સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ખાનગી સોસાયટીઓની ડ્રેનેજ લાઇન ચોકઅપ હોવાની અનેક ફરિયાદ આવી રહી છે. આ સોસાયટીઓમાં ડ્રેનેજ લાઈન ૩૦ થી ૩૫ વર્ષ જૂની હોવાથી જર્જરિત થતાં આવી ફરિયાદોમાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે આવી લાઇન બદલવા માટે ઝોન અને ડ્રેનેજ વિભાગ દ્વારા સર્વે કરવામા આવી રહ્યો છે. હાલમાં સેન્ટ્રલ ઝોનમાં એક સોસાયટીમાં વિસ્માત થયેલી ડ્રેનેજ લાઈન બદલવામાં આવી છે. અને આગામી દિવસોમાં સુરત શહેરમાંથી ૫૦ જેટલી સોસાયટીઓમાં વિસ્માત થયેલી ડ્રેનેજ લાઇન બદલવા માટે આયોજન કરવામાં આવ્યું છે.
સુરતના કોટ વિસ્તાર અને કતારગામ-રાંદેર અને અઠવા ઝોન સહિત અન્ય ઝોનમાં કેટલીક સોસાયટીઓમાં ૩૦ થી ૩૫ વર્ષ જુની ડ્રેનેજ લાઈન છે તેને બદલવા માટે અરજીઓ આવી છે તે અરજીઓ પર ઝોનના ડ્રેનેજ વિભાગ અને મધ્યસ્થ ડ્રેનેજ વિભાગ દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ માટે કન્સલ્ટન્ટ પાસે સર્વે કરાવીને મધ્યસ્થ ડ્રેનેજ વિભાગ દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શન હેઠળ ડ્રેનેજ લાઈન બદલવામાં આવશે. વિસ્માત થયેલી ડ્રેનેજ લાઇન બદલવા માટેની નીતિ હાલ અમલમાં છે તેના આધારે સેન્ટ્રલ ઝોનના વોર્ડ નંબર ૪ માં આવેલી એક સોસાયટીમાં ૩૫ વર્ષ જૂની ડ્રેનેજ લાઈન બદલવામાં આવી છે.
સુરત શહેરમાં વર્ષો જુના ડ્રેનેજ નેટવર્ક ધરાવતા સેન્ટ્રલ અને કતારગામ ઝોનમાં ડ્રેનેજ નેટવર્ક અપગ્રેડ કરવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. તેના આધારે આ વિસ્તારોમાં ડ્રેનેજ નેટવર્ક અપગ્રેડ કરવાની કામગીરી પણ ચાલી રહી છે. આ કામગીરી સાથે સાથે સેન્ટ્રલ અને કતારગામ ઝોન વિસ્તારમાં કેટલીક સોસાયટીઓ દ્વારા વર્ષો જૂની જર્જરિત થઈ ગયેલી ડ્રેનેજ લાઈનને બદલે નવી લાઈન નાખવા માટેની અરજી પણ આવી હતી.
તાજેતરમાં સેન્ટ્રલ ઝોનના વોર્ડ નંબર ૪માં આવેલી એક સોસાયટીમાં ૩૫ વર્ષ જૂની ડ્રેનેજ લાઈન બદલવામાં આવી છે. તે ઉપરાંત અઠવા ઝોનમાં ૧૪, રાંદેર ઝોનમાં ૨૨ અને ઉધના એ ઝોનમાં ૨, લિંબાયત ઝોનમાં ૧૨ સહિત ૫૦ જેટલી ખાનગી સોસાયટીઓમાં જર્જરિત થયેલી લાઇન બદલવા માટે આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો :-