Wednesday, Mar 25, 2026

મહા પૂર્ણિમાના અવસર પર ઉમટ્યા કરોડો શ્રદ્ધાળુઓ, મહાકુંભ સંગમમાં લગાવી ડૂબકી

3 Min Read

આજે માઘ પૂર્ણિમા છે. આ દિવસે નદીમાં સ્નાન કરવાનું અનેરુ મહત્વ છે. તેમાં પણ મહાકુંભ ચાલી રહ્યો છે. ત્યારે આજે અમૃત સ્નાનને લઈને આજે દેશભરમાંથી લોકો ઉમટ્યા છે. પ્રયાગરાજમાં જબરદસ્ત ભીડ છે. સંગમ તટથી 10 કિમી સુધી નજર પહોંચે ત્યાં શ્રદ્ધાળુઓ જ જોવા મળી રહ્યા છે. અત્યાર સુધી મહાકુંભમાં 45 કરોડ શ્રદ્ધાળુઓ આવી પહોંચ્યા છે. જ્યારે આજના દિવસે જ 1.30 કરોડ લોકોએ આસ્થાની ડૂબકી લગાવી છે. અનુમાન છે કે આજે 2.5 કરોડ શ્રદ્ધાળુઓ મહાકુંભમાં સ્નાન કરી શકે છે.

આજે માઘ પૂર્ણિમાના અમૃત સ્નાનને લઇને શ્રદ્ધાળુઓ પર હેલિકોપ્ટર દ્વારા 25 ક્વિન્ટલ કુલ વરસાવવામાં આવ્યા. પ્રયાગરાજ તરફ જતા રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ બાદ ટ્રાફિક પ્લાનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શહેરમાં વાહનોનો પ્રવેશ બંધ કરી દેવાયો છે. મહાકુંભ મેળા ક્ષેત્રમાં પણ કોઈ વાહન ચાલશે નહીં. આવી સ્થિતિમાં ભક્તોને સંગમ પહોંચવા માટે 8 થી 10 કિમી ચાલીને જવું પડે છે. વહીવટીતંત્ર પાર્કિંગમાંથી શટલ બસો ચલાવી રહ્યું છે. પરંતુ તે મર્યાદિત છે.

સંગમ ખાતે અર્ધલશ્કરી દળના જવાનો તૈનાત છે. ભીડ ન વધે તે માટે લોકોને ત્યાં રોકાવાની મંજૂરી નથી. મોટાભાગના લોકોને સ્નાન માટે અન્ય ઘાટ પર મોકલવામાં આવી રહ્યા છે. પહેલી વાર, ભીડને નિયંત્રિત કરવા માટે 15 જિલ્લાના ડીએમ. 20 આઈએએસ અને 85 પીસીએસ અધિકારીઓને મેળામાં તૈનાત કરવામાં આવ્યા છે.

સીએમ યોગીએ પાંચમા અમૃત સ્નાન નિમિત્તે સંગમ કિનારે પહોંચેલા ભક્તો અને રાજ્યના લોકોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, પવિત્ર સ્નાન પર્વ મહા પૂર્ણિમાની રાજ્યના તમામ ભક્તો અને લોકોને હાર્દિક શુભકામનાઓ! આજે પ્રયાગરાજમાં મહાકુંભ-2025માં સંગમમાં પવિત્ર સ્નાન કરવા આવેલા તમામ પૂજ્ય સંતો, ધાર્મિક નેતાઓ, કલ્પવાસીઓ અને ભક્તોને હાર્દિક શુભેચ્છાઓ! ભગવાન શ્રી હરિ ની કૃપાથી દરેકનું જીવન સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યથી ભરેલું રહે. માતા ગંગા, માતા યમુના અને માતા સરસ્વતી બધાની મનોકામના પૂર્ણ કરે, આ કામના છે.

પ્રયાગરાજ મહાકુંભમાં અમૃત સ્નાન માટે ભક્તોની ભીડ ઉમટી પડી છે. વહીવટીતંત્રે અમૃત સ્નાન માટે વિસ્તૃત વ્યવસ્થા કરી છે. સીએમ યોગી પોતે સવારે 4 વાગ્યાથી માઘ પૂર્ણિમાના સ્નાનનું નિરીક્ષણ કરી રહ્યા છે. ઉપરાંત, ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને, મેળા વહીવટીતંત્રે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે અને સમગ્ર પ્રયાગરાજ શહેરને નો વ્હીકલ ઝોન જાહેર કર્યું છે. મહાકુંભ દરમિયાન માઘ પૂર્ણિમા નિમિત્તે અત્યાર સુધીમાં 73 લાખથી વધુ ભક્તોએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી છે, જેમાં 10 લાખથી વધુ કલ્પવાસીઓનો પણ સમાવેશ થાય છે.

Share This Article