ભારતીય રેલવેએ પોતાના યાત્રીઓ માટે એક મોટી યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ મુસાફરોને હવે ટ્રેન ટિકિટના બુકિંગ પર 20 ટકાસુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. 8 ઓગસ્ટના રોજ એક આદેશ જારી કરીને રેલવેએ આ અંગેની માહિતી આપી છે. આ નવી યોજનાને ‘રાઉન્ડ ટ્રિપ પેકેજ’ નામ આપવામાં આવ્યું છે.
ક્યારથી લાગુ થશે ડિસ્કાઉન્ટ
રેલવેના જણાવ્યા અનુસાર જો કોઈ યાત્રી એકસાથે આવવા-જવાની ટિકિટ બુક કરાવે છે તો તેને વાપસીની ટિકિટ પર 20 ટકાની છૂટ મળશે. તહેવારોના સમયમાં ટ્રેનોમાં થતી ભારે ભીડ અને ટિકિટની અછતને રોકવા માટે રેલવે દ્વારા આ મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. આ નવી ડિસ્કાઉન્ટ યોજનાની શરૂઆત 13 ઓક્ટોબરથી થશે અને યાત્રીઓ 1 ડિસેમ્બર સુધી આ સુવિધાનો લાભ લઈ શકશે.
યોજનાનો લાભ લેવા માટેની શરતો અને નિયમો
- યાત્રીનું નામ બંને ટિકિટ પર સમાન હોવું ફરજિયાત છે.
- બંને ટિકિટ એક જ ક્લાસની હોવી જોઈએ.આ સુવિધા ફક્ત કન્ફર્મ ટિકિટો પર જ ઉપલબ્ધ થશે.
- આ ટિકિટોમાં કોઈ ફેરફાર કરી શકાશે નહીં.
- આ પેકેજ હેઠળ બુક કરાયેલી ટિકિટો પર રિફંડની કોઈ સુવિધા આપવામાં આવશે નહીં.
- આવા ટિકિટો પર અન્ય કોઈ ઓફર માન્ય રહેશે નહીં.આ સુવિધા દેશભરની તમામ ટ્રેનો અને તમામ ક્લાસમાં ઉપલબ્ધ રહેશે.
- બંને ટિકિટ એક જ સમયે અને એક જ માધ્યમથી બુક કરાવવાની રહેશે.
- યાત્રીઓ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે આ છૂટનો લાભ લઈ શકે છે.