જમ્મુ-કાશ્મીરમાં થયેલા ભૂસ્ખલનને લીધે ઘણા ગુજરાતી પ્રવાસી ફસાયા હોવાની માહિતી મળી છે. મળતી માહિતી મુજબ 50 કરતા વધારે પ્રવાસી ભરેલી બસ જમ્મુ-કાશ્મીર વિસ્તારમાં ફસાયેલી હોવાનું જાણવા મળ્યું છે. જેમાંથી 30 મુસાફરો ગાંધીનગર અને 20 પાલનપુરના છે. પ્રાથમિક માહિતી મુજબ તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં ભૂસ્ખલન બાદ અનેક વાહનો ફસાયા છે જેમાં ગુજરાતની એક બસ ફસાઈ ગઈ છે. બસના મુસાફરો શ્રીનગરથી પરત ફરી રહ્યા હતા ત્યારે ખરાબ હવામાનના કારણે બસ રામબન જિલ્લામાં અટવાઈ ગઈ છે. બનાસકાંઠાના કલેક્ટર દ્વારા રામબનના કલેક્ટર અને બસમાં હાજર મુસાફર સાથે સીધી વાતચીત કરવામાં આવી છે. રામબન જિલ્લા પ્રશાસનની ટીમ બચાવ કામગીરી માટે સ્થળ પર પહોંચી રહી છે. કૉંગ્રેસના વિધાનસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પણ સ્થાનિક અધિકારીઓ સાથે વાત કરી હતી અને તમામ પ્રવાસીઓ સુરક્ષિત હોવાનું જણાવ્યું હતું .