ઉત્તરાખંડના પવિત્ર યાત્રાધામ કેદારનાથ હિમવર્ષાને લીધે બરફથી ઢંકાયુ છે. આ દરમિયાન મંદિર પરિસરનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં ચારે બાજુ બરફ જોઈ શકાય છે. જેમાં મંદિર બરફથી ઢંકાયેલા છે અને કપાટ બંધ છે. કેદારનાથ મંદિરના કપાટ 22 એપ્રિલે ખુલશે. જયારે બદ્રીનાથ મંદિરના કપાટ 23 એપ્રિલે ખોલવામાં આવશે. હાલ ચારધામ યાત્રા માટે બુકિંગ શરૂ થયું છે.
સુરક્ષાદળો કેદારનાથની સુરક્ષામાં તૈનાત
કેદારનાથ ધામમાં સતત ભારે હિમવર્ષાને કારણે સમગ્ર કેદારનાથ ટાઉનશીપ લગભગ ત્રણથી ચાર ફૂટ બરફના સ્તર હેઠળ ઢંકાઈ ગઈ છે. જયારે ઉત્તરાખંડ પોલીસ અને ભારત-તિબેટીયન બોર્ડર પોલીસના કર્મચારીઓ સંપૂર્ણપણે સતર્ક છે. આ મુશ્કેલ હાલતમાં પણ સુરક્ષાદળો કેદારનાથની સુરક્ષામાં તૈનાત છે.
આખું મંદિર 3-5 ફૂટ સુધી બરફની સફેદ ચાદરથી ઢંકાયેલું
તેમજ સતત બરફવર્ષાને કારણે આખું મંદિર 3-5 ફૂટ સુધી બરફની સફેદ ચાદરથી ઢંકાયેલું છે. તાપમાન માઈનસ 16-17 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. જેના લીધે ચારધામ યાત્રાની તૈયારીઓ પ્રભાવિત થઈ રહી છે. નિર્ધારિત સમયપત્રક મુજબ પરંપરાગત ડોલી 19 એપ્રિલે ઉખીમઠથી રવાના થશે અને 22 એપ્રિલે કેદારનાથ ધામના કપાટ ઔપચારિક રીતે ખોલવામાં આવશે. તેમજ બરફ હટાવવાનું અને રસ્તાની તૈયારીનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. હાલમાં માર્ચમાં ભારે બરફ પડી રહ્યો છે, પરંતુ એપ્રિલ સુધીમાં તે સાફ થવાની ધારણા છે.
કેદારનાથ ધામનો નજારો દર્શાવતા ઘણા વીડિયો શેર
રુદ્રપ્રયાગ પોલીસે કેદારનાથ ધામનો નજારો દર્શાવતા ઘણા વીડિયો શેર કર્યા છે. જેમાં જવાનો બરફ સાફ કરતા જોવા મળે છે. પહેલા વીડિયોમાં કેપ્શન હતું, બાબા કેદાર સફેદ બરફની ચાદરમાં લપેટાયેલા! કેદારનાથ ધામનું આ મનોહર દૃશ્ય મનને શાંતિ આપે છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે પોલીસ અને ITBPના જવાનો ઠંડીમાં પણ સુરક્ષામાં તૈનાત છે.