એક તરફ મધ્ય પૂર્વમાં બે અઠવાડિયા માટે સીઝફાયર થયું છે જેના પગલે વિશ્વના દેશોએ રાહતનો શ્વાસ લીધો છે તો બીજી તરફ યુનાઈટેડ નેશન (UN) તરફથી ભારત માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે.
ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં મોટી રાજદ્વારી સફળતા મેળવી છે. ભારતે ચાર મુખ્ય સંસ્થાઓની ચૂંટણીમાં જીત મેળવી છે અને સર્વાનુમતે થયેલી ચૂંટણીમાં ભારતની બિનહરીફ જીત થઈ છે. આ રીતે વિશ્વના રાજકાણમાં ભારતનું કદ વધ્યું છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારની કેટલીક સારી નીતિઓને કારણે વૈશ્વિક મંચ પર ભારતનું પ્રભુત્વ વધ્યુ છે. ભારતે જે ચાર સંસ્થાઓની ચૂંટણીમાં વિજય મેળવ્યો તેમાં વિજ્ઞાન અને ટેકનોલોજી કમિશન ફોર ડેવલપ મેન્ટ, બિન-સરકારી સંગઠનો પરની સમિતિ અને પ્રોગ્રામિંગ અને સંકલનનો સમાવેશ થાય છે.
આ સાથે જ ચૂંટણી દ્વારા ભારતની વરિષ્ઠ રાજદ્વારી પ્રીતિ સરન (Preeti Saran)ની આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક અધિકારોની સમિતિ (CESCRમાં) ફરી પસંદગી કરવામાં આવી છે. અગાઉ પણ પ્રીતિ સરને સત્રનું અધ્યક્ષપદ સંભાળ્યું છે.
CESCR શું છે?
CESCRમાં 18 સ્વતંત્ર એક્સપર્ટનો હોય છે જે આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક અધિકારો પરના આંતરરાષ્ટ્રીય કરારના પાલનનું સતત નિરીક્ષણ કરે છે, જેમાં ખોરાક, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, સામાજિક સુરક્ષા, પાણી અને સ્વચ્છતા જેવા મૂળભૂત અધિકારો સંબંધિત મુદ્દાઓનો સમાવેશ થાય છે. NGO સમિતિ સંયુક્ત રાષ્ટ્રમાં સિવિલ સોસાયટી સંગઠનોની ભાગીદારીને આકાર આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વિજ્ઞાન અને ટેકનોલોજી કમિશન વિકાસ અને ટકાઉ ભવિષ્ય સંબંધિત મુદ્દાઓ પર દિશા નિર્ધારિત કરે છે, જ્યારે કાર્યક્રમ અને સંકલન સમિતિ UN એજન્સીઓ વચ્ચે સંકલન સુનિશ્ચિત કરે છે.
ECOSOC શું છે?
નોંધનીય છે કે, ECOSOC એ સંયુક્ત રાષ્ટ્રની મુખ્ય વ્યવસ્થાનો એક ભાગ છે, જે સતત વિકાસના ત્રણ પરિમાણો આર્થિક, સામાજિક અને પર્યાવરણીયને આગળ વધારવા માટે કાર્ય કરે છે. આ સફળતા આ વૈશ્વિક મુદ્દાઓ પર ભારતની વધતી ભૂમિકા અને પ્રભાવને પણ રેખાંકિત કરે છે.