ઉત્તરપ્રદેશની 33 વર્ષીય મહિલાને યુનાઈટેડ અરબ અમીરાતમાં મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો. દિલ્હી હાઈકોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન વિદેશ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી છે. વિદેશ મંત્રાલયે કોર્ટને જણાવ્યું કે શહજાદી ખાનને 15 ફેબ્રુઆરીના રોજ ફાંસી આપવામાં આવી હતી. શહજાદી ખાન અબુ ધાબીમાં 4 મહિનાના બાળકની હત્યાના કેસ દોષિત સાબિત થઇ હતી, ત્યાર બાદ તેને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી.
શહજાદી ખાનના પિતાએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને તેમની દીકરીની સ્થિતિ વિશે માહિતી માંગી હતી. તેમણે કહ્યું કે તેમને કોઈ સ્પષ્ટ માહિતી મળી રહી નથી અને વિદેશ મંત્રાલય તરફથી પણ કોઈ નક્કર જવાબ મળી રહ્યો નથી. આ પછી, કોર્ટે વિદેશ મંત્રાલયન સમન્સ પાઠવ્યું હતું.
ઉત્તર પ્રદેશના બાંદાના ગોયરા મુરલીના ગામમાં રહેતી શહેજાદીને વર્ષ 2021માં અબુધાબી મોકલાઈ હતી. એવું કહેવાય છે કે, આગરાના ઉજૈર નામના વ્યક્તિએ શહેજાદીને લક્ઝરી લાઈફ અને ચહેરાની સારવાર કરાવવાની લાલચ આપી હતી અને પછી તેણીને આગરાના દંપત્તીને વેંચી દીધી હતી. આ મામલો સામે આવ્યા બાદ સીજેએમ કોર્ટના આદેશ પર દુબઈમાં રહેતા આગરાના દંપત્તી અને આરોપી ઉજૈર વિરુદ્ધ માનવ તસ્કરીનો કેસ નોંધવામાં આવ્યો છે.
શહેજાદી અબુધાબીમાં દંપત્તીના પુત્રની દેખરેખ કરતી હતી. જોકે અચાનક દંપત્તીના પુત્રનું મોત થતા તેઓએ શહેજાદી પર હત્યાનો આક્ષેપ કર્યો હતો. ત્યારબાદ અબુધાબીની કોર્ટે તપાસ કર્યા બાદ શહેજાદીની ધરપકડ કરી મોતની સજા સંભળાવી હતી. શહેજાદીને ફાંસીની સજા મળ્યા બાદ તેણીના પિતા શબ્બીર ખાને જિલ્લા વહિવટી તંત્ર અને સરકારને ફરીયાદ કરી પુત્રીને બચાવવા અપીલ કરી હતી. ફાંસી સજા પહેલા શહેજારીએ પરિવારજનો સાથે ફોન પર વાત કરી હતી. તેણીએ કહ્યું હતું કે, ‘તેને જુદા રૂમમાં રખાઈ છે અને જેલના કેપ્ટને આવીને કહ્યું હતું કે, તેણીને 24 કલાકમાં ફાંસીની સજા આપવામાં આવશે.’ વાસ્તવમાં યુએઈના જેલ તંત્રએ તેણીને આખરી ઈચ્છા વિશે કહ્યું હતું, તો તેણીએ પરિવારજનો સાથે વાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.