરજ્જો મળ્યો છે. જેમાં આસામ, નાગાલેન્ડ, મણિપુર, તેલંગાણા, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, સિક્કિમ અને મેઘાલયનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો :-