Friday, Mar 20, 2026

ભારતની આગામી જનગણના 2026–27માં યોજાશે, 95 વર્ષ બાદ થશે વ્યાપક જાતિ આધારિત ગણતરી

2 Min Read

ભારત સરકારએ આગામી જનગણનાને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. લાંબા સમયથી પ્રતીક્ષિત જનગણના હવે 2026–27 દરમિયાન યોજાશે. કોરોના મહામારીને કારણે 2021ની જનગણના મુલતવી રાખવામાં આવી હતી. આ વખતની જનગણના અનેક રીતે ઐતિહાસિક બનવાની છે, કારણ કે સમગ્ર પ્રક્રિયા પ્રથમ વખત સંપૂર્ણ ડિજિટલ રીતે હાથ ધરાશે અને 95 વર્ષ બાદ ફરી એકવાર વ્યાપક જાતિ આધારિત માહિતી એકત્રિત કરવામાં આવશે.

જનગણના બે તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે. પ્રથમ તબક્કો હાઉસ-લિસ્ટિંગનો રહેશે, જે એપ્રિલથી સપ્ટેમ્બર 2026 દરમિયાન યોજાશે. આ તબક્કામાં દેશભરના ઘરો, દુકાનો, ઇમારતો અને અન્ય સ્થાપનાઓની ગણતરી કરવામાં આવશે. સાથે સાથે ઘરના પ્રકાર, પાણી, શૌચાલય, વિજળી જેવી મૂળભૂત સુવિધાઓ તેમજ જીવન સ્તર દર્શાવતી વસ્તુઓ અંગે માહિતી લેવામાં આવશે. બીજા તબક્કામાં ફેબ્રુઆરી 2027માં જનસંખ્યા ગણતરી હાથ ધરાશે, જેમાં દરેક વ્યક્તિની વ્યક્તિગત વિગતો, પરિવારની માહિતી અને જાતિ સંબંધિત ડેટા નોંધવામાં આવશે.

આ વખતની જનગણનામાં “સ્વ-ગણના”ની સુવિધા પણ આપવામાં આવી છે. સર્વે શરૂ થવાના લગભગ 15 દિવસ પહેલાં ઑનલાઇન પોર્ટલ શરૂ કરાશે, જ્યાં નાગરિકો મોબાઇલ કે કમ્પ્યુટર દ્વારા પોતાનો ડેટા જાતે ભરી શકશે. બાદમાં ગણના કર્મીઓ 30 દિવસ સુધી ઘરેઘર જઈને બાકી માહિતી મોબાઇલ એપ્લિકેશન દ્વારા નોંધશે.

જાતિ આધારિત ગણતરી ખાસ મહત્વ ધરાવે છે. 1931માં બ્રિટિશ શાસન દરમિયાન છેલ્લી વખત વ્યાપક જાતિ ગણતરી થઈ હતી. આઝાદી બાદ આ પ્રથમ વખત છે જ્યારે દરેક વ્યક્તિની જાતિની નોંધ ડિજિટલ માધ્યમથી લેવામાં આવશે. માહિતી Android અને iOS એપ દ્વારા સુરક્ષિત સર્વર પર અપલોડ થશે, જેથી ભૂલોની સંભાવના ઘટશે.

આ વિશાળ કામગીરી માટે અંદાજે 30 લાખ ગણના કર્મીઓને કામે લગાડવામાં આવશે. 2011ની જનગણના મુજબ ભારતની વસ્તી 121 કરોડ હતી, જે હવે નોંધપાત્ર રીતે વધવાની શક્યતા છે. આવી સ્થિતિમાં આ જનગણના દેશની સામાજિક અને આર્થિક યોજના માટે મહત્વપૂર્ણ આધાર બનશે.

Share This Article