જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં અત્યાર સુધી 26 લોકોના મોત નિપજ્યાં છે. જેમાં 25 પર્યટકો અને 1 સ્થાનિકનો સમાવેશ થાય છે. આ દુર્ઘટનામાં 13 લોકો ઘાયલ થયા છે. હાલ સમગ્ર દેશમાં ભારે આક્રોશની સ્થિતિ છે. આ હુમલામાં 2 વિદેશી નાગરિકોનાં પણ મોત નિપજ્યાં છે. મોરારી બાપુએ માનસ શ્રીનગર નામની પોતાની કથાને 5 માં દિવસે જ સમાપન કર્યું હતું. તેમણે મૃતકોને શ્રદ્ધાંજલી આપ્યા બાદ પોતાની કથા અહીં જ પુર્ણ થઇ રહી છે તેવી જાહેરાત કરી હતી.
કથાકાર મોરારીબાપુએ જણાવ્યું કે, જે લોકો આ હુમલાનો ભોગ બન્યા છે,
તેમાંથી કેટલાક તેમની કથા સાંભળવા માટે આવી રહ્યા હતા. કથા સ્થળ પર પહોંચે તે પહેલા જ તેઓ આ દુર્ઘટનાનો શિકાર બન્યા, જે વાતથી તેઓ અત્યંત વ્યથિત છે. તેમણે મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને તેમના પરિવારજનો પ્રત્યે સાંત્વના પાઠવી.
વધુમાં બાપુએ કહ્યું કે, આ હુમલો અત્યંત દુઃખદ અને નિંદનીય છે. આવી હિંસાથી માનવતાને ભારે નુકસાન થાય છે. તેમણે ઘાયલ થયેલા લોકોને જલ્દી સ્વસ્થ થવાની કામના પણ કરી છે. મોરારીબાપુનો આ દુઃખ વ્યક્ત કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેમની સંવેદના સ્પષ્ટપણે જોઈ શકાય છે.