ગુજરાતની ઔદ્યોગિક રાજધાની સુરત શહેરમાં નવા વર્ષની શરૂઆત સાથે જ ભક્તિ અને આધ્યાત્મિકતાનો અદભૂત સંગમ સર્જવા જઈ રહ્યો છે. સુરતના પલસાણામાં આગામી 4 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી દરમિયાન મોટી શિવ મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ડાયમંડ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક-4 ખાતે આયોજિત આ કથામાં પ્રખ્યાત કથાવચક પંડિત પ્રદીપ મિશ્રા (સિહોરવાળા) દ્વારા શ્રી શિવમહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશ-વિદેશમાંથી લાખો ભક્તો ઉમટીવાની શક્યતા છે.
પંડિત પ્રદીપ મિશ્રાની કથા માત્ર ધાર્મિક આસ્થા પૂરતી સીમિત નથી, પરંતુ તે જીવનમાં સકારાત્મકતા અને સંસ્કારનો સંદેશ આપે છે. તેમની શિવ મહાપુરાણ કથામાં હંમેશા વિશાળ સંખ્યામાં ભક્તો હાજરી આપે છે અને ભક્તિરસમાં તણાઈ જાય છે. સુરતમાં પણ ભક્તોની સુવિધા માટે વિશાળ પંડાલ, સુવ્યવસ્થિત પાર્કિંગ તેમજ નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. કથા સ્થળ બારડોલી રેલવે સ્ટેશનથી માત્ર 3 કિલોમીટરના અંતરે આવેલું છે.
ભક્તિ સાથે પર્યાવરણનો સંદેશ: ‘હરિત શિવરાત્રિ’
આ શિવ મહાપુરાણ કથાની વિશેષતા એ છે કે તેમાં ધાર્મિક અનુષ્ઠાન સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપવામાં આવશે. પંડિત પ્રદીપ મિશ્રાના માર્ગદર્શન હેઠળ ભક્તોને ‘હરિત શિવરાત્રિ’નો સંકલ્પ અપાવવામાં આવશે. આ અભિયાન અંતર્ગત પ્રદૂષણ ઘટાડવા અને પ્રકૃતિના સંરક્ષણ માટે દરેક પરિવારને 12 જ્યોતિર્લિંગોના પ્રતિકરૂપે 12 વૃક્ષો રોપવાનો સંકલ્પ કરાવવામાં આવશે.
શ્રી શિવ મહાપુરાણ કથામાં “દરેક વૃક્ષમાં જીવ છે અને દરેક જીવમાં શિવ છે” જેવા ગહન વિચાર દ્વારા ભક્તોને પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલ બનવાનો સંદેશ આપવામાં આવશે. સાથે સાથે અરાવલી પર્વતમાળા જેવી પ્રાચીન કુદરતી ધરોહરોના સંરક્ષણ પર પણ વિશેષ પ્રકાશ પાડવામાં આવશે. “વૃક્ષ લગાવો, શિવને પાવો”ના નારા સાથે ભક્તોને પ્રકૃતિ રક્ષા માટે પ્રેરિત કરવામાં આવશે.