Thursday, Oct 23, 2025

ગાઝામાં લોકો ખોરાકની રાહ જોઈ રહ્યા હતા, ઇઝરાયલી હુમલામાં 67 પેલેસ્ટિનિયનોના મોત

4 Min Read

કતારમાં ચાલી રહેલી યુદ્ધવિરામ વાટાઘાટો વચ્ચે ઇઝરાયલે ગાઝામાં ખોરાકની રાહ જોઈ રહેલા લોકો પર ગોળીબાર કર્યો છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, રવિવારે ઉત્તર ગાઝામાં યુએનના સહાય ટ્રકોની રાહ જોઈ રહેલા ઓછામાં ઓછા 67 પેલેસ્ટિનિયનો ઇઝરાયલી ગોળીબારમાં માર્યા ગયા હતા. દરમિયાન ઇઝરાયલે વિસ્થાપિત લોકોથી ભરેલા વિસ્તારોને ખાલી કરાવવા માટે નવા આદેશો જારી કર્યા છે.

મંત્રાલયે જણાવ્યું હતું કે ઉત્તરી ગાઝામાં થયેલી આ ઘટનામાં ડઝનબંધ લોકો ઘાયલ પણ થયા છે. શનિવારે 35 લોકોના મોત સાથે, તાજેતરમાં સહાય શોધનારાઓના વારંવારના બનાવોમાં આ સૌથી વધુ મળત્યુ પૈકીનો એક છે. મંત્રાલયે જણાવ્યું હતું કે દક્ષિણમાં અન્ય એક સહાય સ્થળ નજીક છ વધુ લોકો માર્યા ગયા હતા.

ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે તેના સૈનિકોએ રવિવારે ઉત્તરી ગાઝામાં હજારો લોકોની ભીડ પર તાત્કાલિક ખતરો દૂર કરવા માટે ચેતવણીના ગોળીબાર કર્યા હતા. સેનાએ વધુમાં કહ્યું કે, જાનહાનિની સંખ્યા અતિશયોક્તિપૂર્ણ રીતે દર્શાવવામાં આવી છે અને અમે ઇરાદાપૂર્વક માનવતાવાદી સહાય ટ્રકોને નિશાન બનાવી રહ્યા નથી.

યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP) એ જણાવ્યું હતું કે ગાઝામાં પ્રવેશ્યાના થોડા સમય પછી, ખાદ્ય સહાય લઈ જતા ૨૫ WFP ટ્રકોના કાફલાનો સામનો ભૂખ્યા નાગરિકોના વિશાળ ટોળા સાથે થયો હતો, જેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો.

રોઇટર્સના અહેવાલ મુજબ, હમાસના એક અધિકારીએ જણાવ્યું હતું કે અમે વધતા મળત્યુ અને ભૂખમરાના સંકટથી ગુસ્સે છીએ અને આનાથી કતારમાં ચાલી રહેલી યુદ્ધવિરામ વાટાઘાટો પર ખરાબ અસર પડી શકે છે.

આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે રવિવારે સમગ્ર વિસ્તારમાં ઇઝરાયલી ગોળીબાર અને હવાઈ હુમલામાં કુલ 90 લોકો માર્યા ગયા હતા.

ઇઝરાયલી સૈન્ય દ્વારા મધ્ય ગાઝાના દેઇર અલપ્રબલાહમાં લોકોને સ્થળાંતર કરવા માટે પત્રિકાઓ ફેંકયા પછી, રહેવાસીઓએ અહેવાલ આપ્યો કે ઇઝરાયલી વિમાનોએ આ વિસ્તારમાં ત્રણ ઘરો પર હુમલો કર્યો હતો. ડઝનબંધ પરિવારો પોતાના ઘર છોડવા લાગ્યા, પોતાનો થોડો સામાન પોતાની સાથે લઈ ગયા. દેઇર અલ-બલાહ વિસ્તારમાં લાખો નાગરિકોએ આશરો લીધો છે.

ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે તે વર્તમાન સંઘર્ષ દરમિયાન ખાલી કરાવવાના આદેશ આપવામાં આવેલા જિલ્લાઓમાં પ્રવેશ્યું નથી અને તે વિસ્તારમાં દુશ્મન ક્ષમતાઓ અને આતંકવાદી માળખાને નષ્ટ કરવા માટે સંપૂર્ણ તાકાતથી કાર્ય કરવાનું ચાલુ રાખે છે.

ઇઝરાયલી સૂત્રો કહે છે કે સેના હજુ સુધી ત્યાંથી ખસી નથી કારણ કે તેમને શંકા છે કે હમાસે ત્યાં લોકોને બંધક બનાવી રાખ્યા છે. ગાઝામાં રાખવામાં આવેલા બાકીના ૫૦ બંધકોમાંથી લગભગ ૨૦ હજુ પણ જીવંત હોવાનું માનવામાં આવે છે.

21 મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધને કારણે ગાઝાનો મોટાભાગનો ભાગ ઉજ્જડ જમીનમાં ફેરવાઈ ગયો છે, અને દુષ્કાળ વધુ ખરાબ થવાની સંભાવના છે. પેલેસ્ટિનિયન આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું છે કે ખોરાકની અછત અને સહાય સામગ્રીના પુરવઠામાં ઘટાડાને કારણે ચક્કર અને થાકથી પીડાતા દર્દીઓથી હોસ્પિટલો ભરાઈ ગઈ હોવાથી સેંકડો લોકો ટૂંક સમયમાં મળત્યુ પામી શકે છે.

ગાઝામાં રહેતા લોકોએ કહ્યું કે લોટ જેવી આવશ્યક ચીજવસ્તુઓ મેળવવી અશકય બની રહી છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે યુદ્ધ દરમિયાન લગભગ 71 બાળકો કુપોષણથી મળત્યુ પામ્યા હતા અને 50 હજાર અન્ય લોકો કુપોષણના લક્ષણોથી પીડાઈ રહ્યા છે. રવિવારે, મંત્રાલયે જણાવ્યું હતું કે છેલ્લા ૨૪ કલાકમાં ભૂખમરાથી 18 લોકોના મોત થયા છે.

Share This Article