Wednesday, Mar 4, 2026

કેજરીવાલ-સંજયસિંહને ગુજરાત હાઇકોર્ટમાંથી ઝટકો, PMની ડિગ્રી મામલે માનહાનિ કેસ ચાલશે

3 Min Read

કેજરીવાલ અને સંજયસિંહને ગુજરાત હાઇકોર્ટમાંથી ઝટકો મળ્યો છે. PMની ડિગ્રી અંગે કરેલી ટિપ્પણીના કેસમાંથી અલગ કરવાની કેજરીવાલની અરજી હાઇકોર્ટે ફગાવી છે. હવે હાઈકોર્ટના ટ્રાયલ બાદ કેસ આગળ વધારાશે. સાંસદ સંજયસિંહે કરેલી અરજી પણ ફગાવી દેવાઈ છે.

અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અરવિંદ કેજરીવાલ તથા સાંસદ સંજયસિંહની અરજીઓ નામંજૂર કરી હતી. જેની સામે તેઓ ગુજરાત હાઇકોર્ટમાં અપીલમાં પહોંચ્યા હતા. કોર્ટે બંને પક્ષોને સાંભળીને ચુકાદો અનામત રાખ્યો હતો. મૂળ આ કેસમાં તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી અંગે 2023માં કરેલા નિવેદનોને લઈ ગુજરાત યુનિવર્સિટીએ દાખલ કરેલા માનહાનિના કેસમાં રાહત માંગી હતી.

અમદાવાદ મેજિસ્ટ્રેટ કોર્ટ બંને રાજકારણીઓ સામેના ફોજદારી માનહાનિના કેસની કાર્યવાહી ચલાવી રહી હોવાથી, કેજરીવાલે પોતાની ટ્રાયલ સંજયસિંહની ટ્રાયલથી અલગ કરવાની અરજી કરી હતી. તેમનો દાવો હતો કે તેમની ઉપર કાવતરું અથવા સામાન્ય ગુનાહિત ઇરાદાને આગળ વધારવાનો કોઈ આરોપ નથી, તેથી કોર્ટએ તેમની ટ્રાયલ સિંહની ટ્રાયલથી અલગ કરવી જોઈએ.

સંજય સિંહે પોતાની ગેરહાજરીમાં પરંતુ પોતાના વકીલોના નિર્દેશ મુજબ પોતે નિર્દોષ હોવાનો દાવો નોંધાવતા, ક્રિમિનલ પ્રોસિજર કોડ (CrPC)ની કલમ 251 હેઠળ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા તેમના વકીલની હાજરીમાં તેમની પ્લી નોંધવાના નિર્ણયને પડકાર્યો હતો. તેમણે આ નિર્ણયને અયોગ્ય ગણાવી રદ કરવાની માંગ કરી હતી. મેજિસ્ટ્રેટ કોર્ટે બંને રાજકારણીઓની અરજીઓ નામંજૂર કરી હતી, જેને લઈને તેમણે નીચલી કોર્ટના આદેશોને પડકાર્યા હતા. ગુજરાત યુનિવર્સિટીના વકીલ અમિત નાયરે બંને અરજીઓનો કડક વિરોધ કર્યો હતો. કેજરીવાલની અરજીની સુનાવણી બાદ વધારાના સેશન જજ એમ. પી. પુરોહિતે કેજરીવાલની ટ્રાયલ અલગ કરવાની માગણી નામંજૂર કરી હતી.

ગુજરાત યુનિ.એ 2023માં માનહાનિની ફરિયાદ દાખલ કરી હતી કોર્ટે કહ્યું હતું કે એવું લાગે છે કે બંને એક જ ઘટનાક્રમમાં સામેલ હતા, જે એક સામાન્ય હેતુથી પ્રેરિત છે અને તેમની કાર્યવાહીમાં સતતતા છે. તેમણે માનહાનિકારક ભાષાનો ઉપયોગ કર્યો છે અને સંબંધિત ઘટનાક્રમ દરમિયાન એક વિડિયો પણ અપલોડ કર્યો છે. તેથી પ્રાથમિક દૃષ્ટિએ, CrPCની કલમ 223ની ઉપકલમ (a)ની જોગવાઈ હાલના કેસના તથ્યો પર લાગુ પડે છે. સંજયસિંહની અરજી નામંજૂર કરતાં કોર્ટે જણાવ્યું છે કે જે આદેશ આરોપીના પોતાના પ્રારંભ અને આમંત્રણ પર તેના હિતમાં પસાર થયો હોય, તેને કોર્ટ રદ કરી શકતી નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી અંગે રાજકારણીઓ દ્વારા કરાયેલા નિવેદનોને લઈને ગુજરાત યુનિવર્સિટીએ એપ્રિલ 2023માં માનહાનિની ફરિયાદ દાખલ કરી હતી. યુનિવર્સિટીએ પોતાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડતા માન હાનિકારક નિવેદનો અને સંકેતો કરાયા હોવાનું જણાવ્યું હતું, જેના આધારે મેટ્રોપોલિટન કોર્ટે કેસનો સંજ્ઞાન લઈને કેજરીવાલ અને સિંહને સમન્સ જારી કર્યા હતા. આ ઘટના, હાઇકોર્ટે મુખ્ય માહિતી કમિશન (CIC) દ્વારા ગુજરાત યુનિવર્સિટીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની MA ડિગ્રી જાહેર કરવાની આપેલી સૂચના રદ કરી હતી, તેના એક મહિના અંદર બની હતી.

Share This Article