આંધ્રપ્રદેશના માર્કપુર જિલ્લામાં રાયવરમ નજીક ગુરુવારે વહેલી સવારે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. સ્લેબ ખાણો નજીક એક ખાનગી સ્લીપર બસ અને ટિપર લારી વચ્ચે જોરદાર ટક્કર થતાં બસમાં આગ ભભૂકી ઉઠી હતી, જેના કારણે 14 લોકોના કરૂણ મોત થયા હોવાનું જાણવા મળે છે, જ્યારે અનેક મુસાફરો ઘાયલ થયા છે.
માર્કપુરમના ડીએસપી હર્ષવર્ધન રાજુના જણાવ્યા મુજબ, બસ જાગિત્યાલાથી કાલિગિરી તરફ જઈ રહી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસમાં તરત જ આગ લાગી અને થોડી જ વારમાં બસ સંપૂર્ણપણે બળી ને ખાક થઈ ગઈ. પ્રાથમિક માહિતી મુજબ ઘણા મુસાફરો જીવતા જ સળગી ગયા હોવાની આશંકા છે.
ઘટનાની જાણ થતા જ પોલીસ અને રાહત-બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતદેહોની ઓળખ માટે પ્રયત્નો ચાલુ છે.
આ દુર્ઘટનાને લઈને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે અધિકારીઓ સાથે વાતચીત કરીને ઘટનાની સંપૂર્ણ માહિતી મેળવી અને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર આપવાની સાથે અકસ્માતના કારણોની વિગતવાર તપાસ કરવા નિર્દેશ આપ્યો છે.
પોલીસ મુજબ, હરિકૃષ્ણ ટ્રાવેલ્સની આ બસ તેલંગાણાના નિર્મલથી નેલ્લોર જઈ રહી હતી. હાલ પોલીસ સમગ્ર ઘટનાની તપાસમાં લાગી છે અને અકસ્માતના ચોક્કસ કારણો જાણવા પ્રયાસો ચાલી રહ્યા છે.