રાજકોટમાં 16 માર્ચની રાત્રે 10થી 11 વાગ્યાની વચ્ચે શહેરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ફુલ સ્પીડે આવતી કારે રસ્તે જતાં ત્રણ જેટલા વાહનચાલકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં એક્ટિવા લઈને પેટ્રોલ પુરાવવા જતાં દૂધની ડેરીના માલિક 69 વર્ષીય પ્રફુલભાઈ ઉનડકટને ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે જ તેઓનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બાઈક પર કાકા આયુષ ડોબરિયા સાથે જતી 12 વર્ષની દીકરીને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેને હેમરેજ થયાનું તબીબોએ જણાવ્યું હતું.
રાજકોટમાં મોડી રાત્રે મવડી મેઇન રોડ ઉપર કાળભૈરવ દાદાના મંદિર પાસે ભારત પેટ્રોલપંપ નજીક ઋત્વિચ પટોળીયા નામના યુવકે અકસ્માત સર્જયો હતો. અકસ્માતને નજરે જોનાર લોકોના જણાવ્યા મુજબ, કારની સ્પીડ 100થી 120 હતી. આ સાથે કારચાલક યુવકે નશો કર્યો હોવાની ચર્ચા થઈ રહી હતી. જો કે આ ઘટના બાદ માલવિયાનગર પોલીસે કાર ચાલકની અટકાયત કરી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. દરમિયાન પોલીસે આરોપી ડ્રાઇવર ઋત્વિચ રમેશભાઇ પટોળિયા અને તેની સાથેના ધ્રુવ ધર્મેશભાઈ કોટકને પોલીસ મથકે લાવી પૂછપરછ કરી હતી. અકસ્માત સર્જનાર કાર કિયા કંપનીની છે અને તેનો નંબર GJ01 KX 5080 છે.
આ ઘટનાની જાણ તાત્કાલિક માલવિયાનગર પોલીસને કરતા બંનેની અટકાયત કરી હતી. અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. અગાઉ રાજકોટના 150ના રિંગ રોડ પર મોડી રાત્રે કાર ચાલકે 3 કાર સાથે એક બાળકીને અડફેટે લેતાં મોટો અકસ્માત સર્જાયો હતો. કાર ચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો, સ્થાનિકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. એમ્બ્યુલન્સ અને સ્થાનિક પોલીસને જાણ કરી દેવાઈ હતી. કારની ટક્કરથી અન્ય બે કારના બોનેટ તૂટી ગયા હતા. કાર ચાલકોને પણ નાની મોટી ઇજા થઈ હતી જ્યારે એક બાળકી આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાઈ હતી.